યર્મિયા ૪૦:૧-૧૬
૪૦ રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને+ યર્મિયાને રામાથી+ આઝાદ કર્યો એ પછી યહોવાનો સંદેશો યર્મિયાને મળ્યો. રક્ષકોના ઉપરીએ યર્મિયાના હાથ સાંકળોથી બાંધ્યા અને તેને લઈ ગયો. યર્મિયા યરૂશાલેમ અને યહૂદાના એ ગુલામો સાથે હતો જેઓને બાબેલોન લઈ જવામાં આવી રહ્યા હતા.
૨ પછી રક્ષકોના ઉપરીએ યર્મિયાને એક બાજુએ લઈ જઈને કહ્યું: “તારા ઈશ્વર યહોવાએ આ જગ્યા પર આફત લાવવાની ભવિષ્યવાણી કરી હતી.
૩ યહોવા પોતાના કહ્યા પ્રમાણે આ જગ્યા પર આફત લાવ્યા છે. તમે લોકોએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમનું સાંભળ્યું નથી. એટલે જ આ બધું તમારા પર આવી પડ્યું છે.+
૪ તારા હાથની સાંકળો છોડીને હું તને આઝાદ કરું છું. જો તને ઠીક લાગે અને તારે મારી સાથે બાબેલોન આવવું હોય, તો ચાલ. હું તારી સંભાળ રાખીશ. પણ જો તારે મારી સાથે બાબેલોન ના આવવું હોય, તો ના આવતો. આખો દેશ તારી આગળ છે. તારે જ્યાં જવું હોય ત્યાં તું જા.”+
૫ યર્મિયા પાછો જવા અચકાતો હતો એટલે નબૂઝારઅદાને કહ્યું: “તું શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યા પાસે જા.+ બાબેલોનના રાજાએ તેને યહૂદાનાં શહેરો પર અધિકારી ઠરાવ્યો છે. તું તેની સાથે લોકો વચ્ચે રહે અથવા તને ઠીક લાગે ત્યાં જા.”
પછી રક્ષકોના ઉપરીએ તેને થોડો ખોરાક અને ભેટ આપીને જવા દીધો.
૬ યર્મિયા અહીકામના દીકરા ગદાલ્યા પાસે મિસ્પાહમાં ગયો.+ તે તેની સાથે એ લોકો વચ્ચે રહ્યો, જેઓ યહૂદામાં બાકી રહ્યા હતા.
૭ થોડા સમય પછી મેદાનમાં રહેતા સેનાપતિઓ અને તેઓના માણસોને જાણવા મળ્યું કે બાબેલોનના રાજાએ અહીકામના દીકરા ગદાલ્યાને દેશ પર અધિકારી ઠરાવ્યો છે. રાજાએ ગદાલ્યાને એ ગરીબ સ્ત્રી-પુરુષો અને બાળકો પર પણ અધિકારી ઠરાવ્યો છે, જેઓને બાબેલોન લઈ જવામાં આવ્યાં નથી.+
૮ એ સેનાપતિઓ અને માણસો ગદાલ્યાને મળવા મિસ્પાહ આવ્યા.+ તેઓમાં નથાન્યાનો દીકરો ઇશ્માએલ,+ કારેઆહના દીકરાઓ યોહાનાન+ અને યોનાથાન, તાન્હુમેથનો દીકરો સરાયા, નટોફાહના એફાયના દીકરાઓ, માઅખાથના એક માણસનો દીકરો યઝાન્યા+ અને તેઓના માણસો હતા.
૯ શાફાનના દીકરા અહીકામના દીકરા ગદાલ્યાએ તેઓ સામે અને તેઓના માણસો સામે સમ ખાઈને કહ્યું: “ખાલદીઓની સેવા કરવાથી ગભરાશો નહિ. આ દેશમાં રહો અને બાબેલોનના રાજાને તાબે થાઓ. એનાથી તમારું જ ભલું થશે.+
૧૦ પણ હું મિસ્પાહમાં રહીશ, જેથી આપણી પાસે આવનાર ખાલદીઓ આગળ તમારા વતી વાત કરી શકું. તમે દ્રાક્ષદારૂ, ઉનાળાનાં ફળ અને તેલ ભેગાં કરો અને એને વાસણોમાં ભરો અને જે શહેરો તમે કબજે કર્યાં છે એમાં રહો.”+
૧૧ મોઆબ, આમ્મોન, અદોમ અને બીજા દેશોમાં રહેતા યહૂદીઓએ સાંભળ્યું કે બાબેલોનના રાજાએ અમુક લોકોને યહૂદામાં રહેવા દીધા છે. તેઓએ એ પણ સાંભળ્યું કે રાજાએ શાફાનના દીકરા અહીકામના દીકરા ગદાલ્યાને તેઓ પર અધિકારી ઠરાવ્યો છે.
૧૨ એટલે બીજા દેશોમાં વિખેરાઈ ગયેલા બધા યહૂદીઓ યહૂદામાં પાછા આવ્યા અને મિસ્પાહમાં ગદાલ્યા પાસે ગયા. તેઓએ પુષ્કળ દ્રાક્ષદારૂ અને ઉનાળાનાં ફળ ભેગાં કર્યાં.
૧૩ કારેઆહનો દીકરો યોહાનાન અને મેદાનમાં રહેતા બધા સેનાપતિઓ મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા.
૧૪ તેઓએ તેને કહ્યું: “શું તમને ખબર છે, આમ્મોનના રાજા+ બાઅલીસે તમને મારી નાખવા નથાન્યાના દીકરા ઇશ્માએલને મોકલ્યો છે?”+ પણ અહીકામના દીકરા ગદાલ્યાએ તેઓનું માન્યું નહિ.
૧૫ પછી કારેઆહના દીકરા યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું: “મને જવા દો અને નથાન્યાના દીકરા ઇશ્માએલને મારી નાખવા દો. કોઈને એની જાણ નહિ થાય. તે કેમ તમને મારી નાખે? એમ થશે તો, તમારી પાસે ભેગા થયેલા યહૂદાના લોકો પાછા વિખેરાઈ જશે અને યહૂદામાં બાકી રહેલા લોકોનો નાશ થશે.”
૧૬ પણ અહીકામના દીકરા ગદાલ્યાએ+ કારેઆહના દીકરા યોહાનાનને કહ્યું: “એવું કંઈ કરતો નહિ, કેમ કે ઇશ્માએલ વિશે તું જે કહે છે એ સાચું નથી.”