બીજો રાજાઓ ૧૬:૧-૨૦

  • યહૂદાનો રાજા આહાઝ (૧-૬)

  • આહાઝ આશ્શૂરીઓને લાંચ આપે છે (૭-૯)

  • આહાઝ જૂઠા દેવોની વેદીની નકલ બનાવે છે (૧૦-૧૮)

  • આહાઝનું મરણ (૧૯, ૨૦)

૧૬  રમાલ્યાના દીકરા પેકાહના શાસનનું ૧૭મું વર્ષ ચાલતું હતું. એ સમયે યહૂદાના રાજા યોથામનો દીકરો આહાઝ+ રાજગાદીએ બેઠો. ૨  આહાઝ રાજા બન્યો ત્યારે ૨૦ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૬ વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે ખરું હતું એ કર્યું, પણ આહાઝે એવું કર્યું નહિ.+ ૩  એના બદલે, તે ઇઝરાયેલના રાજાઓના માર્ગે ચાલ્યો.+ યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલ આગળથી હાંકી કાઢી હતી, તેઓના રિવાજો આહાઝે પાળ્યા. એ પ્રજાઓ એવા રિવાજો પાળતી હતી જેનાથી સખત નફરત થાય.+ અરે, આહાઝ પોતાના દીકરાને આગમાં બલિ ચઢાવતા પણ અચકાયો નહિ!*+ ૪  તે ભક્તિ-સ્થળોએ,+ ડુંગરો પર અને દરેક ઘટાદાર ઝાડ+ નીચે પણ આગમાં બલિદાનો ચઢાવતો હતો. ૫  સિરિયાનો રાજા રસીન અને ઇઝરાયેલનો રાજા પેકાહ યરૂશાલેમ સામે લડાઈ કરવા આવ્યા.+ તેઓએ યરૂશાલેમને ઘેરી લીધું, પણ એને જીતી શક્યા નહિ. પેકાહ રમાલ્યાનો દીકરો હતો. ૬  સિરિયાના રાજા રસીને અદોમ માટે એલાથ+ પાછું કબજે કર્યું. તેણે એલાથમાંથી યહૂદીઓને* હાંકી કાઢ્યા. અદોમીઓ એલાથમાં ઘૂસી ગયા અને તેઓ આજ સુધી ત્યાં રહે છે. ૭  આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને+ સંદેશો મોકલ્યો: “હું તમારો સેવક, તમારો દીકરો* છું. સિરિયાના રાજાએ અને ઇઝરાયેલના રાજાએ મારા પર હુમલો કર્યો છે. અહીં આવીને તેઓના હાથમાંથી મને બચાવી લો.” ૮  આહાઝે યહોવાના મંદિરમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી સોનું-ચાંદી ભેગું કર્યું. આશ્શૂરના રાજાને એ ભેટ તરીકે મોકલી આપ્યું.+ ૯  આશ્શૂરના રાજાએ તેનું સાંભળ્યું. તેણે જઈને દમસ્ક જીતી લીધું. તેણે રાજા રસીનને મારી નાખ્યો+ અને દમસ્કના લોકોને ગુલામ બનાવીને કીર+ લઈ ગયો. ૧૦  આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને મળવા આહાઝ રાજા દમસ્ક ગયો. તેની નજર દમસ્કની વેદી પર પડી. તેણે એનો નકશો ઉરિયાહ યાજકને મોકલ્યો. એમાં વેદીનો આકાર અને એની કારીગરી વિશે જણાવ્યું હતું.+ ૧૧  આહાઝે દમસ્કમાંથી મોકલેલી બધી માહિતી પ્રમાણે ઉરિયાહ+ યાજકે વેદી બનાવી.+ આહાઝ રાજા દમસ્કથી પાછો ફરે એ પહેલાં ઉરિયાહ યાજકે વેદી તૈયાર કરી લીધી. ૧૨  રાજા દમસ્કથી પાછો ફર્યો ત્યારે તેણે એ વેદી જોઈ. તેણે જઈને એ વેદી પર અર્પણો ચઢાવ્યાં.+ ૧૩  એ વેદી પર તે અગ્‍નિ-અર્પણો અને અનાજ-અર્પણો ચઢાવવા લાગ્યો. તેણે એના પર દ્રાક્ષદારૂ-અર્પણો* રેડ્યાં અને શાંતિ-અર્પણોનું* લોહી છાંટ્યું. ૧૪  આ નવી વેદી અને યહોવાના મંદિર વચ્ચે તાંબાની વેદી+ હતી. એટલે આહાઝે તાંબાની વેદી હટાવી દીધી, જે યહોવા આગળ, તેમના મંદિર આગળ હતી. તેણે એ તાંબાની વેદી પોતાની નવી વેદીની ઉત્તર તરફ મૂકી. ૧૫  આહાઝ રાજાએ ઉરિયાહ+ યાજકને હુકમ આપ્યો: “આ મોટી વેદી પર સવારનાં અગ્‍નિ-અર્પણો ચઢાવ.+ એના પર સાંજનાં અનાજ-અર્પણો પણ ચઢાવ.+ રાજાનાં અગ્‍નિ-અર્પણો અને અનાજ-અર્પણો ચઢાવ. તેમ જ બધા લોકોનાં અગ્‍નિ-અર્પણો, અનાજ-અર્પણો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવ. બધાં અગ્‍નિ-અર્પણોનું લોહી અને બીજાં બલિદાનોનું લોહી પણ એ વેદી પર છાંટ. પણ આ તાંબાની વેદીનું શું કરવું એનો વિચાર કરીને કહીશ.” ૧૬  આહાઝ રાજાના હુકમ પ્રમાણે ઉરિયાહ યાજકે બધું કર્યું.+ ૧૭  આહાઝ રાજાએ લારીઓનાં*+ પાટિયાં કાપીને એના પરના કુંડ કાઢી લીધા.+ તાંબાના આખલાઓ+ પર મૂકેલો તાંબાનો હોજ પણ તેણે નીચે ઉતાર્યો અને પથ્થર જડેલી ફરસ પર મૂકી દીધો.+ ૧૮  આશ્શૂરના રાજાને લીધે તેણે સાબ્બાથના દિવસે વપરાતો મંદિર નજીકનો માંડવો હટાવી દીધો. યહોવાના મંદિરમાં જવાનો રાજાનો રસ્તો પણ તેણે બંધ કરી દીધો. ૧૯  આહાઝનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.+ ૨૦  પછી આહાઝ ગુજરી ગયો. તેને પોતાના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેનો દીકરો હિઝકિયા*+ તેની જગ્યાએ રાજા બન્યો.

ફૂટનોટ

મૂળ, “આહાઝે પોતાના દીકરાને આગમાં ચલાવ્યો.”
અથવા, “યહૂદાના માણસોને.”
“તમારો દીકરો” કહીને વ્યક્તિ બીજાને માન આપતી.
અથવા, “પેયાર્પણો.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “જળગાડીઓનાં.”
અર્થ, “યહોવા હિંમત આપે છે.”