સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો, શું તમે ભક્તિના ધ્યેયો પર મન લગાડો છો?

યુવાનો, શું તમે ભક્તિના ધ્યેયો પર મન લગાડો છો?

‘તમારાં કામો યહોવાને સોંપી દો, એટલે તમારી યોજનાઓ સફળ થશે.’—નીતિ. ૧૬:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

ગીતો: ૧૧, ૨૪

૧-૩. (ક) બધા યુવાનોએ કેવા સંજોગોનો સામનો કરવો પડે છે અને એની સરખામણી શાની સાથે કરી શકાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આવા સંજોગોમાં યુવાનોને ક્યાંથી મદદ મળી શકે?

કલ્પના કરો કે, તમે દૂરની કોઈ જગ્યાએ એક ખાસ પ્રસંગમાં જવાની તૈયારી કરી રહ્યા છો. ત્યાં જવા તમારે બસ પકડવાની છે. તમે બસ સ્ટેશન પહોંચો છો ત્યારે, ઘણા બધા લોકો અને બસો જોઈને કદાચ મૂંઝાઈ જાઓ છો. પણ, તમને ખબર છે કે તમારે ક્યાં જવાનું છે અને કઈ બસમાં બેસવાનું છે. એટલે, તમે બીજી કોઈ બસમાં નહિ બેસો, કેમ કે તમે જાણો છો કે એ ખોટી દિશામાં લઈ જશે.

જીવન પણ એક મુસાફરી જેવું છે. યુવાનો, તમે બસ સ્ટેશને ઊભેલા મુસાફર જેવા છો. અમુક વાર જીવનમાં ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે અને એમાં પસંદગી કરવાની હોય છે. એટલે, કદાચ તમે મૂંઝાઈ જઈ શકો. પણ, જો તમને ખબર હોય કે તમારે જીવનમાં કઈ મંઝિલે પહોંચવાનું છે, તો યોગ્ય પસંદગી કરવી સહેલું થઈ પડશે. તમે કઈ દિશામાં જશો?

આ લેખમાં તમને એ સવાલનો જવાબ મળશે. ઉપરાંત, યહોવાને ખુશ કરે, એવી બાબતોમાં તમારું મન લગાડવા મદદ મળશે. એટલે કે, શિક્ષણ, નોકરી, લગ્ન, બાળકો જેવા જીવનના બધા પાસામાં યહોવાની સલાહ પ્રમાણે નિર્ણય લેવા જોઈએ. એનો અર્થ એમ પણ થાય કે, ભક્તિના ધ્યેયો પૂરા કરવા મહેનત કરવી જોઈએ. એવા ધ્યેયો તમને યહોવાની નજીક જવા મદદ કરશે. જો તમે યહોવાની સેવામાં મંડ્યા રહેશો, તો ખાતરી રાખી શકો કે તમને આશીર્વાદ મળશે અને તમે જીવનમાં સફળ થશો.—નીતિવચનો ૧૬:૩ વાંચો.

શા માટે ભક્તિના ધ્યેયો રાખવા જોઈએ?

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ભક્તિના ધ્યેયો રાખવા સારું કહેવાય! એ સાબિત કરતા ત્રણ કારણોની આપણે ચર્ચા કરીશું. પહેલું અને બીજું કારણ એ જોવા મદદ કરશે કે ભક્તિના ધ્યેયો સુધી પહોંચવા મહેનત કરશો તો, એનાથી તમે યહોવાના વધુ સારા મિત્ર બની શકશો. ત્રીજું કારણ જણાવશે કે યુવાનીમાં આવા ધ્યેયો રાખવા શા માટે ફાયદાકારક છે.

૫. ભક્તિના ધ્યેયો રાખવાનું સૌથી મહત્ત્વનું કારણ શું છે?

ભક્તિના ધ્યેયો રાખવાનું સૌથી મહત્ત્વનું કારણ શું છે? યહોવાએ બતાવેલા પ્રેમ અને તેમણે આપણા માટે જે કર્યું છે, એના આપણે આભારી છીએ. એક ગીતના લેખકે કહ્યું: ‘યહોવાની ઉપકારસ્તુતિ કરવી, એ સારું છે. કેમ કે, હે યહોવા, તમે તમારાં કાર્યોથી મને આનંદ પમાડ્યો છે; તમારા હાથે કરેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.’ (ગીત. ૯૨:૧,) યહોવાએ આપેલી બધી બાબતોનો વિચાર કરો: તમારું જીવન, તમારી શ્રદ્ધા, બાઇબલ, મંડળ અને સુંદર પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા. ભક્તિના ધ્યેયો રાખવાથી યહોવાને બતાવી શકો છો કે આ બધી બાબતો માટે તમે કેટલા આભારી છો. વધુમાં, તમે યહોવાની વધારે નજીક જઈ શકો છો.

૬. (ક) ભક્તિના ધ્યેયોની યહોવા સાથેના તમારા સંબંધ પર કેવી અસર પડી શકે? (ખ) યુવાનીમાં તમે કયા ધ્યેયો રાખી શકો?

ભક્તિના ધ્યેયો રાખવાનું બીજું કારણ કયું છે? ધ્યેયો પૂરા કરવા મહેનત કરીને તમે યહોવાની કૃપા મેળવો છો. એનાથી તેમની વધુ નજીક જઈ શકો છો. પ્રેરિત પાઊલે વચન આપ્યું હતું કે, “ઈશ્વર અન્યાયી નથી કે તે તમારાં કામોને અને પ્રેમને ભૂલી જાય. એ પ્રેમ જે તમે તેમના નામ માટે બતાવ્યો છે.” (હિબ્રૂ. ૬:૧૦) ક્યારેય એવું ન વિચારશો કે ઉંમર ઓછી હોય તો ધ્યેયો ન રાખી શકાય. દાખલા તરીકે, ક્રિસ્ટીન ૧૦ વર્ષની હતી ત્યારે, તેણે નક્કી કર્યું હતું કે વફાદાર ઈશ્વરભક્તોની જીવન સફર તે નિયમિત રીતે વાંચશે. ટોબી ૧૨ વર્ષનો હતો ત્યારે, તેણે બાપ્તિસ્મા પહેલાં આખું બાઇબલ વાંચવાનો ધ્યેય બાંધ્યો હતો. મેક્સિમ ૧૧ વર્ષનો હતો ત્યારે, તેણે બાપ્તિસ્મા લીધું અને તેની બહેન નોએમીએ ૧૦ વર્ષે. બંને ભાઈ-બહેને બેથેલમાં જઈને સેવા આપવાનો ધ્યેય રાખ્યો. એ ધ્યેય હંમેશાં ધ્યાનમાં રાખી શકે માટે તેઓએ બેથેલના ફૉર્મને ઘરની દીવાલ પર લગાવ્યું હતું. તમારા વિશે શું? શું તમે અમુક ધ્યેયો રાખી શકો અને એને પૂરા કરવા મહેનત કરી શકો?—ફિલિપીઓ ૧:૧૦, ૧૧ વાંચો.

૭, ૮. (ક) ધ્યેયો રાખવાથી નિર્ણયો લેવા કઈ રીતે સહેલા બને છે? (ખ) શા માટે દામરિસે યુનિવર્સિટીમાં ન જવાનું નક્કી કર્યું?

યુવાનીમાં ધ્યેયો રાખવાનું ત્રીજું કારણ શું છે? એક યુવાન તરીકે, તમારે ઘણા નિર્ણયો લેવાના છે. જેમ કે, તમારે નક્કી કરવાનું છે કે તમે કેવું ભણતર કે કેવી નોકરી પસંદ કરશો. વિચાર કરો કે, તમે ચાર રસ્તે ઊભા છો અને તમારે રસ્તાની પસંદગી કરવાની છે. જો તમને ખબર હશે કે ક્યાં જવાનું છે તો, રસ્તાની પસંદગી કરવી સહેલું થશે. એવી જ રીતે, જીવનમાં તમારા ધ્યેયો જાણતા હશો તો, નિર્ણય લેવો સહેલું થઈ પડશે. નીતિવચનો ૨૧:૫ જણાવે છે: “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.” તમે સારા ધ્યેયો રાખવાની યોજના જેટલી જલદી બનાવશો, એટલી જલદી તમને સફળતા મળશે. ચાલો, દામરિસનો વિચાર કરીએ. નાની ઉંમરે એક મહત્ત્વનો નિર્ણય લેવાનો થયો ત્યારે, તેને કેવું લાગ્યું એ વિશે જોઈએ.

સ્કૂલના છેલ્લા વર્ષે દામરિસના ઘણા સારા માર્ક્સ આવ્યા હતા. તે કાયદાના શિક્ષણ માટે યુનિવર્સિટીમાં જઈ શકી હોત, જ્યાં તેણે ફી પણ ભરવાની ન હતી. એને બદલે, તેણે બૅન્કમાં કામ કરવાનું નક્કી કર્યું. શા માટે? કારણ કે નાની હતી ત્યારથી જ તેણે પાયોનિયર બનવાનો ધ્યેય રાખ્યો હતો. તે જણાવે છે: ‘એનો અર્થ થાય કે ધ્યેય પૂરો કરવા મારે પાર્ટ-ટાઇમ નોકરી કરવી પડે. યુનિવર્સિટીમાં કાયદાનું ભણ્યા પછી, હું ઢગલાબંધ પૈસા કમાઈ શકી હોત. પરંતુ, એનાથી પાયોનિયરીંગ કરી શકું એવી પાર્ટ-ટાઇમ નોકરી સહેલાઈથી શોધી શકી ન હોત.’ દામરિસ ૨૦ વર્ષથી પાયોનિયર તરીકે સેવા આપી રહી છે. પોતાના નિર્ણય વિશે શું તેને કોઈ અફસોસ છે? ના, જરાય નહિ. તેની બૅન્કમાં ઘણા વકીલો આવે છે. તે કહે છે કે એમાંના ઘણા પોતાની નોકરીથી ખુશ નથી. દામરિસને લાગે છે કે વર્ષોથી પાયોનિયરીંગ કરવાને લીધે તેને અપાર ખુશી મળી છે અને પેલા વકીલોની જેમ તે દુઃખી નથી.

૯. શા માટે યુવાનો પર આપણને ગર્વ છે?

આખી દુનિયામાં આપણા હજારો યુવાનો યહોવાની સેવામાં ઘણી મહેનત કરી રહ્યા છે. તેઓના વખાણ કરીએ એટલા ઓછા છે! તેઓના જીવનમાં યહોવા અને ભક્તિના ધ્યેયો સૌથી મહત્ત્વના છે. સાચે જ, આ યુવાનો પોતાના જીવનનો આનંદ માણી રહ્યા છે. એટલું જ નહિ, તેઓ શિક્ષણ, નોકરી અને કુટુંબ જેવા જીવનના દરેક પાસામાં યહોવાનું માર્ગદર્શન લાગુ પાડવાનું પણ શીખી રહ્યા છે. એ વિશે સુલેમાને કહ્યું હતું: ‘તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.’ (નીતિ. ૩:૫, ૬) યુવાનો, યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે! યહોવાની નજરે તમે અનમોલ છો. તે તમને રક્ષણ, માર્ગદર્શન અને આશીર્વાદો આપશે.

બીજાઓને સાક્ષી આપવા અગાઉથી તૈયારી કરો

૧૦. (ક) પ્રચારકામ આપણા માટે કેમ મહત્ત્વનું હોવું જોઈએ? (ખ) તમે કઈ રીતે તમારી માન્યતાને સારી રીતે સમજાવી શકો?

૧૦ યહોવાને ખુશ કરવામાં તમારું મન લગાડો છો, ત્યારે બીજાઓને યહોવા વિશે જણાવવા તમે દિલથી પ્રેરાશો. ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે “પહેલા ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.” (માર્ક ૧૩:૧૦) એટલે, પ્રચારકામ ઘણું તાકીદનું છે. યુવાનો, શું તમે વધારે પ્રચાર કરવાનો ધ્યેય રાખી શકો? શું તમે પાયોનિયર બની શકો? આપણા જીવનમાં પ્રચારકામ સૌથી મહત્ત્વની બાબતોમાંનું એક હોવું જોઈએ. પણ જો તમને પ્રચારમાં મજા ન આવતી હોય કે પોતાની માન્યતાને સારી રીતે સમજાવી ન શકતા હો, તો શું? આ બે બાબતો તમને મદદ કરશે: સારી તૈયારી કરો અને યહોવા વિશે તમે જે જાણો છો, એ વિશે બીજાઓને જણાવવામાં હિંમત હારશો નહિ. પછી, તમને પ્રચારમાં એટલી મજા આવશે, જેની તમે કલ્પના પણ નહિ કરી હોય.

બીજાઓને યહોવા વિશે જણાવવા તમે કેવી તૈયારી કરો છો? (ફકરા ૧૧, ૧૨ જુઓ)

૧૧, ૧૨. (ક) બીજાઓને યહોવા વિશે જણાવવા તમે કેવી તૈયારી કરી શકો? (ખ) એક યુવાન ભાઈએ યહોવા વિશે વાત કરવાની તક કઈ રીતે ઝડપી લીધી?

૧૧ તમે એવા સવાલોના જવાબ તૈયાર કરી શકો, જે કદાચ તમારી સાથે ભણનારા તમને પૂછી શકે. દાખલા તરીકે, “તમે શા માટે ઈશ્વરમાં માનો છો?” આ સવાલનો જવાબ આપવા મદદ મળે, એ માટે આપણી વેબસાઈટ jw.org પર ઘણા લેખો છે. આપણી વેબસાઇટ પર “બાઇબલ ટીચિંગ્સ”ના “ટીનેજર્સ” વિભાગમાં તમને એક વર્કશીટ જોવા મળશે: “વ્હાય ડુ આઇ બિલિવ ઇન ગોડ?” આ વર્કશીટ તમને પોતાનો જવાબ તૈયાર કરવા મદદ કરશે. તમને આ ત્રણ બાઇબલ કલમો જોવા મળશે, જે તમે વાપરી શકો: હિબ્રૂઓ ૩:૪, રોમનો ૧:૨૦ અને ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪. એમાં બીજી ઘણી વર્કશીટ છે, જેની મદદથી તમે બીજા ઘણા સવાલોના જવાબો તૈયાર કરી શકો.—૧ પીતર ૩:૧૫ વાંચો.

૧૨ સાથે ભણનારાને તમે જણાવી શકો કે તેઓ jw.orgનો ઉપયોગ કરી શકે. લુકાએ પણ એમ જ કર્યું હતું. તેના ક્લાસમાં અલગ અલગ ધર્મો વિશે વાતચીત ચાલી રહી હતી. લુકાના ધ્યાનમાં આવ્યું કે પાઠ્યપુસ્તકમાં યહોવાના સાક્ષીઓ વિશે ખોટી બાબતો લખવામાં આવી હતી. લુકા થોડો અચકાયો તેમ છતાં, તેણે શિક્ષક પાસે પરવાનગી માંગી કે પાઠ્યપુસ્તકમાં લખેલી વાત ખોટી છે એ શું તે ક્લાસને સમજાવી શકે. શિક્ષકે તેને પોતાની માન્યતા વિશે જણાવવાની છૂટ આપી. લુકાએ આખા ક્લાસને આપણી વેબસાઇટ બતાવી. હોમવર્ક તરીકે શિક્ષકે બધાને આ વીડિયો જોવાનું કહ્યું: હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો. જરા કલ્પના કરો કે, યહોવા વિશે બીજાઓને જણાવવાથી લુકાને કેટલી ખુશી થઈ હશે!

૧૩. શા માટે મુશ્કેલીઓનો સામનો કરીએ ત્યારે આપણે હિંમત હારવી ન જોઈએ?

૧૩ તમે તકલીફોનો સામનો કરો ત્યારે, નિરાશ ન થાઓ પણ ધ્યેયને પૂરો કરવા મહેનત કરતા રહો. (૨ તિમો. ૪:૨) ચાલો, કૅથરીનાનો દાખલો જોઈએ. તે ૧૭ વર્ષની હતી ત્યારે, તેણે પોતાની સાથે કામ કરનાર દરેકને પ્રચાર કરવાનો ધ્યેય બાંધ્યો. એમાંના એકે તેનું ઘણી વાર અપમાન કર્યું. પણ તેણે પોતાના ધ્યેય માટે મહેનત કરવાનું છોડ્યું નહિ. તેના સારા વર્તનથી સાથે કામ કરનાર હેન્સ ઘણો પ્રભાવિત થયો. હેન્સે આપણાં સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું, બાઇબલનો અભ્યાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું. એ વિશે કૅથરીના જાણતી ન હતી, કેમ કે તેણે એ નોકરી છોડી દીધી હતી. એ વાતને ૧૩ વર્ષ થઈ ગયાં હતાં. એક વાર તે પોતાના કુટુંબ સાથે સભામાં ગઈ હતી, ત્યારે તેણે જોયું કે બીજા મંડળમાંથી જાહેર પ્રવચન આપવા એક ભાઈ આવ્યા છે. એ બીજું કોઈ નહિ પણ હેન્સ હતા. તેને ઘણી ખુશી થાય છે કે, સાથે કામ કરનારાઓને પ્રચાર કરવાનો ધ્યેય તેણે છોડ્યો ન હતો.

તમારા ધ્યેયોને ભૂલશો નહિ

૧૪, ૧૫. (ક) મિત્રો દબાણ કરે ત્યારે, તમારે શું યાદ રાખવું જોઈએ? (ખ) તમે કઈ રીતે મિત્રોના દબાણનો સામનો કરી શકો?

૧૪ યહોવાને ખુશ કરે, એવી બાબતોમાં તમારું મન લગાડવા અને ભક્તિના ધ્યેયો બાંધવા આ લેખમાંથી તમને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે. પણ તમારી ઉંમરના ઘણા યુવાનો બસ મોજમજા કરવામાં મંડ્યા રહે છે. તેઓ કદાચ પોતાની સાથે જોડાવા તમને આમંત્રણ આપે. પણ તમારે વહેલા-મોડા પોતાનાં કાર્યોથી બતાવવું પડશે કે ધ્યેયો પૂરા કરવા તમારા માટે ઘણું મહત્ત્વનું છે. યાદ રાખો કે, મિત્રોનાં દબાણને લીધે તમારું ધ્યાન ફંટાઈ ન જાય. લેખની શરૂઆતમાં જણાવેલી મુસાફરીના દાખલાનો ફરીથી વિચાર કરો. જો તમે એ જગ્યાએ હોત, તો શું બસમાં લોકોને મોજમજા માણતા જોઈને એ બસમાં ચઢી ગયા હોત? તમે એવું નહિ કરો, ખરું ને!

૧૫ તો પછી, મિત્રો દબાણ કરે ત્યારે તમે શું કરશો? દબાણનો સામનો કરવો અઘરું બને એવા સંજોગો ટાળો. (નીતિ. ૨૨:૩) ખોટું કરવાથી ખરાબ પરિણામો ભોગવવા પડશે, એનો વિચાર કરો. (ગલા. ૬:૭) યાદ રાખો કે તમને બીજાઓની સલાહની જરૂર છે, એટલે સલાહ લેતા અચકાશો નહિ. તમારાં માતા-પિતા કે અનુભવી ભાઈ-બહેનો તમને જે કહે, એના પર ધ્યાન આપો.—૧ પીતર ૫:૫, ૬ વાંચો.

૧૬. નમ્રતા બતાવવી મહત્ત્વનું છે, એ ક્રિસ્ટોફના દાખલામાંથી કઈ રીતે શીખી શકીએ?

૧૬ ક્રિસ્ટોફનો દાખલો લઈએ. નમ્રતા કેળવવાથી તેમને સલાહ સ્વીકારવા મદદ મળી. બાપ્તિસ્મા લીધું એના થોડા જ સમય પછી, તે નિયમિત રીતે ફિટનેસ સેન્ટરમાં જવા લાગ્યા. ત્યાં બીજા યુવાનોએ તેમને સ્પોર્ટ્‌સ ક્લબમાં જોડાવાનું કહ્યું. એ વિશે તેમણે એક વડીલ સાથે વાત કરી. વડીલે તેમને એમાં રહેલાં જોખમો વિશે વિચારવાનું જણાવ્યું. જેમ કે, એનાથી હરીફાઈની લાગણી પેદા થઈ શકે. તોપણ, ક્રિસ્ટોફે સ્પોર્ટ્‌સ ક્લબમાં જોડાવાનું નક્કી કર્યું. સમય જતાં, તેમના ધ્યાનમાં આવ્યું કે એ ક્લબમાં હિંસક અને ખતરનાક રમતો રમાતી હતી. તેમણે વડીલો સાથે વાત કરી અને તેઓએ તેમને બાઇબલમાંથી સલાહ આપી. ક્રિસ્ટોફ જણાવે છે કે, ‘યહોવાએ સારી સલાહ આપનારા લોકોને મારી પાસે મોકલ્યા. મોડે મોડે પણ મેં યહોવાની સલાહ સાંભળી.’ સલાહ સ્વીકારવા શું તમે નમ્રતા બતાવો છો?

૧૭, ૧૮. (ક) યહોવા આજે યુવાનો માટે શું ચાહે છે? (ખ) મોટા થાઓ ત્યારે પોતાની પસંદગીઓ પર અફસોસ ન થાય માટે શું કરી શકો? દાખલો આપો.

૧૭ બાઇબલ જણાવે છે: “હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે.” (સભા. ૧૧:૯) યહોવા ચાહે છે કે તમે યુવાનીનો આનંદ માણો. આ લેખમાં તમને શીખવા મળ્યું હશે કે ખુશ રહેવાની એક રીત છે, ભક્તિના ધ્યેયો પર મન લગાડો. તમારાં દરેક નિર્ણયો અને યોજનાઓમાં યહોવાની સલાહ સ્વીકારો. જેટલી જલદી સલાહ લાગુ પાડશો, એટલી જલદી તમે યહોવાનાં માર્ગદર્શન, રક્ષણ અને આશીર્વાદનો અનુભવ કરશો. યહોવાએ તેમના શબ્દ બાઇબલમાં આપેલી દરેક સલાહનો વિચાર કરો. બાઇબલની આ સલાહ પાળો: “તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર.”—સભા. ૧૨:૧.

૧૮ યુવાનો ઝડપથી મોટા થાય છે. દુઃખની વાત છે કે, મોટાભાગના યુવાનો અફસોસ કરે છે કે તેઓએ નાનપણમાં ખોટા ધ્યેયો રાખ્યા હતા અથવા ધ્યેયો રાખ્યા જ ન હતા. પણ ભક્તિના ધ્યેયો પર મન લગાડશો તો, મોટા થશો ત્યારે તમે કરેલી પસંદગીઓ માટે ખુશી અનુભવશો. ચાલો, મિરયાના વિશે જોઈએ. તે નાનપણથી જ સારાં ખેલાડી હતાં. તેમને વિન્ટર ઑલિમ્પિક ગેમ્સમાં પણ ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. ત્યાં જવાને બદલે, તેમણે યહોવાની પૂરા સમયની સેવા કરવાનું પસંદ કર્યું. હાલમાં ૩૦થી પણ વધારે વર્ષોથી તે અને તેમનાં પતિ પૂરા સમયની સેવા કરી રહ્યાં છે. તે કહે છે કે જેઓ માન-મોભો, સત્તા અને માલમિલકતની ઇચ્છા રાખે છે, તેઓ ક્યારેય સાચી ખુશી મેળવી શકતા નથી. તે એમ પણ જણાવે છે કે, યહોવાની ભક્તિ કરવી અને તેમને ઓળખવા લોકોને મદદ કરવી, એ સૌથી સારા ધ્યેયો છે.

૧૯. યુવાનીમાં ભક્તિના ધ્યેયો પર મન લગાડવાથી શો ફાયદો થશે?

૧૯ યુવાનો, અમે તમારા દિલથી વખાણ કરીએ છીએ. મુશ્કેલીઓ છતાં તમે જીવનમાં યહોવાની ભક્તિ પર મન લગાડો છો. તમે ભક્તિના ધ્યેયો રાખો છો અને તમારા જીવનમાં પ્રચારકામને સૌથી મહત્ત્વનું ગણો છો. દુનિયાના લોકો ધ્યેયો પરથી તમારું મન ફંટાવી ન દે, એનું તમે ધ્યાન રાખો છો. ખાતરી રાખો કે, તમારી મહેનત એક દિવસ ચોક્કસ રંગ લાવશે. તમારી પાસે મંડળનાં ભાઈ-બહેનો છે, જેઓ તમને દિલથી ચાહે છે અને સાથ આપવા તૈયાર છે. યુવાનો, ‘તમારાં કામો યહોવાને સોંપી દો, એટલે તમારી યોજનાઓ સફળ થશે.’