યશાયા ૩૮:૧-૨૨

  • હિઝકિયા બીમાર પડે છે અને સાજો થાય છે (૧-૨૨)

૩૮  એ સમયમાં હિઝકિયા બીમાર પડ્યો અને મરવાની અણીએ હતો.+ આમોઝના દીકરા યશાયા પ્રબોધકે+ આવીને તેને કહ્યું: “યહોવા કહે છે, ‘તારા કુટુંબ* માટે બધી ગોઠવણ કરી લે. તું સાજો થવાનો નથી, તારું મરણ થશે.’”+ ૨  એ સાંભળીને હિઝકિયાએ દીવાલ તરફ મોં ફેરવીને યહોવાને પ્રાર્થના કરી: ૩  “હે યહોવા, હું તમને કાલાવાલા કરું છું. કૃપા કરીને યાદ કરો+ કે હું પૂરી વફાદારીથી અને પૂરા દિલથી તમારી આગળ ચાલ્યો છું.+ તમારી નજરમાં જે ખરું છે, એ જ મેં કર્યું છે.” એમ કહીને હિઝકિયા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો. ૪  પછી યશાયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: ૫  “હિઝકિયા પાસે પાછો જા અને તેને કહે,+ ‘તારા પૂર્વજ દાઉદના ઈશ્વર યહોવા આમ કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે.+ મેં તારાં આંસુ જોયાં છે.+ જો, હું તારા જીવનમાં ૧૫ વર્ષ ઉમેરું છું.+ ૬  હું તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવીશ. હું આ શહેરની રક્ષા કરીશ.+ ૭  યહોવા જે બોલ્યા છે એ પૂરું કરશે જ, એની યહોવા તરફથી આ નિશાની છે:+ ૮  હું આહાઝના દાદર* પર ઢળતા સૂરજનો પડછાયો દસ પગથિયાં પાછો હટાવીશ.”’”+ એટલે દાદર પરનો પડછાયો પગથિયાં પર જ્યાં હતો, ત્યાંથી દસ પગથિયાં પાછો હટ્યો. ૯  યહૂદાનો રાજા હિઝકિયા બીમાર પડ્યો અને પછી સાજો થયો, એ સમયનું તેનું આ લખાણ છે.* ૧૦  મેં કહ્યું: “હું અડધું જીવન પણ નથી જીવ્યો અને મારે કબરના* દરવાજા ખખડાવવા પડશે. મારાં બાકીનાં વર્ષો મારી પાસેથી છીનવી લેવામાં આવ્યાં છે.” ૧૧  મેં કહ્યું: “હું યાહને,* હા, યાહની કૃપાને જોવા જીવતો રહીશ નહિ.+ હું કોઈ મનુષ્યને જોઈ શકીશ નહિ,કેમ કે હું ગુજરી ગયેલાઓ સાથે ધૂળમાં મળી જઈશ. ૧૨  મારું રહેઠાણ ભરવાડના તંબુની જેમતોડી પાડીને લઈ લેવામાં આવ્યું છે.+ વણકરની જેમ મેં મારું જીવન વીંટી લીધું છે. શાળ પરના દોરાની જેમ તે મને કાપી નાખે છે. વહેલી સવારથી રાત સુધી તે ધીમે ધીમે મારો અંત લાવે છે.+ ૧૩  સવાર સુધી હું પોતાને દિલાસો આપું છું. સિંહની જેમ તે મારાં બધાં હાડકાં ભાંગી નાખે છે. વહેલી સવારથી રાત સુધી તે ધીમે ધીમે મારો અંત લાવે છે.+ ૧૪  અબાબીલ કે કસ્તુરો* ચીં ચીં કરે એમ હું કરું છું.+ કબૂતરની જેમ હું ઘૂ ઘૂ કરું છું.+ હું થાકેલી આંખે ઉપર જોયા કરું છું:+ ‘હે યહોવા, હું એકદમ નિરાશ થઈ ગયો છું. મારો સહારો બનો!’*+ ૧૫  હું શું કહું? તેમણે મને જણાવ્યું અને પગલાં ભર્યાં. મારા કડવા અનુભવને લીધે,હું આખી જિંદગી નમ્ર બનીને ચાલીશ. ૧૬  ‘હે યહોવા, તમારી ભલાઈને* લીધે દરેક માણસ જીવે છે,એના લીધે તો હું શ્વાસ લઉં છું. તમે મને સાજો કરશો અને જીવતો રાખશો.+ ૧૭  જુઓ! મારા જીવનમાં શાંતિને બદલે કડવાશ હતી. પણ તમને મારા પર ખૂબ પ્રેમ હોવાથી,તમે મને વિનાશના ખાડામાં જતાં બચાવી લીધો છે.+ તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.*+ ૧૮  કબર* તમારો જયજયકાર કરી શકતી નથી,+મરણ તમારી સ્તુતિ કરી શકતું નથી.+ કબરના ખાડામાં ઊતરી ગયેલાઓ તમારી વફાદારી જોઈ શકતા નથી.+ ૧૯  જીવતાઓ, હા, જીવતાઓ તમારી સ્તુતિ કરી શકે છે,જેમ હું આજે કરી શકું છું. પિતા પોતાના દીકરાઓને તમારી વફાદારી વિશે શીખવી શકે છે.+ ૨૦  હે યહોવા, મને બચાવો. હું યહોવાના મંદિરમાં બીજા લોકો સાથે આખી જિંદગી+તારવાળાં વાજિંત્રો પર મારાં ગીતો વગાડીશ.’”+ ૨૧  પછી યશાયાએ કહ્યું: “અંજીરનું એક ચકતું લાવો. એને રાજાના ગૂમડા પર લગાડો, જેથી તે સાજા થાય.”+ ૨૨  હિઝકિયાએ પૂછ્યું હતું: “હું યહોવાના મંદિરે જઈશ એની નિશાની શું છે?”+

ફૂટનોટ

અથવા, “મહેલ.”
કદાચ આ દાદર સૂર્ય-ઘડિયાળની જેમ સમય જોવા વપરાતો હતો.
અથવા, “એ સમયની તેની આ રચના છે.”
યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા કદાચ, “સારસ.”
મૂળ, “મારા જામીન થાઓ.”
એટલે કે, ઈશ્વરનાં વચનો અને કામો.
અથવા, “તમારી નજર આગળથી દૂર કર્યાં છે.”