બીજો રાજાઓ ૧૧:૧-૨૧

  • અથાલ્યા રાજગાદી પચાવી પાડે છે (૧-૩)

  • યહોઆશ ખાનગીમાં રાજા બનાવાયો (૪-૧૨)

  • અથાલ્યા મારી નંખાઈ (૧૩-૧૬)

  • યહોયાદાએ દેશમાં કરેલા સુધારા (૧૭-૨૧)

૧૧  અહાઝ્યાની મા અથાલ્યાને+ ખબર પડી કે તેના દીકરાનું મરણ થયું છે.+ એટલે તેણે જઈને આખા રાજવંશનો સંહાર કરી નાખ્યો.+ ૨  પણ રાજકુમારોની કતલ થતી હતી ત્યારે, યહોરામ રાજાની દીકરી યહોશેબાએ અહાઝ્યા રાજાના દીકરાઓમાંથી યહોઆશને+ ચોરીછૂપીથી લઈ લીધો. યહોશેબા અહાઝ્યાની બહેન હતી. તેણે યહોઆશ અને તેની ધાવ માને સૂવાના ઓરડામાં છુપાવી દીધા. તેઓએ તેને અથાલ્યાથી સંતાડી રાખ્યો અને મોતના મોંમાંથી બચાવી લીધો. ૩  યહોઆશ છ વર્ષ ધાવ મા* સાથે રહ્યો. તેને યહોવાના મંદિરમાં સંતાડી રાખવામાં આવ્યો. એ સમયે દેશમાં અથાલ્યા રાણી રાજ કરતી હતી. ૪  સાતમા વર્ષે યહોયાદા યાજકે રાજવી રક્ષકોની* અને મહેલના ચોકીદારોની+ સો સોની ટુકડીના મુખીઓને બોલાવ્યા. યહોયાદાએ તેઓને યહોવાના મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેઓ સાથે યહોવાના મંદિરમાં કરાર* કર્યો અને તેઓને સમ ખવડાવ્યા. પછી તેઓને રાજાનો દીકરો બતાવ્યો.+ ૫  તેણે તેઓને હુકમ આપ્યો, “તમારે આમ કરવું: સાબ્બાથના દિવસે તમારી ત્રણ ટુકડીઓમાંથી એક ટુકડી ફરજ પર હશે. એ સમૂહની એક ટુકડી રાજમહેલ પર ચાંપતી નજર રાખશે.+ ૬  બીજી ટુકડી પાયાના દરવાજા પાસે હશે. મહેલના ચોકીદારો ઊભા રહે છે, એની પાછળના દરવાજા પાસે ત્રીજી ટુકડી હશે. તમે વારાફરતી મંદિર* પર નજર રાખજો. ૭  સાબ્બાથના દિવસે તમારા બે સમૂહો ફરજ પર નહિ હોય. તેઓ પણ રાજાનું રક્ષણ કરવા યહોવાના મંદિર પર ચાંપતી નજર રાખે. ૮  તમારે હથિયાર લઈને તૈયાર રહેવું અને રાજાને રક્ષણ આપવા તેમની ફરતે ગોઠવાઈ જવું. જે કોઈ તમારી વચ્ચે ઘૂસવાની કોશિશ કરે તે માર્યો જાય. રાજા જ્યાં પણ જાય, તમે તેમની સાથે જ રહેજો.” ૯  યહોયાદા યાજકે જેવી આજ્ઞા કરી હતી, એવું જ સો સોની ટુકડીના મુખીઓએ+ કર્યું. દરેક ઉપરીએ સાબ્બાથના દિવસે જે માણસો ફરજ પર હતા તેઓને ભેગા કર્યા. સાથે સાથે જે માણસો ફરજ પર ન હતા તેઓને પણ ભેગા કર્યા. એ બધાને લઈને દરેક ઉપરી યહોયાદા યાજક પાસે ગયો.+ ૧૦  યાજકે સો સોની ટુકડીના મુખીઓને યહોવાના મંદિરમાંથી ભાલાઓ અને ગોળ ઢાલો આપ્યાં. એ બધું રાજા દાઉદનું હતું. ૧૧  રાજમહેલના ચોકીદારો+ હથિયાર લઈને મંદિરમાં પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. તેઓ મંદિરની જમણી બાજુથી લઈને ડાબી બાજુ સુધી, વેદી*+ અને મંદિર પાસે રાજાની ફરતે ગોઠવાઈ ગયા. ૧૨  પછી યહોયાદા યાજક રાજાના દીકરાને+ બહાર લાવ્યો. તેણે તેના માથે મુગટ* પહેરાવ્યો અને તેને નિયમશાસ્ત્ર*+ આપ્યું.* તેઓએ તેને રાજા બનાવ્યો અને તેનો અભિષેક કર્યો. તેઓ તાળીઓના ગડગડાટ સાથે પોકારી ઊઠ્યા: “રાજા જુગ જુગ જીવો!”+ ૧૩  અથાલ્યાને લોકોની દોડાદોડનો અવાજ સંભળાયો. તે ઝડપથી યહોવાના મંદિરમાં દોડી આવી, જ્યાં લોકો હતા.+ ૧૪  ત્યાં તેણે રાજાને જોયો, જે રિવાજ પ્રમાણે સ્તંભ પાસે ઊભો હતો.+ તેની સાથે ઉપરીઓ અને રણશિંગડાં* વગાડનારાઓ+ હતા. દેશના બધા લોકો ખુશી મનાવતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. એ જોઈને અથાલ્યાએ પોતાનાં કપડાં ફાડ્યાં અને બોલી ઊઠી: “આ તો દગો છે!” ૧૫  યહોયાદા યાજકે સો સોની ટુકડીના મુખીઓને,+ જેઓ સૈન્યના આગેવાનો હતા તેઓને હુકમ કર્યો: “તેને તમારી વચ્ચેથી બહાર લઈ જાઓ. જે કોઈ તેની પાછળ જાય, તેને તલવારથી મારી નાખો!” યહોયાદાએ તેઓને કહ્યું હતું કે “તેને યહોવાના મંદિરમાં મારી ન નાખતા.” ૧૬  તેઓ તેને પકડીને બહાર લઈ ગયા. જ્યાંથી ઘોડાઓ રાજમહેલમાં+ આવતા હતા, એ જગ્યાએ તે પહોંચી કે તરત જ તેઓએ તેને ત્યાં મારી નાખી. ૧૭  પછી યહોયાદા યાજકે લોકો અને રાજા પાસે યહોવા સાથે કરાર કરાવ્યો+ કે તેઓ કાયમ યહોવાની પ્રજા બની રહેશે. તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કરાવ્યો.+ ૧૮  ત્યાર બાદ દેશના બધા લોકો બઆલના મંદિરમાં ઘૂસી ગયા અને એની વેદીઓ તોડી પાડી.+ તેઓએ એની મૂર્તિઓના ભૂકા બોલાવી દીધા.+ તેઓએ બઆલના યાજક+ માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. પછી યહોયાદા યાજકે યહોવાના મંદિરની દેખરેખ રાખવા માણસો ઠરાવ્યા.+ ૧૯  રાજાને યહોવાના મંદિરમાંથી લઈ આવવા, તે સો સોની ટુકડીઓના મુખીઓને,+ રાજવી રક્ષકોને* અને મહેલના ચોકીદારોને+ તેમજ દેશના બધા લોકોને લઈ ગયો. તેઓ મહેલના ચોકીદારોના દરવાજા પાસેથી રાજમહેલમાં આવ્યા. પછી યહોઆશ રાજગાદીએ બેઠો.+ ૨૦  દેશના બધા લોકો ખુશખુશાલ થઈ ગયા અને શહેરમાં શાંતિ થઈ, કેમ કે તેઓએ રાજમહેલ પાસે અથાલ્યાને તલવારથી મારી નાખી હતી. ૨૧  યહોઆશ+ રાજા બન્યો ત્યારે સાત વર્ષનો હતો.+

ફૂટનોટ

અથવા કદાચ, “યહોશેબા.”
મૂળ, “કારીઓની.”
અથવા કદાચ, “રાજમહેલ.”
રાજાના માથા પર નિયમશાસ્ત્ર મૂકવામાં આવ્યું હોય શકે, જે તેને નિયમો પાળવાનું યાદ અપાવતું હતું.
અથવા, “સાક્ષીલેખ.” કદાચ ઈશ્વરના નિયમોનો વીંટો.
અથવા, “તાજ.”
મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
મૂળ, “કારીઓને.”