સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા સાથે ફરી સંબંધ કેળવો

યહોવા સાથે ફરી સંબંધ કેળવો

દર વર્ષે ઘણા લોકોને મંડળમાં પાછા લેવામાં આવે છે. કોઈ પાછું આવે ત્યારે ‘સ્વર્ગમાં આનંદ થાય છે.’ (લૂક ૧૫:૭, ૧૦) જો તમે પણ પાછા આવ્યા હો તો એ વાતનો ભરોસો રાખી શકો કે યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો ઘણા ખુશ છે. પણ યહોવા સાથે ફરી સંબંધ કેળવવો અઘરું લાગી શકે. ચાલો જોઈએ કે કઈ મુશ્કેલીઓ આવી શકે અને તમે એને કઈ રીતે પાર કરી શકો.

કઈ મુશ્કેલીઓ આવી શકે?

ઘણાં ભાઈ-બહેનોની જેમ તમે પણ કદાચ નિરાશાનો સામનો કરી રહ્યા હશો. બની શકે કે મંડળમાં આવ્યા પછી પણ તમારું મન ડંખે અથવા તમે શરમ અનુભવો. એવું કદાચ વર્ષો સુધી થાય. દાઉદ રાજા સાથે પણ એવું જ થયું. પાપોની માફી મળ્યા પછી પણ તેમણે કહ્યું: “મારા અપરાધોના ભારથી હું દબાઈ ગયો છું.” (ગીત. ૪૦:૧૨; ૬૫:૩) ઈઝેબેલબહેનનો અનુભવ જોઈએ. * તે ૨૦થી વધુ વર્ષ બહિષ્કૃત હતાં. તે કહે છે: “મારી માટે માનવું અઘરું હતું કે યહોવાએ મને માફ કરી છે.” જો તમે નિરાશ રહેશો તો યહોવા સાથે તમારો સંબંધ કમજોર થઈ શકે છે. (નીતિ. ૨૪:૧૦) એવું ન થાય એનું ધ્યાન રાખજો.

કદાચ તમને એ વિચારીને ચિંતા થાય કે યહોવા સાથે ફરી સંબંધ કેળવવા ઘણી મહેનત લાગશે. મંડળમાં પાછા આવ્યા પછી એન્ટોનભાઈએ કહ્યું, “મને એવું લાગ્યું કે હું સાક્ષી હતો ત્યારે જે કંઈ શીખ્યો અને કરતો, એ બધું જાણે ભૂલી ગયો છું.” એવી લાગણીઓ થાય તો તમે પૂરા દિલથી યહોવાની સેવા નહિ કરી શકો.

એક ઉદાહરણનો વિચાર કરો. કોઈનું ઘર તોફાનમાં તૂટી જાય તો તેને ચિંતા થશે કે એ ફરી બાંધવા ઘણી મહેનત અને સમય લાગશે. એવી જ રીતે પાપ કરવાને લીધે જો યહોવા સાથેનો તમારો સંબંધ તૂટી ગયો હોય, તો કદાચ તમને પણ ચિંતા થાય. તમે વિચારશો કે એ સંબંધ ફરી કેળવવા મહેનત લાગશે. પણ ભરોસો રાખો તમે એકલા નથી, બધા તમારી પડખે છે.

યહોવા કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ.” (યશા. ૧:૧૮) યહોવા સાથે સંબંધ સુધારવા તમે મહેનત કરી છે. યહોવા એ માટે તમને ખૂબ પ્રેમ કરે છે. જરા વિચારો, તમે યહોવાને એક મોકો આપ્યો છે કે તે શેતાનનાં મહેણાંનો જવાબ આપે.—નીતિ. ૨૭:૧૧.

તમે યહોવાની પાસે આવવાનું પહેલું પગલું ભર્યું છે. યહોવા વચન આપે છે કે તે પણ તમારી પાસે આવશે. (યાકૂ. ૪:૮) યહોવા તમારા પિતા છે, એક દોસ્તની જેમ હંમેશાં તે તમારો સાથ આપશે. પણ મંડળમાં પાછા આવવું જ પૂરતું નથી. તમારે યહોવા માટે પ્રેમ વધારતા રહેવાની જરૂર છે. તમે એ કઈ રીતે કરી શકો?

ધ્યેયો રાખો

ઘણી વાર તોફાનમાં ઘર તૂટી જાય પણ એનો પાયો હજુ મજબૂત હોય. એ સમયે ફક્ત એની ઉપર બાંધકામ કરવું પડે. એવી જ રીતે યહોવા અને તેમનાં વચનો વિશેનું મૂળ શિક્ષણ તમને યાદ હશે. પણ હવે તમારે યહોવા સાથે ફરી સંબંધ કેળવવાનો છે. એટલે પહેલાં જે કરતા હતા એ બધું કરો, જેમ કે પ્રચાર કરો, સભામાં જાઓ અને ભાઈ-બહેનો સાથે હળો-મળો. એમ કરવા તમે નાના નાના ધ્યેયો રાખી શકો.

યહોવા સાથે વાત કરતા રહો. આપણા પિતા યહોવા સારી રીતે જાણે છે કે દોષની લાગણી દૂર કરવી સહેલું નથી. એટલે પ્રાર્થના કરવી અઘરું લાગી શકે. (રોમ. ૮:૨૬) પણ તમે “પ્રાર્થનામાં લાગુ રહો.” યહોવાને જણાવો કે તમે ફરી તેમના દોસ્ત બનવા માંગો છો. (રોમ. ૧૨:૧૨) આન્દ્રેભાઈએ એવું જ કર્યું. તેમને ઘણો ફાયદો થયો. તે જણાવે છે: “હું પોતાને ઘણો જ દોષ આપતો અને શરમ અનુભવતો. પણ પ્રાર્થના પછી તરત મારું મન શાંત થઈ જતું.” જો તમને ન સમજાય કે પ્રાર્થનામાં શું કહેવું જોઈએ તો દાઉદ રાજાની પ્રાર્થનાનો વિચાર કરી શકો. તેમણે પસ્તાવો કર્યા પછી એ પ્રાર્થનાઓ લખી હતી. એ પ્રાર્થનાઓ ગીતશાસ્ત્રના અધ્યાય ૫૧ અને ૬૫માં નોંધેલી છે.

નિયમિત બાઇબલનો અભ્યાસ કરો. એમ કરવાથી તમારી શ્રદ્ધા મજબૂત થશે અને યહોવા માટે તમારો પ્રેમ વધશે. (ગીત. ૧૯:૭-૧૧) ફિલિપેભાઈ કહે છે, “હું નિયમિત બાઇબલ અભ્યાસ કરતો ન હતો. એટલે યહોવાથી દૂર ચાલ્યો ગયો અને તેમને દુઃખી કર્યા. હું એ ભૂલ ફરી કરવા માંગતો ન હતો. મેં નિર્ણય લીધો કે હું નિયમિત બાઇબલ અભ્યાસ કરીશ.” તમે પણ એવું કરી શકો. અમુક વખતે એ ન સમજાય કે કયા વિષય પર અભ્યાસ કરવો જોઈએ. એ સમયે એક એવા દોસ્તનો સહારો લો જેનો યહોવા સાથે મજબૂત સંબંધ હોય.

ભાઈ-બહેનો સાથે ફરી દોસ્તી કરો. મંડળમાં પાછા આવ્યા પછી અમુકને ચિંતા થાય કે ભાઈ-બહેનો શું વિચારતા હશે. લેરીસાબહેન કહે છે: “શરમથી મારું માથું ઝૂકી ગયું હતું. મને લાગતું કે મંડળનાં ભાઈ-બહેનોને મેં નિરાશ કર્યાં છે. એવી લાગણી ઘણા સમય સુધી રહી.” ભરોસો રાખો કે યહોવા સાથે તમારો સંબંધ મજબૂત કરવા વડીલો અને ભાઈ-બહેનો તમને મદદ કરવા તૈયાર છે. (“ વડીલો શું કરી શકે?” બૉક્સ જુઓ.) તમે પાછા આવ્યા છો એ માટે મંડળમાં બધાં જ ખુશ છે અને તેઓ ચાહે છે કે તમે પણ ખુશ રહો.—નીતિ. ૧૭:૧૭.

મંડળનાં ભાઈ-બહેનો સાથે પાકી દોસ્તી કરવા શું કરી શકો? યહોવાની સેવામાં ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને કામ કરો. દરેક સભામાં જાઓ અને નિયમિત પ્રચાર કરો. ફેલિક્સભાઈ કહે છે: “મંડળનાં ભાઈ-બહેનો મારા પાછા આવવાની રાહ જોતાં હતાં. એનાથી મને અહેસાસ થયો કે તેઓ મને દિલથી પ્રેમ કરે છે. તેઓએ મને ભરોસો અપાવ્યો કે હું પણ મંડળનો એક ભાગ છું. યહોવાએ મને માફ કર્યો છે અને હું તેમની સેવા કરી શકું છું.”—“ તમે શું કરી શકો?” બૉક્સ જુઓ.

હિંમત ન હારો

યહોવા સાથે સંબંધ તોડવા માટે શેતાન તમારા જીવનમાં ઘણાં “તોફાનો” લાવશે. (લૂક ૪:૧૩) એટલે તમારી શ્રદ્ધા મજબૂત કરો.

આપણે યહોવાના કીમતી ઘેટાં છીએ એટલે તે વચન આપે છે, “હું ખોવાયેલાંને શોધી કાઢીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘવાયેલાંને પાટાપિંડી કરીશ અને કમજોરને બળવાન કરીશ.” (હઝકિ. ૩૪:૧૬) યહોવાએ ઘણા લોકોને મદદ કરી છે, જેથી તેઓ ફરી તેમની સાથે મજબૂત સંબંધ કેળવી શકે. તે તમને પણ ચોક્કસ મદદ કરશે.

^ ફકરો. 4 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.