બીજો રાજાઓ ૨૪:૧-૨૦

  • યહોયાકીમનો બળવો અને મરણ (૧-૭)

  • યહૂદાનો રાજા યહોયાખીન (૮, ૯)

  • બાબેલોનની ગુલામીમાં જનારો પહેલો સમૂહ (૧૦-૧૭)

  • યહૂદાનો રાજા સિદકિયા, તેનો બળવો (૧૮-૨૦)

૨૪  યહોયાકીમના દિવસોમાં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે+ તેના ઉપર ચઢાઈ કરી. યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો. પછી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો પોકાર્યો. ૨  યહોવાએ યહોયાકીમની સામે ખાલદીઓ,*+ સિરિયાના લોકો, મોઆબીઓ અને આમ્મોનીઓની લુટારાઓની ટોળકીઓ મોકલી. યહોવા તેઓને મોકલતા રહ્યા, જેથી યહૂદાનો વિનાશ થાય. આમ તેમણે પોતાના બધા પ્રબોધકો દ્વારા જે સંદેશો આપ્યો હતો એ પ્રમાણે જ થયું.+ ૩  યહોવાના હુકમથી જ યહૂદાના આવા હાલ થયા હતા. ઈશ્વર એને પોતાની નજર આગળથી દૂર કરવા માંગતા હતા,+ કારણ કે મનાશ્શાએ ઘોર પાપ કર્યાં હતાં.+ ૪  તેણે ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા+ અને તેઓના લોહીથી યરૂશાલેમને છલોછલ ભરી દીધું હતું. એટલે યહોવા તેને માફ કરવા તૈયાર ન હતા.+ ૫  યહોયાકીમનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.+ ૬  યહોયાકીમ ગુજરી ગયો.+ તેનો દીકરો યહોયાખીન તેની જગ્યાએ રાજા બન્યો. ૭  ઇજિપ્તના વહેળાથી*+ તે યુફ્રેટિસ નદી+ સુધીનો વિસ્તાર ઇજિપ્તના રાજાના કબજામાં હતો.+ પણ એ બધો વિસ્તાર બાબેલોનના રાજાએ જીતી લીધો. એટલે ઇજિપ્તનો રાજા ફરી ક્યારેય પોતાના દેશની બહાર લડવા માટે નીકળ્યો નહિ. ૮  યહોયાખીન+ રાજા બન્યો ત્યારે ૧૮ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું.+ તેની માનું નામ નહુશ્તા હતું. તે એલ્નાથાનની દીકરી હતી, જે યરૂશાલેમનો વતની હતો. ૯  યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાખીન કરતો રહ્યો. તેણે પોતાના પિતાની જેમ જ કર્યું. ૧૦  એ સમયે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના સેનાપતિઓએ યરૂશાલેમ ઉપર ચઢાઈ કરી અને શહેરને ઘેરો નાખ્યો.+ ૧૧  તેઓ શહેરને ઘેરો નાખતા હતા ત્યારે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પણ ત્યાં આવી પહોંચ્યો. ૧૨  યહૂદાનો રાજા યહોયાખીન બાબેલોનના રાજાને શરણે થઈ ગયો.+ તેની મા, તેના સેવકો, તેના અધિકારીઓ* અને તેના રાજદરબારીઓ પણ તેની સાથે હતા.+ બાબેલોનનો રાજા પોતાના શાસનના આઠમા વર્ષે તેને ગુલામ બનાવીને લઈ ગયો.+ ૧૩  બાબેલોનના રાજાએ યહોવાના મંદિરના ભંડારોમાંથી અને રાજાના મહેલના ભંડારોમાંથી બધો જ ખજાનો લૂંટી લીધો.+ ઇઝરાયેલના રાજા સુલેમાને યહોવાના મંદિર માટે સોનાનાં વાસણો બનાવ્યાં હતાં.+ બાબેલોનના રાજાએ એ બધાં વાસણોના ટુકડે-ટુકડા કરી નાખ્યા. યહોવાએ જેમ કહ્યું હતું એમ જ થયું. ૧૪  તે યરૂશાલેમના બધા લોકોને, એટલે કે અધિકારીઓ,*+ શૂરવીર યોદ્ધાઓ, કારીગરો અને લુહારોને*+ ગુલામીમાં લઈ ગયો. બધા મળીને ૧૦,૦૦૦ લોકોને તે લઈ ગયો. તેણે દેશના એકદમ ગરીબ લોકો સિવાય કોઈને બાકી રાખ્યા નહિ.+ ૧૫  આ રીતે તે યહોયાખીન+ રાજાને બાબેલોનની ગુલામીમાં લઈ ગયો.+ રાજાની મા, રાજાની પત્નીઓ, તેના રાજદરબારીઓ અને દેશના જાણીતા માણસોને પણ તે યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. ૧૬  બાબેલોનનો રાજા ૭,૦૦૦ લડવૈયાઓને, ૧,૦૦૦ કારીગરો અને લુહારોને* પણ બાબેલોનની ગુલામીમાં લઈ ગયો. તેઓ બધા શૂરવીર લડવૈયાઓ હતા અને યુદ્ધની તાલીમ પામેલા હતા. ૧૭  બાબેલોનના રાજાએ યહોયાખીનની જગ્યાએ તેના કાકા માત્તાન્યાને+ રાજગાદીએ બેસાડ્યો. તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.+ ૧૮  સિદકિયા રાજા બન્યો ત્યારે ૨૧ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ+ હતું. તે લિબ્નાહના વતની યર્મિયાની દીકરી હતી. ૧૯  યહોવાની નજરમાં જે ખરાબ હતું એ સિદકિયા કરતો રહ્યો. તેણે યહોયાકીમની જેમ જ કર્યું.+ ૨૦  યહોવાના કોપને લીધે યરૂશાલેમ અને યહૂદાની આવી દશા થઈ. આખરે તેમણે પોતાની નજર આગળથી તેઓને કાઢી મૂક્યા.+ પછી સિદકિયાએ બાબેલોનના રાજા સામે બળવો પોકાર્યો.+

ફૂટનોટ

અથવા, “રાજાના દીકરાઓ.”
અથવા, “રાજાના દીકરાઓ.”
અથવા કદાચ, “કોટ બાંધનારાઓને.”
અથવા કદાચ, “કોટ બાંધનારાઓને.”