હાગ્ગાય ૧:૧-૧૫

  • મંદિર ફરી ન બાંધવાને લીધે ઠપકો (૧-૧૧)

    • ‘શું આલીશાન ઘરોમાં રહેવાનો આ યોગ્ય સમય છે?’ ()

    • “તમારા માર્ગો પર ધ્યાન આપો” ()

    • ઘણું વાવો છો, પણ થોડું લણો છો ()

  • લોકો યહોવાનું કહેવું માને છે (૧૨-૧૫)

 રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના છઠ્ઠા મહિનાના પહેલા દિવસે હાગ્ગાય*+ પ્રબોધકને* યહોવાનો* સંદેશો મળ્યો. એ સંદેશો યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ+ અને પ્રમુખ યાજક* યહોશુઆ માટે હતો. ઝરુબ્બાબેલ શઆલ્તીએલનો દીકરો હતો અને યહોશુઆ યહોસાદાકનો દીકરો હતો. તેઓને હાગ્ગાય દ્વારા આ સંદેશો મળ્યો: ૨  “સૈન્યોના ઈશ્વર યહોવા* જણાવે છે, ‘આ લોકોનું કહેવું છે કે, “યહોવાનું મંદિર* બાંધવાનો* સમય હજી આવ્યો નથી.”’”+ ૩  હાગ્ગાય પ્રબોધક દ્વારા ફરી એક વાર યહોવાનો સંદેશો આપવામાં આવ્યો:+ ૪  “તમે આલીશાન ઘરોમાં રહો છો, જ્યારે કે મારું ઘર ખંડેર પડ્યું છે. શું આલીશાન ઘરોમાં રહેવાનો આ યોગ્ય સમય છે?+ ૫  સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમારા માર્ગો પર ધ્યાન આપો.* ૬  તમે ઘણું વાવ્યું છે, પણ થોડું લણો છો.+ તમે ખાઓ છો, પણ ધરાતા નથી. તમે પીઓ છો, પણ તૃપ્ત થતા નથી. તમે કપડાં પહેરો છો, પણ તમને હૂંફ મળતી નથી. અને મજૂર પોતાની મજૂરી કાણી થેલીમાં નાખે છે.’” ૭  “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમારા માર્ગો પર ધ્યાન આપો.’* ૮  “યહોવા કહે છે, ‘પહાડ પર જાઓ અને લાકડાં લઈ આવો.+ મારું ઘર બાંધો,+ જેથી મારું દિલ ખુશ થાય અને મને મહિમા મળે.’”+ ૯  “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘તમે ઘણાની આશા રાખી હતી, પણ થોડું જ મેળવ્યું. જ્યારે તમે એ બધું તમારા ઘરમાં લાવ્યા, ત્યારે મેં એને ફૂંક મારીને ઉડાવી દીધું.+ ખબર છે મેં એવું કેમ કર્યું? કેમ કે મારું ઘર ખંડેર પડ્યું છે અને તમે પોતાના ઘરની સંભાળ રાખવામાં પડ્યા છો.+ ૧૦  એટલે આકાશમાંથી ઝાકળ પડતું નથી અને ધરતીમાંથી કંઈ ઊગતું નથી. ૧૧  મેં તમારાં પહાડો અને જમીનને સૂકાંભટ કરી દીધાં છે. એટલે તમને અનાજ, નવા દ્રાક્ષદારૂ, તેલ અને ઝાડપાનની અછત પડે છે. તમે અને તમારાં ઢોરઢાંક દુઃખ ભોગવી રહ્યાં છો અને તમારી બધી મહેનત વ્યર્થ ગઈ છે.’” ૧૨  શઆલ્તીએલના+ દીકરા ઝરુબ્બાબેલે+ અને યહોસાદાકના+ દીકરા પ્રમુખ યાજક યહોશુઆએ પોતાના ઈશ્વર યહોવાનું કહ્યું માન્યું. બીજા બધા લોકોએ પણ માન્યું. તેઓએ હાગ્ગાય પ્રબોધકની વાત માની, કેમ કે તેઓના ઈશ્વર યહોવાએ તેને મોકલ્યો હતો. અને લોકો યહોવાનો ભય રાખવા લાગ્યા. ૧૩  યહોવાએ આપેલી સોંપણી પ્રમાણે યહોવાના સંદેશવાહક હાગ્ગાયે લોકોને આ સંદેશો જણાવ્યો: “યહોવા કહે છે, ‘હું તમારી સાથે છું.’”+ ૧૪  યહોવાએ શઆલ્તીએલના દીકરા યહૂદાના+ રાજ્યપાલ ઝરુબ્બાબેલને, યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆને+ અને બીજા બધા લોકોને પ્રેરણા આપી.+ તેઓએ આવીને તેઓના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું.+ ૧૫  તેઓએ રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના છઠ્ઠા મહિનાના ૨૪મા દિવસે એ કામ શરૂ કર્યું.+

ફૂટનોટ

અર્થ, “તહેવારના દિવસે જન્મેલો.”
અથવા, “ઘર.”
અથવા, “ફરી બાંધવાનો.”
અથવા, “ઊંડો વિચાર કરો.”
અથવા, “ઊંડો વિચાર કરો.”