સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હંમેશાં સાચું બોલો

હંમેશાં સાચું બોલો

“તમે સર્વ પોતપોતાના પડોશી સાથે સાચું બોલો.”—ઝખા. ૮:૧૬.

ગીતો: ૩૪, ૧૮

૧, ૨. માણસજાતને સૌથી વધારે નુકસાન કરવા શેતાને શું કર્યું છે?

કેટલીક શોધથી જીવન સરળ બની ગયું છે, જેમ કે, ટેલીફોન, બલ્બ, કાર અને ફ્રિજ. બીજી કેટલીક શોધથી આપણું જીવન ખતરામાં મૂકાઈ ગયું છે. જેમ કે, દારૂગોળો, દાટેલા બૉમ્બ (લેન્ડ માઇન્સ), સિગારેટ અને અણુબૉમ્બ. એ બધાથી પણ જૂની એક બાબત છે, જેણે માણસજાતને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. એ છે જૂઠાણું! એવું કંઈક જે સાચું નથી, પણ કોઈકને છેતરવા કે ભમાવવા કહેવામાં આવ્યું હોય. સૌથી પહેલા કોણ જૂઠું બોલ્યું હતું? શેતાન! ઈસુએ શેતાનને “જૂઠાનો બાપ” કહ્યો હતો. (યોહાન ૮:૪૪ વાંચો.) સૌથી પહેલા તે ક્યારે જૂઠું બોલ્યો હતો?

હજારો વર્ષ અગાઉ એદન બાગમાં તે જૂઠું બોલ્યો હતો. યહોવાએ બનાવેલા સુંદર બગીચામાં આદમ અને હવા સુખેથી રહેતાં હતાં. યહોવાએ જણાવ્યું હતું કે, તેઓ ‘ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું’ ફળ ખાશે તો મરી જશે. શેતાન એ જાણતો હતો, તોપણ તેણે સાપનો ઉપયોગ કરીને હવાને જણાવ્યું: “તમે નહિ જ મરશો.” એ વિશ્વનું પહેલું જૂઠાણું હતું. શેતાને એમ પણ કહ્યું: “ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.”—ઉત. ૨:૧૫-૧૭; ૩:૧-૫.

૩. શા પરથી કહી શકાય કે શેતાન હડહડતું જૂઠું બોલ્યો હતો અને એનું કેવું પરિણામ આવ્યું?

શેતાન તો હડહડતું જૂઠું બોલ્યો હતો. તે જાણતો હતો કે, જો હવા તેની વાત માનશે અને ફળ ખાશે તો મરી જશે. હવાએ અને પછીથી આદમે પણ યહોવાની આજ્ઞા તોડી અને સમય જતાં તેઓ મરી ગયાં. (ઉત. ૩:૬; ૫:૫) આદમના પાપને લીધે બધા માણસોમાં પણ “મરણ ફેલાયું.” અરે, “મરણે એવા લોકો ઉપર પણ રાજ કર્યું, જેઓએ આદમ જેવાં પાપ કર્યાં ન હતાં.” (રોમ. ૫:૧૨, ૧૪) પરિણામે, આપણામાં પાપ અને મરણની અસર આવી. ઈશ્વરની ઇચ્છા હતી કે આપણે હંમેશ માટે જીવીએ. પણ આપણે એ જીવન ગુમાવી બેઠા. આપણી ‘ઉંમર સિત્તેર વર્ષ અથવા બળના કારણથી એંસી વર્ષ થઈ ગઈ.’ આપણું જીવન દુઃખ-તકલીફોથી ભરેલું છે. (ગીત. ૯૦:૧૦) એ બધાનું મુખ્ય કારણ છે, શેતાનનું પહેલું જૂઠાણું!

૪. (ક) આપણે કયા સવાલોના જવાબ જાણવા જોઈએ? (ખ) સાચું બોલનાર માણસ વિશે ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨ શું જણાવે છે?

ઈસુએ શેતાન વિશે જણાવ્યું: “તે સત્યમાં ટકી રહ્યો નહિ, કારણ કે તેનામાં સત્ય નથી.” શેતાન આજે પણ બદલાયો નથી. તે હજુ પણ જૂઠાણાંથી ‘આખી દુનિયાને ખોટા માર્ગે દોરે છે.’ (પ્રકટી. ૧૨:૯) આપણે ઇચ્છતા નથી કે શેતાન આપણને ખોટા માર્ગે દોરે. એટલે આપણે આ ત્રણ મહત્ત્વના સવાલોના જવાબ જાણવાની જરૂર છે: શેતાન કઈ રીતે લોકોને ખોટા માર્ગે દોરી રહ્યો છે? લોકો કેમ જૂઠું બોલે છે? આપણે કઈ રીતે હંમેશાં સાચું બોલી શકીએ, જેથી આદમ અને હવાની જેમ યહોવા સાથેનો સંબંધ તોડી ન બેસીએ?—ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨ વાંચો.

શેતાન કઈ રીતે લોકોને ખોટા માર્ગે દોરી રહ્યો છે?

૫. આજે શેતાન કઈ રીતે લોકોને ખોટા માર્ગે દોરી રહ્યો છે?

શેતાન આપણને છેતરી ન જાય એ માટે સાવચેત રહેવું જોઈએ. પ્રેરિત પાઊલ જણાવે છે: “આપણે તેની ચાલાકીઓથી અજાણ નથી.” (૨ કોરીં. ૨:૧૧) આપણે જાણીએ છીએ કે આખી દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે. જૂઠા ધર્મો, ભ્રષ્ટ સરકારો અને લોભિયા વેપારીઓ તેના કાબૂમાં છે. (૧ યોહા. ૫:૧૯) દુનિયાના શક્તિશાળી લોકોને ‘જૂઠું બોલતા’ જોઈને આપણને નવાઈ લાગવી ન જોઈએ. એ બધા પાછળ શેતાન અને દુષ્ટ દૂતોનો હાથ છે. (૧ તિમો. ૪:૧, ૨) દાખલા તરીકે, અમુક વેપારીઓ જાહેરાતોમાં ખોટી માહિતી આપે છે. તેઓ નુકસાન કરતી વસ્તુઓ લોકોને પધરાવે છે. કેટલાક વેપારીઓ લોકોને છેતરીને પૈસા પડાવી લે છે.

૬, ૭. (ક) ધર્મગુરુઓનાં જૂઠાણાં કેમ સૌથી ખરાબ કહેવાય? (ખ) ધર્મગુરુઓનાં કેવાં જૂઠાણાં તમે સાંભળ્યા છે?

હદ તો ત્યારે થાય છે જ્યારે ધર્મગુરુઓ પણ જૂઠું બોલે છે. જો કોઈ વ્યક્તિ તેઓની જૂઠી વાતો પર ભરોસો મૂકે અને ઈશ્વર ધિક્કારે છે એવાં કામો કરે, તો તે હંમેશ માટેનું જીવન ગુમાવી શકે છે. (હોશી. ૪:૯) ઈસુને ખબર હતી કે એ સમયના ધર્મગુરુઓ લોકોને છેતરતા હતા. તેમણે હિંમતથી તેઓને જણાવ્યું: “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે એક માણસને ધર્મ બદલાવવા તમે દરિયો અને ધરતી ખૂંદી વળો છો અને જ્યારે તે બને છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો ગેહેન્નાને [કાયમ માટેના વિનાશને] લાયક બનાવો છો.” (માથ. ૨૩:૧૫, ફૂટનોટ) ઈસુએ જણાવ્યું હતું કે આ જૂઠા ધર્મગુરુઓ તેમના પિતા શેતાન જેવા જ છે, જે ‘ખૂની છે.’—યોહા. ૮:૪૪.

આજે પાદરી, પૂજારી, રાબ્બી, સ્વામી જેવા અનેક ધર્મગુરુઓ છે. તેઓ પણ ફરોશીઓની જેમ, શાસ્ત્રમાંથી સત્ય શીખવતા નથી. તેઓ તો ‘ઈશ્વરના સત્યને અસત્યમાં’ બદલી નાખે છે. (રોમ. ૧:૧૮, ૨૫) તેઓ આવી જૂઠી વાતો શીખવે છે: ‘એક વાર ઉદ્ધાર થયો એટલે કાયમ માટે ઉદ્ધાર થયો,’ માણસોમાં અમર આત્મા હોય છે, મરી ગયેલા પુનર્જન્મ લે છે અને સજાતીય લગ્ન કે એવી જીવનઢબને ઈશ્વર ચલાવી લે છે.

૮. થોડા સમયમાં દુનિયાના નેતાઓ શું જાહેર કરશે? એ સાંભળીએ ત્યારે આપણે શું કરવું જોઈએ?

જૂઠાણાંથી લોકોને છેતરવામાં નેતાઓએ પણ કંઈ બાકી રાખ્યું નથી. થોડા સમયમાં દુનિયાના નેતાઓ જાહેર કરશે કે અમે દુનિયામાં “શાંતિ અને સલામતી” લાવ્યા છીએ. એ તેઓનું સૌથી મોટું જૂઠાણું હશે. પછી, “અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.” એટલે, આપણે તેઓ પર ભરોસો ન મૂકવો જોઈએ. દુનિયાની જોખમી હાલતને તેઓ જૂઠાણાંથી ઢાંકવાની કોશિશ કરશે. પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે, “રાત્રે ચોર આવે છે એવી જ રીતે યહોવાનો દિવસ આવી રહ્યો છે.”—૧ થેસ્સા. ૫:૧-૪.

લોકો કેમ જૂઠું બોલે છે?

૯, ૧૦. (ક) લોકો શા માટે જૂઠું બોલે છે અને એનાં કેવાં પરિણામો આવે છે? (ખ) યહોવા વિશે કઈ વાત આપણે યાદ રાખવી જોઈએ?

આજે ફક્ત શક્તિશાળી લોકો જ નહિ, બીજાઓ પણ જૂઠું બોલે છે. વાય. ભટ્ટાચાર્યજી નામના એક લેખકે ‘આપણે શા માટે જૂઠું બોલીએ છીએ’ નામનો લેખ લખ્યો છે. એમાં તે જણાવે છે: ‘માણસમાં ઊંડે સુધી ઘર કરી ગયેલો એક અવગુણ છે, જૂઠું બોલવું.’ બીજા શબ્દોમાં, જૂઠું બોલવું લોકોના સ્વભાવમાં વણાઈ ગયું છે અને તેઓને એ સામાન્ય લાગે છે. લોકો પોતાને બચાવવા, પોતાની ભૂલો કે ગુના છુપાવવા જૂઠું બોલતા હોય છે. તેઓ પૈસા મેળવવા અથવા પોતાના ફાયદા માટે જૂઠું બોલતા હોય છે. એ લેખ આગળ જણાવે છે કે અમુક લોકો માટે જૂઠું બોલવું રમત વાત છે. તેઓ ‘અજાણ્યાઓ, સાથે કામ કરનારાઓ, મિત્રો અને સ્નેહીજનો’ આગળ જૂઠું બોલતા જરાય અચકાતા નથી.

૧૦ જૂઠાણાંને લીધે કેવું પરિણામ આવે છે? લોકોનો એકબીજા પરનો ભરોસો તૂટી જાય છે અને સંબંધોમાં તિરાડ પડે છે. એ સમજવા એક કુટુંબની કલ્પના કરો. પતિને ખબર પડે છે કે પત્નીનું બીજા સાથે લફરું છે. એ છુપાવવા તે જૂઠું બોલે છે. જરા વિચારો, એ જાણીને પતિ પર શું વીત્યું હશે! બીજો દાખલો જોઈએ. એક પતિ ઘરમાં પત્ની અને બાળકો સાથે ગાળાગાળી કરે છે, મારઝૂડ કરે છે. પણ બીજાઓ આગળ દેખાડો કરે છે કે પોતે પ્રેમાળ છે અને પત્ની તેમજ બાળકોની સારી સંભાળ રાખે છે. યાદ રાખીએ કે, એવા લોકો માણસોને છેતરી શકે છે, પણ યહોવાને નહિ. બાઇબલ જણાવે છે કે ઈશ્વર આગળ “બધી વસ્તુઓ ખુલ્લી છે અને કંઈ પણ સંતાયેલું નથી.”—હિબ્રૂ. ૪:૧૩.

૧૧. અનાન્યા અને સફિરાના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૧ બાઇબલમાં અનાન્યા અને સફિરાનો દાખલો છે. એ યુગલ શેતાનની અસર હેઠળ આવીને ઈશ્વર આગળ જૂઠું બોલ્યું હતું. તેઓએ પ્રેરિતોને છેતરવાની કોશિશ કરી હતી. તેઓએ પોતાની કેટલીક મિલકત વેચી અને એમાંથી થોડા પૈસા પ્રેરિતોને આપ્યા. અનાન્યા અને સફિરા મંડળનાં ભાઈ-બહેનોની વાહવાહ મેળવવાં માંગતાં હતાં. પોતાની બધી જ મિલકત દાનમાં આપી દીધી છે, એવું તેઓએ પ્રેરિતોને જણાવ્યું. પણ યહોવા જાણતા હતા કે તેઓ જૂઠું બોલી રહ્યાં છે, એટલે તેમણે સજા કરી.—પ્રે.કા. ૫:૧-૧૦.

૧૨. જૂઠું બોલીને પસ્તાવો ન કરનારા લોકોનું શું થશે? શા માટે?

૧૨ જૂઠું બોલનારાઓ વિશે યહોવાને કેવું લાગે છે? જૂઠું બોલીને પસ્તાવો ન કરનારાઓનું છેલ્લું સરનામું ‘અગ્નિ અને ગંધકનું સરોવર’ હશે. શેતાનને પણ ત્યાં ફેંકી દેવામાં આવશે. બીજા શબ્દોમાં, તેઓ હંમેશ માટે નાશ પામશે. (પ્રકટી. ૨૦:૧૦; ૨૧:૮; ગીત. ૫:૬) જૂઠું બોલનારાઓનો ઈશ્વર શા માટે નાશ કરશે? કેમ કે, ઈશ્વર તેઓને ‘ધિક્કારપાત્ર કાર્યો’ કરનારા જેવા જ ગણે છે.—પ્રકટી. ૨૨:૧૫, ફૂટનોટ.

૧૩. આપણે યહોવા વિશે શું જાણીએ છીએ? એનાથી કેવું ઉત્તેજન મળે છે?

૧૩ આપણે જાણીએ છીએ કે યહોવા “માણસ નથી કે જૂઠું બોલે” અને ‘તેમના માટે જૂઠું બોલવું અશક્ય છે.’ (ગણ. ૨૩:૧૯; હિબ્રૂ. ૬:૧૮) ‘યહોવા જૂઠું બોલનારી જીભને ધિક્કારે છે.’ (નીતિ. ૬:૧૬, ૧૭) જો યહોવાને ખુશ કરવા માંગતા હોઈએ, તો આપણે હંમેશાં સાચું જ બોલવું જોઈએ. આપણે ક્યારેય ‘એકબીજા સાથે જૂઠું ન બોલવું જોઈએ.’—કોલો. ૩:૯.

આપણે ‘સાચું બોલીએ’

૧૪. (ક) યહોવાના ભક્તો અને જૂઠા ધર્મોના લોકો વચ્ચે કયો ફરક છે? (ખ) લુક ૬:૪૫ના શબ્દોથી શું શીખવા મળે છે?

૧૪ યહોવાના ભક્તો અને જૂઠા ધર્મોના લોકો વચ્ચે આભ-જમીનનો ફરક છે. આપણે ‘સાચું બોલીએ’ છીએ. (ઝખાર્યા ૮:૧૬, ૧૭ વાંચો.) એ વિશે પાઊલે કહ્યું, ‘અમે સત્ય વચનથી બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ.’ (૨ કોરીં. ૬:૪,) ઈસુએ કહ્યું કે, લોકો ‘હૃદયમાં જે ભરેલું છે, એ જ બોલે છે.’ (લુક ૬:૪૫) એનો અર્થ થાય કે ઈશ્વરભક્તો હંમેશાં સાચું બોલે છે. તેઓ અજાણ્યાઓ, સાથે કામ કરનારાઓ, મિત્રો અને સ્નેહીજનો સાથે હંમેશાં સાચું બોલશે. આપણે કઈ રીતે બધી બાબતોમાં સાચું બોલી શકીએ? ચાલો કેટલાક દાખલા જોઈએ.

યુવાન બહેન બેવડું જીવન જીવે છે (ફકરા ૧૫, ૧૬ જુઓ)

૧૫. (ક) બેવડું જીવન શા માટે ખરાબ કહેવાય? (ખ) દોસ્તોના દબાણનો સામનો કરવા યુવાનોને ક્યાંથી મદદ મળી શકે? (ફૂટનોટ જુઓ.)

૧૫ યુવાનો ચાહે છે કે બીજાઓ તેઓ સાથે દોસ્તી કરે. એટલે, ઘણા યુવાનો દોસ્તોને સારું લગાડવા બેવડું જીવન જીવે છે. તેઓ કુટુંબ સાથે કે મંડળ સાથે હોય ત્યારે સારા હોવાનો દેખાડો કરે છે. સોશિયલ મીડિયા પર અથવા દુનિયાના લોકો સાથે હોય ત્યારે, તેઓ એકદમ અલગ રીતે વર્તે છે. તેઓનું વલણ તો આ કહેવત જેવું છે: હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ! તેઓ કદાચ ખરાબ ભાષા બોલતા હોય, ઈશ્વરભક્તોને શોભે નહિ એવાં કપડાં પહેરતાં હોય, ગંદા શબ્દોવાળા ગીતો સાંભળતા હોય, વધુ પડતો દારૂ પીતા હોય, ડ્રગ્સ લેતા હોય, છૂપી રીતે ડેટિંગ કરતા હોય અથવા બીજી ઘણી ખરાબ બાબતો કરતા હોય. આમ તેઓ માતાપિતા, ભાઈ-બહેનો અને યહોવા આગળ જૂઠું બોલતા હોય છે. (ગીત. ૨૬:૪, ૫) એકબાજુ તેઓ દેખાડો કરે છે કે યહોવાને આદર આપે છે, બીજી બાજુ તેમને પસંદ નથી એવાં કામ કરે છે. યાદ રાખીએ કે યહોવા બધું જુએ છે. (માર્ક ૭:૬) તેથી, આ સલાહ પ્રમાણે વર્તવું સૌથી સારું કહેવાય: ‘તારા હૃદયને પાપીઓની અદેખાઈ કરવા ન દે, પણ આખો દિવસ યહોવાનો ભય રાખ.’—નીતિ. ૨૩:૧૭. *

૧૬. પૂરા સમયની સેવા માટે ફોર્મ ભરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૬ જો તમારે નિયમિત પાયોનિયર બનવું હોય કે બેથેલ જેવી પૂરા સમયની સેવા આપવી હોય, તો તમારે એક ફોર્મ ભરવું પડશે. તમારી તંદુરસ્તી, મનોરંજનની પસંદગી અને ચાલચલણ વિશે ફોર્મમાં પૂછેલા સવાલોના તમે સાચા જવાબ આપો એ ખૂબ અગત્યનું છે. (હિબ્રૂ. ૧૩:૧૮) પણ, યહોવા ધિક્કારતા હોય અથવા અંતઃકરણ ડંખે એવું કંઈ કર્યું હોય અને એના વિશે વડીલોને ન જણાવ્યું હોય તો, તમારે શું કરવું જોઈએ? યહોવાની શુદ્ધ અંતઃકરણથી ભક્તિ કરી શકો માટે વડીલોની મદદ લો.—રોમ. ૯:૧; ગલા. ૬:૧.

૧૭. સતાવણી કરનારાઓ સવાલ પૂછે, ત્યારે આપણે શું કરવું જોઈએ?

૧૭ વિચાર કરો કે, તમે એવા દેશમાં રહો છો, જ્યાં આપણા કામ પર પ્રતિબંધ છે. અધિકારીઓ તમારી ધરપકડ કરે છે અને ભાઈ-બહેનો વિશે સવાલ પૂછે છે. એવા સમયે તમે શું કરશો? શું તમે જાણતા હોય એ બધું જ કહી દેશો? યાદ કરો કે, રોમન રાજ્યપાલે ઈસુને સવાલ પૂછ્યા ત્યારે તેમણે શું કર્યું હતું. બાઇબલનો સિદ્ધાંત છે કે, “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત.” ઈસુએ એવું જ કર્યું. તે એક શબ્દ પણ બોલ્યા નહિ. એવું તેમણે ઘણી વાર કર્યું હતું. (સભા. ૩:૧, ૭; માથ. ૨૭:૧૧-૧૪) જો આપણે એવા સંજોગોમાં આવી પડીએ, તો આપણે સમજદારી અને સાવચેતીથી વર્તીશું જેથી આપણા ભાઈઓ મુશ્કેલીમાં ન મુકાય.—નીતિ. ૧૦:૧૯; ૧૧:૧૨.

ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય (ફકરા ૧૭, ૧૮ જુઓ)

૧૮. વડીલો સવાલ પૂછે ત્યારે આપણે શું કરવું જોઈએ?

૧૮ ધારો કે મંડળમાં કોઈએ ગંભીર પાપ કે ભૂલ કરી છે અને તમે એ વિશે જાણો છો. વડીલો પાસે મંડળને શુદ્ધ રાખવાની જવાબદારી છે. તેઓ તમને એ વિશે પૂછી શકે. તમે શું કરશો? તમારાં ખાસ મિત્ર કે સ્નેહીજને એવું કર્યું હોય તો, તમે શું કરશો? બાઇબલ જણાવે છે કે, ‘સત્ય બોલનાર નેકી પ્રગટ કરે છે.’ (નીતિ. ૧૨:૧૭; ૨૧:૨૮) કંઈ પણ છુપાવ્યા વગર વડીલો આગળ સાચું કહી દો. એ વ્યક્તિનો યહોવા સાથે ફરી સંબંધ બંધાય માટે વડીલો સૌથી સારી મદદ કરી શકે છે. તેથી, વડીલો બધી હકીકત જાણતા હોય એ ખૂબ જરૂરી છે.—યાકૂ. ૫:૧૪, ૧૫.

૧૯. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ દાઊદે યહોવાને પ્રાર્થના કરી: ‘તમે એવા માણસથી ખુશ થાઓ છો, જેનું દિલ સાફ છે.’ (ગીત. ૫૧:૬, NW ) દાઊદ કહેવા માંગતા હતા કે આપણે અંદરથી કેવા છીએ એ મહત્ત્વનું છે. તેથી, યહોવાના ભક્તોએ હંમેશાં ‘સાચું બોલવું જોઈએ.’ જૂઠા ધર્મોના લોકો કરતાં આપણે અલગ છીએ, એ બતાવી આપવાની બીજી એક રીત છે, આપણે બાઇબલ સત્ય શીખવીએ. હવે પછીના લેખમાં આપણે જોઈશું કે, સેવાકાર્યમાં બાઇબલ સત્ય કઈ રીતે શીખવી શકીએ.

^ ફકરો. 15 ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે પુસ્તિકામાંથી સવાલ ૬ “દોસ્તોના દબાણનો સામનો હું કઈ રીતે કરી શકું?” જુઓ. તેમ જ, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી), ગ્રંથ ૨નું પ્રકરણ ૧૬ “અ ડબલ લાઇફ—હુ હેઝ ટુ નો?” જુઓ.