યર્મિયા ૪૯:૧-૩૯

  • આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૬)

  • અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી (૭-૨૨)

    • અદોમનું નામનિશાન મટી જશે (૧૭, ૧૮)

  • દમસ્ક વિરુદ્ધ ભવિષ્યવાણી (૨૩-૨૭)

  • કેદાર અને હાસોર વિરુદ્ધ ભવિષ્યવાણી (૨૮-૩૩)

  • એલામ વિરુદ્ધ ભવિષ્યવાણી (૩૪-૩૯)

૪૯  આમ્મોનીઓ+ માટે સંદેશો. યહોવા કહે છે: “શું ઇઝરાયેલને દીકરાઓ નથી? શું તેનો કોઈ વારસદાર નથી? તો પછી માલ્કામે*+ કેમ ગાદ પર કબજો કર્યો છે?+ તેના ભક્તો કેમ ઇઝરાયેલનાં શહેરોમાં રહે છે?”  ૨  “યહોવા કહે છે, ‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,જ્યારે હું આમ્મોનીઓની+ નગરી રાબ્બાહમાં+ યુદ્ધના ભણકારા* સંભળાવીશ. તે ઉજ્જડ ટેકરી બની જશે. તેની આસપાસનાં* નગરોને આગ લગાડવામાં આવશે.’ યહોવા કહે છે, ‘ઇઝરાયેલ એ લોકોના દેશને કબજે કરશે, જેઓએ તેનો દેશ કબજે કર્યો હતો.+  ૩  ઓ હેશ્બોન, વિલાપ કર, કેમ કે આય શહેરનો નાશ થયો છે! ઓ રાબ્બાહની આસપાસનાં નગરો, પોક મૂકીને રડો. કંતાન પહેરો અને વિલાપ કરો. પથ્થરના વાડામાં* આમતેમ ફરો,કેમ કે માલ્કામ* ગુલામીમાં જશે. તેની સાથે તેના યાજકો અને અધિકારીઓ પણ જશે.+  ૪  ઓ બેવફા દીકરી, તું ખીણો* વિશેઅને તારી ફળદ્રુપ જમીન વિશે કેમ બડાઈ હાંકે છે? તું તારી સંપત્તિ પર ભરોસો રાખે છે અને કહે છે: “મારી સામે કોણ થશે?”’”  ૫  “વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,‘હું તારી આસપાસના લોકોને મોકલીને તારા પર ભયંકર આફત લાવીશ. તને દરેક દિશામાં વિખેરી નાખવામાં આવશે. નાસી જનારાઓને કોઈ ભેગા કરશે નહિ.’”  ૬  “‘પણ પછીથી હું આમ્મોનીઓના ગુલામોને ભેગા કરીશ,’ એવું યહોવા કહે છે.” ૭  અદોમ માટે સંદેશો. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “શું તેમાનમાં+ બુદ્ધિનો દુકાળ પડ્યો છે? શું સમજુ માણસો પાસે સલાહ ખૂટી ગઈ છે? શું તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે?  ૮  હે દદાનના+ રહેવાસીઓ, પાછા ફરો અને નાસી જાઓ! જઈને ખીણોમાં સંતાઈ જાઓ! કેમ કે એસાવને સજા કરવાનો સમય આવશે ત્યારે,હું તેના પર આફત લાવીશ.  ૯  જો રાતે તારે ત્યાં ચોર આવે,તો શું તેઓ થોડું-ઘણું રહેવા નહિ દે? જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે,તો શું તેઓ થોડી-ઘણી દ્રાક્ષ પડતી નહિ મૂકે?+ ૧૦  પણ હું એસાવને ખંખેરીને ખાલી કરી નાખીશ. હું તેની સંતાવાની જગ્યા ખુલ્લી પાડીશ,જેથી તે સંતાઈ ન શકે. તેનાં બાળકો, તેના ભાઈઓ અને તેના પડોશીઓનો સંહાર થશે.+ તેનું નામનિશાન ભૂંસાઈ જશે.+ ૧૧  તારાં અનાથ* બાળકોને મારી પાસે મૂકી જા,હું તેઓને જીવતાં રાખીશ. તારી વિધવાઓ મારા પર ભરોસો રાખશે.” ૧૨  યહોવા કહે છે: “જો! જેઓને મારા કોપનો પ્યાલો પીવાની સજા નથી થઈ, તેઓ પણ એ પ્યાલો પીશે. તો તું કઈ રીતે બચી શકીશ? હું તને સજા કર્યા વગર નહિ છોડું. તારે એ પ્યાલો પીવો જ પડશે.”+ ૧૩  યહોવા કહે છે, “હું મારા સમ ખાઈને કહું છું, બોસરાહના એવા હાલ થશે કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.+ તે ખંડેર થઈ જશે. લોકો તેની નિંદા કરશે અને તેને શ્રાપ આપશે. તેનાં બધાં શહેરો કાયમ માટે ઉજ્જડ થઈ જશે.”+ ૧૪  મને યહોવા પાસેથી ખબર મળી છે,પ્રજાઓમાં સંદેશવાહક મોકલવામાં આવ્યો છે, જે કહે છે: “એકઠા થાઓ અને અદોમ સામે જાઓ. તેની સામે લડવા તૈયાર થાઓ.”+ ૧૫  “જો! મેં તને પ્રજાઓમાં સાવ નકામો બનાવી દીધો છે,લોકોમાં તને એકદમ તુચ્છ ગણવામાં આવે છે.+ ૧૬  ઓ ખડકોની બખોલમાં રહેનાર,સૌથી ઊંચી ટેકરી પર વસનાર,તારા ઘમંડી દિલે તને છેતર્યો છે,તારા ફેલાવેલા ડરથી તું છેતરાઈ ગયો છે. ભલે તું ગરુડની જેમ તારો માળો ઊંચે બાંધે,તોપણ હું તને ત્યાંથી નીચે પાડી દઈશ,” એવું યહોવા કહે છે. ૧૭  “અદોમના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.+ ત્યાંથી પસાર થનાર એકેએક માણસ ચોંકી જશે અને તેના પર આવેલી આફતો જોઈને સીટી મારશે. ૧૮  સદોમ અને ગમોરાહ અને તેઓની આસપાસનાં નગરોની જેમ અદોમનો પણ નાશ થશે.+ ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ,”+ એવું યહોવા કહે છે. ૧૯  “જો! જેમ યર્દનની ગીચ ઝાડીમાંથી સિંહ આવે છે,+ તેમ કોઈક આવીને સલામત ગૌચરો* પર હુમલો કરશે. પણ હું પળભરમાં તેઓને* એમાંથી ભગાડી મૂકીશ. હું તેના* પર એક આગેવાન ઠરાવીશ, જેને મેં પસંદ કર્યો છે. કેમ કે મારા જેવો કોણ છે? કોણ મને રોકી શકે? કયો ઘેટાંપાળક મારી સામે ઊભો રહી શકે?+ ૨૦  હે લોકો, યહોવાએ અદોમ વિરુદ્ધ કેવો નિર્ણય લીધો છે એ સાંભળો, તેમાનના+ રહેવાસીઓ વિશે શું નક્કી કર્યું છે એ સાંભળો: તેઓના લીધે ઘેટાંનાં ગૌચરો ઉજ્જડ થઈ જશે. ટોળાનાં નાનાં ઘેટાંને ઘસડીને લઈ જવામાં આવશે.+ ૨૧  તેઓના પડવાના અવાજથી પૃથ્વી કાંપી ઊઠી. લોકોની ચીસાચીસ સંભળાઈ! એના પડઘા છેક લાલ સમુદ્ર સુધી સંભળાયા.+ ૨૨  જો! જેમ ગરુડ પોતાના શિકાર પર તરાપ મારે છે,+તેમ દુશ્મન પોતાની પાંખો ફેલાવીને બોસરાહ પર તરાપ મારશે.+ જેમ બાળકને જન્મ આપતી સ્ત્રીનું દિલ ડરથી ધ્રૂજી ઊઠે છે,તેમ એ દિવસે અદોમના યોદ્ધાઓનું દિલ ધ્રૂજી ઊઠશે.” ૨૩  દમસ્ક માટે સંદેશો:+ “હમાથ+ અને આર્પાદ શરમમાં મુકાયા છે,કેમ કે તેઓએ ખરાબ સમાચાર સાંભળ્યા છે. ડરને લીધે તેઓની હિંમત તૂટી ગઈ છે. સમુદ્રમાં એવો ખળભળાટ મચ્યો છે કે એ શાંત થઈ શકતો નથી. ૨૪  દમસ્ક હિંમત હારી ગઈ છે. નાસી જવા તે પાછી ફરી છે, પણ ડરને લીધે તે થીજી ગઈ છે. બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમતે દુઃખ અને પીડામાં સપડાઈ ગઈ છે. ૨૫  પ્રશંસાની નગરીને, આનંદની નગરીનેકેમ હજી સુધી તરછોડી દેવામાં નથી આવી? ૨૬  એ દિવસે તેના યુવાનો ચોકમાં માર્યા જશેઅને તેના બધા સૈનિકોનો નાશ થશે,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. ૨૭  “હું દમસ્કના કોટને આગ લગાડી દઈશ,એ આગ બેન-હદાદના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.”+ ૨૮  બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* જીતી લીધાં હતાં, એ કેદાર+ વિશે અને હાસોરનાં રાજ્યો વિશે યહોવા કહે છે: “ઊભા થાઓ અને કેદાર જાઓ,પૂર્વના દીકરાઓનો નાશ કરો. ૨૯  તેઓનાં તંબુઓ અને ઢોરઢાંક લઈ લેવામાં આવશે. તેઓના તંબુઓના પડદા અને તેઓનો બધો માલ-સામાન છીનવી લેવામાં આવશે. તેઓનાં ઊંટો પડાવી લેવામાં આવશે,તેઓને કહેવામાં આવશે, ‘ચારે બાજુ આતંક છે!’” ૩૦  “હે હાસોરના રહેવાસીઓ, જાઓ, દૂર નાસી જાઓ! જઈને ખીણોમાં સંતાઈ જાઓ! કેમ કે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે,તેણે તમારી વિરુદ્ધ એક યોજના રચી છે,” એવું યહોવા કહે છે. ૩૧  “ઊભા થાઓ અને એ દેશ પર ચઢાઈ કરો જે શાંતિમાં રહે છે,જે નિરાંતે જીવે છે!” એવું યહોવા કહે છે. “તેને દરવાજા કે ભૂંગળો નથી. તેઓ એકલા-અટૂલા રહે છે. ૩૨  તેઓનાં ઊંટો છીનવી લેવામાં આવશે,તેઓનાં પુષ્કળ ઢોરઢાંક લૂંટી લેવામાં આવશે. જેઓની દાઢી બાજુએથી* મૂંડેલી છે,+તેઓને હું દરેક દિશામાં* વિખેરી નાખીશ. હું તેઓ પર ચારે બાજુથી આફત લાવીશ,” એવું યહોવા કહે છે. ૩૩  “હાસોર શિયાળોની બખોલ થઈ જશે,એ કાયમ માટે ઉજ્જડ થઈ જશે. ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ.” ૩૪  યહૂદાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં+ એલામ વિશે યહોવાનો આ સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો:+ ૩૫  “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું એલામનું ધનુષ્ય ભાંગી નાખું છું,+ જે તેઓના બળનો આધાર* છે. ૩૬  હું આકાશના ચાર ખૂણેથી એલામ પર ચાર પવન મોકલીશ. હું તેઓને એમાં વિખેરી નાખીશ. એવો એક પણ દેશ નહિ હોય, જ્યાં એલામના વિખેરાઈ ગયેલા લોકોએ આશરો લીધો નહિ હોય.’” ૩૭  યહોવા કહે છે, “હું એલામીઓને તેઓના દુશ્મનોથી અને તેઓનો જીવ લેવા માંગતા લોકોથી ડરાવીશ. હું તેઓ પર આફત લાવીશ અને મારો ક્રોધ રેડી દઈશ. હું તેઓનો પૂરેપૂરો નાશ ન કરું ત્યાં સુધી તેઓની પાછળ તલવાર મોકલીશ.” ૩૮  યહોવા કહે છે, “હું એલામમાં મારી રાજગાદી સ્થાપીશ.+ હું તેના રાજા અને તેના અધિકારીઓનો સંહાર કરીશ.” ૩૯  “પણ છેલ્લા દિવસોમાં હું એલામના ગુલામોને ભેગા કરીશ,” એવું યહોવા કહે છે.

ફૂટનોટ

અથવા કદાચ, “યુદ્ધનો પોકાર.”
અથવા, “તેના પર આધાર રાખતાં.”
અથવા, “ઘેટાંના વાડામાં.”
અથવા, “નીચાણ પ્રદેશો.”
અથવા, “પિતા વગરનાં.”
અથવા, “ચરાવવાની જગ્યા.”
અહીં કદાચ અદોમના રહેવાસીઓની વાત થાય છે.
અહીં કદાચ અદોમ કે તેના રહેવાસીઓની વાત થાય છે.
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
અથવા, “દાઢીની કલમ; થોભિયા.”
મૂળ, “પવનમાં.”
મૂળ, “બળની શરૂઆત.”