સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”

“ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”

“તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.”—યાકૂ. ૧:૪.

ગીતો: ૨૪, ૩૨

૧, ૨. (ક) ગિદઓન અને તેમના માણસોએ બતાવેલી ધીરજમાંથી આપણે શું શીખી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) લુક ૨૧:૧૯ના શબ્દો પ્રમાણે ધીરજ રાખવી શા માટે ખૂબ જરૂરી છે?

આ દૃશ્યની કલ્પના કરો. ન્યાયાધીશ ગિદઓનની આગેવાની હેઠળ ઈસ્રાએલીઓ દુશ્મનો સામે લડી રહ્યા છે. તેઓની એ લડાઈ મુશ્કેલ અને થકવી નાખનારી છે. ગિદઓન અને તેમના માણસો આખી રાત મિદ્યાનીઓ અને તેમના સાથીદારો સાથે લડતા રહ્યા. તેઓએ દુશ્મનોનો પીછો કરીને તેઓને આશરે ૩૨ કિલોમીટર દૂર નસાડી મૂક્યા. પછી શું થયું હતું એ વિશે બાઇબલ આમ જણાવે છે: ‘ગિદઓન યરદન આગળ આવ્યા અને તે તથા તેમની સાથેના ૩૦૦ માણસો પાર ઊતર્યા. તેઓ થાકી ગયા હતા.’ જોકે, તેઓ હજી એ લડાઈ જીત્યા ન હતા. તેઓએ આશરે ૧૫,૦૦૦ સૈનિકો સામે હજી લડવાનું હતું. એ દુશ્મન રાષ્ટ્રોએ વર્ષો સુધી ઈસ્રાએલીઓને હેરાન કર્યા હતા. એટલે, ગિદઓન અને તેમના માણસો હથિયાર હેઠાં મૂકી શકતાં ન હતાં. ગિદઓન અને તેમના માણસો દુશ્મનોનો પીછો કરતા રહ્યા અને છેવટે તેઓએ દુશ્મનો પર જીત મેળવી!—ન્યા. ૭:૨૨; ૮:૪, ૧૦, ૨૮.

આપણે પણ એક મુશ્કેલ અને થકવી નાખનાર લડાઈ લડી રહ્યા છીએ. આપણા દુશ્મનો કોણ છે? શેતાન, તેની દુનિયા અને આપણું પાપી વલણ. આપણામાંના ઘણાં ભાઈ-બહેનો વર્ષોથી એ દુશ્મનો સામે લડતાં આવ્યાં છે. યહોવાની મદદથી આપણે ઘણી લડાઈઓ જીત્યા છીએ. જોકે, હજીયે આપણે અંતિમ લડાઈ જીતવાની બાકી છે. પણ, ઘણી વાર આપણે લડતાં લડતાં થાકી જઈએ. અથવા આ દુષ્ટ દુનિયાના અંતની રાહ જોતાં જોતાં આપણી ધીરજ ખૂટી જાય. ઈસુએ આપણને ચેતવણી આપી હતી કે છેલ્લા દિવસોમાં આપણા પર આકરી સતાવણી અને કસોટીઓ આવશે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે જો આપણે ધીરજ રાખીને સહન કરીશું, તો ચોક્કસ જીતીશું. (લુક ૨૧:૧૯ વાંચો.) પણ, ધીરજનો અર્થ શું થાય? અને ધીરજથી સહન કરવા આપણને શું મદદ કરશે? જેઓ ધીરજ રાખીને જીત્યા છે તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ? આપણે કઈ રીતે “ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા” દઈ શકીએ?—યાકૂ. ૧:૪.

ધીરજનો અર્થ શું થાય?

૩. ધીરજનો અર્થ શું થાય?

બાઇબલમાં વપરાયેલા ધીરજ શબ્દના અર્થમાં સહન કરવા કે મુશ્કેલીઓમાં ટકી રહેવા ઉપરાંત પણ કંઈક સમાયેલું છે. એમાં આપણા પર આવતી કસોટીઓ વિશે આપણને કેવું લાગે છે એનો પણ સમાવેશ થાય છે. ધીરજનો ગુણ આપણને હિંમતવાન, વિશ્વાસુ અને સહનશીલ બનવા મદદ કરે છે. એક પુસ્તક પ્રમાણે ધીરજ એવો ગુણ છે, જે આપણને દૃઢ આશા રાખવા અને કસોટીઓમાં હારી ન જવા મદદ કરે છે. એટલું જ નહિ, આકરી કસોટીઓમાં પણ મક્કમ અને અડગ રહીને એના પર જીત મેળવવા મદદ કરે છે. તેમ જ, આપણાં દુઃખો પર નહિ, પણ આપણા ધ્યેયો પર લક્ષ રાખવા મદદ કરે છે.

૪. શા માટે કહી શકાય કે પ્રેમ આપણને ધીરજ ધરવા મદદ કરે છે?

પ્રેમ આપણને ધીરજ ધરવા કે સહનશીલ બનવા ઉત્તેજન આપે છે. (૧ કોરીંથી ૧૩:૪, વાંચો.) જીવનનાં કયાં પાસાંમાં? યહોવા માટેનો પ્રેમ આપણને એ બધું સહન કરવા પ્રેરે છે, જે તેમણે ચાલવા દીધું છે. (લુક ૨૨:૪૧, ૪૨) ભાઈ-બહેનો પરનો પ્રેમ આપણને તેઓની ભૂલો સહન કરવા મદદ કરે છે. (૧ પીત. ૪:૮) હવે લગ્નજીવનનો વિચાર કરો. બધાનાં લગ્નજીવનમાં ‘દુઃખો’ તો આવે છે. અરે, સુખી લગ્નજીવન માણતાં યુગલો પણ એમાંથી બાકાત નથી. જોકે, લગ્નસાથી માટેનો પ્રેમ એ દુઃખો સહન કરવાં અને લગ્નજીવનને મજબૂત બનાવવા મદદ કરે છે.—૧ કોરીં. ૭:૨૮.

ધીરજથી સહન કરવા આપણને શું મદદ કરશે?

૫. સહનશક્તિ આપવા શા માટે યહોવા જ સૌથી યોગ્ય છે?

યહોવા પાસે સહનશક્તિ માંગો. યહોવા ‘ધીરજ તથા દિલાસો આપનાર’ છે. (રોમ. ૧૫:૬) ફક્ત તે જ આપણાં સંજોગો, લાગણીઓ અને આપણો ઉછેર પૂરેપૂરી રીતે સમજે છે. તેથી, તેમને બરોબર ખબર છે કે ધીરજથી સહન કરવા આપણને શાની જરૂર છે. બાઇબલ જણાવે છે કે, ‘યહોવા પોતાના ભક્તોની ઇચ્છા તૃપ્ત કરે છે; તેઓનો પોકાર પણ સાંભળે છે અને તેઓને તારે છે.’ (ગીત. ૧૪૫:૧૯) પરંતુ, સહનશક્તિ માટે કરેલી પ્રાર્થનાનો જવાબ યહોવા કઈ રીતે આપશે?

૬. યહોવા પોતાના વચન પ્રમાણે કઈ રીતે કસોટીઓમાંથી “છૂટકાનો માર્ગ” રાખે છે?

પહેલો કોરીંથી ૧૦:૧૩ વાંચો. કસોટીઓ સહેવા યહોવા પાસે મદદ માંગીએ છીએ ત્યારે, તેમણે આપેલા વચન પ્રમાણે તે “છૂટકાનો માર્ગ” રાખે છે. તે કઈ રીતે એમ કરે છે? અમુક વાર તે કસોટીઓ દૂર કરી દે છે. પરંતુ, મોટા ભાગના કિસ્સાઓમાં તે ‘આનંદસહિત પૂરી ધીરજથી’ સહન કરવા આપણને શક્તિ આપે છે. (કોલો. ૧:૧૧) યહોવાને ખબર છે કે આપણે શારીરિક, માનસિક અને લાગણીમય રીતે કેટલું સહન કરી શકીએ છીએ. તેથી, તે કદીયે એવા અઘરા સંજોગો ઊભા નહિ થવા દે, જેમાં આપણે વફાદારી જાળવી ન શકીએ.

૭. ઉદાહરણ આપીને સમજાવો કે શા માટે ઈશ્વર પાસેથી મળતો ખોરાક લેતા રહેવાની જરૂર છે.

શ્રદ્ધાને મક્કમ કરવા ઈશ્વર પાસેથી મળતો ખોરાક લેતા રહો. એવો ખોરાક લેવો શા માટે જરૂરી છે? આ ઉદાહરણનો વિચાર કરો: એવરેસ્ટ પર્વત પર ચઢનાર વ્યક્તિને ઘણી તાકાતની જરૂર પડે છે. એ માટે તેણે ચાર દિવસના ખોરાકમાંથી જેટલી શક્તિ મળે, એટલી શક્તિ આપતો ખોરાક એક દિવસમાં લેવો પડે છે. વ્યક્તિની સરેરાશ જરૂરિયાત કરતાં એ ઘણો વધારે કહેવાય. પરંતુ એમ કરવું બહુ જરૂરી છે, જેથી શિખર સુધી પહોંચવાનો પોતાનો ધ્યેય તે પૂરો કરી શકે. એવી જ રીતે, ધીરજ રાખવા અને પોતાનો ધ્યેય પૂરો કરવા, ઈશ્વર પાસેથી મળતો પુષ્કળ ખોરાક લેતા રહેવાની જરૂર છે. એ માટે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ કરવા સમય કાઢીએ અને નિયમિત રીતે સભાઓમાં જઈએ. આ બધું કરીશું તો, શ્રદ્ધા મક્કમ બનાવવા આપણને મદદ મળશે.—યોહા. ૬:૨૭.

૮, ૯. (ક) અયૂબ ૨:૪, ૫ પ્રમાણે આપણી કસોટીઓ સાથે શું જોડાયેલું છે? (ખ) કસોટીઓ સહેતી વખતે તમે કયા દૃશ્યની કલ્પના કરી શકો?

યહોવા પ્રત્યેની તમારી વફાદારી યાદ રાખો. કસોટી આવે છે ત્યારે આપણે સહેવું પડે છે. પરંતુ, યાદ રાખો કે એ કસોટીઓમાં બીજું ઘણું સમાયેલું છે. દરેક કસોટી વખતે યહોવા પ્રત્યેની આપણી વફાદારીની પરખ થાય છે. કસોટીઓ પ્રત્યેનું આપણું વલણ બતાવશે કે આપણે યહોવાને વિશ્વના માલિક તરીકે સ્વીકારીએ છીએ કે કેમ. કઈ રીતે? યહોવાના દુશ્મન શેતાને તેમના રાજ કરવાના હક સામે બળવો કર્યો હતો. તેણે એવો આરોપ મૂકીને યહોવાનું અપમાન કર્યું કે ઈશ્વરભક્તો સ્વાર્થ ખાતર યહોવાની ભક્તિ કરે છે. તેણે કહ્યું હતું કે, “માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” અયૂબના કિસ્સામાં શેતાને યહોવાને આમ કહ્યું હતું કે, “તારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચઢીને તને શાપ દેશે.” (અયૂ. ૨:૪, ૫) શું શેતાન જરા પણ બદલાયો છે? જરાય નહિ! વર્ષો પછી જ્યારે તેને પૃથ્વી પર નાંખી દેવામાં આવ્યો, ત્યારે પણ તે વિશ્વાસુ ભક્તો પર સતત આરોપ મૂકતો હતો. (પ્રકટી. ૧૨:૧૦) આજે પણ તે આરોપ મૂકે છે કે મનુષ્યો સ્વાર્થ ખાતર ઈશ્વરની ભક્તિ કરે છે. આપણે ઈશ્વરના રાજ કરવાના હકને નકારીએ અને તેમની ભક્તિ કરવાનું છોડી દઈએ, એ જોવા શેતાન તલપાપડ છે.

કસોટીઓનો સામનો કરતા હો ત્યારે, આ દૃશ્યની કલ્પના કરો: એક બાજુ શેતાન અને તેના દૂતો ઊભા છે. તમે શું કરશો એ તેઓ જોઈ રહ્યા છે. તેઓ દાવો કરે છે કે તમે હાર માની લેશો. બીજી બાજુ, યહોવા, ઈસુ ખ્રિસ્ત, સજીવન થયેલા અભિષિક્તો અને હજારોહજાર સ્વર્ગદૂતો ઊભા છે. તેઓ પણ તમને કસોટીઓ સામે લડતા જુએ છે. પરંતુ, તેઓ તમારો ઉત્સાહ વધારી રહ્યા છે. તેઓ એ જોઈને ખુશ છે કે તમે કસોટીઓ સહન કરી શકો છો અને યહોવાને વફાદાર રહી શકો છો. પછી, તમે યહોવાને આમ કહેતા સાંભળો છો: “મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદ પમાડ કે, મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.”—નીતિ. ૨૭:૧૧.

૧૦. ઈસુની જેમ તમે કઈ રીતે સહનશીલતા બદલ મળનારા ઇનામ પર નજર રાખી શકો?

૧૦ ઇનામ પર નજર રાખો. કલ્પના કરો કે તમે એક લાંબી મુસાફરીએ નીકળ્યા છો. મુસાફરી દરમિયાન તમારે એક બોગદામાંથી પસાર થવાનું છે. એમાં ચારેબાજુ અંધારું છે. પણ તમે જાણો છો કે, જો તમે મુસાફરી ચાલુ રાખશો, તો તમે ફરીથી અજવાળું જોઈ શકશો. જીવન પણ જાણે એ મુસાફરી જેવું છે. આપણે કપરા સંજોગોમાંથી પસાર થવું પડે છે. એવું લાગે કે જાણે આપણે ચિંતાથી ઘેરાયેલા છીએ. અરે, ઈસુને પણ એવું લાગ્યું હતું. તેમને વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે, તેમનું ઘણું અપમાન કરવામાં આવ્યું અને તેમણે ઘણી પીડા સહી. ચોક્કસ, એ તેમના જીવનનો સૌથી કપરો સમય હતો. એ બધું સહન કરવા તેમને શાનાથી મદદ મળી? બાઇબલ જણાવે છે કે, તેમણે ‘પોતાની આગળ મૂકેલા આનંદ’ પર નજર રાખી. (હિબ્રૂ ૧૨:૨, ૩) ઈસુએ પોતાની સહનશીલતા બદલ મળનારા ઇનામ પર પોતાનું ધ્યાન રાખ્યું. જોકે, તેમના માટે તો સૌથી મહત્ત્વનું એ હતું કે ઈશ્વરનું નામ પવિત્ર મનાય અને વિશ્વ પર રાજ કરવાનો હક તેમનો જ છે એ સાબિત થાય. તે જાણતા હતા કે પોતાના પર આવેલી કસોટીઓ ક્ષણિક છે, પણ પોતાને સ્વર્ગમાં મળનાર ઇનામ કાયમી છે. બની શકે કે, તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ અને ચિંતાઓને લીધે તમારું ભાવિ તમને અંધકારમય લાગે. પરંતુ યાદ રાખો કે એ બધું ક્ષણિક છે, આગળ ઉજ્જવળ ભાવિ રહેલું છે.

‘જેઓએ સહન કર્યું છે’

૧૧. ‘જેઓએ સહન કર્યું છે’ તેઓના દાખલા આપણે શા માટે ધ્યાનમાં લેવા જોઈએ?

૧૧ કસોટી સહન કરવામાં તમે કંઈ એકલા નથી. શેતાન તરફથી આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકે એ માટે પ્રેરિત પીતરે ખ્રિસ્તી ભાઈ-બહેનોને આમ લખ્યું: “તમે વિશ્વાસમાં દૃઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે, તે તમે જાણો છો.” (૧ પીત. ૫:૯) ‘જેઓએ સહન કર્યું છે’ તેઓના અનુભવો આપણને શીખવે છે કે કઈ રીતે વફાદાર રહેવું. (યાકૂ. ૫:૧૧) તેમ જ, આપણે સફળ થઈશું એવી ખાતરી અપાવે છે. એ યાદ અપાવે છે કે આપણી વફાદારીનું ઇનામ ચોક્કસ મળશે. ચાલો અમુક દાખલા જોઈએ. [1]

૧૨. કરૂબોના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૨ કરૂબો. દૂતોમાં તેઓનો હોદ્દો સૌથી ઊંચો છે. આદમ અને હવાએ પાપ કર્યું એ પછી યહોવાએ અમુક કરૂબોને પૃથ્વી પર એક નવી જવાબદારી સોંપી હતી. સ્વર્ગમાં તેમને મળેલી સોંપણી કરતાં એ સાવ જુદી હતી. તેમનું ઉદાહરણ આપણને શીખવે છે કે અઘરી સોંપણીમાં કઈ રીતે ધીરજ બતાવી શકીએ. બાઇબલ જણાવે છે કે, યહોવાએ ‘જીવનના વૃક્ષના માર્ગની ચોકી કરવા કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી.’ [2] (ઉત. ૩:૨૪) બાઇબલમાં ક્યાંય એમ નથી જણાવ્યું કે એ કરૂબોએ કોઈ ફરિયાદ કરી હોય. અથવા એવું અનુભવ્યું હોય કે સ્વર્ગની સરખામણીમાં આ જવાબદારી એકદમ મામૂલી છે. તેઓ કંટાળ્યા નહિ કે પોતાની સોંપણીમાંથી પાછા હઠ્યા નહિ. બની શકે કે, જળપ્રલય સુધી તેઓ પોતાના કામમાં લાગુ રહ્યા હતા. એટલે કે ૧,૬૦૦ કરતાં વધારે વર્ષો સુધી તેઓએ પૂરી વફાદારીથી પોતાની સોંપણી નિભાવી!

૧૩. આકરી કસોટીઓમાં અયૂબ કઈ રીતે ટકી શક્યા?

૧૩ વિશ્વાસુ અયૂબ. બની શકે કે, તમારા કોઈ મિત્ર કે કુટુંબના સભ્યની નિરાશાજનક વાતોથી તમને દુઃખ પહોંચ્યું છે. અથવા કદાચ તમે કોઈ ગંભીર બીમારીમાં સપડાયા છો અથવા સ્નેહીજનના મરણથી શોકમાં ડૂબેલા છો. ભલે ગમે એવા સંજોગો આવે, તમે અયૂબના દાખલામાંથી દિલાસો મેળવી શકો છો. (અયૂ. ૧:૧૮, ૧૯; ૨:૭, ૯; ૧૯:૧-૩) અયૂબને જરાય ખબર ન હતી કે તેમના પર અચાનક આટલી બધી આફતો કેમ આવી પડી. તોપણ, તે પોતાની શ્રદ્ધામાંથી ડગ્યા નહિ. ધીરજથી સહન કરવા તેમને ક્યાંથી મદદ મળી? એક તો, તે યહોવાને ખૂબ ચાહતા હતા અને તેમનું દિલ દુભાવવા માંગતા ન હતા. (અયૂ. ૧:૧) તે ફક્ત સારા સમયોમાં જ નહિ, ખરાબ સમયમાં પણ ઈશ્વરને ખુશ કરવા ચાહતા હતા. બીજું કે યહોવાએ પોતે સર્જેલી અજાયબ સૃષ્ટિ વિશે જણાવીને, અયૂબને પોતાનું સામર્થ્ય જોવા મદદ કરી. એનાથી અયૂબને પાકી ખાતરી મળી કે પોતાના પર આવેલી કસોટીઓનો યહોવા યોગ્ય સમયે અંત લાવશે. (અયૂ. ૪૨:૧, ૨) અને એવું જ થયું. બાઇબલ જણાવે છે, ‘યહોવાએ અયૂબની દુર્દશા ફેરવી નાખી; અને અગાઉ હતું તે કરતાં યહોવાએ તેમને બમણું આપ્યું. આ પ્રમાણે અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મરણ પામ્યા.’—અયૂ. ૪૨:૧૦, ૧૭.

૧૪. બીજો કોરીંથી ૧:૬ પ્રમાણે પાઊલે બતાવેલી ધીરજમાંથી કઈ રીતે બીજાઓને મદદ મળી?

૧૪ પ્રેરિત પાઊલ. શું તમે આકરા વિરોધ કે સતાવણીનો સામનો કરી રહ્યા છો? જો તમે વડીલ કે સરકીટ નિરીક્ષક હો, તો શું તમે જવાબદારીના ભારથી ચિંતામાં ડૂબી ગયા છો? જો એમ હોય, તો પ્રેરિત પાઊલનું ઉદાહરણ તમને મદદ કરી શકે. પાઊલે આકરી સતાવણીઓનો સામનો કર્યો હતો. અરે, મંડળનાં ભાઈ-બહેનોની ચિંતા તેમને હંમેશાં કોરી ખાતી હતી. (૨ કોરીં. ૧૧:૨૩-૨૯) પરંતુ, પાઊલે ધીરજથી સહન કર્યું અને તે હિંમત હાર્યા નહિ. તેમના દાખલામાંથી બીજાઓને હિંમત મળી. (૨ કોરીંથી ૧:૬ વાંચો.) એવી જ રીતે, તમારો દાખલો જોઈને બીજાઓને પણ ધીરજથી સહેવા ઉત્તેજન મળી શકે છે.

શું ધીરજ તમારામાં “પોતાનું કામ પૂરેપૂરું” કરશે?

૧૫, ૧૬. (ક) ધીરજ કઈ રીતે આપણામાં પોતાનું “કામ” પૂરું કરી શકે? (ખ) આપણે કઈ રીતે “ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા” દઈ શકીએ એ વિશેના દાખલા આપો.

૧૫ શિષ્ય યાકૂબે ઈશ્વરની પ્રેરણાથી લખ્યું: “તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ માટે, ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.” (યાકૂ. ૧:૪) ધીરજ કઈ રીતે આપણામાં પોતાનું “કામ” પૂરું કરી શકે? સતાવણી સહીએ છીએ ત્યારે, આપણે સમજી શકીએ કે આપણને કદાચ વધારે સહનશીલ, કદર કરનાર કે પ્રેમાળ બનવાની જરૂર છે. કસોટીમાં ધીરજ ધરીને આપણે એવા ગુણો વધારે સારી રીતે બતાવવાનું શીખીશું. આમ, આપણે યહોવાના વધારે સારા ભક્ત બનીશું.

સતાવણીઓ સહીએ છીએ ત્યારે, યહોવાના વધારે સારા ભક્ત બનીએ છીએ (ફકરા ૧૫, ૧૬ જુઓ)

૧૬ યહોવાના વધારે સારા ભક્ત બનીશું તો, આપણે કસોટીઓમાંથી છટકવા યહોવાનો નિયમ નહિ તોડીએ. દાખલા તરીકે, જો તમે અનૈતિક વિચારો સામે લડતા હો, તો લાલચમાં પડી જશો નહિ. ખોટા વિચારોને નકારવા યહોવાની મદદ માંગો. શું કુટુંબનો કોઈ સભ્ય તમારો વિરોધ કરે છે? એમ હોય તો, હિંમત હારશો નહિ. યહોવાની સેવા કરતા રહેવાના તમારા નિર્ણયમાં દૃઢ રહો. પરિણામે, યહોવામાં તમારો ભરોસો વધુ મજબૂત થશે. યાદ રાખો: ધીરજ વગર ઈશ્વરની મંજૂરી મેળવવી અશક્ય છે.—રોમ. ૫:૩-૫; યાકૂ. ૧:૧૨.

૧૭, ૧૮. (ક) ઉદાહરણથી બતાવો કે અંત સુધી ધીરજ બતાવવી કેમ જરૂરી છે. (ખ) અંત નજીક આવી રહ્યો છે તેમ આપણને શાની પૂરી ખાતરી છે?

૧૭ આપણે અમુક સમય સુધી જ નહિ, પણ અંત સુધી ધીરજ રાખવાની છે. ડૂબી રહેલા એક વહાણની કલ્પના કરો. યાત્રીઓએ પોતાનો જીવ બચાવવા કિનારા સુધી તરવું પડશે. જો એક વ્યક્તિ તરવાનું શરૂ કરીને તરત જ છોડી દેશે, તો તે ડૂબી જશે. એવી જ રીતે, જો એક વ્યક્તિ કિનારાની એકદમ નજીક પહોંચીને તરવાનું છોડી દેશે, તોપણ ડૂબી જશે. હવે આપણો વિચાર કરો. જો આપણે નવી દુનિયામાં જવા માંગતા હોઈએ, તો અંત સુધી ધીરજ રાખવી બહુ જરૂરી છે. ચાલો, આપણે પાઊલના જેવું વલણ બતાવીએ, જેમણે કહ્યું હતું: “અમે નાહિંમત થતા નથી.”—૨ કોરીં. ૪:૧, ૧૬.

૧૮ પાઊલની જેમ આપણને પણ પૂરી ખાતરી છે કે ધીરજ બતાવવા યહોવા ચોક્કસ મદદ કરશે. પાઊલે લખ્યું: ‘જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમની મારફતે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, એનાથી આપણને જુદા પાડી શકશે નહિ.’ (રોમ. ૮:૩૭-૩૯) ખરું કે, અમુક વાર આપણે થાકી જઈએ છીએ. પરંતુ, ચાલો આપણે ગિદઓન અને તેમના માણસોને અનુસરીએ. તેઓ થાકી ગયા હતા, તોપણ હિંમત હાર્યા નહિ. તેઓએ ‘પીછો કરવાનું છોડ્યું નહિ.’—ન્યા. ૮:૪.

^ [૧] (ફકરો ૧૧) આપણા સમયના ઈશ્વરભક્તોએ જે રીતે સતાવણીઓ સહી એમાંથી પણ આપણને ઉત્તેજન મળે છે. દાખલા તરીકે, યરબુક ૧૯૯૨, ૧૯૯૯ અને ૨૦૦૮માં ઇથોપિયા, મલાવી અને રશિયાનાં ભાઈ-બહેનોનાં ઉત્તેજન આપતા અહેવાલો આપવામાં આવ્યા છે.

^ [૨] (ફકરો ૧૨) બાઇબલ જણાવતું નથી કે કેટલા કરૂબોને એ સોંપણી આપવામાં આવી હતી.