બીજો શમુએલ ૧૪:૧-૩૩
૧૪ સરૂયાના+ દીકરા યોઆબને જાણવા મળ્યું કે રાજાનું દિલ આબ્શાલોમ માટે ઝૂરે છે.+
૨ એટલે યોઆબે તકોઆથી+ એક સમજુ સ્ત્રીને બોલાવી અને તેને જણાવ્યું: “તું શોક પાળતી હોય એવો દેખાડો કર. તું શોક પાળનારનાં કપડાં પહેર અને શરીર પર તેલ ન લગાડ.+ જાણે કોઈ ગુજરી ગયેલા માટે લાંબા સમયથી શોક પાળતી હોય, એ રીતે તારે વર્તવું.
૩ તું રાજા આગળ જજે અને આમ કહેજે.” યોઆબે એ સ્ત્રીને જણાવ્યું કે તેણે શું કહેવું.*
૪ તકોઆની સ્ત્રી રાજા આગળ જઈને ઘૂંટણિયે પડી અને જમીન સુધી માથું નમાવીને કહ્યું: “હે રાજાજી, મને મદદ કરો!”
૫ રાજાએ સ્ત્રીને પૂછ્યું: “તને શું દુઃખ છે?” તેણે કહ્યું: “હું વિધવા છું. મારો પતિ ગુજરી ગયો છે.
૬ તમારી આ દાસીને બે દીકરા હતા. તેઓ ખેતરમાં એકબીજા સાથે ઝઘડી પડ્યા. તેઓને છોડાવનાર કોઈ ન હોવાથી, એક દીકરાએ બીજાને મારી નાખ્યો.
૭ હવે આખું કુટુંબ તમારી આ દાસી વિરુદ્ધ ઊઠ્યું છે. તેઓ મને કહે છે, ‘પોતાના ભાઈને મારી નાખનારને અમારે હવાલે કરી દે. તેના ભાઈના જીવનો બદલો લેવા અમે તેને મારી નાખીશું,+ ભલે પછી કોઈ વારસ ન બચે!’ તેઓ મારી આશાની જ્યોત* બુઝાવી નાખશે અને ધરતી પર મારા પતિનું કોઈ નામનિશાન કે વારસ બાકી નહિ રાખે.”
૮ રાજાએ સ્ત્રીને કહ્યું: “તારા ઘરે જા અને હું ખાતરી કરીશ કે તને ન્યાય મળે.”
૯ એ સાંભળીને તકોઆની સ્ત્રીએ રાજાને કહ્યું: “હે રાજાજી, મારા માલિક, બધો દોષ મારા પર અને મારા પિતાના ઘર પર આવે, પણ રાજા અને તેમની રાજગાદી નિર્દોષ રહે.”
૧૦ રાજાએ કહ્યું: “એ પછી પણ જો કોઈ તને કંઈ કહે, તો તેને મારી પાસે લાવજે. એટલે તે તને ફરી કદી હેરાન નહિ કરે.”
૧૧ સ્ત્રીએ કહ્યું: “કૃપા કરીને રાજા પોતાના ઈશ્વર યહોવાને યાદ રાખે. ક્યાંક એવું ન થાય કે લોહીનો બદલો લેનાર+ કોઈ વધારે આફત લાવે અને મારા દીકરાને મારી નાખે.” એ સાંભળીને રાજાએ કહ્યું: “યહોવાના સમ*+ કે તારા દીકરાનો વાળ પણ વાંકો નહિ થાય.”
૧૨ સ્ત્રીએ કહ્યું: “હે રાજાજી, મારા માલિક, કૃપા કરીને તમારી આ દાસીને એક વાત કહેવા દો.” રાજાએ કહ્યું: “બોલ.”
૧૩ સ્ત્રીએ કહ્યું: “હે રાજા, તમે ઈશ્વરના લોકોનું નુકસાન થાય એવું કેમ કરો છો?+ તમે પોતાના દીકરાને દેશનિકાલ કર્યો અને તેને પાછો લાવતા નથી.+ તમે હમણાં જે કહ્યું એનાથી તમે પોતે ગુનેગાર ઠરો છો.
૧૪ આપણે તો નક્કી મરવાના જ છીએ. આપણે ઢોળાયેલા પાણી જેવા છીએ, જે પાછું ભેગું કરી શકાતું નથી. પણ ઈશ્વર કોઈનું જીવન છીનવી લેતા નથી. તે તો દેશનિકાલ થયેલાને કઈ રીતે પાછો લાવવો એનો વિચાર કરે છે.
૧૫ હે રાજાજી, મારા માલિક, લોકોએ મને ડરાવી હોવાથી, હું તમારી પાસે આ વાત કરવા આવી. તમારી દાસીએ વિચાર્યું: ‘મને રાજા પાસે જઈને વિનંતી કરવા દે. કદાચ તે પોતાની દાસીની અરજ સાંભળે અને કંઈક કરે.
૧૬ મને હતું જ કે રાજા પોતાની દાસીની વાત ધ્યાનમાં લેશે અને એ માણસના હાથમાંથી બચાવશે, જે મારી અને મારા બચી ગયેલા દીકરા પાસેથી ઈશ્વરે આપેલો વારસો ઝૂંટવી લેવા માંગે છે.’+
૧૭ તમારી દાસીએ વિચાર્યું: ‘મારા માલિકની વાતથી મને રાહત મળશે,’ કેમ કે રાજાજી મારા માલિક તો સાચા ઈશ્વરના દૂત જેવા છે. શું સારું અને શું ખરાબ એ તે બરાબર પારખે છે. તમારા ઈશ્વર યહોવા તમારી સાથે હોય.”
૧૮ રાજાએ એ સ્ત્રીને કહ્યું: “હું જે પૂછું, એનો સાચો જવાબ આપજે, કંઈ છુપાવીશ નહિ.” સ્ત્રીએ જવાબ આપ્યો: “હે રાજાજી, મારા માલિક, કૃપા કરીને પૂછો.”
૧૯ રાજાએ પૂછ્યું: “શું આ બધા પાછળ યોઆબનો હાથ છે?”+ સ્ત્રીએ જવાબ આપ્યો: “હે રાજાજી, મારા માલિક, તમારા જીવના સમ, તમે જે જણાવ્યું એ સાચું છે.* તમારા સેવક યોઆબે મને આજ્ઞા આપી અને તમારી આ દાસીએ શું કહેવું એ શીખવ્યું.
૨૦ રાજા આ કિસ્સામાં બીજી બાજુ પણ જોઈ શકે એ માટે તમારા સેવક યોઆબે આમ કર્યું છે. મારા માલિક તો સાચા ઈશ્વરના દૂત જેવા સમજદાર છે અને દેશમાં જે કંઈ બને છે, એ બધું જ જાણે છે.”
૨૧ રાજાએ યોઆબને કહ્યું: “સારું, હું એ કરવા તૈયાર છું.+ જા અને આબ્શાલોમને લઈ આવ.”+
૨૨ એ સાંભળીને યોઆબે ઘૂંટણિયે પડીને જમીન સુધી માથું નમાવીને રાજાને નમન કર્યું અને રાજાના વખાણ કર્યા. યોઆબે કહ્યું: “હે રાજાજી, મારા માલિક, આજે તમારા સેવકને જાણ થઈ છે કે હું તમારી નજરમાં કૃપા પામ્યો છું. રાજાએ પોતાના સેવકની વિનંતી માન્ય રાખી છે.”
૨૩ પછી યોઆબ ઊભો થયો અને ગશૂર ગયો.+ તે આબ્શાલોમને યરૂશાલેમ લઈ આવ્યો.
૨૪ રાજાએ કહ્યું: “તેને પોતાના ઘરે પાછો જવા દો. તે મારી આગળ ન આવે.” એટલે આબ્શાલોમ તેના પોતાના ઘરે પાછો ગયો અને તે રાજા આગળ આવ્યો નહિ.
૨૫ આખા ઇઝરાયેલમાં આબ્શાલોમ જેવો દેખાવડો કોઈ ન હતો, જેની બહુ વાહ વાહ થતી હતી. પગના તળિયાથી તે માથાના તાલકા સુધી તેનામાં કોઈ ખોડ ન હતી.
૨૬ તેના માથાના વાળ વધીને એટલા ભારે થઈ જતા કે તેણે દર વર્ષને અંતે વાળ કપાવવા પડતા. રાજાનાં તોલમાપ* પ્રમાણે તેણે કપાવેલા વાળનું વજન ૨૦૦ શેકેલ* થતું.
૨૭ આબ્શાલોમને ત્રણ દીકરા+ અને એક દીકરી હતાં. તેની દીકરીનું નામ તામાર હતું, જે બહુ જ સુંદર હતી.
૨૮ આબ્શાલોમ યરૂશાલેમમાં રહેવા લાગ્યો એને બે વર્ષ વીતી ગયાં, પણ તે રાજા આગળ જઈ શક્યો નહિ.+
૨૯ એટલે આબ્શાલોમે યોઆબને રાજા પાસે મોકલવા માટે બોલાવ્યો. પણ યોઆબ તેની પાસે આવ્યો નહિ. આબ્શાલોમે તેને બીજી વાર બોલાવ્યો, તોપણ તે આવ્યો નહિ.
૩૦ આખરે આબ્શાલોમે પોતાના સેવકોને કહ્યું: “યોઆબનું ખેતર મારા ખેતરની બાજુમાં છે, જેમાં જવનો પાક થયો છે. જાઓ અને એને આગ ચાંપી દો.” તેના સેવકો ગયા અને યોઆબના ખેતરને આગ ચાંપી દીધી.
૩૧ તેથી યોઆબ આબ્શાલોમના ઘરે ગયો અને પૂછ્યું: “તારા સેવકોએ મારું ખેતર કેમ સળગાવી દીધું?”
૩૨ આબ્શાલોમે યોઆબને જવાબ આપ્યો: “મેં તને સંદેશો મોકલ્યો હતો કે ‘અહીં આવ, જેથી હું તને રાજા પાસે આ પૂછવા મોકલું: “હું ગશૂરથી અહીં શું કામ આવ્યો છું?+ સારું થાત કે હું ગશૂરમાં જ રહ્યો હોત. મને રાજા આગળ જવાની રજા મેળવી આપ. જો મેં કોઈ ગુનો કર્યો હોય, તો રાજા પોતે મને મોતને ઘાટ ઉતારે.”’”
૩૩ યોઆબે રાજા પાસે જઈને બધી વાત કરી. રાજાએ આબ્શાલોમને બોલાવ્યો અને તે રાજા પાસે આવ્યો. તે રાજા આગળ ઘૂંટણિયે પડ્યો અને જમીન સુધી માથું નમાવીને પ્રણામ કર્યા. રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું.+
ફૂટનોટ
^ અથવા, “અંગારાની માંડ માંડ સળગતી આગ.”
^ મૂળ, “યહોવાના જીવના સમ.”
^ અથવા “તમે જે જણાવ્યું એનાથી કોઈ જમણે કે ડાબે જઈ ન શકે.”
^ આ કદાચ રાજાના મહેલમાં રાખવામાં આવતાં તોલમાપ હોય અથવા “રાજાનાં” તોલમાપ હોય, જે સામાન્ય શેકેલથી અલગ હતાં.
^ આશરે ૨.૩ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.