યહોશુઆ ૨૨:૧-૩૪

  • પૂર્વ તરફનાં કુળો ઘરે પાછા ફરે છે (૧-૮)

  • યર્દન પાસે વેદી બાંધવામાં આવી (૯-૧૨)

  • વેદી બાંધવાનું કારણ સમજાવવામાં આવ્યું (૧૩-૨૯)

  • લડાઈનો વિચાર છોડી દીધો (૩૦-૩૪)

૨૨  પછી યહોશુઆએ રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અડધા કુળને બોલાવ્યા. ૨  યહોશુઆએ તેઓને કહ્યું: “યહોવાના સેવક મૂસાએ આપેલી બધી આજ્ઞાઓ પ્રમાણે તમે કર્યું છે+ અને મારી દરેક આજ્ઞા પાળીને તમે મારા કહેવા પ્રમાણે કર્યું છે.+ ૩  તમે આજ સુધી, આ સર્વ સમય દરમિયાન તમારા ભાઈઓને છોડી દીધા નથી.+ તમે તમારા ઈશ્વર યહોવાની આજ્ઞાનું પાલન કર્યું છે.+ ૪  તમારા ઈશ્વર યહોવાએ આપેલા વચન પ્રમાણે, હવે તેમણે તમારા ભાઈઓને શાંતિ આપી છે.+ એટલે તમે દરેક પોતપોતાનાં ઘરે પાછા ફરો અને યહોવાના સેવક મૂસાએ યર્દનની પેલી તરફ* તમને જે દેશનો કબજો આપ્યો છે, એમાં રહો.+ ૫  એટલું જ કે યહોવાના સેવક મૂસાએ આપેલી આજ્ઞાઓ અને નિયમો પાળવાનું કદી ચૂકતા નહિ.+ તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખજો,+ હંમેશાં તેમના માર્ગે ચાલજો,+ તેમની આજ્ઞાઓ પાળજો,+ તેમને વળગી રહેજો,+ તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી+ તેમની ભક્તિ કરજો.”+ ૬  પછી યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા અને તેઓ પોતપોતાનાં ઘરે ગયા. ૭  મનાશ્શાના અડધા કુળને મૂસાએ વારસામાં બાશાન આપ્યું હતું.+ બાકીના અડધા કુળને યહોશુઆએ તેઓના ઇઝરાયેલી ભાઈઓ સાથે યર્દનની પશ્ચિમનો વિસ્તાર આપ્યો.+ યહોશુઆએ તેઓને પોતપોતાનાં ઘરે મોકલીને આશીર્વાદ આપ્યો ૮  અને કહ્યું: “તમે પોતપોતાનાં ઘરે પુષ્કળ ધનદોલત, ઘણાં ઢોરઢાંક, સોનું-ચાંદી, તાંબું અને લોઢું તેમજ ઢગલાંબંધ કપડાં લઈ જાઓ.+ દુશ્મનોની લૂંટમાંથી તમારો ભાગ લઈ જાઓ+ અને તમારા ભાઈઓ સાથે વહેંચી લો.” ૯  પછી રૂબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અડધા કુળે કનાન દેશના શીલોહમાં ઇઝરાયેલીઓ પાસેથી વિદાય લીધી. તેઓ ગિલયાદ+ દેશ જવા નીકળ્યા, જ્યાં તેઓ રહેતા હતા. યહોવાના હુકમથી એ દેશનો કબજો મૂસાએ તેઓને રહેવા માટે આપ્યો હતો.+ ૧૦  રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અડધા કુળના લોકો કનાન દેશમાં યર્દનના વિસ્તારમાં આવ્યા ત્યારે, તેઓએ યર્દન પાસે એક મોટી વેદી બાંધી. ૧૧  ઇઝરાયેલીઓએ એ વિશે સાંભળીને કહ્યું:+ “જુઓ! રૂબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અડધા કુળે કનાન દેશની સરહદ પર વેદી બાંધી છે. એ તો યર્દન પાસે ઇઝરાયેલીઓના વિસ્તારમાં છે.” ૧૨  એ સાંભળ્યું ત્યારે, બધા ઇઝરાયેલીઓ તેઓ સામે લડવા શીલોહમાં ભેગા થયા.+ ૧૩  ગિલયાદ દેશમાં રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અડધા કુળને મળવા ઇઝરાયેલીઓએ એલઆઝાર યાજકના દીકરા ફીનહાસને મોકલ્યો.+ ૧૪  તેની સાથે દસ આગેવાનો પણ ગયા, એટલે કે ઇઝરાયેલના દરેક કુળમાંથી એક આગેવાન. તેઓ બધા પોતપોતાના પિતાના કુટુંબના મુખી હતા. દરેક કુળ હજારો ઇઝરાયેલીઓનું બનેલું હતું.+ ૧૫  તેઓએ ગિલયાદ દેશમાં આવીને રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અડધા કુળને કહ્યું: ૧૬  “યહોવાના બધા લોકો કહે છે: ‘ઇઝરાયેલના ઈશ્વર સાથે તમે આ કેવી બેવફાઈ કરી છે?+ તમે પોતાને માટે વેદી બાંધીને યહોવાની સામે થયા છો અને યહોવાના માર્ગમાંથી ફરી ગયા છો.+ ૧૭  આપણે પેઓરમાં કરેલું પાપ શું નાનુંસૂનું હતું? એના લીધે યહોવાના લોકો પર આફત આવી પડી હતી અને આપણે આજ સુધી એની સજા ભોગવીએ છીએ.+ ૧૮  હવે તમે યહોવાના માર્ગમાંથી ફંટાઈ જવા માંગો છો! જો આજે તમે યહોવા સામે બંડ કરશો, તો કાલે બધા ઇઝરાયેલીઓ પર તેમનો કોપ ઊતરી આવશે.+ ૧૯  જો તમારો દેશ અશુદ્ધ હોય, તો આ બાજુ યહોવાના દેશમાં આવો,+ જ્યાં યહોવાનો મંડપ છે+ અને અમારી સાથે રહો. પણ યહોવા સામે બંડ કરશો નહિ. આપણા ઈશ્વર યહોવાની વેદી હોવા છતાં તમે પોતાના માટે બીજી વેદી બાંધીને અમને બંડ કરવા ઉશ્કેરશો નહિ.+ ૨૦  ઝેરાહના દીકરા આખાને+ વિનાશને લાયક વસ્તુઓ ચોરીને બેવફાઈ કરી હતી ત્યારે, ઇઝરાયેલના બધા લોકો પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો હતો.+ તેના પાપને લીધે તે એકલો જ નહિ, બીજા લોકો પણ માર્યા ગયા હતા.’”+ ૨૧  એ સાંભળીને રૂબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અડધા કુળે ઇઝરાયેલના હજારોના* આગેવાનોને જવાબ આપતા કહ્યું:+ ૨૨  “ઈશ્વરોના ઈશ્વર, યહોવા!* ઈશ્વરોના ઈશ્વર, યહોવા!+ તે જાણે છે અને ઇઝરાયેલ પણ જાણશે. જો અમે યહોવા સામે બંડ કરીને તેમને બેવફા બન્યા હોઈએ, તો આજે તે અમને બચાવે નહિ. ૨૩  જો અમે યહોવાના માર્ગમાંથી ફરી જવા અને અગ્‍નિ-અર્પણો, અનાજ-અર્પણો* અને શાંતિ-અર્પણો ચઢાવવા વેદી બાંધી હોય, તો યહોવા અમને સજા કરો.+ ૨૪  અમે આ વેદી કેમ બાંધી એની શું તમને ખબર છે? અમને ચિંતા હતી કે ‘ભાવિમાં કદાચ તમારા દીકરાઓ અમારા દીકરાઓને કહે: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા સાથે તમારે શો સંબંધ? ૨૫  ઓ રૂબેનીઓ અને ગાદીઓ, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ તરીકે મૂકી છે. યહોવા સાથે તમારે કંઈ લાગતું-વળગતું નથી.” આમ તમારા દીકરાઓ કદાચ અમારા દીકરાઓને યહોવાની ભક્તિ કરતા અટકાવે.’ ૨૬  “એટલે અમે કહ્યું: ‘ચાલો આપણે પોતાને માટે એક વેદી બાંધીએ. અગ્‍નિ-અર્પણો કે બલિદાનો ચઢાવવા નહિ, ૨૭  પણ તમારી અને અમારી વચ્ચે અને પછીથી આપણા વંશજો* વચ્ચે સાક્ષી થાય એ માટે બાંધીએ.+ અમે યહોવાને અગ્‍નિ-અર્પણો, શાંતિ-અર્પણો અને બીજાં બલિદાનો ચઢાવીને તેમને ભજતા રહીશું, એની એ વેદી સાક્ષી થશે.+ કાલ ઊઠીને એમ ન થાય કે તમારા દીકરાઓ અમારા દીકરાઓને કહે: “યહોવા સાથે તમને કંઈ લાગતું-વળગતું નથી.”’ ૨૮  એટલે અમે કહ્યું: ‘ભાવિમાં જો તેઓ અમને અને અમારા વંશજોને* એવું કહેશે, તો અમે આમ કહીશું: “યહોવાની વેદીનો આ નમૂનો જુઓ, જે અમારા બાપદાદાઓએ બનાવ્યો હતો. એ અગ્‍નિ-અર્પણો અને બલિદાનો માટે નહિ, પણ તમારી અને અમારી વચ્ચે સાક્ષી થવા માટે છે.”’ ૨૯  હવે યહોવા સામે બંડ કરવાનું અને યહોવાના માર્ગમાંથી ફરી જવાનું તો અમારા મનમાં પણ ન આવે.+ યહોવા આપણા ઈશ્વરના મંડપ આગળ વેદી છે, તો પછી અગ્‍નિ-અર્પણો, અનાજ-અર્પણો અને બલિદાનો ચઢાવવા અમે બીજી વેદી શું કામ બાંધીએ?”+ ૩૦  રૂબેન, ગાદ અને મનાશ્શાના વંશજોની વાત સાંભળીને ફીનહાસ યાજક અને તેની સાથેના ઇઝરાયેલી લોકોના મુખીઓ, જે હજારોના* આગેવાનો હતા, તેઓને શાંતિ વળી.+ ૩૧  એલઆઝાર યાજકના દીકરા ફીનહાસે રૂબેન, ગાદ અને મનાશ્શાના વંશજોને કહ્યું: “આજે અમે જાણીએ છીએ કે યહોવા આપણી વચ્ચે છે, કેમ કે તમે યહોવાને બેવફા બન્યા નથી. તમે ઇઝરાયેલીઓને યહોવાના હાથમાંથી બચાવી લીધા છે.” ૩૨  પછી ગિલયાદ દેશના રૂબેનીઓ અને ગાદીઓ પાસેથી એલઆઝાર યાજકનો દીકરો ફીનહાસ અને મુખીઓ પાછા કનાન દેશમાં આવ્યા. તેઓએ બાકીના ઇઝરાયેલીઓને બધી વાત જણાવી. ૩૩  એ સાંભળીને ઇઝરાયેલીઓ ખુશ થયા અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી. તેઓએ રૂબેનીઓ અને ગાદીઓ સામે લડવાનો વિચાર છોડી દીધો. તેમ જ, તેઓ રહેતા હતા એ દેશનો નાશ કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. ૩૪  એટલે રૂબેનીઓએ અને ગાદીઓએ એ વેદીનું નામ પાડ્યું.* તેઓએ કહ્યું: “આ વેદી આપણી વચ્ચે સાક્ષી છે કે યહોવા જ સાચા ઈશ્વર* છે.”

ફૂટનોટ

એટલે કે, પૂર્વ તરફ.
અથવા, “કુટુંબકબીલાના.”
અથવા, “સર્વશક્તિમાન ઈશ્વર, યહોવા.”
મૂળ, “પેઢીઓ.”
મૂળ, “પેઢીઓને.”
અથવા, “કુટુંબકબીલાના.”
સંદર્ભથી જોવા મળે છે કે વેદીનું નામ કદાચ “સાક્ષી” પાડ્યું હતું.