સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૭

પોતે કંઈક છીએ એમ ન વિચારીએ

પોતે કંઈક છીએ એમ ન વિચારીએ

“હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો, પણ સમજુ બનો.”—રોમ. ૧૨:૩.

ગીત ૩૫ યહોવાની ધીરજ

ઝલક *

૧. ફિલિપીઓ ૨:૩માં જણાવ્યા પ્રમાણે આપણે નમ્ર હોઈશું તો બીજાઓ સાથે આપણો સંબંધ કેવો હશે?

આપણા માટે સૌથી સારું શું છે એ યહોવા જાણે છે. એટલે આપણે નમ્ર બનીને તેમની આજ્ઞા પાળવી જોઈએ. (એફે. ૪:૨૨-૨૪) નમ્ર હોઈશું તો યહોવાની ઇચ્છાને જીવનમાં પ્રથમ રાખીશું. એટલું જ નહિ બીજાઓને પણ પોતાના કરતાં ચઢિયાતા ગણીશું. એમ કરીશું તો યહોવા સાથે અને મંડળનાં ભાઈ-બહેનો સાથે સારો સંબંધ કેળવી શકીશું.—ફિલિપીઓ ૨:૩ વાંચો.

૨. (ક) પ્રેરિત પાઊલના કહેવાનો શું અર્થ હતો? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

દુનિયાના લોકો તો ઘમંડી અને સ્વાર્થી * છે. જો ધ્યાન નહિ રાખીએ, તો આપણે પણ તેઓના રંગે રંગાઈ શકીએ છીએ. પ્રથમ સદીમાં ઈશ્વરભક્તો સાથે એવું જ કંઈક થયું હતું. એટલે પ્રેરિત પાઊલે રોમનાં ભાઈ-બહેનોને લખ્યું: “હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો, પણ સમજુ બનો.” (રોમ. ૧૨:૩) પાઊલના કહેવાનો અર્થ હતો કે અમુક હદે પોતાના માટે માન-સન્માન હોવું કંઈ ખોટું નથી. પણ જો આપણે નમ્ર હોઈશું તો પોતાના વિશે વધુ પડતું નહિ વિચારીએ. આ લેખમાં આપણે આ ત્રણ બાબતો વિશે જોઈશું, જેમાં આપણે નમ્રતા બતાવવી જોઈએ: (૧) લગ્‍નજીવનમાં, (૨) યહોવાના સંગઠનમાં જવાબદારી મળે ત્યારે અને (૩) સોશિયલ મીડિયા વાપરતી વખતે.

લગ્‍નસાથી સાથે નમ્રતાથી વર્તીએ

૩. (ક) લગ્‍નજીવનમાં તકરાર થવાનું કારણ શું હોય શકે? (ખ) તકરારો થાય ત્યારે અમુક લોકો કેવું વિચારે છે?

યહોવાએ લગ્‍નજીવનની ગોઠવણ એટલે કરી કે પતિ-પત્ની એકબીજા સાથે ખુશ રહે. પણ ઘેર-ઘેર માટીના ચૂલા. આપણે બધા ભૂલો કરીએ છીએ એટલે એકબીજા સાથે તકરાર તો થવાની. પાઊલે કહ્યું હતું કે જેઓ લગ્‍ન કરે છે તેઓના જીવનમાં તકલીફો તો આવશે. (૧ કોરીં. ૭:૨૮) અમુક યુગલો એટલું ઝઘડે કે તેઓને લાગે, એકબીજા સાથે લગ્‍ન ન કર્યા હોત તો કેટલું સારું થાત! તેઓને દુનિયાનો રંગ લાગ્યો હશે તો તેઓ વિચારશે કે છૂટાછેડા લઈશું તો જ ખુશ રહી શકીશું.

૪. મુશ્કેલીઓ આવે ત્યારે શું ન કરવું જોઈએ?

જો આપણા લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ આવે, તો લગ્‍નબંધન તોડી નાખવાનો વિચાર ન કરવો જોઈએ. બાઇબલ જણાવે છે કે છૂટાછેડા પાછળનું એક માત્ર કારણ વ્યભિચાર છે. (માથ. ૫:૩૨) એટલે જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે ફક્ત પોતાનો જ વિચાર ન કરવો જોઈએ. આપણે એમ ન કહેવું જોઈએ કે ‘મારા સાથીને તો મારી કંઈ જ પડી નથી. તેમને તો મારા માટે પ્રેમ જ નથી. બીજા કોઈ સાથે લગ્‍ન કર્યું હોત તો હું વધારે ખુશ હોત!’ જો એવું વિચારીએ તો આપણે ફક્ત પોતાનો જ વિચાર કરીએ છીએ, આપણા સાથીનો નહિ. દુનિયાના લોકો પણ એવું જ માને છે કે ‘દિલની વાત સાંભળો, પોતાને જેનાથી ખુશી મળે એ જ કરો. પછી ભલે ને એ માટે છૂટાછેડા લેવા પડે.’ માણસોના વિચારો અને ઈશ્વરના વિચારોમાં આભ-જમીનનો ફરક છે. બાઇબલમાં લખ્યું છે, “તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.” (ફિલિ. ૨:૪) યહોવા ચાહે છે કે તમે લગ્‍નબંધન તોડી ન નાખો, પણ એને મજબૂત કરવાનો પ્રયત્ન કરો. (માથ. ૧૯:૬) યહોવા ચાહે છે કે આપણે પહેલા એ વિચારીએ કે તેમને શેનાથી ખુશી મળશે.

૫. એફેસીઓ ૫:૩૩ પ્રમાણે પતિ-પત્નીએ એકબીજા સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

પતિ-પત્નીએ એકબીજા સાથે પ્રેમ અને આદરથી વર્તવું જોઈએ. (એફેસીઓ ૫:૩૩ વાંચો.) બાઇબલ જણાવે છે કે લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે. (પ્રે.કા. ૨૦:૩૫) એકબીજા માટે પ્રેમ અને આદર બતાવવા એક યુગલે કયો ગુણ કેળવવો જોઈએ? એ છે નમ્રતા. પતિ-પત્ની નમ્ર હશે તો, ‘પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરશે.’—૧ કોરીં. ૧૦:૨૪.

જો પતિ-પત્ની નમ્ર હશે તો એકબીજા સાથે ઝઘડવાને બદલે હળીમળીને કામ કરશે (ફકરો ૬ જુઓ)

૬. સ્ટીવનભાઈ અને સ્ટેફનીબહેનના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

નમ્રતા બતાવવાને લીધે ઘણા ઈશ્વરભક્તોના લગ્‍નજીવનમાં મીઠાશ રહે છે. દાખલા તરીકે, સ્ટીવનભાઈ કહે છે, ‘જો આપણે હળીમળીને કામ કરતા હોઈશું તો મુશ્કેલીઓનો સામનો સારી રીતે કરી શકીશું. એવું ન વિચારીએ કે મારા માટે સૌથી સારું શું છે. પણ એને બદલે વિચારીએ કે અમારા માટે સૌથી સારું શું છે.’ તેમની પત્ની સ્ટેફની પણ એવું જ કંઈક માને છે. તે કહે છે, ‘જે વ્યક્તિ નાની નાની વાતોમાં ઝઘડા કરતી હોય તેની સાથે કોણ રહે. જો અમને એકબીજાની વાત ન ગમે તો અમે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે એની પાછળનું કારણ શું છે. અમે સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ. એ વિશે આપણાં સાહિત્યમાંથી વાંચીએ છીએ. અમે દિલ ખોલીને એકબીજા સાથે વાત કરીએ છીએ. અમે ઝઘડવાને બદલે એ મુશ્કેલીનું કારણ શોધીએ છીએ.’ જે પતિ-પત્ની પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણતા નથી, તેઓના લગ્‍નજીવનમાં ખુશીઓનાં ફૂલ ખીલી ઊઠે છે. આપણે હળીમળીને કામ કરીશું તો મુશ્કેલીઓનો સામનો સારી રીતે કરી શકીશું.

‘નમ્રતાથી’ યહોવાની સેવા કરીએ

૭. એક ભાઈને સોંપણી મળે ત્યારે તેમણે શું કરવું જોઈએ?

યહોવાની સેવામાં આપણને જે કંઈ કરવા મળે એને આપણે લહાવો ગણવો જોઈએ. (ગીત. ૨૭:૪; ૮૪:૧૦) એક ભાઈ રાજીખુશીથી યહોવાના સંગઠનમાં કામ કરે તો એ સારી વાત કહેવાય. બાઇબલમાં લખ્યું છે, “જો કોઈ માણસ મંડળની દેખરેખ રાખનાર બનવા મહેનત કરતો હોય, તો તે સારા કામની ઇચ્છા રાખે છે.” (૧ તિમો. ૩:૧) પણ સોંપણી મળે ત્યારે તેણે એવું ન સમજવું જોઈએ કે પોતે કંઈક છે. (લુક ૧૭:૭-૧૦) એને બદલે તેણે નમ્ર બનીને બીજાઓની સેવા કરવી જોઈએ.—૨ કોરીં. ૧૨:૧૫.

૮. દિયત્રેફેસ, ઉઝ્ઝિયા અને આબ્શાલોમના દાખલામાંથી શું શીખવા મળે?

બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા આપ્યા છે, જેઓ પોતે કંઈક છે એવું સમજતા હતા. એમાંથી એક હતા દિયત્રેફેસ. તે ‘મંડળમાં મુખ્ય થવા’ માંગતા હતા. એટલે તે નમ્રતા બતાવવાનું ચૂકી ગયા. (૩ યોહા. ૯) ઉઝ્ઝિયા રાજા પણ ઘમંડી બની ગયા. જે કામ યાજકોનું હતું એ કામ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. (૨ કાળ. ૨૬:૧૬-૨૧) આબ્શાલોમને રાજા બનવું હતું. એટલે લોકોનાં દિલ જીતવા તેણે ચાલાકીઓ વાપરી. (૨ શમુ. ૧૫:૨-૬) બાઇબલના એ અહેવાલોથી ખબર પડે છે કે યહોવાને એવા લોકો ગમતા નથી, જેઓ પોતાની વાહવાહ કરે છે. (નીતિ. ૨૫:૨૭) જેઓ ઘમંડી છે અને પોતાની વાહવાહ મેળવવા ચાહે છે, તેઓએ ખરાબ પરિણામ ભોગવવાં પડશે.—નીતિ. ૧૬:૧૮.

૯. ઈસુએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો?

ઈસુ એ ઘમંડી લોકો જેવા ન હતા. “તે ઈશ્વર જેવા હતા, છતાં તેમણે સત્તા છીનવી લેવાનો, એટલે કે ઈશ્વર સમાન થવાનો વિચાર ન કર્યો.” (ફિલિ. ૨:૬) યહોવા પછી ઈસુ બીજા સ્થાને હતા, તોપણ તેમનામાં ઘમંડ આવી ગયું નહિ. તેમણે તો શિષ્યોને કહ્યું, “તમારામાં જે કોઈ પોતાને સૌથી નાનો ગણે છે, તે મોટો છે.” (લુક ૯:૪૮) નમ્રતા બતાવવામાં પાયોનિયરો, સહાયક સેવકો, વડીલો અને સરકીટ નિરીક્ષકો ઈસુને પગલે ચાલે છે. જો આપણે નમ્ર હોઈશું તો બીજાઓ માટે પ્રેમ બતાવીશું. ઈસુએ કહ્યું હતું કે પ્રેમ ઈશ્વરભક્તોની ઓળખ છે.—યોહા. ૧૩:૩૫.

૧૦. તમને લાગે કે મંડળમાં મુશ્કેલીઓનો હલ સારી રીતે આવી રહ્યો નથી તો તમે શું કરશો?

૧૦ અમુક વાર તમને લાગે કે મંડળમાં વડીલો મુશ્કેલીઓનો સારી રીતે હલ લાવતા નથી. એવા સમયે તમે શું કરશો? ફરિયાદ કરવાને બદલે આગેવાની લેનાર ભાઈઓને આધીન રહો અને નમ્રતા બતાવો. (હિબ્રૂ. ૧૩:૧૭) પોતાને પૂછો: ‘શું એ મુશ્કેલી એટલી મોટી છે કે જેનો તરત જ હલ લાવવો જોઈએ? શું એનો ઉકેલ લાવવાનો આજ યોગ્ય સમય છે? શું એનો ઉકેલ લાવવાનું કામ મારું છે? શું હું મંડળમાં એકતા જાળવવાનો પ્રયત્ન કરું છું કે પોતાને ચઢિયાતો સાબિત કરવાનો પ્રયત્ન કરું છું?’

જેઓને જવાબદારી મળે છે તેઓમાં આવડત કરતાં નમ્રતા હોવી ખૂબ જરૂરી છે (ફકરો ૧૧ જુઓ) *

૧૧. એફેસીઓ ૪:૨, ૩ પ્રમાણે જો આપણે નમ્ર રહીને યહોવાની સેવા કરીશું તો શું ફાયદો થશે?

૧૧ યહોવાની નજરે આપણી આવડતો કરતાં આપણી નમ્રતા વધારે કીમતી છે. કોઈ કામ સારી રીતે થશે એ યહોવાને ગમશે. પણ મંડળમાં એકતા જળવાશે તો એ યહોવાને વધારે ગમશે. એટલે નમ્રતાથી યહોવાની સેવા કરવા બનતું બધું કરીએ. નમ્ર હોઈશું તો ભાઈ-બહેનો સાથે હળીમળીને કામ કરીશું અને એનાથી મંડળની એકતા જળવાશે. (એફેસીઓ ૪:૨, ૩ વાંચો.) બને એટલા લોકોને ખુશખબર જણાવવા મહેનત કરીએ અને મહેમાનગતિ બતાવીએ. જેઓ પાસે જવાબદારી છે ફક્ત તેઓને જ નહિ, પણ મંડળનાં બધાં ભાઈ-બહેનોને મહેમાનગતિ બતાવીએ. (માથ. ૬:૧-૪; લુક ૧૪:૧૨-૧૪) જો તમે નમ્ર હશો અને ભાઈ-બહેનો સાથે હળીમળીને કામ કરશો તો શું થશે? તેઓની નજરે તમારી આવડત કીમતી હશે, પણ એનાથી વધારે કીમતી તમારી નમ્રતા હશે.

સોશિયલ મીડિયા વાપરતી વખતે નમ્ર રહીએ

૧૨. મિત્રો બનાવવા વિશે બાઇબલમાં શું લખ્યું છે? સમજાવો.

૧૨ યહોવા ચાહે છે કે કુટુંબના સભ્યો અને મિત્રો સાથે આપણે હસી-ખુશી સમય વિતાવીએ. (ગીત. ૧૩૩:૧) ઈસુના પણ પાકા મિત્રો હતા. (યોહા. ૧૫:૧૫) બાઇબલમાં લખ્યું છે કે પાકા મિત્રો આપણી ઘણી મદદ કરે છે. (નીતિ. ૧૭:૧૭; ૧૮:૨૪) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે આપણે એકલા-અટૂલા રહીશું તો એ આપણા માટે સારું નથી. (નીતિ. ૧૮:૧) અમુકને લાગે કે સોશિયલ મીડિયા પર ઘણા મિત્રો બનાવી શકાય છે. એવું કરવાથી તેઓને એકલું-એકલું લાગશે નહિ. પણ આપણે સમજી-વિચારીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ.

૧૩. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર અમુક લોકોને કેમ એકલું એકલું લાગે છે અને તેઓ નિરાશ થઈ જાય છે?

૧૩ અમુક અભ્યાસ પરથી જોવા મળ્યું છે કે જે લોકો સોશિયલ મીડિયા પર બીજા લોકોનાં ફોટા અને કોમેન્ટ જોવામાં સમય વિતાવે છે. તેઓને એકલું એકલું લાગે છે અને તેઓ નિરાશ થઈ જાય છે. શા માટે? કારણ કે લોકો સોશિયલ મીડિયા પર પોતાના સારા સારા ફોટા મૂકે છે. એમાંથી દેખાય આવે છે કે તેઓ કેટલી મોજમજા કરે છે. મિત્રો સાથે કેટલી લહેર કરે છે અને અલગ અલગ જગ્યાએ ફરવા જાય છે. એ ફોટા પરથી તેઓના જીવનની અમુક જ બાબતો જાણવા મળે છે. એ જોઈને કદાચ કોઈને થાય કે ‘એ લોકો તો કેટલી મોજમજા કરે છે. મારા જીવનમાં તો કોઈ મજા રહી જ નથી ને.’ ૧૯ વર્ષની એક બહેન કહે છે, ‘બીજાઓને શનિ રવિ મોજમજા કરતા જોઉં ત્યારે મને બહુ ઈર્ષા થતી. કારણ કે હું તો ઘરમાં બેઠી બેઠી કંટાળી જતી.’

૧૪. સોશિયલ મીડિયા વાપરતી વખતે ૧ પીતર ૩:૮માં આપેલી સલાહ કઈ રીતે પાળી શકીએ?

૧૪ ખરું કે સોશિયલ મીડિયાના અમુક ફાયદાઓ પણ છે. જેમ કે, કુટુંબના સભ્યો કે મિત્રો સાથે આપણે વાત કરી શકીએ છીએ. શું તમે જાણે છો કે અમુક એના પર પોતાના ફોટા કે વીડિયો કે કોઈ વાત એટલા માટે લખે છે કે જેથી લોકો તેમની વાહવાહ કરે? તેઓ તો જાણે એવું કહી રહ્યા છે “મને જુઓ.” અમુક લોકો પોતે લીધેલા ફોટા કે બીજાઓએ લીધેલા ફોટાની નીચે ખરાબ અને ગંદી વાતો લખે છે. એનાથી બીજાઓનાં દિલને ઠેસ પહોંચે છે. જો આપણે નમ્ર હોઈશું તો બીજાઓની લાગણીઓનું ધ્યાન રાખીશું અને સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરીશું નહિ.—૧ પીતર ૩:૮ વાંચો.

તમે સોશિયલ મીડિયા પર જે મૂકો છો એનાથી તમારા વિશે શું ખબર પડે છે? તમે નમ્ર છો કે બડાઈ મારો છો (ફકરો ૧૫ જુઓ)

૧૫. સોશિયલ મીડિયા વાપરતી વખતે એક નમ્ર વ્યક્તિ કઈ બાબતોનું ધ્યાન રાખશે?

૧૫ જો તમે સોશિયલ મીડિયા વાપરતા હો તો પોતાને આ સવાલ પૂછો: ‘શું મારી લખેલી વાતો, ફોટાઓ અને વીડિયોથી લોકોને એવું લાગે છે કે હું બડાઈ મારું છું? શું એ જોઈને લોકોને ઈર્ષા થાય છે?’ ધ્યાન આપો કે બાઇબલ કહે છે, “દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા, આંખોની લાલસા અને પોતાની માલમિલકતનું અભિમાન, એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે.” (૧ યોહા. ૨:૧૬) એક બાઇબલ ભાષાંતરમાં “પોતાની માલમિલકતનું અભિમાન” શબ્દો માટે આ રીતે અનુવાદ કરવામાં આવ્યું છે, ‘બહુ દેખાડો કરવો.’ પણ ઈશ્વરભક્તો દેખાડો કરતા નથી. તેઓ લોકોની વાહવાહ મેળવવા ચાહતા નથી. તેઓ તો બાઇબલની આ સલાહ માને છે: “આપણે અહંકારી ન બનીએ, હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ અને એકબીજાની અદેખાઈ ન કરીએ.” (ગલા. ૫:૨૬) જો આપણે નમ્ર હોઈશું તો દુનિયાના લોકોની જેમ ઘમંડી નહિ બનીએ અને દેખાડો નહિ કરીએ.

“સમજુ બનો”

૧૬. આપણે કેમ ઘમંડી ન બનવું જોઈએ?

૧૬ એક ઘમંડી વ્યક્તિ “સમજુ” હોતી નથી. (રોમ. ૧૨:૩) તેને બીજાની વાત ગમતી નથી. તે તો ફક્ત પોતાનો જ વિચાર કરે છે. તે પોતાનાં વિચારો અને કાર્યોથી પોતાને જ નહિ, પણ બીજાઓને પણ નુકસાન પહોંચાડે છે. જો તે ધ્યાન નહિ રાખે, તો શેતાન એનો ફાયદો ઉઠાવશે અને તેનું મન આંધળું કરી નાખશે. (૨ કોરીં. ૪:૪; ૧૧:૩) જ્યારે કે એક નમ્ર વ્યક્તિ સમજુ હોય છે. તે પોતે કંઈક છે એવું વિચારતો નથી. તે જાણે છે કે ઘણી બાબતોમાં બીજાઓ તેના કરતાં ચઢિયાતા છે. (ફિલિ. ૨:૩) તે એ પણ જાણે છે કે “ઈશ્વર અભિમાની લોકોનો વિરોધ કરે છે પણ તે નમ્ર લોકો પર અપાર કૃપા બતાવે છે.” (૧ પીત. ૫:૫) એક સમજુ વ્યક્તિ ક્યારેય નહિ ચાહે કે યહોવા તેનાથી નાખુશ થાય.

૧૭. નમ્ર બનવા આપણે શું કરવું જોઈએ?

૧૭ નમ્ર રહેવા આપણે બાઇબલની આ સલાહ પાળવી જોઈએ: “જૂના સ્વભાવને એની આદતો સાથે ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો.” એ માટે આપણે ખૂબ મહેનત કરવી જોઈએ. એટલું જ નહિ, આપણે ઈસુના દાખલાનો અભ્યાસ કરીએ અને તેમના પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ. (કોલો. ૩:૯, ૧૦; ૧ પીત. ૨:૨૧) જો એમ કરીશું તો આપણી મહેનત રંગ લાવશે. જો નમ્રતા બતાવીશું તો આપણું કુટુંબ ખુશ રહેશે, મંડળની એકતા જળવાશે અને આપણે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ નહિ કરીએ. સૌથી મહત્ત્વનું તો એના લીધે યહોવા આપણા પર આશીર્વાદો વરસાવશે અને તેમની કૃપા આપણા પર રહેશે.

ગીત ૧૯ નવી દુનિયાનું વચન

^ ફકરો. 5 આજે ચારેબાજુ નજર કરીએ તો ઘમંડી અને સ્વાર્થી લોકો જોવા મળે છે. ધ્યાન રાખીએ કે એવા લોકોનો રંગ આપણને ન લાગે. આ લેખમાં એવી ત્રણ બાબતો જોઈશું, જેમાં આપણે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણવા ન જોઈએ.

^ ફકરો. 2 શબ્દોની સમજ: એક ઘમંડી વ્યક્તિને પોતાની જ પડી હોય છે. તે બીજાઓનો વિચાર કરતી નથી. તે ખૂબ સ્વાર્થી હોય છે. જો વ્યક્તિ નમ્ર હશે તો તે સ્વાર્થી નહિ બને અને ઘમંડ નહિ કરે અને પોતે કંઈક છે એવું નહિ વિચારે.

^ ફકરો. 56 ચિત્રની સમજ: એક વડીલ સંમેલનમાં જોરદાર પ્રવચન આપી રહ્યા છે. તે બીજાં કામોની દેખરેખ રાખી રહ્યા છે અને ભાઈઓને માર્ગદર્શન આપી રહ્યા છે. તે પ્રચારની સભા ચલાવી રહ્યા છે અને પ્રાર્થનાઘરની સાફસફાઈ કરી રહ્યા છે.