સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૮

‘દોડ પૂરી કરીએ’

‘દોડ પૂરી કરીએ’

“મેં દોડ પૂરી કરી છે.”—૨ તિમો. ૪:૭.

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

ઝલક *

૧. આપણે બધાએ શું કરતા રહેવાનું છે?

શું તમે એવી દોડમાં ભાગ લેશો જે અઘરી હોય, ખાસ તો તમે થાકેલા કે બીમાર હો ત્યારે? કદાચ નહિ. પણ પ્રેરિત પાઊલે કહ્યું હતું કે બધા ઈશ્વરભક્તો એક દોડમાં ભાગ લઈ રહ્યા છે. (હિબ્રૂ. ૧૨:૧) ભલે આપણે યુવાન હોઈએ કે ઘરડા, આપણા શરીરમાં તાકાત હોય કે ન હોય, આપણે બધાએ અંત સુધી દોડતા રહેવાનું છે. એમ કરીશું તો જ યહોવા આપણને ઇનામ આપશે.—માથ. ૨૪:૧૩.

૨. શા માટે પાઊલ ઈશ્વરભક્તોને દોડ પૂરી કરવાની સલાહ આપી શક્યા?

પ્રેરિત પાઊલ ઈશ્વરભક્તોને દોડ પૂરી કરવાની સલાહ આપી શક્યા. કારણ કે તેમણે પોતે એ “દોડ પૂરી કરી” હતી. (૨ તિમોથી ૪:૭, ૮ વાંચો.) પાઊલ જે દોડ વિશે વાત કરી રહ્યા હતા, એ દોડ કઈ છે?

એ દોડ કઈ છે?

૩. પાઊલે કઈ દોડ વિશે વાત કરી?

અમુક વાર પાઊલ મહત્ત્વની વાતો સમજાવવા ગ્રીસમાં રમાતી રમતોનો દાખલો આપતા હતા. (૧ કોરીં. ૯:૨૫-૨૭; ૨ તિમો. ૨:૫) તેમણે ઘણી વાર ઈશ્વરભક્તોના જીવનને એક દોડ સાથે સરખાવ્યું હતું. (૧ કોરીં. ૯:૨૪; ગલા. ૨:૨; ફિલિ. ૨:૧૬) એક વ્યક્તિ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લે ત્યારે એ “દોડ” શરૂ કરે છે. (૧ પીત. ૩:૨૧) તે અંતિમ રેખા પાર કરશે ત્યારે, યહોવા તેને હંમેશ માટેના જીવનનું ઇનામ આપશે.—માથ. ૨૫:૩૧-૩૪, ૪૬; ૨ તિમો. ૪:૮.

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ઈશ્વરભક્તોનું જીવન અને લાંબી દોડ અમુક રીતે સરખાં છે. ચાલો એવી ત્રણ બાબતોની આપણે ચર્ચા કરીએ. પહેલી, ખરા રસ્તે દોડીએ; બીજી, અંતિમ રેખા પર ધ્યાન આપીએ; અને ત્રીજી, મુશ્કેલીઓ છતાં દોડીએ.

ખરા રસ્તે દોડીએ

આપણે બધાએ જીવનની દોડમાં દોડતા રહેવાનું છે (ફકરા ૫-૭ જુઓ) *

૫. આપણે કયા રસ્તે દોડવું જોઈએ અને શા માટે?

દોડ માટે જે રસ્તો નક્કી કરવામાં આવ્યો છે, એના પર દોડવીરે દોડવું જોઈએ. તે એમ કરશે તો જ તેને ઇનામ મળશે. એવી જ રીતે, હંમેશ માટેના જીવનનું ઇનામ મેળવવા યહોવાએ નક્કી કરેલા રસ્તે આપણે દોડવું જોઈએ. (પ્રે.કા. ૨૦:૨૪; ૧ પીત. ૨:૨૧) પણ આપણે એ રસ્તે દોડીએ તો શેતાન અને તેના લોકોને ગમતું નથી. તેઓ ચાહે છે કે આપણે તેઓને પગલે ચાલીએ. (૧ પીત. ૪:૪) આપણે જે રસ્તો પસંદ કર્યો છે, એની તેઓ મજાક ઉડાવે છે. તેઓ માને છે કે તેઓનો રસ્તો જ ખરો છે અને એ રસ્તે જવાથી આઝાદી મળે છે. પણ તેઓનું માનવું સાવ ખોટું છે.—૨ પીત. ૨:૧૯.

૬. બ્રિયાનના દાખલા પરથી શું શીખવા મળ્યું?

અમુક વ્યક્તિઓ દુષ્ટ દુનિયાની લાલચોમાં ફસાઈને દુનિયાના લોકોની જેમ કરવા લાગે છે. પણ આગળ જતા તેઓને સમજાય છે કે તેઓ આઝાદ નથી. તેઓ તો શેતાન અને પોતાની ઇચ્છાઓના ગુલામ બની ગયા છે. (રોમ. ૬:૧૬) ચાલો બ્રિયાનનો દાખલો જોઈએ. મમ્મી-પપ્પાએ તેને નાનપણથી જ સત્યના માર્ગે ચાલવાનું ઉત્તેજન આપ્યું હતું. પણ તે મોટો થયો ત્યારે તેને મનમાં સવાલ થતો કે એવું જીવન જીવવાથી ખુશી મળશે કે કેમ. પછી તેને શેતાનનાં ધોરણો પ્રમાણે ચાલનાર લોકોનો રંગ લાગ્યો. તે કહે છે: ‘એ વખતે મને સમજાયું નહિ કે, જે આઝાદી પાછળ દોડી રહ્યો હતો એનાથી હું ખરાબ આદતોનો ગુલામ બની જઈશ. સમય જતાં, હું ડ્રગ્સ અને દારૂના રવાડે ચઢી ગયો અને ખરાબ જીવન જીવવા લાગ્યો. પછી કેટલાંક વર્ષો સુધી ખતરનાક ડ્રગ્સ સાથે અખતરા કરવા લાગ્યો અને અમુક ડ્રગ્સનો તો હું બંધાણી બની ગયો. મારી લતને સંતોષવા મેં ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું.’ આખરે, બ્રિયાને યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાનું નક્કી કર્યું. તેણે પોતાના જીવનમાં ફેરફાર કર્યો અને ૨૦૦૧માં બાપ્તિસ્મા લીધું. આજે તે યહોવાના માર્ગે ચાલી રહ્યો છે અને ઘણો ખુશ છે. *

૭. માથ્થી ૭:૧૩, ૧૪ પ્રમાણે આપણી આગળ કયા બે રસ્તા છે?

આપણે ખરા રસ્તે દોડીએ એ કેટલું જરૂરી છે! ‘જીવનમાં લઈ જતા’ સાંકડા રસ્તે જવાનું છોડીને આપણે પહોળા રસ્તે જઈએ એવું શેતાન ચાહે છે. દુનિયાના મોટા ભાગના લોકો એ રસ્તે દોડી રહ્યા છે. એ રસ્તો તો ‘વિનાશમાં લઈ જાય છે.’ (માથ્થી ૭:૧૩, ૧૪ વાંચો.) આપણે ખરા રસ્તે દોડીએ અને ફંટાય ન જઈએ માટે શું કરી શકીએ? આપણે યહોવા પર ભરોસો રાખીએ અને તેમનું કહ્યું કરીએ.

દોડ પર પૂરું ધ્યાન આપીએ અને ઠોકર ન ખાઈએ

આપણે બધા દોડ પર પૂરું ધ્યાન આપીએ અને બીજાઓને ઠોકર ન ખવડાવીએ (ફકરા ૮-૧૨ જુઓ) *

૮. એક દોડવીરને ઠોકર લાગે તો તે શું કરશે?

લાંબી દોડમાં ભાગ લેનારાઓ રસ્તા પર પૂરું ધ્યાન આપે છે. એમ કરીને તેઓ ઠોકર ખાવાથી બચે છે. પણ દોડવીર બીજા સાથે અથડાય કે તેનો પગ ખાડામાં પડે, તો તે પડી શકે છે. એવા સમયે પણ તે તરત ઊઠીને પાછો દોડવા લાગે છે. તે એવું વિચારવા બેસતો નથી કે તે કેમ પડી ગયો. પણ તેનું ધ્યાન તો અંતિમ રેખા પર અને ઇનામ મેળવવા પર લાગેલું હોય છે.

૯. જો આપણને ઠોકર લાગે તો શું કરવું જોઈએ?

જીવનની દોડમાં પણ આપણને ઘણી વાર ઠોકર લાગી શકે છે. કોઈ વાર અજાણતા આપણે એવું કંઈક બોલી જઈએ કે એવું કંઈક કરી બેસીએ. અથવા આપણાં ભાઈ-બહેનોની ભૂલોને કારણે આપણને માઠું લાગી શકે. પણ આપણે જાણીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર! આપણે બધા સાંકડા રસ્તે દોડી રહ્યા છે, જે જીવન તરફ લઈ જાય છે. કોઈ વાર આપણે એકબીજા સાથે “અથડાય” જઈએ, એટલે કે એકબીજાનાં દિલને ઠેસ પહોંચાડી દઈએ. એ વિશે પાઊલે કહ્યું હતું કે આપણી પાસે એકબીજા “વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય” શકે છે. (કોલો. ૩:૧૩) પણ આપણને કેમ ઠોકર લાગી, એના પર વિચાર કરવાને બદલે આપણું ધ્યાન દોડ પૂરી કરવા અને ઇનામ મેળવવા પર લગાડીએ. જો આપણને ઠોકર લાગે તો પાછા ઊભા થઈને દોડવા લાગીએ. જો આપણે મનમાં કડવાશ ભરી રાખીશું અને પાછા ઊઠીશું નહિ તો શું થશે? આપણે અંતિમ રેખા પાર નહિ કરી શકીએ અને આપણને ઇનામ પણ નહિ મળે. વધુમાં, જેઓ સાંકડા માર્ગે દોડવાનો પ્રયત્ન કરે છે તેઓ માટે આપણે ઠોકરનું કારણ બની શકીએ છીએ.

૧૦. કઈ રીતે આપણે બીજાઓ માટે “ઠોકર ખવડાવનાર પથ્થર” નહિ બનીએ?

૧૦ બીજી કઈ રીતે આપણે બીજાઓ માટે “ઠોકર ખવડાવનાર પથ્થર” નહિ બનીએ? શક્ય હોય ત્યાં સુધી ભાઈ-બહેનોને પોતાની રીતે બાબતો કરવા દઈએ. આપણે પોતાના વિચારો તેઓ પર થોપી ન બેસાડીએ. (રોમ. ૧૪:૧૩, ૧૯-૨૧; ૧ કોરીં. ૮:૯, ૧૩) આપણે એવા દોડવીરો જેવા નથી, જેઓ ઇનામ મેળવવા એકબીજા સાથે હરીફાઈ કરે છે. તેઓ ફક્ત પોતાનો જ વિચાર કરે છે. તેઓ પહેલા આગળ જઈ શકે માટે બીજા દોડવીરોને બાજુ પર ધકેલી દે છે. જ્યારે કે આપણે એકબીજા સાથે હરીફાઈ કરતા નથી. (ગલા. ૫:૨૬; ૬:૪) આપણે તો ચાહીએ છીએ કે બને એટલા લોકો અંતિમ રેખા પાર કરે અને જીવનનું ઇનામ મેળવે. એટલે આપણે પાઊલની આ સલાહ પાળવાનો પ્રયત્ન કરીએ છીએ: ‘આપણે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જોવું જોઈએ.’—ફિલિ. ૨:૪.

૧૧. દોડવીરો શાના પર નજર રાખે છે અને શા માટે?

૧૧ દોડવીરો રસ્તા પર નજર રાખે છે. એટલું જ નહિ, તેઓ અંતિમ રેખા પર ધ્યાન પણ આપે છે. તેઓ અંતિમ રેખા જોઈ શકતા નથી. પણ એવી કલ્પના તો કરી જ શકે છે કે તેઓ અંતિમ રેખા પાર કરી રહ્યા છે અને ઇનામ મેળવી રહ્યા છે. ઇનામને નજર સામે રાખવાથી તેઓને દોડતા રહેવાની હિંમત મળે છે.

૧૨. યહોવાએ આપણને કયું વચન આપ્યું છે?

૧૨ યહોવાએ વચન આપ્યું છે કે જેઓ જીવનની દોડ પૂરી કરશે તેઓને ચોક્કસ ઇનામ આપશે. અમુક લોકોને સ્વર્ગમાં અને અમુકને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મળશે. બાઇબલમાં બતાવ્યું છે કે હંમેશ માટેનું જીવન કેવું હશે. એટલે આપણે કલ્પના કરી શકીએ કે એ જીવન કેટલું સુંદર હશે! એ ઇનામ આપણા મનમાં રાખીશું તો મુશ્કેલીઓ સહી શકીશું.

મુશ્કેલીઓ હોવા છતાં દોડતા રહીએ

મુશ્કેલીઓ છતાં આપણે જીવનની દોડમાં દોડતા રહેવા માંગીએ છીએ (ફકરા ૧૩-૨૦ જુઓ) *

૧૩. ગ્રીસના દોડવીરો અને આપણામાં શો ફરક છે?

૧૩ ગ્રીસમાં થતી દોડમાં જેઓ ભાગ લેતા તેઓએ અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. તેઓ દોડતાં દોડતાં થાકી જતા અને તેઓને દુખાવો થતો. પણ પોતાને મળેલી તાલીમ અને પોતાની શક્તિના ભરોસે તેઓ દોડતા હતા. એ દોડવીરોની જેમ આપણને પણ જીવનની દોડ માટે તાલીમ મળી છે. પણ ગ્રીસના દોડવીરો અને આપણામાં એક ફરક છે. ગ્રીસના દોડવીરોની જેમ આપણે પોતાની શક્તિના ભરોસે દોડતા નથી. આપણને યહોવા તરફથી શક્તિ મળે છે. તેમની શક્તિનો કોઈ પાર નથી. જો આપણે યહોવા પર ભરોસો રાખીશું, તો તે આપણને તાલીમ આપશે. એટલું જ નહિ, તે આપણને શક્તિ પણ આપશે.—૧ પીત. ૫:૧૦.

૧૪. મુશ્કેલીઓ સહેવા વિશે ૨ કોરીંથીઓ ૧૨:૯, ૧૦માંથી શું શીખવા મળે છે?

૧૪ પાઊલને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં, તેમણે અપમાન અને કસોટીઓ સહેવાં પડ્યાં હતાં. અમુક વાર તેમને શરીરમાં કમજોરી લાગતી. એક એવી મુશ્કેલી હતી જે તેમના માટે ‘શરીરમાં કાંટા’ જેવી હતી. (૨ કોરીં. ૧૨:૭) એ બધી મુશ્કેલીઓ છતાં તેમણે યહોવાની સેવા કરવાનું છોડ્યું નહિ. યહોવાના ભરોસે તે દોડતા રહ્યા. (૨ કોરીંથીઓ ૧૨:૯, ૧૦ વાંચો.) એટલે યહોવાએ પણ પાઊલને કસોટીઓ સહેવા મદદ કરી.

૧૫. પાઊલના પગલે ચાલીશું તો શાનો અનુભવ કરીશું?

૧૫ શ્રદ્ધાને લીધે આપણે પણ અપમાન કે કસોટીઓ સહેવા પડે. આપણે કદાચ બીમારી કે ઘડપણ સહેવું પડે. પાઊલના પગલે ચાલીશું તો આપણે પણ યહોવાના પ્રેમનો અનુભવ કરીશું.

૧૬. જો તમે બીમાર હો તો શું કરી શકો?

૧૬ શું બીમારીને લીધે તમે પથારીવશ છો કે તમારે વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે છે? શું તમને ઘૂંટણનો દુખાવો છે કે તમારી આંખો નબળી પડી ગઈ છે? એવી નબળાઈઓ હોવા છતાં શું તમે યુવાન અને તંદુરસ્ત લોકો સાથે દોડી શકો? હા, ચોક્કસ! ઘણાં ભાઈ-બહેનો ઘરડાં અને બીમાર હોવા છતાં જીવનની દોડમાં દોડી રહ્યાં છે. તેઓ પોતાની શક્તિથી એ કરી શકતા નથી. પણ સભાઓમાં યહોવા તરફથી તેઓને શક્તિ મળે છે. ભલે તેઓ પ્રાર્થનાઘરમાં ન જઈ શકે, પણ ફોન કે સભાના રેકોર્ડેડ વીડિયોની મદદથી સભા સાંભળે છે. તેઓ શિષ્યો બનાવવાનું કામ પણ કરે છે. તેઓ ડોક્ટર, નર્સ, સગા-વહાલાઓને પણ સંદેશો જણાવે છે.

૧૭. જેઓની તબિયત સારી નથી તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?

૧૭ તબિયત બગડવાને લીધે, તમે યહોવાની સેવામાં ચાહો એટલું કરી શકતા ન હો તો નિરાશ થશો નહિ. એવું ન માનશો કે તમે કમજોર છો એટલે જીવનની દોડમાં અંત સુધી દોડી શકશો નહિ. તમે યહોવા પર શ્રદ્ધા રાખો છો અને વર્ષોથી તેમની સેવા કરો છો એટલે યહોવા તમને પ્રેમ કરે છે. પહેલાં કરતાં આજે તમને યહોવાની મદદની વધારે જરૂર છે. એટલે તે તમારો સાથ છોડશે નહિ. (ગીત. ૯:૧૦) અરે, તે તો તમારી વધુ નજીક આવશે. એક બહેન ઘણાં બીમાર રહે છે. તે કહે છે: ‘મારી તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. એટલે પહેલાં જેટલું હું ખુશખબર ફેલાવી શકતી નથી. જે કંઈ યહોવાની સેવામાં કરું છું એનાથી યહોવા ખુશ છે. એ જાણીને મારા દિલને પણ ઠંડક મળે છે.’ જ્યારે નિરાશાના વાદળોમાં ઘેરાય જાઓ, ત્યારે યાદ રાખો કે યહોવા તમારી પડખે છે. પાઊલના દાખલાનો વિચાર કરો અને તેમના આ શબ્દોથી હિંમત મેળવો: ‘હું કમજોરી સહન કરવામાં આનંદ માણું છું. કેમ કે જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું.’—૨ કોરીં. ૧૨:૧૦.

૧૮. અમુકે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે?

૧૮ જીવનની દોડમાં અમુક ભાઈ-બહેનો બીજી એક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. તેઓની મુશ્કેલી એવી છે, જે બીજાઓ જોઈ કે સમજી શકતા નથી. દાખલા તરીકે, અમુક લોકો ડિપ્રેશન કે વધુ પડતી ચિંતાનો સામનો કરી રહ્યા છે. શા માટે આવી મુશ્કેલીઓ સહેવી ઘણી અઘરી છે? જો કોઈનો હાથ ભાંગેલો હોય કે તે વ્હીલચેરમાં હોય, તો બધા તેની મુશ્કેલી સમજીને મદદ કરવા આગળ આવે છે. પણ જેઓને નિરાશા કે માનસિક બીમારી છે, તેઓને જોઈને તેઓની મુશ્કેલીઓ વિશે ખબર પડતી નથી. એટલે લોકો તેઓની મુશ્કેલી સમજી શકતા નથી અને તેઓને મદદ કરવા આગળ આવતા નથી. પરંતુ તેઓએ પણ એટલી જ મુશ્કેલીઓ સહેવી પડે છે, જેટલી બીજાઓને પડે છે.

૧૯. મફીબોશેથના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૯ શું તમે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? શું તમને લાગે છે કે તમારું દુઃખ કોઈ સમજી શકતું નથી? જો એમ હોય, તો મફીબોશેથના દાખલા પર ધ્યાન આપવાથી તમને હિંમત મળી શકે. (૨ શમૂ. ૪:૪) તે અપંગ હતા અને તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. રાજા દાઊદને તેમના વિશે ગેરસમજ થઈ, એટલે દાઊદે તેમની સાથે અન્યાય કર્યો. મફીબોશેથની કોઈ ભૂલ ન હતી, છતાં તેમણે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તોપણ તે નિરાશ થયા નહિ. એના બદલે, તેમની સાથે જે સારું થયું હતું એની તેમણે કદર કરી. અગાઉ દાઊદે તેમના પર જે દયા બતાવી હતી એ માટે તેમણે આભાર માન્યો. (૨ શમૂ. ૯:૬-૧૦) એટલે દાઊદે તેમની સાથે અન્યાય કર્યો ત્યારે, મફીબોશેથે સંજોગો સમજવાનો પ્રયત્ન કર્યો. દાઊદની ભૂલના કારણે તેમણે મનમાં કડવાશ ભરી રાખી નહિ કે યહોવા પર દોષ લગાડ્યો નહિ. તેમણે એ વાત પર ધ્યાન આપ્યું કે યહોવાએ પસંદ કરેલા રાજાને તે કઈ રીતે સાથ આપી શકે. (૨ શમૂ. ૧૬:૧-૪; ૧૯:૨૪-૩૦) યહોવાએ તેમના વિશે બાઇબલમાં નોંધ કરાવી, જેથી આપણે એમાંથી શીખી શકીએ.—રોમ. ૧૫:૪.

૨૦. (ક) અમુક ભાઈ-બહેનો ઘણી ચિંતાને લીધે કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે? (ખ) તેઓ કઈ વાતનો ભરોસો રાખી શકે?

૨૦ અમુક ભાઈ-બહેનો ઘણી ચિંતા કરતા હોય છે. તેઓની આસપાસ ઘણા લોકો હોય તો તેઓ ડરી જાય છે. બીજાઓ તેમના વિશે શું વિચારતા હશે, એ જ તેમના મનમાં ઘૂમ્યા કરે છે? ઘણા લોકો વચ્ચે રહેવાનું અઘરું લાગતું હોવા છતાં તેઓ સભામાં, સંમેલનમાં અને મહાસંમેલનમાં હાજર રહે છે. તેઓને અજાણ્યા લોકો સાથે વાત કરવી અઘરું લાગે છે, છતાં તેઓ ખુશખબર ફેલાવવાનું કામ કરે છે. જો તમને પણ એવું લાગતું હોય તો તમે એકલા નથી. બીજાઓ પણ એવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ભૂલશો નહિ યહોવા માટે તમે જે કંઈ કરો છો, એનાથી તે ખુશ છે. તમે હિંમત હાર્યા નથી. એ બતાવે છે કે યહોવાનો આશીર્વાદ તમારા પર છે અને તે તમને એ બધું સહન કરવાની શક્તિ આપી રહ્યા છે. * (ફિલિ. ૪:૬, ૭; ૧ પીત. ૫:૭) ભલે તમે તન-મનની મુશ્કેલીઓ સહી રહ્યા હો, ભરોસો રાખો કે યહોવા તમારાથી ખુશ છે.

૨૧. યહોવાની મદદથી આપણે શું કરી શકીશું?

૨૧ ખુશીની વાત છે કે દોડની હરીફાઈ અને જીવનની દોડમાં અમુક ફરક છે. બાઇબલના જમાનામાં દોડમાં ફક્ત એક જ દોડવીરને ઇનામ મળતું. પણ જીવનની દોડમાં જેઓ અંત સુધી દોડશે તેઓ બધાને હંમેશ માટેના જીવનનું ઇનામ મળશે. (યોહા. ૩:૧૬) દોડની હરીફાઈમાં ભાગ લેનારાઓએ તંદુરસ્ત હોવું જરૂરી છે. જો તેઓ તંદુરસ્ત નહિ હોય તો તેઓ કદાચ ઇનામ નહિ જીતી શકે. પણ જીવનની દોડમાં એવાં ઘણાં ભાઈ-બહેનો દોડી રહ્યાં છે, જેઓની તબિયત સારી નથી. (૨ કોરીં. ૪:૧૬) તોપણ તેઓ ધીરજથી દોડી રહ્યાં છે. આપણે બધા ભરોસો રાખી શકીએ કે યહોવાની મદદથી એ દોડ પૂરી કરી શકીશું!

ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે

^ ફકરો. 5 આજે યહોવાના ઘણા ભક્તો મુશ્કેલીઓ સહી રહ્યા છે. તેઓનું શરીર ઘડપણ કે બીમારીને કારણે નબળું પડી રહ્યું છે. અમુક વાર આપણે બધા થાકી જઈએ છીએ. એટલે દોડમાં ભાગ લેવાની વાત આવે તો આપણે બધા કદાચ ગભરાઈ જઈએ. પ્રેરિત પાઊલે જીવનની દોડ વિશે વાત કરી હતી. આ લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે ધીરજથી દોડી શકીએ અને એ દોડ પૂરી કરી શકીએ.

^ ફકરો. 6 જાન્યુઆરી ૧, ૨૦૧૩ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “બાઇબલ જીવન સુધારે છે.

^ ફકરો. 20 ચિંતાનો સામનો કઈ રીતે કરી શકીએ એ માટે વધુ જાણવા અને જે ભાઈ-બહેનોએ એવી જ મુશ્કેલીનો સામનો કરે છે તેઓના અનુભવો જાણવા મે ૨૦૧૯નો કાર્યક્રમ જોવા jw.org® પર લાઇબ્રેરી > JW બ્રૉડકાસ્ટિંગ પર જાઓ.

^ ફકરો. 63 ચિત્રની સમજ: ખુશખબર ફેલાવવાના કામમાં વ્યસ્ત રહીને એક વૃદ્ધ ભાઈ જીવનની દોડમાં દોડી રહ્યા છે.

^ ફકરો. 65 ચિત્રની સમજ: જો આપણે વધારે પડતો દારૂ પીએ અથવા બીજાઓને વધારે પડતો પીવા દબાણ કરીએ, તો તેઓને ઠોકર લાગી શકે.

^ ફકરો. 67 ચિત્રની સમજ: એક ભાઈ હૉસ્પિટલમાં છે અને પથારીવશ છે, છતાં તે એવા લોકોને પ્રચાર કરે છે જેઓ તેમની સારસંભાળ રાખે છે. આ રીતે તે હજુ પણ દોડી રહ્યા છે.