સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૭

યહોવાની જેમ ધીરજ રાખીએ

યહોવાની જેમ ધીરજ રાખીએ

“તમે અંત સુધી ટકી રહીને તમારું જીવન બચાવશો.”—લૂક ૨૧:૧૯.

ગીત ૩૫ યહોવાની ધીરજ

ઝલક *

૧-૨. કઈ વાત યાદ રાખવાથી આપણે હિંમત હારીશું નહિ?

“હિંમત હારશો નહિ!” એ ૨૦૧૭ના મહાસંમેલનનો વિષય હતો. એમાં આપણને ઉત્તેજન મળ્યું હતું કે આપણે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ. એ સંમેલનને ચાર વરસ થઈ ગયા છે અને આજે પણ શેતાનની દુષ્ટ દુનિયામાં આપણે મુશ્કેલીઓ સહી રહ્યા છીએ.

શું તમે હમણાં કોઈ મુશ્કેલી સહી રહ્યા છો? શું તમારો કોઈ દોસ્ત કે સગું-વહાલું ગુજરી ગયું છે? શું તમને કોઈ મોટી બીમારી થઈ છે? અથવા શું તમે વધતી ઉંમરને લીધે ચિંતામાં છો? શું તમે કુદરતી આફતો, હિંસા કે જુલમનો ભોગ બન્યા છો? અથવા તમે કોવિડ-૧૯ની મહામારીને લીધે ચિંતામાં છો? યહોવા વચન આપે છે કે બહુ જલદી એ બધી મુશ્કેલીઓને દૂર કરશે. આપણને એ ફરી ક્યારેય યાદ નહિ આવે. એ દિવસની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.—યશાયા ૬૫:૧૬, ૧૭ વાંચો.

૩. આજે ધીરજ રાખવી કેમ ખૂબ જરૂરી છે?

આ દુનિયામાં જીવવું સહેલું નથી અને મુશ્કેલીઓ તો હજુ વધશે. (માથ. ૨૪:૨૧) આપણે હજુ પણ વધારે સહેવું પડશે અને ટકી રહેવું પડશે. શા માટે? કારણ કે ઈસુએ કહ્યું હતું કે “તમે અંત સુધી ટકી રહીને તમારું જીવન બચાવશો.” (લૂક ૨૧:૧૯) ધીરજથી મુશ્કેલીઓ સહેવા અને અંત સુધી ટકી રહેવા આપણે બીજાઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ.

૪. કઈ રીતે યહોવાએ ધીરજથી સહન કરવામાં સૌથી સારો દાખલો બેસાડ્યો છે?

શું તમને ખબર છે કે ધીરજથી સહન કરવામાં સૌથી સારો દાખલો કોણે બેસાડ્યો છે? યહોવા ઈશ્વરે. આપણને કદાચ થાય કે યહોવાએ સહન કરવાની શી જરૂર? જરા વિચારો, આ દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે, જ્યાં જુઓ ત્યાં મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે. જો યહોવા ચાહે તો આ મુશ્કેલીઓ ચપટીમાં જ દૂર કરી નાંખે, પણ તે ધીરજથી સહન કરે છે. તેમણે એક દિવસ નક્કી કર્યો છે, જ્યારે તે શેતાન અને તેની આ દુષ્ટ દુનિયાનો નાશ કરશે. (રોમ. ૯:૨૨) યહોવા એ દિવસની રાહ જોઈ રહ્યા છે. ચાલો આપણે એવી નવ બાબતો પર વિચાર કરીએ જે યહોવા સહી રહ્યા છે.

યહોવા શું સહી રહ્યા છે?

૫. (ક) યહોવાના નામ પર કઈ રીતે કલંક લાગ્યું? (ખ) એ જાણીને તમને કેવું લાગે છે?

તેમના નામ પર લાગેલું કલંક. યહોવાને પોતાનું નામ ઘણું વહાલું છે. તે ચાહે છે કે લોકો તેમના નામનો આદર કરે. (યશા. ૪૨:૮) પણ છ હજાર વર્ષથી લોકો તેમના નામનું અપમાન કરતા આવ્યા છે. (ગીત. ૭૪:૧૦, ૧૮, ૨૩) એની શરૂઆત એદન બાગમાં થઈ જ્યારે શેતાને યહોવાની નિંદા કરી અને તેમના પર આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે આદમ અને હવાને ખુશ રહેવા, જે જરૂરી છે એ યહોવા આપતા નથી. (ઉત. ૩:૧-૫) એ સમયથી લઈને અત્યાર સુધી યહોવા પર આરોપ મૂકવામાં આવે છે કે તે માણસોથી જરૂરી વસ્તુઓ દૂર રાખે છે. ઈસુ ખ્રિસ્તને પણ પોતાના પિતાના નામ પર લાગેલા કલંકની ચિંતા હતી. એટલે તેમણે શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.”—માથ. ૬:૯.

૬. તેમના રાજ કરવાના હકનો વિરોધ થયો ત્યારે યહોવા તરત જ હલ કેમ ન લાવ્યા?

તેમના રાજનો વિરોધ. યહોવાને જ સ્વર્ગમાં અને ધરતી પર રાજ કરવાનો હક છે. તેમની જ રાજ કરવાની રીત સૌથી સારી છે. (પ્રકટી. ૪:૧૧) શેતાને બીજા સ્વર્ગદૂતોને અને માણસોને ભમાવ્યા. તેણે કહ્યું કે યહોવાને રાજ કરવાનો હક નથી. એ મામલાનો હલ રાતોરાત આવી શકે એમ ન હતો. એટલે યહોવાએ માણસોને રાજ કરવા દીધું, જેથી તેઓ પોતે જોઈ શકે કે યહોવા વગર તેઓ સફળ થઈ શકશે નહિ. (યર્મિ. ૧૦:૨૩) યહોવાની ધીરજને લીધે હંમેશ માટે સાબિત થઈ જશે કે સ્વર્ગમાં અને ધરતી પર રાજ કરવાનો હક ફક્ત તેમને જ છે. યહોવાનું રાજ્ય ધરતી પર ખરી શાંતિ અને સલામતી લાવશે.

૭. (ક) કોણે યહોવાની વિરુદ્ધ બળવો કર્યો? (ખ) યહોવા તેઓનું શું કરશે?

તેમના અમુક બાળકોએ બળવો કર્યો. યહોવાએ સ્વર્ગદૂત અને માણસોને બનાવ્યાં ત્યારે તેઓમાં કોઈ ખામી ન હતી. શેતાને તો યહોવાની વિરુદ્ધ બળવો કર્યો અને આદમ અને હવાને પણ યહોવાની વિરુદ્ધ કરી દીધા. કેટલાક સ્વર્ગદૂતો અને માણસોએ શેતાન સાથે હાથ મિલાવ્યા. (યહૂ. ૬) અરે, અમુક ઇઝરાયેલીઓ પણ જૂઠી ભક્તિ કરવા લાગ્યા. તેઓ તો યહોવાના પસંદ કરેલા લોકો હતા. (યશા. ૬૩:૮, ૧૦) યહોવા સાથે કેટલો મોટો દગો! તેમ છતાં યહોવાએ ધીરજ રાખી અને આજે પણ તે ધીરજ રાખી રહ્યા છે. તે એ સમયની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તે બધા બળવાખોરોનો હંમેશ માટે નાશ કરી દેશે. પછી યહોવા અને તેમના વફાદાર સેવકો ખુશ હશે કે તેઓએ કોઈ પણ દુષ્ટતા સહેવી નહિ પડે.

૮-૯. (ક) ઈશ્વર પર કયો આરોપ લગાવવામાં આવ્યો છે? (ખ) એ આરોપને ખોટો સાબિત કરવા આપણે શું કરી શકીએ?

શેતાનના ખોટા આરોપો. શેતાને અયૂબ પર આરોપ લગાવ્યો હતો કે તે પોતાના ફાયદા માટે યહોવાની ભક્તિ કરે છે. (અયૂ. ૧:૮-૧૧; ૨:૩-૫) એ દિવસથી લઈને આજ સુધી શેતાન એવો જ આરોપ બીજા ઈશ્વર ભક્તો પર લગાવતો આવ્યો છે. (પ્રકટી. ૧૨:૧૦) જો આપણે યહોવાને પ્રેમ કરતા હોઈશું તો મુશ્કેલીઓને ધીરજથી સહીશું અને યહોવાને વફાદાર રહીશું. આમ શેતાનને જૂઠો સાબિત કરીશું. ધીરજ રાખવાથી આપણને પણ અયૂબની જેમ આશીર્વાદો મળશે.—યાકૂ. ૫:૧૧.

ધર્મગુરુઓનો ઉપયોગ કરીને શેતાન જૂઠાણું ફેલાવે છે. તેઓ કહે છે કે ઈશ્વર જ માણસોને સુખ અને દુઃખ આપે છે. આમ તેઓ ઈશ્વરને ક્રૂર સાબિત કરે છે. દાખલા તરીકે, એક બાળકનું મોત થાય ત્યારે તેઓ કહે છે કે “એ તો ઈશ્વરનું ગમતું ફૂલ હતું એટલે તેમણે પોતાની પાસે બોલાવી લીધું.” કેટલું હળહળતું જૂઠ્ઠું! ઈશ્વર તો ક્યારેય એવું ન કરે. તે તો પ્રેમના સાગર છે અને આપણને ખૂબ પ્રેમ કરે છે. આપણે બીમાર પડીએ કે કોઈ સગું-વહાલું મરણ પામે ત્યારે આપણે ઈશ્વર પર આરોપ લગાવતા નથી. આપણને પૂરો ભરોસો છે કે એક દિવસ તે બધું જ ઠીક કરી દેશે. એ વિશે આપણે બીજાઓને પણ જણાવીએ છીએ. એવું કરીએ છીએ ત્યારે યહોવા શેતાનના મહેણાંનો જવાબ આપી શકે છે.—નીતિ. ૨૭:૧૧.

૧૦. ગીતશાસ્ત્ર ૨૨:૨૩, ૨૪માંથી યહોવા વિશે શું શીખી શકીએ?

૧૦ તેમના વહાલા ભક્તોની દુઃખ-તકલીફો. યહોવા એક દયાળુ ઈશ્વર છે. જ્યારે તેમના ભક્તો જુલમ સહે, બીમાર પડે કે પોતાની નબળાઈઓને લીધે દુઃખી થાય ત્યારે તેમને પણ બહુ દુઃખ થાય છે. (ગીતશાસ્ત્ર ૨૨:૨૩, ૨૪ વાંચો.) યહોવા આપણું દુઃખ સમજે છે અને એને દૂર કરવા ઇચ્છે છે. (નિર્ગમન ૩:૭, ૮; યશાયા ૬૩:૯ સરખાવો.) એક દિવસ તે એવું જરૂર કરશે. બહુ જલદી જ “ઈશ્વર [આપણી] આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!”—પ્રકટી. ૨૧:૪.

૧૧. યહોવાને પોતાના મિત્રોની કઈ વાતો યાદ આવતી હશે?

૧૧ પોતાના મિત્રોને ગુમાવવાનું દુઃખ. યહોવાના ઘણા વફાદાર ભક્તો ગુજરી ગયા છે. તે તેઓને જોવા માટે તરસી રહ્યા છે. (અયૂ. ૧૪:૧૫) જરા વિચારો, યહોવાને પોતાના દોસ્ત ઇબ્રાહિમની કેટલી યાદ આવતી હશે! (યાકૂ. ૨:૨૩) તેમના સેવક મુસા સાથે તેમણે “મોઢામોઢ વાત કરી” હતી, જેમની પણ તેમને યાદ સતાવતી હશે. (નિર્ગ. ૩૩:૧૧) દાઉદ અને ગીતશાસ્ત્રના બીજા લેખકોએ યહોવાનો મહિમા કરવા ઘણાં ગીતો ગાયાં હતાં. તેઓને પણ તે યાદ કરતા હશે. (ગીત. ૧૦૪:૩૩) યહોવાના એ સેવકોને ગુજરી ગયે ઘણો સમય થઈ ગયો છે. પણ યહોવા તેઓને ભૂલ્યા નથી. (યશા. ૪૯:૧૫) તેઓની એકેએક વાત તેમને યાદ છે. “તેમની નજરમાં તેઓ બધા જીવે છે.” (લૂક ૨૦:૩૮) નવી દુનિયામાં તેમના ભક્તો ફરી જીવતા થશે ત્યારે યહોવા ફરીથી તેઓની પ્રાર્થના સાંભળશે અને તેઓની ભક્તિ સ્વીકારશે. એ જોઈને યહોવાને કેટલી ખુશી થશે! જો તમે પણ સગાં-વહાલાંને ગુમાવ્યા હોય તો એ વાત જાણીને કેટલો દિલાસો મળે છે!

૧૨. યહોવાને શાનાથી દુઃખ થાય છે?

૧૨ દુષ્ટોનો જુલમ. એદન બાગમાં બળવો થયો ત્યારથી જ યહોવા જાણતા હતા કે આગળ જતા હાલત વધુ ખરાબ થશે. આજે જ્યાં જોઈએ ત્યાં બૂરાઈ, અન્યાય અને હિંસા છે. યહોવા એ બધું ધિક્કારે છે. યહોવાને વિધવા, અનાથ અને લાચાર લોકો માટે ખૂબ હમદર્દી છે. (ઝખા. ૭:૯, ૧૦) જ્યારે તેમના ભક્તોને સતાવવામાં આવે અને જેલમાં નાખવામાં આવે ત્યારે યહોવાને બહુ દુઃખ થાય છે. આપણને ભરોસો છે કે જેઓ દુષ્ટ લોકોનો જુલમ સહન કરે છે તેઓને યહોવા પ્રેમ કરે છે.

૧૩. (ક) માણસો કેવાં ગંદાં કામો કરે છે? (ખ) બહુ જલદી જ ઈશ્વર શું કરશે?

૧૩ વ્યભિચાર જેવા ગંદાં કામો. ઈશ્વરના જેવા ગુણો સાથે માણસોને બનાવવામાં આવ્યા હતા. પણ શેતાન તેઓ પાસે ગંદાં કામ કરાવવા ચાહે છે. નૂહના દિવસોમાં પણ એવું જ કંઈક થયું હતું. યહોવાએ જોયું કે પૃથ્વી પર લોકોની દુષ્ટતા વધી ગઈ છે. “પૃથ્વી પર મનુષ્યો બનાવ્યા એનું યહોવાને દુઃખ થયું અને તેમના દિલને ઠેસ પહોંચી.” (ઉત. ૬:૫, ૬, ફુટનોટ, ૧૧) એ સમયથી લઈને સંજોગો બગડી રહ્યા છે. પુરુષ સ્ત્રી સાથે, પુરુષ પુરુષ સાથે અને સ્ત્રી સ્ત્રી સાથે ગંદાં કામો કરે છે. (એફે. ૪:૧૮, ૧૯) જો યહોવાનો ભક્ત એવું કામ કરે તો શેતાનને ઘણી ખુશી થાય છે. પણ યહોવા એવાં ગંદાં કામ ચલાવી નહિ લે. બહુ જલદી જ એવાં કામ કરનારાઓનો નાશ કરશે.

૧૪. માણસોએ ધરતીની કેવી દશા કરી છે?

૧૪ સૃષ્ટિનો નાશ. “એક માણસ બીજા માણસ પર સત્તા જમાવીને તેને નુકસાન પહોંચાડે છે.” (સભા. ૮:૯) અરે તેણે ધરતી અને જાનવરોને પણ છોડ્યા નથી. યહોવાએ તેઓની સંભાળ રાખવાનું કામ માણસોને સોંપ્યું હતું. (ઉત. ૧:૨૮) વૈજ્ઞાનિકોનું માનવું છે કે માણસ પોતાની હરકતો સુધારશે નહિ તો અમુક વર્ષોમાં દસ લાખ જાનવરોની પ્રજાતિ નાશ થઈ જશે. એટલે જ આજે લોકો વાતાવરણને લઈને બહુ ચિંતા કરે છે. પણ યહોવાએ વચન આપ્યું છે, “જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.” (પ્રકટી. ૧૧:૧૮) જલદી જ તે ધરતીને બાગ જેવી સુંદર બનાવી દેશે.—યશા. ૩૫:૧.

યહોવા પાસેથી શું શીખી શકીએ?

૧૫-૧૬. યહોવાની જેમ ધીરજથી સહેવા કઈ બાબત આપણને મદદ કરે છે? એક દાખલો આપો.

૧૫ જરા વિચારો, યહોવા વર્ષોથી કેટલું સહન કરી રહ્યા છે! (“ યહોવા શું સહી રહ્યા છે?” બૉક્સ જુઓ.) તે ધારે તો ચપટીમાં શેતાનની દુનિયાનો નાશ કરી શકે છે, પણ તે ધીરજ રાખી રહ્યા છે. એનાથી આપણને ફાયદો થાય છે. ચાલો એ સમજવા એક દાખલો જોઈએ. એક પતિ-પત્નીને કહેવામાં આવે છે કે તેમનું બાળક જન્મથી જ બીમાર રહેશે અને બહુ જીવશે નહિ. તેમ છતાં તેઓ એ બાળકને જન્મ આપવાનો નિર્ણય લે છે. તેઓએ બહુ તકલીફ વેઠવી પડે છે, તોપણ તેઓ બાળકનો ઉછેર કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. કારણ કે તેઓ પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે છે.

૧૬ આદમ અને હવાનાં બાળકો પણ એ બીમાર બાળક જેવા છે. તેઓ જન્મથી જ પાપી છે, તોપણ યહોવા તેઓને પ્રેમ કરે છે. યહોવા તેઓની કાળજી રાખે છે. (૧ યોહા. ૪:૧૯) દાખલામાં બતાવેલા માબાપ પોતાના બાળકની મુશ્કેલી દૂર કરી શકતા નથી. પણ યહોવા માટે એવું નથી. તે પોતાનાં બાળકોની તકલીફો દૂર કરી શકે છે અને એ માટે તેમણે એક દિવસ પણ નક્કી કર્યો છે. (માથ. ૨૪:૩૬) એ દિવસ આવે ત્યાં સુધી યહોવાનો પ્રેમ આપણને ધીરજથી સહેવા મદદ કરશે.

૧૭. (ક) હિબ્રૂઓ ૧૨:૨, ૩માં ઈસુ વિશે શું જણાવ્યું છે? (ખ) એમાંથી આપણને કઈ રીતે હિંમત મળી શકે?

૧૭ ધીરજ રાખવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. યહોવાની જેમ ઈસુએ પણ ધીરજ રાખી. ધરતી પર હતા ત્યારે ઈસુએ લોકોની કડવી વાતો સહેવી પડી, અપમાન સહન કરવું પડ્યું. એટલું જ નહિ તેમણે તો આપણા માટે પોતાનો જીવ પણ આપી દીધો. (હિબ્રૂઓ ૧૨:૨, ૩ વાંચો.) યહોવાએ જે રીતે ધીરજ બતાવી, એનાથી ઈસુને એ બધું સહન કરવા માટે હિંમત મળી. આજે આપણને પણ એમાંથી હિંમત મળી શકે છે.

૧૮. બીજો પિતર ૩:૯ પ્રમાણે યહોવાની ધીરજને લીધે શું શક્ય બન્યું છે?

૧૮ બીજો પિતર ૩:૯ વાંચો. દુષ્ટ દુનિયાનો નાશ ક્યારે કરવો એ યહોવા સારી રીતે જાણે છે. યહોવાએ ધીરજ બતાવી એટલે ઘણા લોકો તેમને ઓળખી શક્યા છે. આજે એક મોટું ટોળું તેમની ભક્તિ કરી રહ્યું છે. તેઓ ખુશ છે કે યહોવાએ આ દુનિયાનો નાશ કરવામાં ઉતાવળ નથી કરી. એના લીધે તેઓ દુનિયામાં જન્મ લઈ શક્યા છે, યહોવા વિશે શીખી શક્યા છે અને આજે તેમની ભક્તિ કરી શક્યા છે. જ્યારે યહોવા દુષ્ટ દુનિયાનો નાશ કરશે ત્યારે લાખો લોકો બચશે. એ સમયે પુરવાર થઈ જશે કે યહોવાએ બતાવેલી ધીરજ યોગ્ય હતી.

૧૯. (ક) આપણને શું કરવાની હિંમત મળે છે? (ખ) આપણને કયું ઇનામ મળશે?

૧૯ શેતાને દુનિયામાં ઘણી તબાહી મચાવી છે. તેણે યહોવાને ઘણું દુઃખ પહોંચાડ્યું છે, તોપણ શેતાન તેમનો આનંદ છીનવી શક્યો નથી. (૧ તિમો. ૧:૧૧) એનાથી શીખી શકીએ કે આપણા પર તકલીફો આવે ત્યારે ખુશીથી સહીએ. યહોવા એ દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જ્યારે તે પોતાનું નામ પવિત્ર કરશે અને પોતાનો રાજ કરવાનો હક સાબિત કરશે. એટલું જ નહિ તે આ દુનિયામાંથી સદાને માટે દુષ્ટતા અને મુશ્કેલી દૂર કરી દેશે. યહોવા એ બધું ધીરજથી સહી રહ્યા છે. એ વાત યાદ રાખવાથી આપણને પણ ધીરજથી સહેવા હિંમત મળે છે. એમ કરીએ છીએ ત્યારે આ વાત સાચી પડે છે: “જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે, કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે. યહોવાએ આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે.”—યાકૂ. ૧:૧૨.

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

^ ફકરો. 5 આપણે બધા મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. અમુક મુશ્કેલીઓનું આપણે કંઈ કરી શકતા નથી. આપણે એ મુશ્કેલીઓ સહેવી પડે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. યહોવા પણ અમુક બાબતો સહન કરે છે, એમાંના નવ મુદ્દાઓ પર આપણે આ લેખમાં ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે યહોવા ધીરજથી સહન કરે છે એનાથી આપણને શું ફાયદો થાય છે અને એમાંથી શું શીખી શકીએ.