યશાયા ૩૧:૧-૯
૩૧ જેઓ ઇજિપ્ત પાસે મદદ માંગે છે તેઓને અફસોસ!+
તેઓ ઘોડાઓ પર આધાર રાખે છે.+
યુદ્ધના રથો* ઘણા હોવાથી તેઓ એમાં ભરોસો મૂકે છે.
યુદ્ધના ઘોડાઓ બળવાન હોવાથી તેઓ એના પર ભરોસો કરે છે.
પણ તેઓ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની મદદ માંગતા નથી,તેઓ યહોવા પાસે પાછા ફરતા નથી.
૨ પણ તે સમજદાર છે અને તે આફત લાવશે.
તે પોતાના શબ્દો પાછા નહિ લે.
તે દુષ્ટોનાં ઘર વિરુદ્ધ ઊઠશેઅને ખોટાં કામો કરનારાના સાથીદારો વિરુદ્ધ ઊભા થશે.+
૩ ઇજિપ્તના લોકો તો મામૂલી માણસો છે, તેઓ ઈશ્વર નથી.
તેઓના ઘોડાઓ ફક્ત હાડ-માંસના છે, તેઓ અદૃશ્ય શક્તિ નથી.+
યહોવા પોતાનો હાથ લંબાવશે ત્યારે એમ થશે કેમદદ કરનાર ઠોકર ખાશેઅને મદદ લેનાર નીચે પડશે.
તેઓ બધા એકસાથે ખતમ થઈ જશે.
૪ યહોવાએ મને આમ કહ્યું છે:
“જ્યારે સિંહ, જોરાવર સિંહ પોતાના શિકાર પર ઊભો રહીને ઘૂરકે,ત્યારે ભલે ભરવાડોનું ટોળું એની સામે આવે,પણ તેઓના ઘોંઘાટથી એ ગભરાતો નથી,તેઓના હોકારાથી એ પાછો હટતો નથી.
એ જ રીતે સૈન્યોના ઈશ્વર યહોવા યુદ્ધ લડવાસિયોન પર્વત પર અને એના ડુંગર પર ઊતરી આવશે.
૫ તરાપ મારતાં પક્ષીઓની જેમ, સૈન્યોના ઈશ્વર યહોવા ઝડપથી આવીને યરૂશાલેમની રક્ષા કરશે.+
તે એના પક્ષે લડશે અને એને બચાવી લેશે.
તે એને છોડાવશે અને ઉગારી લેશે.”
૬ “ઓ ઇઝરાયેલના લોકો, તમે બેશરમ બનીને જેમની સામે બંડ પોકાર્યું છે, તેમની પાસે પાછા આવો.+
૭ એ દિવસે તમારામાંનો દરેક માણસ સોના-ચાંદીના પોતાના નકામા દેવોનો ત્યાગ કરશે. તમે તમારા હાથે એ દેવો બનાવીને પાપ કર્યું હતું.
૮ તલવારથી આશ્શૂરીઓનો વિનાશ થશે, પણ માણસની તલવારથી નહિ,તલવાર તેઓને કતલ કરશે, પણ માણસની તલવાર નહિ.+
તેઓ તલવારથી નાસી છૂટશેઅને તેઓના યુવાનો કાળી મજૂરી કરશે.
૯ તેઓનો ખડક ભયને લીધે નાસી જશે.
તેઓના આગેવાનો ધજાને લીધે કાંપી ઊઠશે,” એવું યહોવા કહે છે.
તેમનો પ્રકાશ* સિયોનમાં છે અને તેમની ભઠ્ઠી યરૂશાલેમમાં છે.