બીજો શમુએલ ૧૭:૧-૨૯

  • હૂશાય અહીથોફેલની સલાહ નિષ્ફળ બનાવે છે (૧-૧૪)

  • દાઉદને ચેતવણી આપવામાં આવી, તે આબ્શાલોમના હાથમાંથી છટકી ગયો (૧૫-૨૯)

    • બાર્ઝિલ્લાય અને બીજા લોકો ચીજવસ્તુઓ લાવ્યા (૨૭-૨૯)

૧૭  અહીથોફેલે આબ્શાલોમને કહ્યું: “મહેરબાની કરીને મને ૧૨,૦૦૦ માણસો પસંદ કરવા દો, જેથી આજે રાતે હું દાઉદનો પીછો કરું. ૨  તે થાકેલો અને કમજોર હશે ત્યારે,+ હું તેના પર અચાનક હુમલો કરીશ. તે ગભરાઈ જશે અને તેની સાથેના લોકો નાસી છૂટશે. હું ફક્ત રાજાને મારી નાખીશ.+ ૩  હું બધા લોકોને તમારી પાસે પાછા લાવીશ. જે માણસને તમે શોધો છો તેનો કાંટો કાઢી નાખીએ. પછી બધા તમારી પાસે પાછા આવશે અને તમારી પ્રજા સુખચેનથી રહેશે.” ૪  આ વાત આબ્શાલોમ અને ઇઝરાયેલના સર્વ વડીલોને સારી લાગી. ૫  જોકે આબ્શાલોમે કહ્યું: “હૂશાય+ આર્કીને પણ બોલાવો. આપણે સાંભળીએ તો ખરા કે તેનું શું કહેવું છે.” ૬  એટલે હૂશાય તેની પાસે આવ્યો. આબ્શાલોમે તેને કહ્યું: “અહીથોફેલે આવી સલાહ આપી છે. શું આપણે એ પ્રમાણે કરવું જોઈએ? જો ના, તો તું સલાહ આપ.” ૭  એ સાંભળીને હૂશાયે આબ્શાલોમને કહ્યું: “આ વખતે અહીથોફેલની સલાહ સારી નથી!”+ ૮  હૂશાયે આગળ જણાવ્યું: “તમે સારી રીતે જાણો છો કે તમારા પિતા અને તેમના માણસો શક્તિશાળી છે.+ તેઓના મન કડવાશથી ભરેલા* છે અને તેઓ એવી રીંછણ જેવા છે, જેનાં બચ્ચાં ખેતરમાં ખોવાઈ ગયાં હોય.+ તમારા પિતા શૂરવીર છે+ અને રાતે લોકો સાથે તે રહેશે નહિ. ૯  અત્યારે દાઉદ કોઈ ગુફામાં* કે બીજી કોઈ જગ્યાએ સંતાયા હશે.+ જો દાઉદ આપણા પર પહેલા હુમલો કરશે તો એ વિશે સાંભળનારા કહેશે કે ‘આબ્શાલોમ અને તેના માણસોએ હાર ખાધી!’ ૧૦  એ સાંભળીને સિંહ જેવો+ બહાદુર માણસ* પણ ભયથી થથરી ઊઠશે. બધા ઇઝરાયેલીઓ જાણે છે કે તમારા પિતા શૂરવીર યોદ્ધા છે+ અને તેમની સાથેના માણસો પણ બળવાન છે. ૧૧  મારી તો આ સલાહ છે: દાનથી બેર-શેબા+ સુધીના બધા ઇઝરાયેલીઓ, એટલે કે દરિયાની રેતીના કણ જેટલા+ લોકો તમારી આગળ ભેગા થાય. તમે પોતે તેઓને યુદ્ધમાં લઈ જાઓ. ૧૨  દાઉદ જ્યાં પણ હશે ત્યાં આપણે તેમના પર હુમલો કરીશું. જેમ ઝાકળ જમીન પર પડે, તેમ આપણે તેમના પર તૂટી પડીશું. તે અથવા તેમના માણસો, કોઈ પણ બચી નહિ શકે. ૧૩  જો તે શહેરમાં સંતાઈ જશે, તો બધા ઇઝરાયેલીઓ એ શહેર પાસે દોરડાં લઈને પહોંચી જશે. આપણે એ શહેરને ખેંચીને ખીણમાં એવું ફેંકી દઈશું કે એની એક કાંકરી પણ નહિ મળે.” ૧૪  આબ્શાલોમ અને ઇઝરાયેલના બધા માણસોએ કહ્યું: “હૂશાય આર્કીની સલાહ અહીથોફેલની સલાહ કરતાં વધારે સારી છે!”+ યહોવાએ અહીથોફેલની સારી સલાહને ધૂળમાં મેળવવાનું નક્કી કર્યું હતું,*+ જેથી આબ્શાલોમ પર યહોવા આફત લાવે.+ ૧૫  હૂશાયે સાદોક અને અબ્યાથાર+ યાજકોને કહ્યું: “અહીથોફેલે આબ્શાલોમને અને ઇઝરાયેલના વડીલોને આવી સલાહ આપી છે. પણ મેં તેઓને આવી સલાહ આપી છે. ૧૬  હવે જલદી આ સંદેશો મોકલીને દાઉદને ચેતવણી આપો: ‘તમે આજે રાતે વેરાન પ્રદેશમાં યર્દન નદીના ઘાટ* પાસે ન રહેતા. જરાય મોડું કર્યા વગર પેલે પાર જતા રહો, નહિ તો રાજા અને બધા લોકોનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.’”+ ૧૭  યોનાથાન+ અને અહીમાઆસ+ એન-રોગેલ+ પાસે રહેતા હતા, કેમ કે તેઓ કોઈની નજરે ચઢવા માંગતા ન હતા. એટલે એક દાસીએ જઈને તેઓને સંદેશો આપ્યો. પછી તેઓ દાઉદ રાજાને ખબર આપવા ગયા. ૧૮  જોકે એક યુવાન તેઓને જોઈ ગયો અને આબ્શાલોમને એ જણાવી દીધું. એટલે યોનાથાન અને અહીમાઆસ ઉતાવળે બાહૂરીમમાં+ એક માણસને ઘરે આવ્યા, જેના ઘરને આંગણે એક કૂવો હતો. તેઓ કૂવામાં ઊતરી ગયા. ૧૯  એ માણસની પત્નીએ ઢાંકણથી કૂવાને ઢાંકી દીધો અને ખાંડેલું અનાજ એના પર પાથરી દીધું. કોઈને કશી જાણ થઈ નહિ. ૨૦  આબ્શાલોમના સેવકોએ પેલી સ્ત્રીના ઘરે આવીને તેને પૂછ્યું: “અહીમાઆસ અને યોનાથાન ક્યાં છે?” સ્ત્રીએ જવાબ આપ્યો: “તેઓ અહીંથી નદી તરફ ચાલ્યા ગયા.”+ આબ્શાલોમના સેવકોએ તેઓની શોધ કરી પણ તેઓ મળ્યા નહિ. એટલે એ સેવકો યરૂશાલેમ પાછા ફર્યા. ૨૧  એ સેવકોના ગયા પછી, અહીમાઆસ અને યોનાથાન કૂવામાંથી બહાર આવ્યા. તેઓ રાજા દાઉદને ખબર આપવા ચાલી નીકળ્યા. તેઓએ દાઉદને કહ્યું: “ઊઠો, જલદીથી નદી પાર કરી જાઓ, કેમ કે અહીથોફેલે તમારી વિરુદ્ધ આવી સલાહ આપી છે.”+ ૨૨  દાઉદ અને તેની સાથેના બધા લોકો તરત જ ઊઠ્યા અને યર્દન નદી પાર કરી. સવાર થતાં સુધીમાં તો બધા યર્દનને પેલે પાર પહોંચી ગયા હતા. ૨૩  જ્યારે અહીથોફેલે જોયું કે તેની સલાહ પ્રમાણે થયું નથી, ત્યારે તે ગધેડા પર સવાર થઈને પોતાના વતન આવ્યો.+ તેણે પોતાના ઘરનાઓને જરૂરી સલાહ-સૂચનો આપ્યાં+ અને ગળે ફાંસો ખાઈ લીધો.+ આમ તેનું મરણ થયું અને તેના કુટુંબની કબરમાં તેને દફનાવવામાં આવ્યો. ૨૪  એ દરમિયાન દાઉદ માહનાઈમ+ ગયો. આબ્શાલોમે ઇઝરાયેલના બધા માણસો સાથે યર્દન નદી પાર કરી. ૨૫  આબ્શાલોમે યોઆબની જગ્યાએ અમાસાને+ સેનાપતિ બનાવ્યો.+ અમાસા ઇઝરાયેલના યિથ્રા અને અબીગાઈલનો+ દીકરો હતો. અબીગાઈલ નાહાશની દીકરી અને યોઆબની મા સરૂયાની બહેન હતી. ૨૬  આબ્શાલોમ અને ઇઝરાયેલના માણસોએ ગિલયાદ+ દેશમાં છાવણી નાખી. ૨૭  દાઉદ માહનાઈમ પહોંચ્યો કે તરત તેને આમ્મોનીઓના રાબ્બાહથી+ નાહાશનો દીકરો શોબી, લો-દબારથી આમ્મીએલનો દીકરો માખીર+ અને રોગલીમથી ગિલયાદી બાર્ઝિલ્લાય+ મળ્યા. ૨૮  તેઓ પોતાની સાથે પથારીઓ, વાસણો, હાંલ્લાં, ઘઉં, જવ, લોટ, પોંક, વાલ, કઠોળ, શેકેલું અનાજ, ૨૯  મધ, માખણ, ઘેટાં અને પનીર* લાવ્યા હતા. તેઓ આ બધું દાઉદ અને તેની સાથેના લોકો માટે લાવ્યા હતા.+ તેઓએ વિચાર્યું કે “વેરાન પ્રદેશમાં લોકો ભૂખ્યા-તરસ્યા અને થાકેલા હશે.”+

ફૂટનોટ

અથવા, “ખીજવાયેલા.”
અથવા, “ખાડાઓમાં; સાંકડી ખીણોમાં.”
મૂળ, “જેનું હૃદય સિંહના હૃદય જેવું છે તે.”
અથવા, “આજ્ઞા આપી હતી.”
અથવા કદાચ, “ઉજ્જડ પ્રદેશ.”
મૂળ, “ગાયનું દહીં.”