સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુના વિરોધીઓએ હાથ ધોવા વિશે કેમ વિવાદ કર્યો?

ઈસુના વિરોધીઓ ઘણા વિષયોને લઈને ઈસુ અને તેમના શિષ્યોનો દોષ કાઢતા. એમાંનો એક મુદ્દો હાથ ધોવા વિશે હતો. મુસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યું હતું કે વ્યક્તિ શાનાથી અશુદ્ધ બને છે. જેમ કે, શરીરના સ્રાવથી, કોઢના રોગથી તેમજ માણસો અને પશુઓનાં મુડદાંથી. એ નિયમશાસ્ત્રમાં એ પણ જણાવ્યું હતું કે, અશુદ્ધતા કઈ રીતે દૂર થઈ શકે. જેમ કે, બલિદાન આપીને, પાણીથી ધોઈને અથવા પાણી છાંટીને.—લેવી., અધ્યાય ૧૧-૧૫; ગણ., અધ્યાય ૧૯.

યહુદી ધર્મગુરુઓએ એ નિયમોની નાનામાં નાની વિગતોને લઈને પોતાના નિયમો ઘડ્યા હતા. એક અહેવાલ જણાવે છે કે, ‘યહુદી ધર્મગુરુઓએ અનેક નિયમો બનાવ્યા હતા. જેમ કે, વ્યક્તિ કેવા કિસ્સામાં અશુદ્ધ બને છે અને એની અશુદ્ધતા બીજામાં કઈ રીતે ફેલાય શકે છે. તેમ જ, શુદ્ધ થવા તેઓએ કઈ વસ્તુઓ અને વાસણો વાપરવાં કે ન વાપરવાં એ વિશે પણ નિયમો બનાવ્યા હતા. શુદ્ધ થવા તેઓએ અનેક વિધિઓ પણ શરૂ કરી હતી.’

ઈસુના વિરોધીઓએ તેમને પૂછ્યું: ‘તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં હાથ ધોયા વગર રોટલી કેમ ખાય છે?’ (માર્ક ૭:૫) એ ધાર્મિક વિરોધીઓ એવું કહેવા માંગતા ન હતા કે, ગંદા હાથે ખાવાથી તબિયત બગડે છે. પણ, તેઓએ એને એક વિધિ બનાવી દીધી હતી. તેઓ ચાહતા હતા કે ખાતા પહેલાં વ્યક્તિના હાથ પર પાણી રેડવામાં આવે. ઉપર આપેલો અહેવાલ જણાવે છે: ‘કયા વાસણથી પાણી રેડવું જોઈએ, કેવા પ્રકારનું પાણી હોવું જોઈએ, કોણે પાણી રેડવું જોઈએ અને હાથનો કેટલો ભાગ પાણીથી ધોવો જોઈએ, એ વિશે પણ ચર્ચા થતી હતી.’

માણસોએ બનાવેલા નિયમો વિશે ઈસુના વિચારો એકદમ સ્પષ્ટ હતા. તેમણે પહેલી સદીના યહુદી ધાર્મિક આગેવાનોને જણાવ્યું: “તમ ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખેલું છે કે, આ લોક હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી [યહોવાથી] વેગળાં રહે છે. પણ તેઓ પોતાના મત દાખલ કરીને માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે. તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો.”—માર્ક ૭:૬-૮.