બીજો રાજાઓ ૨૧:૧-૨૬

  • યહૂદાનો રાજા મનાશ્શા, તેણે નિર્દોષને મારી નાખ્યા  (૧-૧૮)

    • યરૂશાલેમનો નાશ થશે (૧૨-૧૫)

  • યહૂદાનો રાજા આમોન (૧૯-૨૬)

૨૧  મનાશ્શા+ રાજા બન્યો ત્યારે ૧૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૫ વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ હેફસીબા હતું. ૨  યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ મનાશ્શાએ કર્યું. યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલ આગળથી હાંકી કાઢી હતી+ તેઓના રીતરિવાજો તેણે પાળ્યા. એ પ્રજાઓ એવા રિવાજો પાળતી હતી જેનાથી સખત નફરત થાય.+ ૩  તેના પિતા હિઝકિયાએ જે ભક્તિ-સ્થળો તોડી પાડ્યાં હતાં,+ એ મનાશ્શાએ ફરીથી બાંધ્યાં. તેણે બઆલ માટે વેદીઓ બાંધી અને ભક્તિ-થાંભલો ઊભો કર્યો.+ તેણે ઇઝરાયેલના રાજા આહાબ જેવાં કામો કર્યાં.+ આકાશમાં જે કંઈ છે એ બધાને* તેણે નમન કર્યું અને તેઓની પૂજા કરી.+ ૪  તેણે યહોવાના મંદિરમાં પણ વેદીઓ બાંધી,+ જે વિશે યહોવાએ કહ્યું હતું, “હું યરૂશાલેમમાં મારું નામ રાખીશ.”+ ૫  આકાશમાં જે કંઈ છે એ બધાને ભજવા માટે+ તેણે યહોવાના મંદિરનાં બે આંગણાંમાં* વેદીઓ બાંધી.+ ૬  તેણે પોતાના દીકરાને આગમાં બલિ ચઢાવ્યો.* તે જાદુટોણાં કરતો અને શુકન જોતો.+ મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને ભવિષ્ય ભાખનારાઓને તે દેશમાં રાખતો.+ તેણે યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ બધું કરવામાં હદ વટાવી દીધી અને તેમને ભારે રોષ ચઢાવ્યો. ૭  તેણે ભક્તિ-થાંભલાની કોતરેલી મૂર્તિ ઘડી અને મંદિરમાં મૂકી.+ એ મંદિર વિશે યહોવાએ દાઉદ અને તેના દીકરા સુલેમાનને કહ્યું હતું: “આ મંદિરમાં અને યરૂશાલેમમાં હું મારું નામ કાયમ માટે રાખીશ.+ એ જગ્યા મેં ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી પસંદ કરી છે. ૮  મેં ઇઝરાયેલીઓના બાપદાદાઓને જે દેશ આપ્યો છે, એમાંથી હું તેઓને કદી ભટકવા દઈશ નહિ.+ પણ મારા ભક્ત મૂસાએ તેઓને આપેલું આખું નિયમશાસ્ત્ર તેઓએ પાળવું પડશે. મારી બધી આજ્ઞાઓ તેઓએ પાળવી પડશે.”+ ૯  જોકે તેઓએ માન્યું નહિ. મનાશ્શા તેઓને ખોટા માર્ગે દોરી ગયો. ઇઝરાયેલીઓ આગળથી યહોવાએ જે પ્રજાઓનો વિનાશ કર્યો હતો, તેઓ કરતાં પણ વધારે દુષ્ટ કામો મનાશ્શાએ લોકો પાસે કરાવ્યાં.+ ૧૦  યહોવા પોતાના પ્રબોધકો દ્વારા જણાવતા રહ્યા:+ ૧૧  “યહૂદાના રાજા મનાશ્શાએ આ ઘોર પાપ કર્યાં છે. તેની અગાઉના+ બધા અમોરીઓ+ કરતાં તેણે વધારે દુષ્ટ કામો કર્યાં છે. ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓ* બનાવીને તેણે યહૂદા પાસે પાપ કરાવ્યું છે. ૧૨  એટલે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: ‘હું યરૂશાલેમ અને યહૂદા પર એવી આફત લાવીશ+ કે એ વિશે જે કોઈ સાંભળશે તેને આઘાત લાગશે.*+ ૧૩  હું યરૂશાલેમને એ માપદોરીથી માપીશ,+ જેનાથી સમરૂનને માપ્યું હતું.+ હું યરૂશાલેમને એ માપવાના સાધનથી* માપીશ, જેનાથી આહાબના કુટુંબને માપ્યું હતું.+ હું યરૂશાલેમનો એવો સફાયો કરી નાખીશ કે જાણે કોઈ વાટકો સાફ કરીને લૂછી નાખે અને ઊંધો વાળી દે.+ ૧૪  હું મારા વારસામાંથી બાકી રહેલા લોકોનો ત્યાગ કરીશ.+ હું તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. બધા દુશ્મનો તેઓને બંદી બનાવશે અને તેઓની ચીજવસ્તુઓ લૂંટી લેશે.+ ૧૫  એનું કારણ એ કે તેઓએ મારી નજરમાં જે ખરાબ છે એ જ કર્યું છે. તેઓના બાપદાદાઓ ઇજિપ્તમાંથી બહાર આવ્યા ત્યારથી લઈને આજ સુધી એ લોકોએ મને રોષ ચઢાવ્યો છે.’”+ ૧૬  યહોવાની નજરમાં જે ખરાબ હતું એ મનાશ્શાએ યહૂદા પાસે કરાવીને પાપ કર્યું. એટલું જ નહિ, તેણે ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા અને તેઓના લોહીથી યરૂશાલેમને છલોછલ ભરી દીધું.+ ૧૭  મનાશ્શાનો બાકીનો ઇતિહાસ યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલો છે. તેણે જે કંઈ કર્યું એ વિશે અને તેનાં પાપો વિશે એમાં જણાવ્યું છે. ૧૮  મનાશ્શા ગુજરી ગયો. તેને તેના મહેલના બાગમાં, ઉઝ્ઝાના બાગમાં દફનાવવામાં આવ્યો.+ તેનો દીકરો આમોન તેની જગ્યાએ રાજા બન્યો. ૧૯  આમોન+ રાજા બન્યો ત્યારે ૨૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ મશુલ્લેમેથ હતું. તે હારૂસની દીકરી હતી, જે યોટબાહનો વતની હતો. ૨૦  આમોન પોતાના પિતા મનાશ્શાની જેમ કરતો રહ્યો. તેણે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ કર્યું.+ ૨૧  આમોન બધી રીતે પોતાના પિતાના માર્ગે ચાલતો રહ્યો. પોતાના પિતાની જેમ તેણે ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓને નમન કર્યું અને એની પૂજા કરી.+ ૨૨  આમોને પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો. તે યહોવાને માર્ગે ચાલ્યો નહિ.+ ૨૩  આમોનના સેવકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને રાજાને તેના મહેલમાં જ મારી નાખ્યો. ૨૪  જેઓએ આમોન રાજા વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું, એ બધાને દેશના લોકોએ મારી નાખ્યા. લોકોએ આમોનની જગ્યાએ તેના દીકરા યોશિયાને રાજા બનાવ્યો.+ ૨૫  આમોનનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે. ૨૬  લોકોએ તેને ઉઝ્ઝાના બાગમાં આવેલી તેની કબરમાં દફનાવ્યો.+ તેનો દીકરો યોશિયા તેની જગ્યાએ રાજા બન્યો.+

ફૂટનોટ

મૂળ, “આકાશના આખા સૈન્યને.”
મૂળ, “આગમાં ચલાવ્યો.”
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
મૂળ, “તેના કાન ઝણઝણશે.”
અથવા, “ઓળંબાથી.” દીવાલ સીધી છે કે નહિ, એ માપવાનું સાધન.