યશાયા ૩૬:૧-૨૨

  • સાન્હેરીબ યહૂદા પર ચઢી આવે છે (૧-૩)

  • રાબશાકેહ યહોવાને મહેણાં મારે છે (૪-૨૨)

૩૬  હિઝકિયા રાજાના શાસનનું ૧૪મું વર્ષ ચાલતું હતું. એ સમયે આશ્શૂરનો+ રાજા સાન્હેરીબ યહૂદાનાં બધાં કોટવાળાં શહેરો સામે ચઢી આવ્યો અને એ જીતી લીધાં.+ ૨  આશ્શૂરના રાજાએ રાબશાકેહને* લાખીશથી યરૂશાલેમ હિઝકિયા રાજા પાસે મોકલ્યો.+ તેની સાથે મોટું લશ્કર પણ મોકલ્યું. તેઓએ ધોબીઘાટના માર્ગે આવેલા ઉપલા તળાવની નહેર પાસે પડાવ નાખ્યો.+ ૩  એટલે રાબશાકેહને મળવા આ લોકો બહાર આવ્યા: હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ+ જે મહેલનો કારભારી હતો, મંત્રી શેબ્ના+ અને આસાફનો દીકરો યોઆહ, જે ઇતિહાસકાર હતો. ૪  રાબશાકેહે તેઓને કહ્યું: “હિઝકિયાને જણાવો કે ‘આશ્શૂરના રાજાધિરાજ પૂછે છે, “તું કોના પર ભરોસો રાખીને બેઠો છે?+ ૫  તું કહે છે કે ‘મારી પાસે લડવાની તરકીબો છે અને બહુ તાકાત છે.’ પણ એ બધી ખોખલી વાતો છે. તેં કોના પર ભરોસો રાખીને મારી સામે બળવો પોકારવાની હિંમત કરી?+ ૬  શું તું ઇજિપ્ત પર ભરોસો રાખે છે? એ તો છૂંદાઈ ગયેલું બરુ છે. જો કોઈ બરુનો આધાર લે, તો એ તૂટી પડે છે અને હથેળીમાં ઘોંચાઈ જાય છે. ઇજિપ્તનો રાજા ફારુન* એવો જ છે. જે કોઈ તેના પર ભરોસો રાખે છે, તેના તે એવા જ હાલ કરે છે.+ ૭  હવે એમ ન કહેતો કે ‘અમારા ઈશ્વર યહોવા પર અમે ભરોસો રાખીએ છીએ.’ શું હિઝકિયાએ જ તેમનાં ભક્તિ-સ્થળો અને તેમની વેદીઓ કાઢી નાખ્યાં નથી?+ હિઝકિયા યહૂદાના અને યરૂશાલેમના લોકોને કહે છે, ‘તમારે આ વેદી આગળ જ નમન કરવું.’”’+ ૮  હવે ચાલ, મારા માલિક આશ્શૂરના રાજા સાથે સોદો કર:+ હું તને ૨,૦૦૦ ઘોડા લાવી આપું, પણ તારે એટલા ઘોડેસવારો લાવવા પડશે. ૯  જો તું એમ નથી કરી શકતો, તો અમારા સૈન્ય સામે કેવી રીતે લડીશ? ભલે તું ઇજિપ્તના બધા રથો અને ઘોડેસવારો લઈ આવે, તોપણ મારા માલિકના સેવકોમાંના સૌથી મામૂલી અધિકારીને પણ તું હરાવી નહિ શકે. ૧૦  શું યહોવાની મંજૂરી વગર હું આ દેશનો વિનાશ કરવા આવ્યો છું? યહોવાએ પોતે મને કહ્યું છે કે, ‘જા, આ દેશ પર ચઢાઈ કર અને એનો નાશ કર.’” ૧૧  એ સાંભળીને એલ્યાકીમે, શેબ્નાએ+ અને યોઆહે રાબશાકેહને+ કહ્યું: “કૃપા કરીને તમારા સેવકો સાથે અરામિક* ભાષામાં+ વાત કરો. અમે એ ભાષા સમજી શકીએ છીએ. કોટ પરના લોકો સાંભળે એ રીતે અમારી સાથે યહૂદીઓની ભાષામાં ન બોલો.”+ ૧૨  રાબશાકેહે કહ્યું: “શું મારા માલિકે ફક્ત તમારી સાથે અને તમારા રાજા સાથે વાત કરવા મને મોકલ્યો છે? શું કોટ પર બેઠેલા પેલા માણસો સાથે પણ વાત કરવા મોકલ્યો નથી? તમારી સાથે સાથે તેઓએ પણ પોતાનું મળ ખાવું પડશે અને મૂત્ર પીવું પડશે.” ૧૩  રાબશાકેહ મોટા અવાજે યહૂદીઓની ભાષામાં+ કહેવા લાગ્યો: “આશ્શૂરના રાજાધિરાજની વાત સાંભળો.+ ૧૪  રાજા કહે છે, ‘હિઝકિયાની વાતમાં આવીને ભરમાઈ ન જતા. તે તમને છોડાવી શકે એમ નથી.+ ૧૫  હિઝકિયાની વાત માનીને યહોવામાં ભરોસો ન મૂકતા કે+ “યહોવા ચોક્કસ આપણને બચાવશે. તે આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં જવા દેશે નહિ.” ૧૬  હિઝકિયાનું સાંભળશો નહિ, કેમ કે આશ્શૂરના રાજાનું કહેવું છે: “મારી સાથે સુલેહ કરો અને મારે શરણે થાઓ. એમ કરશો તો તમે તમારા પોતાના દ્રાક્ષાવેલા અને પોતાની અંજીરીનું ફળ ખાશો. તમે પોતાના કૂવાનું પાણી પીશો. ૧૭  પછી હું આવીને તમને એ દેશમાં લઈ જઈશ, જે તમારા દેશ જેવો જ છે.+ એ દેશમાં અનાજ, નવો દ્રાક્ષદારૂ, રોટલી અને દ્રાક્ષાવાડીઓ છે. ૧૮  હિઝકિયા તમને આમ કહીને ભરમાવે નહિ કે ‘યહોવા આપણને બચાવશે.’ શું કોઈ પણ પ્રજાઓના દેવો પોતાના દેશને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવી શક્યા છે?+ ૧૯  હમાથ અને આર્પાદના દેવો ક્યાં ગયા?+ સફાર્વાઈમના દેવો ક્યાં ગયા?+ શું તેઓ સમરૂનને મારા હાથમાંથી બચાવી શક્યા છે?+ ૨૦  બધા દેવોમાં એવો કોણ છે, જેણે પોતાના દેશને મારા હાથમાંથી બચાવ્યો છે? તો પછી યહોવા કઈ રીતે મારા હાથમાંથી યરૂશાલેમને બચાવશે?”’”+ ૨૧  પણ તેઓ ચૂપ રહ્યા અને એકેય શબ્દ બોલ્યા નહિ. હિઝકિયા રાજાનો હુકમ હતો કે “તમારે તેને કોઈ જવાબ આપવો નહિ.”+ ૨૨  પછી હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ, એટલે કે મહેલનો કારભારી, મંત્રી શેબ્ના+ અને આસાફનો દીકરો ઇતિહાસકાર યોઆહ પોતાનાં કપડાં ફાડીને હિઝકિયા પાસે ગયા. તેઓએ તેને રાબશાકેહની બધી વાતો જણાવી.

ફૂટનોટ

અથવા, “દ્રાક્ષદારૂ પીરસનારને.”
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
અથવા, “સિરિયાની.”