બીજો રાજાઓ ૧૨:૧-૨૧

  • યહૂદાનો રાજા યહોઆશ (૧-૩)

  • યહોઆશ મંદિરનું સમારકામ કરાવે છે (૪-૧૬)

  • સિરિયાનો હુમલો (૧૭, ૧૮)

  • યહોઆશ માર્યો ગયો (૧૯-૨૧)

૧૨  યેહૂના+ શાસનના સાતમા વર્ષે યહોઆશ+ રાજગાદીએ બેઠો. તેણે યરૂશાલેમમાં ૪૦ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ સિબ્યાહ હતું, જે બેર-શેબાની હતી.+ ૨  યહોયાદા યાજકે માર્ગદર્શન આપ્યું ત્યાં સુધી યહોઆશ એ જ કરતો રહ્યો, જે યહોવાની નજરમાં ખરું હતું. ૩  પણ ભક્તિ-સ્થળો*+ કાઢી નાખવામાં આવ્યાં ન હતાં. લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા* હતા. ૪  યહોઆશે યાજકોને કહ્યું: “યહોવાના મંદિરમાં પવિત્ર અર્પણો માટે આવેલા બધા પૈસા લો.+ એટલે કે, દરેક માટે નક્કી કરેલા પૈસા,+ માનતા માની હોય એવા લોકો પાસેથી આવેલા પૈસા અને લોકોએ યહોવાના મંદિરમાં રાજીખુશીથી આપેલા પૈસા તમે લો.+ ૫  યાજકો પોતે દાન આપનારાઓ* પાસેથી એ પૈસા લે. મંદિરમાં જ્યાં પણ નુકસાન થયું હોય,* એનું સમારકામ કરાવવા તેઓ એ પૈસા વાપરે.”+ ૬  રાજા યહોઆશના શાસનના ૨૩મા વર્ષ સુધી યાજકોએ મંદિરમાં કંઈ સમારકામ કરાવ્યું ન હતું.+ ૭  રાજા યહોઆશે યહોયાદા+ યાજક અને બીજા યાજકોને બોલાવીને કહ્યું: “તમે મંદિરમાં થયેલા નુકસાનનું સમારકામ કેમ કરાવતા નથી? એટલે હવેથી દાન આપનારાઓ પાસેથી પૈસા ન લેતા, સિવાય કે તમે એ પૈસા મંદિરના સમારકામમાં વાપરવાના હોવ.”+ ૮  યાજકોએ નક્કી કર્યું કે તેઓ લોકો પાસે પૈસા નહિ લે અને મંદિરના સમારકામની જવાબદારી માથે નહિ લે. ૯  પછી યહોયાદા યાજકે એક પેટી+ લઈને એના ઢાંકણમાં કાણું પાડ્યું. એ પેટી યહોવાના મંદિરમાં જતાં જમણી તરફ વેદી પાસે મૂકવામાં આવી. દરવાનો તરીકે ફરજ બજાવતા યાજકો, યહોવાના મંદિરમાં આવતા બધા પૈસા એ પેટીમાં નાખતા.+ ૧૦  જ્યારે તેઓ જોતા કે પેટીમાં ઘણા બધા પૈસા ભેગા થયા છે, ત્યારે રાજાનો મંત્રી* અને પ્રમુખ યાજક* આવતા. યહોવાના મંદિરમાં આવેલા એ પૈસા તેઓ ભેગા કરતા* અને ગણતરી કરતા.+ ૧૧  એ ગણેલા પૈસા તેઓ યહોવાના મંદિરમાં થતા કામની દેખરેખ રાખનારાઓને આપતા. પછી એ લોકો યહોવાના મંદિરમાં કામ કરનાર સુથારોને અને બાંધકામ કરનારાઓને એમાંથી મજૂરી ચૂકવતા.+ ૧૨  કડિયાઓ અને પથ્થર કાપનારાઓને પણ તેઓ મજૂરી ચૂકવતા. યહોવાના મંદિરના નુકસાનનું સમારકામ કરવા, તેઓ લાકડાં અને ઘડેલા પથ્થરો પણ વેચાતાં લઈ આવતાં. મંદિરનું સમારકામ કરવાનો ખર્ચ તેઓ એ પૈસામાંથી ચૂકવતા. ૧૩  યહોવાના મંદિરમાં આવેલા પૈસામાંથી એકેય પૈસો ચાંદીના કુંડો, કાતરો,* વાટકા અને રણશિંગડાં+ બનાવવા વપરાતો નહિ. અથવા યહોવાના મંદિર માટે સોના-ચાંદીનું કોઈ વાસણ બનાવવા પણ એ પૈસા વપરાતા નહિ.+ ૧૪  તેઓ એ પૈસા કામ કરનારાઓને જ આપતા અને યહોવાના મંદિરનું સમારકામ કરાવતા. ૧૫  જેઓ કામદારોને પૈસા ચૂકવતા, તેઓ વિશ્વાસુ માણસો હતા. તેઓ પાસેથી કોઈ હિસાબ લેવામાં આવતો નહિ.+ ૧૬  દોષ-અર્પણોના*+ પૈસા અને પાપ-અર્પણોના* પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહિ. એ તો યાજકો માટે હતા.+ ૧૭  હવે સિરિયાના રાજા હઝાએલે+ ગાથ પર ચઢાઈ કરી+ અને એને જીતી લીધું. પછી તેણે યરૂશાલેમ પર હુમલો કરવાનું નક્કી કર્યું.+ ૧૮  યહૂદાના રાજા યહોઆશે પોતાના બાપદાદાઓએ, એટલે કે યહૂદાના રાજાઓ યહોશાફાટ, યહોરામ અને અહાઝ્યાએ શુદ્ધ કરેલાં બધાં પવિત્ર અર્પણો ભેગાં કર્યાં. તેણે પોતાનાં પવિત્ર અર્પણો પણ લીધાં. એટલું જ નહિ, તેણે યહોવાના મંદિરના ભંડારોમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી બધું સોનું ભેગું કર્યું. આ બધું તેણે સિરિયાના રાજા હઝાએલને મોકલી આપ્યું.+ એટલે હઝાએલ યરૂશાલેમથી જતો રહ્યો. ૧૯  યહોઆશનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે. ૨૦  પણ યહોઆશના સેવકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું.+ તેઓએ તેને સિલ્લા જવાના રસ્તે આવેલા ગઢમાં*+ મારી નાખ્યો. ૨૧  શિમઆથનો દીકરો યોઝાખાર અને શોમેરનો દીકરો યહોઝાબાદ તેના સેવકો હતા, જેઓએ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો.+ યહોઆશને પોતાના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેનો દીકરો અમાઝ્યા તેની જગ્યાએ રાજા બન્યો.+

ફૂટનોટ

મૂળ, “ઉચ્ચ સ્થાનો.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “બલિદાનોનો ધુમાડો ચઢાવતા.”
અથવા, “ઓળખીતાઓ.”
અથવા, “તિરાડ પડી હોય.”
અથવા, “થેલીઓમાં મૂકતા.” મૂળ, “બાંધતા.”
હિબ્રૂ, મિલ્લો. એનો અર્થ થાય, “પૂરવું.”