સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૬

સાંભળો, શીખો અને દયા બતાવો

સાંભળો, શીખો અને દયા બતાવો

“બહારનો દેખાવ જોઈને ન્યાય કરવાનું બંધ કરો, પણ સાચી રીતે ન્યાય કરો.”—યોહા. ૭:૨૪.

ગીત ૫૩ સંપીને રહીએ

ઝલક *

૧. બાઇબલમાં યહોવા વિશે શું જણાવ્યું છે?

લોકો તમારો ન્યાય રંગરૂપ અને કદના આધારે કરે તો, શું તમને ગમશે? ના, જરાય નહિ. માણસો જે રીતે જુએ છે એ રીતે યહોવા જોતા નથી. એ જાણીને કેટલો દિલાસો મળે છે. દાખલા તરીકે, શમૂએલ યિશાઈના દીકરાઓને જોવા ગયા ત્યારે યહોવાએ જે જોયું એ શમૂએલ જોઈ શક્યા નહિ. યહોવાએ શમૂએલને કહ્યું કે યિશાઈનો એક દીકરો ઇઝરાયેલનો રાજા બનશે. પણ કયો દીકરો? શમૂએલે યિશાઈના મોટા દીકરા અલીઆબને જોયો ત્યારે તેમણે કહ્યું, ‘નક્કી યહોવાનો અભિષિક્ત તેમની સામે છે.’ અલીઆબ રાજા જેવો દેખાતો હતો. “પણ યહોવાએ શમૂએલને કહ્યું, કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં એને નાપસંદ કર્યો છે.” એમાંથી શું શીખવા મળે છે? “માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે.”—૧ શમૂ. ૧૬:૧, ૬, ૭.

૨. આપણે શા માટે વ્યક્તિનો દેખાવ જોઈને ન્યાય ન કરવો જોઈએ? સમજાવો.

આપણે પાપી છીએ એટલે આપણા સ્વભાવમાં વણાઈ ગયું છે કે આપણે બીજાઓનો દેખાવ જોઈને ન્યાય કરીએ છીએ. (યોહાન ૭:૨૪ વાંચો.) વ્યક્તિને ફક્ત જોવાથી આપણે તેના વિશે બહુ કંઈ જાણી શકતા નથી. ભલેને ડોક્ટર ગમે એટલો અનુભવી કે હોશિયાર હોય, પણ દર્દીને ફક્ત જોઈને તેના વિશે બધું જાણી શકતો નથી. દર્દીને પહેલાં કઈ બીમારી હતી, તેને અત્યારે કઈ બીમારી છે અને તેને કેવું લાગે છે એ વિશે વધારે જાણવા તેણે દર્દીનું ધ્યાનથી સાંભળવું પડશે. દર્દીના શરીરની તપાસ કરાવવા કદાચ તેને એક્સ-રે કઢાવવાનું પણ કહે. જો એવું ન કરવામાં આવે તો ડોક્ટર ખોટો ઇલાજ કરી શકે છે. એવી જ રીતે, ભાઈ-બહેનોનો દેખાવ જોઈને આપણે તેઓને પૂરેપૂરી રીતે ઓળખી શકતા નથી. વ્યક્તિને સારી રીતે ઓળખવા તેના દિલમાં શું છે એ જાણવું જોઈએ. લોકોનાં દિલમાં શું છે એ તો ફક્ત યહોવા જ જાણે છે. એટલે યહોવાની તોલે આપણે ક્યારેય ન આવી શકીએ. પણ આપણે યહોવાના પગલે ચાલવાની કોશિશ તો કરી જ શકીએ છીએ. કઈ રીતે?

૩. આ લેખમાં આપેલા બાઇબલના દાખલાઓથી આપણને યહોવાને પગલે ચાલવા કઈ રીતે મદદ મળશે?

યહોવા પોતાના ભક્તો સાથે કઈ રીતે વર્તે છે? તે તેઓનું સાંભળે છે. તેઓનો ઉછેર કેવા સમાજમાં થયો છે અને તેઓના સંજોગો કેવા છે, એના પર તે ધ્યાન આપે છે. તેઓ પર તે દયા રાખે છે. ચાલો જોઈએ કે યૂના, એલિયા, હાગાર અને લોત સાથે યહોવા કઈ રીતે વર્ત્યા હતા. એ પણ જોઈશું કે યહોવાની જેમ આપણે ભાઈ-બહેનો સાથે કઈ રીતે વર્તી શકીએ.

ધ્યાનથી સાંભળીએ

૪. શા માટે આપણને લાગે કે યૂના ભરોસાને લાયક નથી?

આપણે યૂનાના સંજોગો વિશે વધુ જાણતા નથી. એટલે આપણને લાગે કે યૂના ભરોસાને લાયક નથી. અરે, તે તો બેવફા છે. યહોવાએ તેમને આજ્ઞા આપી હતી કે નીનવેહ જઈને ન્યાયચુકાદો જાહેર કરે. આજ્ઞા પાળવાને બદલે યૂના ‘યહોવાથી દૂર’ બીજી દિશામાં વહાણમાં બેસીને નાસી ગયા. (યૂના ૧:૧-૩) એ સોંપણી પૂરી કરવા શું તમે યૂનાને બીજી તક આપી હોત? કદાચ નહિ. પણ યહોવાને લાગ્યું કે યૂનાને બીજી તક આપવી જોઈએ.—યૂના ૩:૧, ૨.

૫. યૂના ૨:૧, ૨, ૯માંથી યૂના વિશે શું શીખવા મળે છે?

યૂનાની પ્રાર્થનાથી દેખાય આવે છે કે તે કેવા હતા. (યૂના ૨:૧, ૨,  વાંચો.) યૂનાએ ઘણી વાર યહોવાને પ્રાર્થના કરી હતી. એમાંની એક પ્રાર્થના તેમણે માછલીના પેટમાંથી કરી હતી. ભલે તે પોતાની સોંપણીથી ભાગી રહ્યા હતા, પણ તેમના શબ્દોથી દેખાય આવે છે કે તે નમ્ર હતા. એટલું જ નહિ, તે યહોવાની કદર કરતા હતા અને તેમની આજ્ઞા પાળવાનું નક્કી કર્યું હતું. એટલે યહોવાએ યૂનાની ભૂલો પર ધ્યાન આપ્યું નહિ, પણ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો. યહોવાએ યૂનાની પ્રબોધક તરીકેની સોંપણી લઈ લીધી નહિ.

જો આપણને લોકો વિશે ખબર હશે તો તેઓની લાગણીઓ સમજી શકીશું (ફકરો ૬ જુઓ) *

૬. બીજાઓનું ધ્યાનથી સાંભળવું કેમ મહત્ત્વનું છે?

બીજાઓનું ધ્યાનથી સાંભળવા નમ્ર બનીએ અને ધીરજ રાખીએ. એનાથી ત્રણ ફાયદા થશે. પહેલો ફાયદો, આપણે બીજાઓ વિશે ખોટું વિચારવાથી દૂર રહીશું. બીજો ફાયદો, આપણે ભાઈ-બહેનોની લાગણીઓ અને તેમના ઇરાદાઓ સમજી શકીશું. એનાથી આપણે તેમના માટે દયા બતાવીશું. ત્રીજો ફાયદો, જ્યારે વ્યક્તિ આપણી સાથે વાત કરશે તો તેને પણ પોતાના વિશે કંઈક જાણવા મળશે. અમુક વાર આપણી લાગણીઓ બીજાઓ સામે ઠાલવીએ નહિ, ત્યાં સુધી આપણે પણ એ લાગણીઓ સમજી શકતા નથી. (નીતિ. ૨૦:૫) એશિયાના એક વડીલ જણાવે છે: “મને પણ મારી એક ભૂલ યાદ છે. હું પણ એકવાર વગર વિચાર્યે બોલી બેઠો હતો. મેં એક બેનને કહ્યું હતું કે સભામાં પોતાનો જવાબ હજુ વધુ સારી રીતે આપે. પછીથી મને જાણવા મળ્યું કે બેનને વાંચવાની ઘણી તકલીફ પડતી હતી. એટલા માટે તેમણે જવાબ આપવા ઘણી તૈયારી કરવી પડતી.” વડીલો સલાહ આપતા પહેલાં ‘સાંભળે’ એ કેટલું મહત્ત્વનું છે!—નીતિ. ૧૮:૧૩.

૭. યહોવા જે રીતે એલિયા સાથે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

અમુક ભાઈ-બહેનોને તેઓના ઉછેર કે સમાજ કે સ્વભાવને કારણે પોતાની લાગણી ઠાલવવી અઘરું લાગે છે. તેઓ પોતાની લાગણીઓ ઠાલવે એ માટે આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ? યાદ કરો, એલિયા ઇઝેબેલથી દૂર નાસી રહ્યા હતા ત્યારે યહોવા તેમની સાથે કઈ રીતે વર્ત્યા? ઘણા દિવસો પછી એલિયા પોતાના દિલની લાગણી યહોવાને જણાવી શક્યા. યહોવાએ તેમનું ધ્યાનથી સાંભળ્યું. યહોવાએ એલિયાને ઉત્તેજન આપ્યું અને પછી તેમને મહત્ત્વનું કામ સોંપ્યું. (૧ રાજા. ૧૯:૧-૧૮) ભાઈ-બહેનોને પણ પોતાની લાગણીઓ જણાવવામાં થોડો સમય લાગી શકે છે. પણ જ્યારે તેઓ એ વિશે વાત કરશે, ત્યારે જ આપણે તેઓની લાગણીઓ સારી રીતે સમજી શકીશું. યહોવાની જેમ ધીરજ રાખીશું તો, આપણે તેઓનો ભરોસો જીતી શકીશું. એટલે જ્યારે તેઓ પોતાની લાગણીઓ ઠાલવે, ત્યારે આપણે તેઓનું ધ્યાનથી સાંભળવું જોઈએ.

ભાઈ-બહેનોને ઓળખવાનો પ્રયત્ન કરીએ

૮. ઉત્પત્તિ ૧૬:૭-૧૩ પ્રમાણે યહોવાએ કઈ રીતે હાગારને મદદ કરી?

હાગાર સારાયની દાસી હતી. સારાયે તેને ઈબ્રામને પત્ની તરીકે આપી હતી. હાગાર ગર્ભવતી થઈ ત્યારે સારાયને નીચી નજરે જોવા લાગી, કારણ કે સારાય વાંઝણી હતી. પછી સારાયે તેનું અપમાન કર્યું. એટલે બાબતો એટલી બગડી ગઈ કે હાગારે ત્યાંથી નાસી જવું પડ્યું. (ઉત. ૧૬:૪-૬) આપણને લાગે કે હાગાર તો ઘમંડી સ્ત્રી હતી. એટલે તેને સજા તો થવી જ જોઈએ. પણ યહોવાએ એવું વિચાર્યું નહિ. યહોવાએ તેની પાસે પોતાનો દૂત મોકલ્યો. દૂતે જ્યારે તેને જોઈ ત્યારે તેના વિચારો સુધારવા મદદ કરી અને તેને આશીર્વાદ આપ્યો. હાગાર અનુભવી શકી કે યહોવા તેને જોઈ રહ્યા છે અને તેના સંજોગો વિશે બધું જાણે છે. એટલે તે કહી શકી કે મને જોનાર ઈશ્વરે બધું જોયું છે.—ઉત્પત્તિ ૧૬:૭-૧૩ વાંચો.

૯. શા માટે યહોવાએ હાગાર પર દયા બતાવી?

યહોવાએ હાગારમાં શું જોયું? યહોવા જાણતા હતા કે તે કયા સમાજમાંથી આવી હતી અને તેણે શું સહેવું પડ્યું હતું? (નીતિ. ૧૫:૩) હાગાર ઇજિપ્તની હતી અને એક હિબ્રૂ વ્યક્તિના ઘરમાં રહેતી હતી. શું અમુક વાર તેને એકલું-એકલું લાગતું હશે? શું તે તેના કુટુંબને, તેના વતનને યાદ કરતી હશે? તે ઈબ્રામની બીજી પત્ની હતી. યહોવાનો હેતુ હતો કે એક પતિને ફક્ત એક જ પત્ની હોય. (માથ. ૧૯:૪-૬) પણ એ સમયે અમુક વફાદાર ભક્તોને એક કરતાં વધારે પત્નીઓ હતી. એટલે સમજી શકાય કે એવા સંજોગોમાં કુટુંબની અંદર નફરત અને ઈર્ષાની લાગણી જોવા મળતી. હાગારે સારાયનું અપમાન કર્યું જે યહોવાની નજરે ખોટું હતું. પણ યહોવાએ હાગારની લાગણી અને સંજોગોને ધ્યાનમાં રાખીને તેના પર દયા બતાવી.

ભાઈ-બહેનોને ઓળખવાનો પ્રયત્ન કરીએ (ફકરા ૧૦-૧૨ જુઓ) *

૧૦. આપણે કઈ રીતે ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરી શકીએ?

૧૦ યહોવાને પગલે ચાલવા એકબીજાને સમજવાની કોશિશ કરીએ. એ માટે ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ. સભા પહેલાં અને પછી તેઓ સાથે વાત કરીએ, તેઓ સાથે પ્રચારમાં જઈએ અને શક્ય હોય તો તેઓને જમવા બોલાવીએ. એમ કરવાથી ભાઈ-બહેનો વિશે ઘણી નવી બાબતો જાણવા મળશે. દાખલા તરીકે તમને લાગે કે એક બેન મળતાવડી નથી, પણ ખરેખર તો તે શરમાળ છે. એક ભાઈ જેમના વિશે તમને લાગે કે તે ધનદોલત પાછળ દોડે છે, પણ હકીકતમાં તો તે ભાઈ-બહેનોને મહેમાનગતી બતાવે છે. એક કુટુંબ સભામાં મોડું આવે છે પણ હકીકતમાં એ કુટુંબના સભ્યો વિરોધનો સામનો કરી રહ્યાં છે. (અયૂ. ૬:૨૯) ખરું કે આપણે ‘બીજા લોકોના જીવનમાં માથું મારનારા’ બનીશું નહિ. (૧ તિમો. ૫:૧૩) ભાઈ-બહેનોના સંજોગો વિશે જાણીશું તો તેઓને સહેલાઈથી ઓળખી શકીશું.

૧૧. શા માટે વડીલોએ ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવા જોઈએ?

૧૧ વડીલોએ ભાઈ-બહેનોને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેઓ એમ કરશે તો ભાઈ-બહેનોની સારી રીતે કાળજી રાખી શકશે. ચાલો આરતુરભાઈનો દાખલો જોઈએ. તે જ્યારે સરકીટ નિરીક્ષક હતા ત્યારે બીજા વડીલ સાથે એક બેનને મળવા ગયા. બધાને લાગતું કે તે બેન શરમાળ છે અને એકલાં-અટૂલાં રહે છે. આરતુરભાઈ કહે છે “અમને જાણવા મળ્યું કે તેમનાં પતિ લગ્‍નના થોડા સમય પછી ગુજરી ગયા હતા. જીવનમાં મુશ્કેલીઓ હોવા છતાં તેમણે પોતાની બે દીકરીઓનો સત્યમાં ઉછેર કર્યો અને શ્રદ્ધામાં તેઓને મક્કમ કરી. હવે તેમને આંખે ઓછું દેખાય છે અને તેમને ડિપ્રેશનની બીમારી છે. તેમ છતાં, યહોવા માટે તેમને ગાઢ પ્રેમ છે અને તેમની શ્રદ્ધા ઘણી મજબૂત છે. અમને સમજાયું કે બેન પાસેથી તો અમારે ઘણું શીખવાનું છે.” (ફિલિ. ૨:૩) એ સરકીટ નિરીક્ષક તો યહોવાને પગલે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. યહોવા પોતાના બધા ભક્તોને ઓળખે છે અને તેઓનું દુઃખ સમજે છે. (નિર્ગ. ૩:૭) વડીલો ભાઈ-બહેનોને સારી રીતે ઓળખશે તો તેઓને મદદ કરી શકશે.

૧૨. યીપ યેના દાખલા પરથી શું શીખવા મળે છે?

૧૨ કોઈ ભાઈ કે બેન પર તમને ઘણો ગુસ્સો આવે છે. પણ જો તમે તેના સંજોગો જાણવાની કોશિશ કરશો, તો તમને તેના પર દયા આવશે. ચાલો એશિયામાં રહેતી યીપ યેનો દાખલો જોઈએ. “અમારા મંડળના એક બેનને બહુ જોરથી બોલવાની આદત હતી. મને લાગતું કે તેમને બોલવાનું ભાન જ નથી. પણ જ્યારે મેં તેમની સાથે પ્રચારમાં કામ કર્યું, ત્યારે મને ખબર પડી કે તેમનાં મમ્મી-પપ્પા સાથે તે બજારમાં માછલી વેચતાં હતાં. ગ્રાહકોને બોલાવવા તેમણે બૂમો પાડવી પડતી. મને સમજાયું કે ભાઈ-બહેનોને ઓળખવા તેઓના સંજોગો વિશે પણ જાણવું જોઈએ.” એ માટે તમારે થોડી મહેનત કરવી પડશે. બાઇબલમાં સલાહ આપી છે કે તમે તમારા દિલના દરવાજા ખોલી નાખો. એ પ્રમાણે કરો છો તો તમે યહોવાને પગલે ચાલો છો. જે ‘બધા પ્રકારના લોકોને’ પ્રેમ કરે છે.—૧ તિમો. ૨:૩, ૪; ૨ કોરીં. ૬:૧૧-૧૩.

દયા બતાવીએ

૧૩. લોત વાર લગાડતા હતા એટલે દૂતોએ શું કર્યું અને શા માટે?

૧૩ એક સમયે લોત યહોવાની આજ્ઞા પાડવામાં ધીમા પડી ગયાં હતાં. બે દૂતોએ આવીને લોતને કહ્યું કે પોતાના કુટુંબ સાથે સદોમમાંથી બહાર નીકળી જાય. શા માટે? તેઓએ કહ્યું: “અમે આ જગાનો નાશ કરીશું.” (ઉત. ૧૯:૧૨, ૧૩) બીજી સવારે લોત અને તેમનું કુટુંબ હજુ ઘરે જ હતાં. એટલે દૂતોએ ફરીથી લોતને ચેતવણી આપી. પણ તે મોડું કરી રહ્યા હતા. આપણને કદાચ લાગે કે યહોવાએ જે કરવાનું કહ્યું એની લોતને કંઈ જ પડી ન હતી. તોપણ યહોવાએ તેમને પડતા મૂક્યા નહિ. ‘યહોવાની તેમના પર કૃપા હતી,’ એટલે દૂતો તેમને અને તેમના કુટુંબને હાથ પકડીને શહેરની બહાર લઈ ગયા.ઉત્પત્તિ ૧૯:૧૫, ૧૬ વાંચો.

૧૪. શા માટે યહોવાને લોત પર દયા આવી હશે?

૧૪ ઘણાં કારણોને લીધે યહોવાને લોત પર દયા આવી હશે. લોત ઘરની બહાર નીકળતા અચકાતા હતા, કારણ કે તેમને શહેરના લોકોનો ડર લાગતો હશે. બીજાં પણ ઘણાં જોખમો હતાં. લોતને એ પણ જાણવા મળ્યું હતું કે બે રાજાઓ સિદ્દીમની ખીણમાં ડામરથી ભરેલા ખાડામાં પડી ગયા હતા. (ઉત. ૧૪:૮-૧૨) લોતને પોતાની પત્ની અને બે દીકરીઓની ચિંતા હતી. વધુમાં લોત ધનવાન હતા એટલે સદોમમાં તેમનું સરસ ઘર હશે. (ઉત. ૧૩:૫, ૬) જોકે એનો અર્થ એમ નથી કે યહોવાની આજ્ઞા પાળવામાં લોતે ઢીલ કરવાની હતી. યહોવાએ લોતની ભૂલો પર ધ્યાન આપ્યું નહિ, પણ તેમને “નેક માણસ” ગણ્યા.—૨ પીત. ૨:૭, ૮.

બીજાઓનું ધ્યાનથી સાંભળીશું તો તેઓ પર દયા બતાવી શકીશું (ફકરા ૧૫-૧૬ જુઓ) *

૧૫. બીજાઓનાં કામોનો ન્યાય કરવાને બદલે આપણે શું કરવું જોઈએ?

૧૫ બીજાઓનાં કામોનો ન્યાય કરવાને બદલે તેઓની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીએ. યુરોપમાં રહેતાં વેરોનિકાબેને પણ એવું જ કંઈ કર્યું. તે જણાવે છે, “એક બેનનો મૂડ હંમેશાં ખરાબ રહેતો. તે હંમેશાં બધાથી દૂર-દૂર રહેતા. અમુક વાર તેમને મળવાનો પણ મને ડર લાગતો. પણ મેં વિચાર્યું, હું તેમની જગ્યાએ હોત તો મને એક મિત્રની જરૂર પડત. એટલે મેં તેમની સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાનું દિલ મારી આગળ ઠાલવ્યું. હવે હું તેમને વધુ સારી રીતે સમજુ છું.”

૧૬. બીજાઓની લાગણી સમજવા આપણે શા માટે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈએ?

૧૬ ફક્ત યહોવા જ આપણને સૌથી સારી રીતે સમજી શકે છે. (નીતિ. ૧૫:૧૧) એટલે યહોવા જે રીતે બીજાઓને જુએ છે, એ રીતે જોવા તેમની પાસે મદદ માંગો. બીજાઓને કઈ રીતે દયા બતાવવી એ સમજવા પણ મદદ માંગો. પ્રાર્થનાની મદદથી એનઝેલાબેન બીજાઓની લાગણીઓ સારી રીતે સમજી શક્યાં હતાં. તેમનાં મંડળમાં એક બેનને કોઈની સાથે બનતું ન હતું. એનઝેલાબેન કહે છે: ‘એટલે સમજી શકાય કે એ બેનની ટીકા કરવાનું કે તેમનાથી દૂર રહેવાનું આપણને મન થાય. પણ એ બેનની લાગણીઓ સમજવા મેં યહોવા પાસે મદદ માંગી.’ શું યહોવાએ એનઝેલાબેનની પ્રાર્થનાનો જવાબ આપ્યો? તે કહે છે: “અમે પ્રચારમાં સાથે ગયાં, કલાકો વાત કરી, મેં પ્રેમથી તેમની વાત સાંભળી. હવે હું તેમને વધુ પ્રેમ કરું છું અને મેં નક્કી કર્યું છે કે તેમને મદદ કરીશ.”

૧૭. આપણે શું નક્કી કરવું જોઈએ?

૧૭ કયા ભાઈ-બહેનોને આપણે લાગણી બતાવીશું એ આપણે નક્કી કરી શકતા નથી. યૂના, એલિયા, હાગાર અને લોતની જેમ બધાના જીવનમાં મુશ્કેલીઓ આવી છે. આમ જોવા જઈએ તો, તેઓ બધા કોઈક ને કોઈક સમયે પોતાના લીધે મુશ્કેલીમાં આવ્યા છે. કેટલું જરૂરી છે કે આપણે બીજાઓની લાગણી સમજવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ. (૧ પીત. ૩:૮) યહોવાની આજ્ઞા પાડીને દુનિયા ફરતે રહેતાં આપણાં ભાઈ-બહેનોની એકતાના બંધનને મજબૂત કરીએ છીએ. એટલે આપણે નક્કી કરીએ કે ભાઈ-બહેનોનું સાંભળીશું, તેઓ વિશે શીખીશું અને તેઓ માટે દયા બતાવીશું.

ગીત ૨૦ સભાને આશિષ દો

^ ફકરો. 5 આપણે બધા પાપી હોવાને લીધે ભૂલો કરીએ છીએ. એના લીધે આપણે લોકો વિશે અને તેઓના ઇરાદાઓ વિશે ખોટાં અનુમાનો લગાડી બેસીએ છીએ. ‘પણ યહોવા હૃદય જુએ છે.’ (૧ શમૂ. ૧૬:૭) આ લેખમાં જોઈશું કે યહોવાએ કઈ રીતે યૂના, એલિયા, હાગાર અને લોતની પ્રેમથી મદદ કરી હતી. એનાથી આપણને યહોવાના પગલે ચાલવા અને ભાઈ-બહેનો સાથે સારી રીતે વર્તવા મદદ મળશે.

^ ફકરો. 52 ચિત્રની સમજ: એક યુવાન ભાઈ સભામાં મોડા આવે છે ત્યારે એક વૃદ્ધ ભાઈને ગમતું નથી. પછી તેમને ખબર પડે છે કે યુવાન ભાઈની કારનો એક્સિડન્ટ થયો હતો.

^ ફકરો. 54 ચિત્રની સમજ: એક ગ્રૂપ નિરીક્ષકને પહેલાં લાગતું કે બેન એકલાં-અટૂલાં રહે છે, પણ પછીથી તેમને ખબર પડી કે બેન શરમાળ છે અને લોકો સાથે હળવું-મળવું તેમને અઘરું લાગે છે.

^ ફકરો. 56 ચિત્રની સમજ: એક બેન પ્રાર્થનાઘરમાં બીજાં બેનને મળ્યાં ત્યારે તેમને લાગ્યું કે બેનનો મૂડ સારો નથી અને તેમને બીજાઓની કંઈ પડી નથી. પણ એ બેન સાથે વાત કરવાથી તેમને સમજાયું કે બેન એવાં નથી.