યશાયા ૩૮:૧-૨૨
૩૮ એ સમયમાં હિઝકિયા બીમાર પડ્યો અને મરવાની અણીએ હતો.+ આમોઝના દીકરા યશાયા પ્રબોધકે+ આવીને તેને કહ્યું: “યહોવા કહે છે, ‘તારા કુટુંબ* માટે બધી ગોઠવણ કરી લે. તું સાજો થવાનો નથી, તારું મરણ થશે.’”+
૨ એ સાંભળીને હિઝકિયાએ દીવાલ તરફ મોં ફેરવીને યહોવાને પ્રાર્થના કરી:
૩ “હે યહોવા, હું તમને કાલાવાલા કરું છું. કૃપા કરીને યાદ કરો+ કે હું પૂરી વફાદારીથી અને પૂરા દિલથી તમારી આગળ ચાલ્યો છું.+ તમારી નજરમાં જે ખરું છે, એ જ મેં કર્યું છે.” એમ કહીને હિઝકિયા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો.
૪ પછી યશાયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો:
૫ “હિઝકિયા પાસે પાછો જા અને તેને કહે,+ ‘તારા પૂર્વજ દાઉદના ઈશ્વર યહોવા આમ કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે.+ મેં તારાં આંસુ જોયાં છે.+ જો, હું તારા જીવનમાં ૧૫ વર્ષ ઉમેરું છું.+
૬ હું તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવીશ. હું આ શહેરની રક્ષા કરીશ.+
૭ યહોવા જે બોલ્યા છે એ પૂરું કરશે જ, એની યહોવા તરફથી આ નિશાની છે:+
૮ હું આહાઝના દાદર* પર ઢળતા સૂરજનો પડછાયો દસ પગથિયાં પાછો હટાવીશ.”’”+ એટલે દાદર પરનો પડછાયો પગથિયાં પર જ્યાં હતો, ત્યાંથી દસ પગથિયાં પાછો હટ્યો.
૯ યહૂદાનો રાજા હિઝકિયા બીમાર પડ્યો અને પછી સાજો થયો, એ સમયનું તેનું આ લખાણ છે.*
૧૦ મેં કહ્યું: “હું અડધું જીવન પણ નથી જીવ્યો
અને મારે કબરના* દરવાજા ખખડાવવા પડશે.
મારાં બાકીનાં વર્ષો મારી પાસેથી છીનવી લેવામાં આવ્યાં છે.”
૧૧ મેં કહ્યું: “હું યાહને,* હા, યાહની કૃપાને જોવા જીવતો રહીશ નહિ.+
હું કોઈ મનુષ્યને જોઈ શકીશ નહિ,કેમ કે હું ગુજરી ગયેલાઓ સાથે ધૂળમાં મળી જઈશ.
૧૨ મારું રહેઠાણ ભરવાડના તંબુની જેમતોડી પાડીને લઈ લેવામાં આવ્યું છે.+
વણકરની જેમ મેં મારું જીવન વીંટી લીધું છે.
શાળ પરના દોરાની જેમ તે મને કાપી નાખે છે.
વહેલી સવારથી રાત સુધી તે ધીમે ધીમે મારો અંત લાવે છે.+
૧૩ સવાર સુધી હું પોતાને દિલાસો આપું છું.
સિંહની જેમ તે મારાં બધાં હાડકાં ભાંગી નાખે છે.
વહેલી સવારથી રાત સુધી તે ધીમે ધીમે મારો અંત લાવે છે.+
૧૪ અબાબીલ કે કસ્તુરો* ચીં ચીં કરે એમ હું કરું છું.+
કબૂતરની જેમ હું ઘૂ ઘૂ કરું છું.+
હું થાકેલી આંખે ઉપર જોયા કરું છું:+
‘હે યહોવા, હું એકદમ નિરાશ થઈ ગયો છું.
મારો સહારો બનો!’*+
૧૫ હું શું કહું?
તેમણે મને જણાવ્યું અને પગલાં ભર્યાં.
મારા કડવા અનુભવને લીધે,હું આખી જિંદગી નમ્ર બનીને ચાલીશ.
૧૬ ‘હે યહોવા, તમારી ભલાઈને* લીધે દરેક માણસ જીવે છે,એના લીધે તો હું શ્વાસ લઉં છું.
તમે મને સાજો કરશો અને જીવતો રાખશો.+
૧૭ જુઓ! મારા જીવનમાં શાંતિને બદલે કડવાશ હતી.
પણ તમને મારા પર ખૂબ પ્રેમ હોવાથી,તમે મને વિનાશના ખાડામાં જતાં બચાવી લીધો છે.+
તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.*+
૧૮ કબર* તમારો જયજયકાર કરી શકતી નથી,+મરણ તમારી સ્તુતિ કરી શકતું નથી.+
કબરના ખાડામાં ઊતરી ગયેલાઓ તમારી વફાદારી જોઈ શકતા નથી.+
૧૯ જીવતાઓ, હા, જીવતાઓ તમારી સ્તુતિ કરી શકે છે,જેમ હું આજે કરી શકું છું.
પિતા પોતાના દીકરાઓને તમારી વફાદારી વિશે શીખવી શકે છે.+
૨૦ હે યહોવા, મને બચાવો.
હું યહોવાના મંદિરમાં બીજા લોકો સાથે આખી જિંદગી+તારવાળાં વાજિંત્રો પર મારાં ગીતો વગાડીશ.’”+
૨૧ પછી યશાયાએ કહ્યું: “અંજીરનું એક ચકતું લાવો. એને રાજાના ગૂમડા પર લગાડો, જેથી તે સાજા થાય.”+
૨૨ હિઝકિયાએ પૂછ્યું હતું: “હું યહોવાના મંદિરે જઈશ એની નિશાની શું છે?”+
ફૂટનોટ
^ અથવા, “મહેલ.”
^ કદાચ આ દાદર સૂર્ય-ઘડિયાળની જેમ સમય જોવા વપરાતો હતો.
^ અથવા, “એ સમયની તેની આ રચના છે.”
^ યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
^ અથવા કદાચ, “સારસ.”
^ મૂળ, “મારા જામીન થાઓ.”
^ એટલે કે, ઈશ્વરનાં વચનો અને કામો.
^ અથવા, “તમારી નજર આગળથી દૂર કર્યાં છે.”