યર્મિયા ૪૨:૧-૨૨
૪૨ કારેઆહનો દીકરો યોહાનાન,+ હોશાયાહનો દીકરો યઝાન્યા, બીજા બધા સેનાપતિ અને નાનાથી લઈને મોટા સુધી બધા લોકો આવ્યા
૨ અને યર્મિયા પ્રબોધકને કહ્યું: “કૃપા કરીને અમારી વિનંતી સાંભળો. અમારા વતી અને આ બચી ગયેલા લોકો વતી તમારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરો. કેમ કે તમે જુઓ છો, અમે આટલા જ લોકો બાકી રહ્યા છીએ.+
૩ તમારા ઈશ્વર યહોવા અમને જણાવે કે અમારે કયા રસ્તે ચાલવું અને શું કરવું.”
૪ યર્મિયા પ્રબોધકે તેઓને કહ્યું: “સારું, તમારી વિનંતી પ્રમાણે હું તમારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરીશ. યહોવા જે કંઈ જણાવશે, એ બધું હું તમને જણાવીશ. હું તમારાથી એકેય શબ્દ છુપાવીશ નહિ.”
૫ તેઓએ યર્મિયાને કહ્યું: “તમારા ઈશ્વર યહોવા તમારા દ્વારા અમને જે કંઈ કહેશે, એ પ્રમાણે અમે ચોક્કસ કરીશું. જો અમે એવું ન કરીએ તો યહોવા અમારી વિરુદ્ધ સાચા અને વફાદાર સાક્ષી બને અને અમને સજા કરે.
૬ અમે તમને અમારા ઈશ્વર યહોવા પાસે મોકલીએ છીએ. તેમની સલાહ અમને ગમે કે ન ગમે, પણ અમે એ પાળીશું. જો અમે અમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનીશું, તો અમારું ભલું થશે.”
૭ દસ દિવસ પછી યર્મિયાને યહોવાનો સંદેશો મળ્યો.
૮ તેણે કારેઆહના દીકરા યોહાનાનને, તેની સાથેના બધા સેનાપતિઓને અને નાનાથી લઈને મોટા સુધી બધા લોકોને બોલાવ્યા.+
૯ યર્મિયાએ તેઓને કહ્યું: “તમારા વતી વિનંતી કરવા તમે મને જેમની પાસે મોકલ્યો હતો, એ ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે:
૧૦ ‘જો તમે આ દેશમાં રહેશો, તો હું તમને બાંધીશ, પણ તોડીશ નહિ અને હું તમને રોપીશ, પણ ઉખેડીશ નહિ. કેમ કે હું તમારા પર જે આફત લાવ્યો છું એના લીધે મને દુઃખ* થશે.+
૧૧ તમે બાબેલોનના રાજાથી ડરો છો, પણ તેનાથી ડરશો નહિ.’+
“યહોવા કહે છે, ‘તેનાથી ગભરાશો નહિ, કેમ કે હું તમારી સાથે છું. હું તમને બચાવીશ, હું તમને તેના હાથમાંથી છોડાવીશ.
૧૨ હું તમને દયા બતાવીશ.+ રાજા પણ તમને દયા બતાવશે અને તમને તમારા વતનમાં પાછા જવા દેશે.
૧૩ “‘પણ જો તમે કહો, “ના, અમે આ દેશમાં નહિ રહીએ!” અને જો તમારા ઈશ્વર યહોવાનું કહ્યું નહિ માનો
૧૪ અને કહો, “ના, અમે તો ઇજિપ્ત જઈશું+ અને ત્યાં રહીશું. ત્યાં અમારે યુદ્ધ જોવું નહિ પડે, રણશિંગડાનો અવાજ સાંભળવો નહિ પડે અને ભૂખે મરવું નહિ પડે,”
૧૫ તો હે યહૂદાના બાકી રહેલા લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો. ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “જો તમે ઇજિપ્ત જવાનો પાકો નિર્ણય લઈ લીધો હોય અને જો તમે ત્યાં જઈને રહેશો,*
૧૬ તો જે તલવારથી તમે ડરો છો, એ તલવાર ઇજિપ્તમાં તમારા પર આવી પડશે અને જે દુકાળથી તમે ડરો છો, એ દુકાળ છેક ઇજિપ્ત સુધી તમારો પીછો કરશે અને ત્યાં તમે મરી જશો.+
૧૭ જે માણસોએ ઇજિપ્તમાં વસવાનો પાકો નિર્ણય લીધો છે, તેઓ ત્યાં તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* માર્યા જશે. હું તેઓ પર જે આફત લાવીશ, એનાથી કોઈ છટકી શકશે નહિ કે બચી શકશે નહિ.”’
૧૮ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘જો તમે ઇજિપ્ત જશો, તો જેમ યરૂશાલેમના રહેવાસીઓ પર મેં મારો ગુસ્સો અને ક્રોધ રેડ્યો હતો,+ તેમ તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. લોકો તમારા હાલ જોઈને ધ્રૂજી ઊઠશે, તેઓ તમને શ્રાપ આપશે, તમારું અપમાન કરશે અને તમારી નિંદા કરશે.+ તમે આ દેશ ફરી ક્યારેય જોઈ નહિ શકો.’
૧૯ “હે યહૂદાના બાકી રહેલા લોકો, યહોવા તમારી વિરુદ્ધ બોલ્યા છે. ઇજિપ્ત જશો નહિ. ભૂલતા નહિ, આજે મેં તમને ચેતવણી આપી છે,
૨૦ જો તમે ત્યાં જશો, તો તમારે ભારે કિંમત ચૂકવવી પડશે, તમારે પોતાનો જીવ ગુમાવવો પડશે. તમે મને તમારા ઈશ્વર યહોવા પાસે મોકલ્યો અને કહ્યું, ‘અમારા વતી અમારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરો. અમારા ઈશ્વર યહોવા જે કંઈ કહે એ અમને જણાવો અને અમે એ બધું કરીશું.’+
૨૧ આજે મેં તમને એ બધું જણાવ્યું છે. પણ મને ખાતરી છે કે તમે તમારા ઈશ્વર યહોવાનું કહ્યું નહિ માનો. મારા દ્વારા તેમણે જે જણાવ્યું છે એમાંનું કશું નહિ કરો.+
૨૨ એટલે જાણી લો કે જે દેશમાં જઈને તમે રહેવા ચાહો છો, ત્યાં તમે તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી ચોક્કસ માર્યા જશો.”+