બીજો રાજાઓ ૨૦:૧-૨૧

  • હિઝકિયાની બીમારી અને સાજો કરાયો (૧-૧૧)

  • બાબેલોનથી આવેલા માણસો (૧૨-૧૯)

  • હિઝકિયાનું મરણ (૨૦, ૨૧)

૨૦  એ સમયમાં હિઝકિયા બીમાર પડ્યો અને મરવાની અણીએ હતો.+ આમોઝના દીકરા યશાયા પ્રબોધકે આવીને તેને કહ્યું: “યહોવા કહે છે, ‘તારા કુટુંબ* માટે બધી ગોઠવણ કરી લે. તું સાજો થવાનો નથી, તારું મરણ થશે.’”+ ૨  એ સાંભળીને હિઝકિયાએ દીવાલ તરફ મોં ફેરવીને યહોવાને પ્રાર્થના કરી: ૩  “હે યહોવા, હું તમને કાલાવાલા કરું છું. કૃપા કરીને યાદ કરો કે હું પૂરી વફાદારીથી અને પૂરા દિલથી તમારી આગળ ચાલ્યો છું. તમારી નજરમાં જે ખરું છે, એ જ મેં કર્યું છે.”+ એમ કહીને હિઝકિયા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો. ૪  યશાયા હજુ તો મહેલના વચલા આંગણામાં પહોંચે એ પહેલાં યહોવાએ તેને આ સંદેશો આપ્યો:+ ૫  “મારા લોકોના આગેવાન હિઝકિયા પાસે પાછો જા અને તેને કહે, ‘તારા પૂર્વજ દાઉદના ઈશ્વર યહોવા આમ કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે. મેં તારાં આંસુ જોયાં છે.+ હું તને સાજો કરું છું.+ ત્રીજા દિવસે તું યહોવાના મંદિરે જઈશ.+ ૬  હું તારા જીવનમાં ૧૫ વર્ષ ઉમેરીશ. હું તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવીશ.+ મારા માટે અને મારા સેવક દાઉદ માટે હું આ શહેરની રક્ષા કરીશ.”’”+ ૭  પછી યશાયાએ કહ્યું: “અંજીરનું એક ચકતું લાવો.” તેના સેવકો એ લાવ્યા અને હિઝકિયાના ગૂમડા પર લગાડ્યું. પછી તે ધીમે ધીમે સાજો થઈ ગયો.+ ૮  હિઝકિયાએ યશાયાને પૂછ્યું હતું: “યહોવા મને સાજો કરશે અને ત્રીજા દિવસે હું યહોવાના મંદિરે જઈશ એની નિશાની શું છે?”+ ૯  યશાયાએ જવાબ આપ્યો હતો: “યહોવા જે બોલ્યા છે એ પૂરું કરશે જ, એની યહોવા તરફથી આ નિશાની છે: બોલ, દાદર* પરનો પડછાયો દસ પગથિયાં આગળ જાય કે પાછળ?”+ ૧૦  હિઝકિયાએ જવાબ આપ્યો હતો: “પડછાયો દસ પગથિયાં આગળ જાય એ તો સહેલું છે, પણ એ પાછો હટી શકતો નથી.” ૧૧  યશાયા પ્રબોધકે યહોવાને વિનંતી કરી. એટલે તેમણે આહાઝના દાદર પરનો પડછાયો પગથિયાં પર જ્યાં હતો, ત્યાંથી દસ પગથિયાં પાછો હટાવ્યો.+ ૧૨  એ સમયે બાલઅદાનના દીકરા, એટલે કે બાબેલોનના રાજા બરોદાખ-બાલઅદાને સાંભળ્યું હતું કે હિઝકિયા બીમાર હતો. એટલે તેણે હિઝકિયાને પત્રો અને ભેટ મોકલ્યાં.+ ૧૩  હિઝકિયાએ તેના માણસોનો આવકાર કર્યો* અને તેઓને પોતાનો આખો ભંડાર બતાવી દીધો.+ તેણે સોનું-ચાંદી, સુગંધી તેલ,* મૂલ્યવાન તેલ, હથિયારોનો ભંડાર અને પોતાના ભંડારોમાં જે કંઈ હતું એ બધું જ બતાવી દીધું. હિઝકિયાના મહેલમાં અને તેના આખા રાજમાં એવું કંઈ ન હતું, જે બતાવવાનું તેણે બાકી રાખ્યું હોય. ૧૪  યશાયા પ્રબોધકે હિઝકિયા રાજા પાસે આવીને પૂછ્યું: “એ માણસોએ શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા હતા?” હિઝકિયાએ કહ્યું: “તેઓ દૂર દેશ બાબેલોનથી આવ્યા હતા.”+ ૧૫  યશાયાએ પૂછ્યું: “તેઓએ તમારા મહેલમાં શું જોયું?” હિઝકિયાએ જવાબ આપ્યો: “તેઓએ મારા મહેલમાં બધું જ જોયું. મારા ભંડારોમાં એવું કશું જ નથી જે મેં બતાવ્યું ન હોય.” ૧૬  યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાનો આ સંદેશો સાંભળો:+ ૧૭  ‘એવો સમય આવે છે જ્યારે તમારા મહેલમાંથી બધું જ બાબેલોન લઈ જવાશે. તમારા બાપદાદાઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યું છે, એ બધું પણ લઈ જવાશે.+ હા, કંઈ જ બાકી રહેશે નહિ,’ એવું યહોવા કહે છે. ૧૮  ‘તમને જે દીકરાઓ થશે, એમાંના અમુકને બાબેલોન લઈ જવાશે.+ તેઓ બાબેલોનના રાજાના મહેલમાં દરબારીઓ બનશે.’”+ ૧૯  હિઝકિયાએ યશાયાને કહ્યું: “યહોવાનો જે સંદેશો તમે જણાવ્યો એ યોગ્ય છે.”+ પછી તેણે કહ્યું: “હું જીવું ત્યાં સુધી શાંતિ અને સલામતી* રહે તો બસ છે.”+ ૨૦  હિઝકિયાનો બાકીનો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેનાં બધાં પરાક્રમી કામો વિશે ને શહેરમાં પાણી લાવવા+ તેણે બનાવેલાં તળાવ+ અને નહેર વિશે એમાં જણાવ્યું છે. ૨૧  પછી હિઝકિયા ગુજરી ગયો.+ તેનો દીકરો મનાશ્શા+ તેની જગ્યાએ રાજા બન્યો.+

ફૂટનોટ

અથવા, “મહેલ.”
કદાચ આ દાદર સૂર્ય-ઘડિયાળની જેમ સમય જોવા વપરાતો હતો.
અથવા, “માણસોનું સાંભળ્યું.”
શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.
અથવા, “સચ્ચાઈ.”