કોરીંથીઓને પહેલો પત્ર ૪:૧-૨૧

  • કારભારીઓ વિશ્વાસુ હોવા જોઈએ (૧-૫)

  • ખ્રિસ્તના સેવકોની નમ્રતા (૬-૧૩)

    • “જે લખેલું છે એની ઉપરવટ જવું નહિ” ()

    • ખ્રિસ્તીઓ નાટકના કલાકારો જેવા છે ()

  • પાઉલ પોતાનાં ખ્રિસ્તી બાળકોની ચિંતા કરે છે (૧૪-૨૧)

 દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો* અને ઈશ્વરનાં પવિત્ર રહસ્યોના+ કારભારીઓ ગણવા જોઈએ. ૨  કારભારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ વિશ્વાસુ રહે. ૩  તમે અથવા અદાલત મારી પરખ કરે એનાથી મને કોઈ ફરક પડતો નથી. હકીકતમાં, હું પોતે પણ મારી પરખ કરતો નથી, ૪  કેમ કે મને મારામાં કંઈ ખોટું દેખાતું નથી. પણ એનાથી હું કંઈ નેક ઠરતો નથી. મારી પરખ કરનાર તો યહોવા* છે.+ ૫  તેથી નક્કી કરેલો સમય આવે ત્યાં સુધી કોઈનો ન્યાય ન કરો,+ પણ આપણા માલિક આવે એની રાહ જુઓ. અંધારામાં રહેલી છૂપી વાતોને તે પ્રકાશમાં લાવશે અને દિલમાં રહેલા ઇરાદાઓને તે ખુલ્લા પાડશે. પછી દરેકને ઈશ્વર પાસેથી શાબાશી મળશે.+ ૬  હવે ભાઈઓ, મેં મારું અને અપોલોસનું+ ઉદાહરણ આપીને તમારા ભલા માટે એ વાતો કહી છે, જેથી તમે આ નિયમ શીખી શકો: “જે લખેલું છે એની ઉપરવટ જવું નહિ.” એ માટે કે તમે અભિમાનથી ફુલાઈ ન જાઓ+ અને એકબીજા સાથે ભેદભાવ ન કરો. ૭  એવું તો શું છે કે તમે પોતાને બીજાઓથી ચઢિયાતા ગણો છો? તમારી પાસે એવું તો શું છે, જે તમને ઈશ્વર પાસેથી મળ્યું ન હોય?+ જો તમને બધું જ ઈશ્વર પાસેથી મળ્યું હોય, તો તમે પોતાની તાકાતના જોરે મેળવ્યું છે એવી બડાઈ કેમ મારો છો? ૮  શું તમારી જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે? શું તમે ધનવાન થઈ ગયા છો? શું તમે અમારા વગર રાજાઓ બની ગયા છો?+ જો તમે રાજાઓ તરીકે રાજ કરવાનું શરૂ કરી દીધું હોત, તો મને ખુશી થાત, કેમ કે એ કિસ્સામાં અમે પણ તમારી સાથે રાજાઓ તરીકે રાજ કરતા હોત.+ ૯  મને લાગે છે કે અમે પ્રેરિતો મરણની સજા થયેલા માણસો જેવા છીએ,+ જેઓને ઈશ્વર સૌથી છેલ્લે બહાર લાવ્યા છે, જેથી બધા લોકો અમને જોઈ શકે. દુનિયા, દૂતો* અને લોકોની નજરમાં અમે નાટકના કલાકારો જેવા* બન્યા છીએ.+ ૧૦  ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ ગણાઈએ છીએ,+ પણ તમે ખ્રિસ્તને લીધે પોતાને સમજદાર ગણો છો. અમે કમજોર છીએ, પણ તમે બળવાન છો. તમને માન આપવામાં આવે છે, પણ અમારું અપમાન થાય છે. ૧૧  છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા-તરસ્યા,+ ચીંથરેહાલ,* માર ખાધેલા+ અને ઘરબાર વગરના છીએ. ૧૨  અમે પોતાના હાથે સખત મજૂરી કરીએ છીએ.+ અમારું અપમાન થાય ત્યારે, અમે આશીર્વાદ આપીએ છીએ.+ સતાવણી થાય ત્યારે, અમે ધીરજથી સહન કરીએ છીએ.+ ૧૩  અમારી નિંદા થાય ત્યારે, અમે નમ્રતાથી જવાબ આપીએ છીએ.*+ હમણાં સુધી અમે જાણે દુનિયાના કચરા જેવા અને એની ગંદકી જેવા છીએ. ૧૪  હું તમને શરમમાં મૂકવા નથી ચાહતો, પણ મારાં વહાલાં બાળકો ગણીને તમને શિખામણ આપવા આ બધું લખું છું. ૧૫  ભલે ખ્રિસ્તમાં તમારા ૧૦,૦૦૦ શિક્ષકો* હોય, તોપણ એક વાત ચોક્કસ છે કે તમારા ઘણા પિતાઓ નથી, કેમ કે તમને ખુશખબર વિશે શીખવવા અને ખ્રિસ્ત ઈસુના પગલે ચલાવવા હું તમારો પિતા બન્યો છું.+ ૧૬  એટલે હું તમને અરજ કરું છું કે મારા પગલે ચાલનાર બનો.+ ૧૭  એ માટે હું તિમોથીને તમારી પાસે મોકલું છું, કેમ કે તે મારો વહાલો દીકરો છે અને આપણા માલિક ઈસુની સેવામાં વિશ્વાસુ છે. ખ્રિસ્ત ઈસુની સેવામાં હું જે સિદ્ધાંતો* પ્રમાણે ચાલું છું એ વિશે તિમોથી તમને યાદ અપાવશે.+ એ સિદ્ધાંતો હું દરેક મંડળમાં શીખવું છું. ૧૮  જાણે હું તમારી પાસે આવવાનો જ ન હોઉં, એવું માનીને અમુક લોકો ઘમંડથી ફુલાઈ ગયા છે. ૧૯  પણ યહોવાની* ઇચ્છા હશે તો, હું જલદી જ તમારી પાસે આવીશ. મને એ ઘમંડી લોકોની વાતોમાં જરાય રસ નથી. મારે તો જોવું છે કે તેઓ પાસે ઈશ્વરની શક્તિ છે કે નહિ. ૨૦  કેમ કે ઈશ્વરનું રાજ્ય વાતોથી નહિ, પણ ઈશ્વરની શક્તિથી જાહેર થાય છે. ૨૧  તમે શું ચાહો છો? હું સોટી લઈને તમારી પાસે આવું+ કે પછી પ્રેમ અને કોમળ લાગણી સાથે આવું?

ફૂટનોટ

અથવા, “ખ્રિસ્તના હાથ નીચે કામ કરતા સેવકો.”
અથવા, “અમે તમાશારૂપ.”
મૂળ, “નગ્‍ન.”
મૂળ, “અમે આજીજી કરીએ છીએ.”
અથવા, “સંભાળ રાખનાર; વાલી.”
અથવા, “રીતો.” મૂળ, “માર્ગો.”