યશાયા ૨૯:૧-૨૪
૨૯ “અરે અરીએલ,* અરીએલ, તને અફસોસ! એ શહેરમાં દાઉદે છાવણી નાખી હતી.+
વર્ષ પછી વર્ષ વીતવા દો,તહેવારોનું ચક્ર ફરવા દો.+
૨ પણ હું અરીએલ પર આફત લાવીશ.+
ત્યાં ઘણો શોક અને વિલાપ થશે.+
એ શહેર મારા માટે ઈશ્વરની વેદીની આગ જેવું બની જશે.+
૩ હું તારા પર ચઢી આવીને ચારે બાજુ છાવણી નાખીશ.
હું અણીદાર ખૂંટાની વાડથી તને ઘેરી લઈશઅને તારી ફરતે ઢોળાવ ઊભા કરીશ.+
૪ તને ભોંયભેગું કરી દેવામાં આવશે.
તું જમીન પર પડ્યું પડ્યું બોલીશઅને તારો અવાજ ધૂળને લીધે દબાઈ જશે.
ભૂમિમાંથી આવતો તારો અવાજ+મરેલા સાથે વાત કરનાર ભૂવા જેવો લાગશે.
ધૂળમાંથી ઝીણે સાદે તારા શબ્દો સંભળાશે.
૫ અચાનક, એક જ પળમાં+તારા દુશ્મનોનું* ટોળું ધૂળ જેવું બની જશે.+
જુલમીઓનું ટોળું ઊડી જતાં ફોતરાં જેવું બની જશે.+
૬ સૈન્યોના ઈશ્વર યહોવા તને બચાવશે.
એ સમયે ગર્જના અને ધરતીકંપ થશે, ભયાનક અવાજ સંભળાશે,વંટોળ આવશે, આંધી ઊઠશે, ભસ્મ કરતી આગની જ્વાળાઓ નીકળશે.”+
૭ એ સમયે અરીએલ સામે યુદ્ધ કરનારી બધી પ્રજાઓનું ટોળું+સપના જેવું, રાતે થતાં દર્શન જેવું બની જશે.
જેઓ એની સામે લડાઈ કરે છે,એની સામે લડાઈનાં સાધનો ગોઠવે છે,એના પર આફત લાવે છે, તેઓ બધાની દશા એવી જ થશે.
૮ તેઓની દશા એવી થશે જાણે કોઈ ભૂખ્યો માણસ સપનામાં ખાય છે,પણ જાગે ત્યારે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે,જાણે કોઈ તરસ્યો માણસ સપનામાં પાણી પીએ છે,પણ જાગે ત્યારે થાકેલો અને તરસ્યો જ હોય છે.
સિયોન પર્વત સામે લડનારી+બધી પ્રજાઓની હાલત પણ એવી જ થશે.
૯ તમે દંગ થાઓ અને નવાઈ પામો.+
પોતાને આંધળા કરો અને આંધળા થાઓ.+
તમારા આગેવાનો પીધેલા છે, પણ શરાબથી નહિ.
તેઓ લથડિયાં ખાય છે, પણ દારૂથી નહિ.
૧૦ યહોવાએ તમને ભરઊંઘમાં નાખ્યા છે.+
તેમણે તમારી આંખોને, એટલે કે પ્રબોધકોને આંધળા કરી નાખ્યા છે,+તેમણે તમારી બુદ્ધિ પર, એટલે કે દર્શન જોનારાઓ પર પડદો નાખી દીધો છે.+
૧૧ તમારા માટે દરેક દર્શન મહોર મારેલા બંધ પુસ્તક જેવું છે.+ તેઓ ભણેલા માણસને એ આપીને કહેશે: “આ મોટેથી વાંચી આપ ને!” તે કહેશે: “એના પર મહોર મારી છે, હું કઈ રીતે વાંચું.”
૧૨ તેઓ અભણ માણસને એ આપીને કહેશે: “આ વાંચી આપ ને!” તે કહેશે: “હું તો અભણ છું.”
૧૩ યહોવા કહે છે: “આ લોકો ફક્ત કહેવા ખાતર મારી ભક્તિ કરે છે.
તેઓ પોતાના હોઠોથી મને માન આપે છે,+પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર છે.
માણસોની શીખવેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ મારો ડર રાખે છે.+
૧૪ એટલે આ લોકો માટે હું ફરીથી અજાયબ કામો કરીશ,+ચમત્કાર પર ચમત્કાર કરીશ.
તેઓના બુદ્ધિશાળી માણસોની બુદ્ધિ ધૂળમાં મળી જશે,સમજુ માણસોની સમજદારી ગાયબ થઈ જશે.”+
૧૫ જેઓ યહોવાથી પોતાની યોજનાઓ* છુપાવવા મથે છે, તેઓને અફસોસ!+
તેઓ અંધારામાં કામો કરે છે.
તેઓ કહે છે: “અમને કોણ જોવાનું?
અમારા વિશે કોને ખબર પડવાની?”+
૧૬ તમે કેટલા અડિયલ છો!*
શું કુંભાર અને માટી એકસરખાં છે?+
શું બનાવેલી વસ્તુ પોતાના ઘડનાર વિશે કહેશે કે“તેણે મને નથી બનાવી”?+
શું ઘડેલી વસ્તુ પોતાના રચનાર વિશે કહેશે કે“તેનામાં જરાય બુદ્ધિ નથી”?+
૧૭ થોડા જ સમયમાં લબાનોનને વાડી બનાવી દેવાશે+અને એ વાડી લીલાછમ જંગલ જેવી બની જશે.+
૧૮ એ દિવસે બહેરા લોકો એ પુસ્તકના શબ્દો સાંભળશે.
અંધ લોકોની આંખો સામેથી ઝાંખપ અને અંધકાર દૂર થશે અને તેઓ જોશે.+
૧૯ નમ્ર લોકો યહોવાને લીધે ઘણો આનંદ કરશે.
ગરીબો ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરને લીધે ખુશી મનાવશે.+
૨૦ જુલમીઓનું નામનિશાન નહિ રહે,બડાઈ હાંકનારા લોકોનો વિનાશ થશે,બીજાઓને નુકસાન કરવા તાકી રહેનારાઓનો સંહાર થશે.+
૨૧ તેઓ બીજાઓ પર ખોટા આરોપો મૂકે છે.
શહેરના દરવાજે મુકદ્દમો લડનારને* ફસાવવા તેઓ ફાંદા ગોઠવે છે.+
સાચા માણસને ઇન્સાફ આપવાને બદલે તેઓ નકામી દલીલો કરે છે.+
૨૨ એટલે ઇબ્રાહિમને છોડાવનાર યહોવા યાકૂબના વંશજને કહે છે:+
“યાકૂબે હવે શરમાવું નહિ પડે,તેનો ચહેરો હવે ફિક્કો નહિ પડે.*+
૨૩ તે પોતાનાં બાળકોને આસપાસ જોશે.
તેઓ મારા હાથની કરામત છે.+
તેઓ મારું નામ પવિત્ર મનાવશે.
હા, તેઓ યાકૂબના પવિત્ર ઈશ્વરને માન આપશે.
તેઓ ઇઝરાયેલના ઈશ્વરનો ડર રાખશે.+
૨૪ જેઓ ભટકી ગયા છે, તેઓ સમજદાર બનશે.
જેઓ ફરિયાદ કરે છે, તેઓ શિખામણનો સ્વીકાર કરશે.”
ફૂટનોટ
^ કદાચ એનો અર્થ, “ઈશ્વરની વેદીની આગ.” દેખીતું છે, એ યરૂશાલેમને બતાવે છે.
^ મૂળ, “પરદેશીઓનું.”
^ અથવા, “પોતાના ઇરાદાઓ.”
^ અથવા, “તમે મારી-મચકોડીને વાત કરો છો!”
^ મૂળ, “ઠપકો આપનારને.”
^ એટલે કે, શરમ અને નિરાશાથી ફિક્કો નહિ પડે.