યર્મિયા ૫:૧-૩૧

  • લોકો યહોવાની શિસ્ત સ્વીકારતા નથી (૧-૧૩)

  • નાશ થશે, પણ પૂરેપૂરો નહિ (૧૪-૧૯)

  • યહોવા લોકો પાસેથી હિસાબ માંગે છે (૨૦-૩૧)

 યરૂશાલેમની ગલીઓ ફરી વળો,ખૂણે ખૂણો ફંફોસી જુઓ,ચોકમાં શોધ કરો. જો તમને એકેય એવો માણસ મળેજે ન્યાયથી વર્તતો હોય અને વિશ્વાસુ હોય,+તો હું યરૂશાલેમને માફ કરી દઈશ.  ૨  તેઓ કહે તો છે, “યહોવાના સમ!”* પણ તેઓ જૂઠા સમ ખાય છે.+  ૩  હે યહોવા, શું તમારી આંખો વફાદાર માણસને શોધતી નથી?+ તમે તમારા લોકોને સજા કરી, પણ તેઓ પર કોઈ અસર થઈ નહિ.* તમે તેઓને કચડી નાખ્યા, તોપણ તેઓએ તમારી શિસ્ત* સ્વીકારી નહિ.+ તેઓએ પોતાનું દિલ* પથ્થર જેવું કઠણ કરી દીધું,+અને તમારી પાસે પાછા ફરવાની ના પાડી દીધી.+  ૪  મેં વિચાર્યું: “તેઓ નકામા લોકો છે. તેઓ મૂર્ખાઈ કરે છે, કેમ કે તેઓ યહોવાનો માર્ગ જાણતા નથી,પોતાના ઈશ્વરનો નિયમ જાણતા નથી.  ૫  હું મુખ્ય માણસો પાસે જઈશ અને તેઓ સાથે વાત કરીશ,કદાચ તેઓ યહોવાનો માર્ગ જાણતા હશે,પોતાના ઈશ્વરનો નિયમ જાણતા હશે.+ પણ તેઓ બધાએ ઝૂંસરી ભાંગી નાખી હતીઅને બંધનો* તોડી નાખ્યાં હતાં.”  ૬  એટલે જંગલનો સિંહ તેઓ પર હુમલો કરે છે,ઉજ્જડ પ્રદેશનો વરુ તેઓને ફાડી નાખે છે,દીપડો તેઓનાં શહેરોની બહાર ટાંપીને બેસી રહે છેઅને જે કોઈ બહાર આવે છે તેના ટુકડે-ટુકડા કરી નાખે છે,કેમ કે તેઓના અપરાધો ઘણા છેઅને તેઓ વારંવાર બેવફા બને છે.+  ૭  હું તને કઈ રીતે માફ કરું? તારા દીકરાઓએ મને છોડી દીધો છે,જે ઈશ્વર નથી એના નામે તેઓ સમ ખાય છે.+ મેં તેઓની બધી જરૂરિયાતો પૂરી કરી,છતાં તેઓ વારંવાર વ્યભિચાર કરતાઅને તેઓનાં ટોળેટોળાં વેશ્યાના ઘરે જતાં.  ૮  તેઓ વાસનામાં ડૂબેલા બેકાબૂ ઘોડા જેવા છે,દરેક માણસ બીજાની પત્નીની પાછળ જાય છે.+  ૯  યહોવા કહે છે, “શું આ બધા માટે મારે તેઓ પાસે હિસાબ માંગવો ન જોઈએ? શું આ પ્રજા પાસે બદલો લેવો ન જોઈએ?”+ ૧૦  “યરૂશાલેમ જઈને તેની દ્રાક્ષાવાડીઓ પર હુમલો કરો અને એને ખેદાન-મેદાન કરી નાખો,પણ એનો પૂરેપૂરો નાશ ન કરો.+ એની નવી ડાળીઓને કાપી નાખો,કેમ કે એ યહોવાની નથી. ૧૧  ઇઝરાયેલની પ્રજા અને યહૂદાની પ્રજામારી જોડે ખૂબ કપટથી વર્તી છે,” એવું યહોવા કહે છે.+ ૧૨  “તેઓએ યહોવાનો નકાર કર્યો છે,તેઓ કહેતી રહે છે: ‘તે કંઈ નહિ કરે.*+ અમારા પર કોઈ આફત નહિ આવે,અમારે યુદ્ધ કે દુકાળ જોવો નહિ પડે.’+ ૧૩  પ્રબોધકોની વાતો ખોખલી છે,તેઓનાં દિલમાં ઈશ્વરનો સંદેશો નથી. તેઓની વાતોની જેમ તેઓ પણ ધૂળમાં મળી જાય!” ૧૪  સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “આ માણસો એવી વાતો કરે છે,એટલે હું મારા શબ્દો આગની જેમ તારા* મોંમાં મૂકું છું.+ આ લોકો લાકડાં જેવા છે,આગ તેઓને ભસ્મ કરી દેશે.”+ ૧૫  યહોવા કહે છે, “હે ઇઝરાયેલીઓ, હું દૂર દેશથી તમારા પર એક પ્રજા લાવું છું.+ એ પ્રજા પ્રાચીન સમયથી છે, હા, વર્ષોનાં વર્ષોથી છે. તેની ભાષા તમે જાણતા નથી,તે જે બોલે છે એ તમે સમજતા નથી.+ ૧૬  તેઓનાં તીરોનો ભાથો ખુલ્લી કબર જેવો છે,તેઓ બધા યોદ્ધાઓ છે. ૧૭  તેઓ તમારી ફસલ અને તમારી રોટલી ખાઈ જશે.+ તેઓ તમારાં દીકરા-દીકરીઓને મારી નાખશે. તેઓ તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનો સંહાર કરશે. તેઓ તમારી દ્રાક્ષાવાડીઓ અને અંજીરીઓને ભરખી જશે. તેઓ તમારાં કોટવાળાં શહેરોનો તલવારથી નાશ કરશે, જેના પર તમે ભરોસો રાખો છો.” ૧૮  યહોવા કહે છે, “એ દિવસોમાં પણ હું તમારો પૂરેપૂરો નાશ નહિ કરું.+ ૧૯  જ્યારે તેઓ તને પૂછે, ‘અમારા ઈશ્વર યહોવાએ કેમ અમારા આવા હાલ કર્યા?’ ત્યારે તું કહેજે, ‘જેમ તમે તમારા ઈશ્વરને છોડી દીધા અને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી, તેમ તમારે પારકા દેશમાં પરદેશીઓની સેવા કરવી પડશે.’”+ ૨૦  યાકૂબના વંશજોને ખબર આપો,યહૂદામાં જાહેર કરો, ૨૧  “હે મૂર્ખ અને અબુધ* લોકો, સાંભળો:+ તમને આંખો છે, પણ તમે જોઈ શકતા નથી,+તમને કાન છે, પણ તમે સાંભળી શકતા નથી.+ ૨૨  યહોવા કહે છે: ‘શું તમારે મારો ડર રાખવો ન જોઈએ? શું તમારે મારી આગળ થરથર કાંપવું ન જોઈએ? મેં સમુદ્રને રેતીની પાળ બાંધી આપી છે,તે હદ ઓળંગે નહિ એટલે મેં તેને કાયમ માટે નિયમ આપ્યો છે. ભલે તેનાં મોજાં ઊંચે ઊછળે, પણ તે હદ વટાવી શકશે નહિ,ભલે તે ગર્જના કરે, પણ તે હદ બહાર જઈ શકશે નહિ.+ ૨૩  પણ આ લોકોનું દિલ હઠીલું અને બળવાખોર છે. તેઓ મને છોડીને પોતાને રસ્તે ગયા છે.+ ૨૪  તેઓ પોતાના દિલમાં કહેતા નથી: “ચાલો, આપણા ઈશ્વર યહોવાનો ડર રાખીએ. એ ઈશ્વરનો ડર રાખીએ જે આપણને ૠતુ પ્રમાણે વરસાદ આપે છે,જે પાનખરનો વરસાદ* અને વસંતનો વરસાદ* આપે છે,જે નક્કી કરેલા સમયે કાપણીની મોસમ* આપે છે.”+ ૨૫  પણ તમારી ભૂલોને લીધે તમને એનો ફાયદો થયો નથી. તમારાં પાપોને લીધે તમને સારી વસ્તુઓ મળી નથી.+ ૨૬  મારા લોકોમાં દુષ્ટ માણસો છે. શિકારીની જેમ તેઓ ટાંપીને બેસી રહે છે. તેઓ જીવલેણ ફાંદો બિછાવે છે,એમાં તેઓ માણસોને ફસાવે છે. ૨૭  જેમ પિંજરું પક્ષીઓથી ભરેલું હોય છે,તેમ તેઓનાં ઘરો કપટની કમાણીથી ભરેલાં છે.+ એના લીધે તેઓ શક્તિશાળી અને ધનવાન બન્યા છે. ૨૮  તેઓ તગડા થયા છે અને તેઓની ચામડી ચમકદાર થઈ છે. તેઓની દુષ્ટતાનો કોઈ પાર નથી. પોતાના સ્વાર્થ માટેતેઓ અનાથનો* મુકદ્દમો લડતા નથી+અને ગરીબને ન્યાય આપતા નથી.’”+ ૨૯  યહોવા કહે છે, “શું આ બધા માટે મારે તેઓ પાસે હિસાબ માંગવો ન જોઈએ? શું આ પ્રજા પાસે બદલો લેવો ન જોઈએ? ૩૦  આ દેશમાં કંઈક ભયંકર અને દુષ્ટ કામ થયું છે: ૩૧  પ્રબોધકો જૂઠી ભવિષ્યવાણી કરે છે,+યાજકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બીજાઓને કચડી નાખે છે. મારા લોકોને પણ એવું જ ગમે છે.+ પણ અંત આવશે ત્યારે તમે શું કરશો?”

ફૂટનોટ

મૂળ, “યહોવાના જીવના સમ!”
મૂળ, “પણ તેઓ ઢીલા પડ્યા નહિ.”
મૂળ, “પોતાનો ચહેરો.”
મૂળ, “જોતરો.”
અથવા કદાચ, “તેમનું અસ્તિત્વ નથી.”
એટલે કે, યર્મિયા.
મૂળ, “દિલ વગરના.”
મૂળ, “ઠરાવેલાં અઠવાડિયાં.”
અથવા, “પિતા વગરના બાળકનો.”