યર્મિયા ૪૪:૧-૩૦

  • ઇજિપ્તમાં યહૂદીઓ પર આફત આવશે એવી ભવિષ્યવાણી (૧-૧૪)

  • લોકો ઈશ્વરની ચેતવણીને માનતા નથી (૧૫-૩૦)

    • તેઓ ‘સ્વર્ગની રાણીની’ ઉપાસના કરે છે (૧૭-૧૯)

૪૪  ઇજિપ્તમાં+ મિગ્દોલ,+ તાહપાન્હેસ,+ નોફ*+ અને પાથ્રોસના વિસ્તારમાં+ રહેતા બધા યહૂદીઓ માટે યર્મિયાને આ સંદેશો મળ્યો: ૨  “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું યરૂશાલેમ+ પર અને યહૂદાનાં શહેરો પર જે આફત લાવ્યો છું, એ તમે જોઈ છે. આજે એ બધું ખંડેર થઈ ગયું છે, વસ્તી વગરનું થઈ ગયું છે.+ ૩  તમારાં દુષ્ટ કામોને લીધે એવું થયું છે. તમે એવા દેવો પાછળ ગયા જેઓને તમે કે તમારા બાપદાદાઓ જાણતા ન હતા.+ તમે તેઓને બલિદાનો ચઢાવ્યાં+ અને તેઓની સેવા કરી. ૪  મેં મારા સેવકો, એટલે કે મારા પ્રબોધકોને વારંવાર* તમારી પાસે મોકલ્યા અને તમને વિનંતી કરી: “મહેરબાની કરીને આવાં દુષ્ટ કામો ન કરો. એવાં કામોને હું ધિક્કારું છું.”+ ૫  પણ તમે મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ. તમે તો બીજા દેવોને બલિદાનો ચઢાવતા રહ્યા અને દુષ્ટ કામોથી પાછા ફર્યા નહિ.+ ૬  એટલે મારો ગુસ્સો અને કોપ સળગી ઊઠ્યો. મારા ક્રોધને લીધે યહૂદાનાં શહેરો અને યરૂશાલેમની ગલીઓ બળીને ખાખ થઈ ગયાં. તેઓ ખંડેર અને ઉજ્જડ થઈ ગયાં, જેમ આજે પણ છે.’+ ૭  “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે કેમ પોતાના પર મોટી આફત લાવવા માંગો છો? તમે કેમ તમારાં સ્ત્રી-પુરુષો, બાળકો અને ધાવણાં બાળકોનો યહૂદામાંથી સર્વનાશ કરવા માંગો છો? ૮  તમે જે ઇજિપ્ત દેશમાં રહેવા ગયા છો, ત્યાં પોતાના હાથે બીજા દેવોને બલિદાનો ચઢાવીને મને કેમ ગુસ્સે કરો છો? તમારો નાશ થશે. પૃથ્વી પરની બધી પ્રજાઓ તમને શ્રાપ આપશે અને તમારી નિંદા કરશે.+ ૯  શું તમે ભૂલી ગયા કે યહૂદા દેશમાં અને યરૂશાલેમની ગલીઓમાં તમારા બાપદાદાઓએ, યહૂદાના રાજાઓએ+ અને તેઓની પત્નીઓએ+ કેવાં દુષ્ટ કામો કર્યાં હતાં? શું તમે ભૂલી ગયા કે તમે અને તમારી પત્નીઓએ કેવાં દુષ્ટ કામો કર્યાં હતાં?+ ૧૦  આજ સુધી તમે પોતાને નમ્ર કર્યા નથી.* તમે મારો ડર રાખ્યો નથી.+ મેં તમને અને તમારા બાપદાદાઓને જે નિયમો અને કાયદા-કાનૂન આપ્યા હતા, એ પ્રમાણે તમે ચાલ્યા નથી.’+ ૧૧  “એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં તમારા પર આફત લાવવાનું નક્કી કર્યું છે. હું આખા યહૂદાનો નાશ કરીશ. ૧૨  યહૂદાના બાકી રહેલા લોકો, જેઓએ ઇજિપ્ત જઈને વસવાનો પાકો નિર્ણય કર્યો છે, તેઓનો હું ઇજિપ્ત દેશમાં નાશ કરીશ.+ તેઓ તલવાર અને દુકાળથી માર્યા જશે. નાનાથી લઈને મોટા સુધી બધા લોકોનો તલવાર અને દુકાળથી સંહાર થશે. લોકો તેઓના હાલ જોઈને ધ્રૂજી ઊઠશે, તેઓને શ્રાપ આપશે, તેઓનું અપમાન કરશે અને તેઓની નિંદા કરશે.+ ૧૩  જેમ મેં યરૂશાલેમને સજા કરી હતી, તેમ હું ઇજિપ્તમાં રહેતા લોકોને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.+ ૧૪  યહૂદાના બાકી રહેલા લોકો, જેઓ ઇજિપ્ત રહેવા ગયા છે, તેઓમાંથી કોઈ બચશે નહિ, યહૂદા પાછા આવવા કોઈ જીવતો રહેશે નહિ. તેઓ યહૂદા પાછા આવવા અને ત્યાં રહેવા તરસશે, પણ પાછા આવી નહિ શકે. બસ ગણ્યા-ગાંઠ્યા લોકો જ પાછા આવશે.’” ૧૫  હવે ત્યાં ઘણા પુરુષો હતા, જેઓ જાણતા હતા કે તેઓની પત્નીઓ બીજા દેવોને બલિદાનો ચઢાવે છે. એ પુરુષો અને ત્યાં ઊભેલી તેઓની પત્નીઓના ટોળાએ તેમજ ઇજિપ્તના+ પાથ્રોસમાં+ રહેતા લોકોએ યર્મિયાને કહ્યું: ૧૬  “યહોવાના નામે તેં અમને જે કંઈ કહ્યું છે, એ અમે માનીશું નહિ. ૧૭  અમે તો એ જ કરીશું, જે અમે કહ્યું છે. અમે સ્વર્ગની રાણીને* બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવીશું.+ યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં અમે, અમારા બાપદાદાઓ, અમારા રાજાઓ અને અધિકારીઓ એવું જ કરતા હતા. એ વખતે અમને ભરપેટ રોટલી મળતી હતી, અમે સુખચેનમાં રહેતા હતા અને અમારા પર કોઈ આફત આવતી ન હતી. ૧૮  પણ જ્યારથી અમે સ્વર્ગની રાણીને બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવવાનું બંધ કર્યું છે, ત્યારથી અમે તંગી સહી રહ્યા છીએ. તલવાર અને દુકાળથી અમારો નાશ થઈ રહ્યો છે.” ૧૯  એ સ્ત્રીઓએ કહ્યું: “શું અમે અમારા પતિઓની મંજૂરી વગર સ્વર્ગની રાણીને બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવતાં હતાં? શું તેઓને પૂછ્યા વગર તેની મૂર્તિના આકારની રોટલીઓ બનાવીને તેને ચઢાવી હતી?” ૨૦  પછી યર્મિયાએ એ પુરુષોને, તેઓની પત્નીઓને અને તેની સાથે વાત કરતા લોકોને કહ્યું: ૨૧  “તમે, તમારા બાપદાદાઓએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને આ દેશના લોકોએ યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં જે બલિદાનો ચઢાવ્યાં છે,+ એ યહોવાએ યાદ કર્યાં છે. તે એને ભૂલ્યા નથી!* ૨૨  પણ તમે તો એવાં દુષ્ટ કામોમાં ડૂબેલા રહ્યા, જેને ઈશ્વર ધિક્કારે છે. છેવટે યહોવા એ સહન કરી શક્યા નહિ. એટલે તમારો દેશ ઉજ્જડ થઈ ગયો. એના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠે છે. લોકો એના નામે શ્રાપ આપે છે અને એ વસ્તી વગરનો થઈ ગયો છે. આજે પણ એ દેશના હાલ એવા જ છે.+ ૨૩  તમે બીજા દેવોને બલિદાનો ચઢાવ્યાં છે અને યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. તમે યહોવાનું કહ્યું માન્યું નથી, તેમના નિયમો, કાયદા-કાનૂન અને સૂચનો* પાળ્યાં નથી, એટલે આજે તમારા પર આ આફત આવી પડી છે.”+ ૨૪  ત્યાં હાજર લોકોને અને બધી સ્ત્રીઓને યર્મિયાએ કહ્યું: “ઇજિપ્તમાં રહેતા યહૂદાના લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો. ૨૫  ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘તમે અને તમારી પત્નીઓએ જે કંઈ કહ્યું હતું, એ પ્રમાણે જ કર્યું છે. તમે કહ્યું હતું: “અમે સ્વર્ગની રાણીને જે બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવવાની માનતા લીધી છે, એ અમે ચોક્કસ પૂરી કરીશું.”+ આ સ્ત્રીઓએ જે માનતા લીધી છે, એ તેઓ પૂરી કરીને જ રહેશે.’ ૨૬  “હે ઇજિપ્તમાં રહેતા યહૂદાના લોકો, તમે યહોવાનો સંદેશો સાંભળો: ‘યહોવા કહે છે, “હું મારા મહાન નામના સમ ખાઈને કહું છું, ઇજિપ્તમાં રહેતો યહૂદાનો કોઈ પણ માણસ મારું નામ લઈને ક્યારેય સમ નહિ ખાય કે, ‘વિશ્વના માલિક યહોવાના સમ!’*+ ૨૭  હું તેઓનું ભલું કરવા નહિ, પણ તેઓ પર આફત લાવવા નજર રાખું છું.+ ઇજિપ્તમાં રહેતા યહૂદાના બધા માણસો તલવાર અને દુકાળથી માર્યા જશે, તેઓનું નામનિશાન ભૂંસાઈ જશે.+ ૨૮  બહુ થોડા લોકો તલવારથી બચશે અને ઇજિપ્તથી યહૂદા પાછા આવશે.+ ત્યારે ઇજિપ્તમાં રહેતા યહૂદાના બાકી રહેલા લોકો જાણશે કે કોના શબ્દો સાચા પડે છે, તેઓના કે મારા!”’” ૨૯  “યહોવા કહે છે, ‘હું તમને આ દેશમાં સજા કરીશ, જેથી તમે જાણો કે તમારા પર આફત લાવવાનું મેં આપેલું વચન ચોક્કસ પૂરું થશે. એ માટે હું તમને એક નિશાની આપું છું. ૩૦  યહોવા કહે છે: “જેમ મેં યહૂદાના રાજા સિદકિયાને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* સોંપી દીધો હતો, જે તેનો દુશ્મન અને તેના જીવનો તરસ્યો હતો, તેમ હું ઇજિપ્તના રાજા ફારુન* હોફ્રાને તેના દુશ્મનોના હાથમાં અને તેનો જીવ લેવા માંગતા લોકોના હાથમાં સોંપી દઈશ.”’”+

ફૂટનોટ

અથવા, “મેમ્ફિસ.”
મૂળ, “વહેલા ઊઠીને.”
અથવા, “પસ્તાવો કર્યો નથી; કચડાયેલા મહેસૂસ કર્યા નથી.”
અથવા, “બીમારીથી.”
મૂળ, “તેમના દિલમાં એ આવ્યાં છે!”
મૂળ, “યાદ કરાવવા આપેલાં સૂચનો.”
મૂળ, “વિશ્વના માલિક યહોવાના જીવના સમ!”
મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.