બીજો કાળવૃત્તાંત ૩૪:૧-૩૩

  • યહૂદાનો રાજા યોશિયા (૧, ૨)

  • યોશિયાએ દેશમાં કરેલા સુધારા (૩-૧૩)

  • નિયમશાસ્ત્ર મળ્યું (૧૪-૨૧)

  • આફત વિશે હુલ્દાહની ભવિષ્યવાણી (૨૨-૨૮)

  • યોશિયા લોકો આગળ પુસ્તક વાંચે છે (૨૯-૩૩)

૩૪  યોશિયા+ રાજા બન્યો ત્યારે આઠ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૩૧ વર્ષ રાજ કર્યું.+ ૨  યોશિયાએ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું. તે બધી રીતે પોતાના પૂર્વજ દાઉદના માર્ગે ચાલ્યો. તે એમાંથી ડાબે કે જમણે ફંટાયો નહિ. ૩  તેના શાસનના ૮મા વર્ષે હજી તે છોકરો જ હતો ત્યારે, તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું.+ ૧૨મા વર્ષે તેણે યહૂદા અને યરૂશાલેમને શુદ્ધ કરવાનું શરૂ કર્યું.+ તેણે ભક્તિ-સ્થળો,+ ભક્તિ-થાંભલાઓ, કોતરેલી મૂર્તિઓ+ અને ધાતુની મૂર્તિઓ* કાઢી નાખ્યાં. ૪  લોકોએ યોશિયાની હાજરીમાં બઆલ દેવોની વેદીઓ તોડી પાડી. તેણે એના પરની ધૂપદાનીઓ કાપી નાખી. તેણે ભક્તિ-થાંભલાઓ, કોતરેલી મૂર્તિઓ અને ધાતુની મૂર્તિઓનો* ભાંગીને ભૂકો કરી નાખ્યો. જેઓ એ મૂર્તિઓને બલિદાનો ચઢાવતા, તેઓની કબર પર તેણે એ ભૂકો છાંટી દીધો.+ ૫  યાજકો જે વેદીઓ પર બલિદાનો ચઢાવતા હતા, એ જ વેદીઓ પર તેણે તેઓનાં હાડકાં બાળ્યાં.+ આમ તેણે યહૂદા અને યરૂશાલેમ શુદ્ધ કર્યું. ૬  મનાશ્શા, એફ્રાઈમ,+ શિમયોન અને નફતાલીનાં શહેરોમાં ને તેઓની આસપાસના ખંડેર વિસ્તારોમાં પણ તેણે એમ જ કર્યું. ૭  તેણે વેદીઓ તોડી પાડી. ભક્તિ-થાંભલાઓ અને કોતરેલી મૂર્તિઓનો+ ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેણે આખા ઇઝરાયેલ દેશમાંથી બધી ધૂપદાનીઓ કાપી નાખી.+ પછી તે યરૂશાલેમ પાછો ફર્યો. ૮  આમ તેણે મંદિર અને દેશ શુદ્ધ કરી નાખ્યાં. તેના શાસનના ૧૮મા વર્ષે તેણે પોતાના ઈશ્વર યહોવાના મંદિરનું સમારકામ કરવા આ માણસો મોકલ્યા: અસાલ્યાનો દીકરો શાફાન,+ શહેરનો મુખી માઅસેયા અને ઇતિહાસકાર યોઆહ જે યોઆહાઝનો દીકરો હતો.+ ૯  તેઓ પ્રમુખ યાજક હિલ્કિયા પાસે આવ્યા અને ઈશ્વરના મંદિર માટે ભેગા કરેલા પૈસા તેને આપ્યા. એ પૈસા લેવી દરવાનોએ મનાશ્શા, એફ્રાઈમ અને બાકીના ઇઝરાયેલમાંથી+ તેમજ યહૂદા, બિન્યામીન અને યરૂશાલેમના લોકો પાસેથી ભેગા કર્યા હતા. ૧૦  યહોવાના મંદિરના કામની દેખરેખ રાખનારાઓને તેઓએ એ પૈસા આપ્યા. યહોવાના મંદિરમાં કામ કરતા માણસોએ એ પૈસાથી મંદિરનું સમારકામ કર્યું. ૧૧  તેઓએ એ પૈસા કારીગરોને અને બાંધકામ કરનારાઓને આપ્યા. યહૂદાના રાજાઓએ જે ઇમારતો ખંડેર પડી રહેવા દીધી હતી, એના માટે એ પૈસાથી તેઓએ ઘડેલા પથ્થરો, ટેકા માટેનાં લાકડાં અને ભારોટિયા ખરીદ્યાં.+ ૧૨  એ માણસોએ પૂરી ઈમાનદારીથી કામ કર્યું.+ તેઓની દેખરેખ રાખવા લેવીઓમાંથી આ ઉપરીઓ નીમવામાં આવ્યા: મરારીઓમાંથી+ યાહાથ અને ઓબાદ્યા, કહાથીઓમાંથી+ ઝખાર્યા અને મશુલ્લામ. જે લેવીઓ કુશળ સંગીતકારો હતા,+ ૧૩  તેઓ મજૂરોના* ઉપરીઓ હતા. દરેક પ્રકારની સેવાનું કામ કરનારા બધા લોકોની તેઓ દેખરેખ રાખતા હતા. અમુક લેવીઓ મંત્રીઓ હતા, તો અમુક અધિકારીઓ અને દરવાનો હતા.+ ૧૪  તેઓ યહોવાના મંદિરમાં ભેગા કરેલા પૈસા કાઢતા હતા ત્યારે,+ હિલ્કિયા યાજકને યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક+ મળ્યું, જે મૂસા દ્વારા અપાયું હતું.+ ૧૫  હિલ્કિયાએ શાફાન મંત્રીને કહ્યું: “યહોવાના મંદિરમાંથી મને નિયમશાસ્ત્રનું પુસ્તક મળ્યું છે.” પછી હિલ્કિયાએ એ પુસ્તક શાફાનને આપ્યું. ૧૬  શાફાન એ પુસ્તક રાજા પાસે લાવ્યો અને કહ્યું: “તમારા સેવકોને સોંપેલું કામ તેઓ સારી રીતે કરે છે. ૧૭  તેઓએ યહોવાના મંદિરમાં આવેલા પૈસા ભેગા કર્યા છે.* એ પૈસા મંદિરના કામ પર દેખરેખ રાખનારાઓને અને કામ કરનારાઓને આપી દીધા છે.” ૧૮  શાફાન મંત્રીએ રાજાને એમ પણ જણાવ્યું કે, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.”+ પછી રાજા આગળ શાફાન એમાંથી વાંચવા લાગ્યો.+ ૧૯  રાજાએ નિયમશાસ્ત્રના શબ્દો સાંભળ્યા કે તરત પોતાનાં કપડાં ફાડ્યાં.+ ૨૦  રાજાએ હિલ્કિયાને, શાફાનના દીકરા અહીકામને,+ મીખાહના દીકરા આબ્દોનને, શાફાન મંત્રીને અને રાજાના સેવક અસાયાને ફરમાન કર્યું: ૨૧  “જાઓ, મળી આવેલા આ પુસ્તકના શબ્દો વિશે તમે મારા માટે, ઇઝરાયેલ અને યહૂદાના બાકી રહેલા લોકો માટે યહોવાની સલાહ પૂછી આવો. આપણા બાપદાદાઓએ આ પુસ્તકની વાતો પાળી નથી, યહોવાના નિયમો પાળ્યા નથી. એટલે આપણા પર યહોવાનો ભારે કોપ સળગી ઊઠશે.”+ ૨૨  એટલે હિલ્કિયા અને રાજાએ મોકલેલા માણસો ભેગા મળીને હુલ્દાહ પ્રબોધિકાને+ મળવા ગયા. તે યરૂશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ શાલ્લૂમ હતો, જે તિકવાહનો દીકરો અને હાર્હાસનો પૌત્ર હતો. શાલ્લૂમ તો પોશાકનો ભંડારી હતો. તેઓએ હુલ્દાહ સાથે વાત કરી.+ ૨૩  હુલ્દાહે તેઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને જણાવો: ૨૪  “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ.+ યહૂદાના રાજા આગળ તેઓએ એ પુસ્તકમાંથી જે જે શ્રાપ વિશે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૨૫  તેઓએ મારો ત્યાગ કર્યો છે.+ તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને મને રોષ ચઢાવ્યો છે.+ પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે. આ જગ્યા પર મારો કોપ ઊતરી આવશે અને એ શાંત પડશે નહિ.’”+ ૨૬  પણ યહૂદાના રાજા જેમણે તમને મારી પાસે યહોવાની સલાહ લેવા મોકલ્યા છે, તેમને તમારે આમ કહેવું: “તમે જે વાતો સાંભળી છે એના વિશે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે:+ ૨૭  ‘મેં આ જગ્યા વિશે અને એમાં રહેનારા વિશે જે કહ્યું હતું, એ સાંભળીને ઈશ્વર આગળ તારું દિલ પીગળી ગયું અને તું નમ્ર બની ગયો. તેં તારાં કપડાં ફાડ્યાં અને તું મારી આગળ રડ્યો. એટલે મેં પણ તારી વિનંતી સાંભળી છે,+ એવું યહોવા કહે છે. ૨૮  તને તારા બાપદાદાઓની જેમ દફનાવવામાં આવશે.* તું શાંતિથી પોતાની કબરમાં દટાશે. હું આ જગ્યા પર અને એના લોકો પર જે બધી આફતો લાવીશ, એ તારે જોવી નહિ પડે.’”’”+ પછી તેઓએ રાજા પાસે આવીને બધી વાત જણાવી. ૨૯  એટલે યોશિયા રાજાએ સંદેશો મોકલીને યહૂદા અને યરૂશાલેમના બધા વડીલોને બોલાવ્યા.+ ૩૦  યોશિયા રાજા પોતાની સાથે યહૂદાના બધા લોકો, યરૂશાલેમના બધા રહેવાસીઓ, યાજકો અને લેવીઓ, નાના-મોટા બધાને લઈને યહોવાના મંદિરમાં ગયો. યહોવાના મંદિરમાંથી મળેલા કરારના પુસ્તકમાંથી તેણે લોકોને બધું વાંચી સંભળાવ્યું.+ ૩૧  પછી રાજા પોતાની જગ્યાએ ઊભો રહ્યો. તેણે યહોવા આગળ કરાર* કર્યો+ કે કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે પોતે કરશે અને યહોવાના માર્ગમાં ચાલશે.+ તેમની આજ્ઞાઓ, તેમનાં સૂચનો અને આદેશો પૂરા દિલથી અને પૂરા જીવથી+ પાળશે. ૩૨  તેણે યરૂશાલેમ અને બિન્યામીનના બધા લોકોને એમ કરવા જણાવ્યું. યરૂશાલેમના લોકોએ પોતાના ઈશ્વરના, એટલે કે પોતાના બાપદાદાઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.+ ૩૩  યોશિયાએ ઇઝરાયેલીઓના દેશમાંથી ધિક્કાર ઊપજે એવી બધી વસ્તુઓ* કાઢી નાખી.+ તેણે ઇઝરાયેલમાં દરેકને યહોવાની ભક્તિ કરવા મદદ કરી. તે જીવ્યો ત્યાં સુધી લોકો પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાના માર્ગમાંથી ફંટાયા નહિ.

ફૂટનોટ

અથવા, “ઢાળેલી મૂર્તિઓ.”
અથવા, “ઢાળેલી મૂર્તિઓનો.”
અથવા, “વજન ઊંચકનારાના.”
અથવા, “ઠાલવી દીધા છે.”
મૂળ, “તું પોતાના પૂર્વજો સાથે ભળી જશે.”
અથવા, “ફરીથી કરાર.”
અથવા, “મૂર્તિઓ.”