સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે’

‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે’

‘હે ઈસ્રાએલ, સાંભળ: યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે.’—પુન. ૬:૪.

ગીતો: ૧૩૮,

૧, ૨. (ક) શા માટે પુનર્નિયમ ૬:૪ના શબ્દો જાણીતા છે? (ખ) મુસાએ એ શબ્દો શા માટે કહ્યા હતા?

સદીઓથી યહુદી લોકો ખાસ પ્રાર્થનામાં પુનર્નિયમ ૬:૪ના શબ્દો વાપરતા આવ્યા છે. હિબ્રૂ ભાષામાં એ કલમનો પહેલો શબ્દ શીમા છે, એટલે એ પ્રાર્થના શીમા તરીકે ઓળખાય છે. ઘણા યહુદીઓ રોજ સવારે અને સાંજે એ પ્રાર્થના કરીને બતાવવા ચાહે છે કે, તેઓ એકલા ઈશ્વરની જ ભક્તિ કરે છે.

એ શબ્દો મુસાએ ઈસ્રાએલ પ્રજાને આપેલા છેલ્લા પ્રવચનનો ભાગ છે. ઈસવીસન પૂર્વે ૧૪૭૩માં ઈસ્રાએલીઓ મોઆબના પ્રદેશમાં હતા. તેઓ વચનના દેશને જીતવા યરદન નદીને ઓળંગવાની તૈયારીમાં હતા. (પુન. ૬:૧) મુસાએ ૪૦ વર્ષ સુધી તેઓને દોર્યા હતા અને તે ચાહતા હતા કે આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા તેઓ હિંમતવાન બને. તેઓએ પોતાના ઈશ્વર યહોવામાં ભરોસો રાખવાનો હતો અને તેમને વફાદાર રહેવાનું હતું. તેથી, મુસાના એ છેલ્લા શબ્દોથી તેઓને ઘણું ઉત્તેજન મળ્યું હતું. મુસાએ ઈસ્રાએલીઓને દસ આજ્ઞાઓ અને યહોવાએ આપેલા બીજા નિયમો યાદ અપાવ્યા અને છેવટે પુનર્નિયમ ૬:૪, ૫ના એ જોરદાર શબ્દો કહ્યા. (વાંચો.)

૩. આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

ઈસ્રાએલીઓ જાણતા હતા કે યહોવા ઈશ્વર ‘એકલા જ યહોવા છે.’ વફાદાર ઇસ્રાએલીઓ એક જ ઈશ્વરની ભક્તિ કરતા હતા, જે તેઓના પૂર્વજોના ઈશ્વર હતા. તો પછી, મુસાએ શા માટે લોકોને એ યાદ અપાવવું પડ્યું કે, યહોવા તેઓના ઈશ્વર ‘એકલા જ યહોવા છે’? એ હકીકત અને ઈશ્વરને પૂરા દિલથી, પૂરા જીવથી અને પૂરી શક્તિથી પ્રેમ કરવાની વચ્ચે શો સંબંધ છે? પુનર્નિયમ ૬:૪, ૫ના શબ્દો આજે આપણને કઈ રીતે લાગુ પડે છે?

આપણા ઈશ્વર ‘એકલા જ યહોવા છે’

૪, ૫. (ક) ‘એકલા યહોવા’ શબ્દોનો એક અર્થ શો થાય છે? (ખ) બીજી પ્રજાના દેવો કરતાં યહોવા કઈ રીતે અલગ છે?

તે અજોડ છે. ‘એકલા યહોવા’ શબ્દો બતાવે છે કે યહોવા અજોડ છે અને કોઈ તેમની બરાબરી કરી શકે નહિ. મુસાએ એ શબ્દો શા માટે વાપર્યા હતા? એ શબ્દોથી મુસા ત્રૈક્ય વિશે કે એ માન્યતા કેમ ખોટી છે એ વિશે કહી રહ્યા ન હતા. હકીકતમાં તો, યહોવા આકાશ અને પૃથ્વીના રચનાર છે અને વિશ્વના રાજા છે. તે એકલા જ સાચા ઈશ્વર છે અને તેમના જેવો બીજો કોઈ દેવ નથી. (૨ શમૂ. ૭:૨૨) એ શબ્દોથી મુસા ઈસ્રાએલીઓને યાદ અપાવી રહ્યા હતા કે, તેઓએ ફક્ત યહોવાની ભક્તિ કરવાની છે. તેઓએ પડોશી દેશોને અનુસરવાનું ન હતું, જેઓ જૂઠા દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા. એ લોકો માનતા હતા કે, તેઓના દેવો અમુક કુદરતી બાબતોને કાબૂમાં રાખી શકે છે.

દાખલા તરીકે, ઇજિપ્તના લોકો રા નામના સૂર્ય-દેવ, અંતરિક્ષ-દેવી નટ, પૃથ્વી-દેવ ગેબ, નાઈલ-દેવ હાપી અને બીજાં ઘણાં પ્રાણીઓની ભક્તિ કરતા હતા. દસ આફતો લાવ્યા ત્યારે યહોવાએ બતાવ્યું કે તે એ જૂઠા દેવો કરતાં કેટલા ચઢિયાતા છે. કનાનીઓનો મુખ્ય દેવ બઆલ હતો. કનાનીઓ માનતા હતા કે જીવનને અસ્તિત્વમાં લાવનાર તો બઆલ છે. તેઓ બઆલને આકાશ, વરસાદ અને તોફાનનો પણ દેવ ગણતા. ઘણી જગ્યાએ, લોકો રક્ષણ માટે બઆલ પર આધાર રાખતા. (ગણ. ૨૫:૩) ઈસ્રાએલીઓએ યાદ રાખવાનું હતું કે તેઓના ઈશ્વર જ સાચા “ઈશ્વર છે,” તે સૌથી અજોડ છે અને તે ‘એકલા જ યહોવા છે.’—પુન. ૪:૩૫, ૩૯.

૬, ૭. ‘એકલા યહોવા’ શબ્દોનો બીજો અર્થ શો થાય અને યહોવાએ કઈ રીતે એ સાબિત કર્યું?

તે વફાદાર છે અને કદી બદલાતા નથી. ‘એકલા યહોવા’ શબ્દોનો એવો પણ અર્થ થાય કે, તેમના હેતુ અને કાર્યો હંમેશાં ભરોસાપાત્ર છે. યહોવા ઈશ્વર કદી બદલાતા નથી અને અણધાર્યું કંઈ પણ કરતા નથી. એને બદલે, તે વિશ્વાસુ, વફાદાર, સાચા અને કદી બદલાય નહિ એવા ઈશ્વર છે. દાખલા તરીકે, યહોવાએ ઈબ્રાહીમને વચન આપ્યું હતું કે તેમના વંશજો વચનના દેશમાં રહેશે. એ વચન પૂરું કરવા યહોવાએ ઘણા શક્તિશાળી ચમત્કારો કર્યા હતા. એ વચન આપ્યાના ૪૩૦ વર્ષ પછી પણ યહોવાનો હેતુ બદલાયો ન હતો.—ઉત. ૧૨:૧, ૨, ૭; નિર્ગ. ૧૨:૪૦, ૪૧.

સદીઓ પછી, યહોવાએ ઈસ્રાએલીઓને પોતાના સાક્ષીઓ તરીકે ઓળખાવ્યા અને તેઓને કહ્યું: “હું તે છું; મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી.” પોતાનો હેતુ ક્યારેય બદલાતો નથી એ સ્પષ્ટ કરવા યહોવાએ કહ્યું: “હું તે જ છું.” (યશા. ૪૩:૧૦, ૧૩; ૪૪:૬; ૪૮:૧૨) વફાદાર અને કદી બદલાય નહિ એવા ઈશ્વરની ભક્તિ કરવાનો ઈસ્રાએલીઓ પાસે કેવો મોટો લહાવો હતો! આજે આપણી પાસે પણ એવો જ લહાવો છે.—માલા. ૩:૬; યાકૂ. ૧:૧૭.

૮, ૯. (ક) યહોવા પોતાના ભક્તો પાસેથી શું ચાહે છે? (ખ) મુસાએ કહેલા શબ્દો પર ઈસુએ કઈ રીતે ભાર મૂક્યો?

મુસાએ ઈસ્રાએલીઓને યાદ અપાવ્યું હતું કે, યહોવા જે રીતે પ્રેમ બતાવે છે અને કાળજી રાખે છે એ ક્યારેય બદલાશે નહિ. એના બદલામાં, યહોવા એટલું જ ચાહતા હતા કે ઈસ્રાએલીઓ ફક્ત તેમની જ ભક્તિ કરે અને પૂરા દિલ, મન અને સામર્થ્યથી તેમને પ્રેમ કરે. એટલું જ નહિ, નાનાં બાળકો પણ ફક્ત યહોવાની ભક્તિ કરે એ માટે માબાપે દરેક તકનો ઉપયોગ કરીને તેઓને શીખવવાનું હતું.—પુન. ૬:૬-૯.

યહોવા ક્યારેય પોતાનો હેતુ બદલતા નથી. તેથી, સાચા ભક્તો પાસેથી તે જે ચાહે છે, એ પણ બદલતા નથી. જો આપણે યહોવાને પોતાની ભક્તિથી ખુશ કરવા માંગતા હોઈએ, તો આપણે ફક્ત તેમની જ ઉપાસના કરવી જોઈએ; અને પૂરા દિલ, મન અને સામર્થ્યથી તેમને પ્રેમ કરવો જોઈએ. ઈસુએ કહ્યું હતું કે એ સૌથી મહત્ત્વની આજ્ઞા છે. (માર્ક ૧૨:૨૮-૩૧ વાંચો.) પણ, આપણે કઈ રીતે બતાવી શકીએ કે, આપણા મને ‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે’? ચાલો એ વિશે જોઈએ.

ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ

૧૦, ૧૧. (ક) કયા અર્થમાં આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવાની છે? (ખ) હિબ્રૂ યુવાનોએ કઈ રીતે બતાવ્યું કે તેઓ પૂરેપૂરી રીતે યહોવાને વફાદાર હતા?

૧૦ આપણે ફક્ત યહોવાની ભક્તિ કરીને બતાવીએ છીએ કે તે જ આપણા એકમાત્ર ઈશ્વર છે. આપણે બીજા દેવોની ભક્તિ કરી શકતા નથી કે પછી સાચી ભક્તિમાં જૂઠા રીતરિવાજો સામેલ કરી શકતા નથી. યહોવા બીજા દેવો કરતાં ચઢિયાતા અને શક્તિશાળી છે અને તે જ એકમાત્ર સાચા ઈશ્વર છે. આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ.—પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.

૧૧ દાનીયેલના પુસ્તકમાં હનાન્યાહ, મીશાએલ, અઝાર્યાહ અને દાનીયેલ નામના હિબ્રૂ યુવાનોનો અહેવાલ આપવામાં આવ્યો છે. યહોવાના ભક્તો માટે અશુદ્ધ હોય એવો ખોરાક ખાવાની ના પાડીને તેઓએ બતાવ્યું હતું કે તેઓ ફક્ત યહોવાની જ ભક્તિ કરે છે. એટલું જ નહિ, દાનીયેલના ત્રણ મિત્રોએ નબૂખાદનેસ્સારે ઊભી કરેલી સોનાની મૂર્તિને નમન કરવાનો નકાર કરી દીધો હતો. તેઓના જીવનમાં પહેલું સ્થાન યહોવાનું હતું. તેઓ પૂરેપૂરી રીતે યહોવાને વફાદાર હતા.—દાની. ૨:૧–૩:૩૦.

૧૨. જો આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવા માંગતા હોઈએ, તો શાનાથી સાવચેત રહેવાની જરૂર છે?

૧૨ આપણા જીવનમાં પહેલું સ્થાન યહોવાનું જ હોવું જોઈએ. જો આપણે ચાહતા હોઈએ કે આપણી ભક્તિ ફક્ત યહોવાને જ જાય, તો સાવચેત રહેવાની જરૂર છે કે બીજી બાબતો યહોવાનું સ્થાન ન લઈ લે. એ બાબતો કઈ હોય શકે? યહોવાએ દસ આજ્ઞાઓમાં જણાવ્યું હતું કે, તેમના ભક્તોએ બીજાં દેવી-દેવતાઓની ભક્તિ ન કરવી જોઈએ. તેઓએ કોઈ પણ પ્રકારની મૂર્તિપૂજા પણ ન કરવી જોઈએ. (પુન. ૫:૬-૧૦) આજે, દુનિયામાં ઘણા પ્રકારની મૂર્તિપૂજા જોવા મળે છે અને એમાંની ઘણી એવી છે જેને આપણે સહેલાઈથી પારખી શકતા નથી. જોકે, પોતાના ભક્તો પાસેથી યહોવા જે ચાહે છે એ બદલાયું નથી. તે આજે પણ ‘એકલા યહોવા’ છે. ચાલો, જોઈએ કે આજે આપણે કઈ રીતે મૂર્તિપૂજાથી દૂર રહી શકીએ.

૧૩. કઈ બાબતોને આપણે યહોવા કરતાં વધારે પ્રેમ કરવા લાગી જઈ શકીએ?

૧૩ કોલોસી ૩:૫માં એવી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે, જે યહોવા સાથેની આપણી દોસ્તીને જોખમમાં મૂકી શકે. (વાંચો.) એ કલમમાં લોભને મૂર્તિપૂજા સાથે સરખાવવામાં આવ્યો છે. કઈ રીતે? ખૂબ ધનદોલત કે એશોઆરામ અને બીજી બાબતો મેળવવા આપણે ઘેલા બનીશું, તો એ બાબતો શક્તિશાળી દેવની જેમ આપણા જીવન પર હાવી થઈ જશે. કોલોસી ૩:૫માં જણાવેલા બધાં પાપ લોભ સાથે સંકળાયેલા છે, જે એક પ્રકારની મૂર્તિપૂજા છે. તેથી, જો એ બાબતો માટે આપણને લાલસા હશે, તો આપણે એને યહોવા કરતાં પણ વધુ પ્રેમ કરવા લાગી જઈશું. અને એમ બન્યું તો, આપણા માટે યહોવા ‘એકલા યહોવા’ નહિ રહે. આપણે નથી ચાહતા કે ક્યારેય એવું બને.

૧૪. પ્રેરિત યોહાને કઈ ચેતવણી આપી હતી?

૧૪ પ્રેરિત યોહાને પણ ફક્ત યહોવાની ભક્તિ કરવા પર ભાર મૂક્યો. તેમણે ચેતવણી આપી કે, જો કોઈ આ દુનિયાની વસ્તુઓને એટલે કે, ‘દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનના અહંકારને’ પ્રેમ કરશે, તો “તેનામાં પિતા પરનો પ્રેમ નથી.” (૧ યોહા. ૨:૧૫, ૧૬) તેથી, આપણે દુનિયાના પ્રેમમાં પડી ગયા છીએ કે નહિ એ વિશે સમયે સમયે પોતાની તપાસ કરતા રહેવું જોઈએ. એ તપાસ દરમિયાન કદાચ આપણા ધ્યાનમાં આવે કે, આપણામાં દુનિયાના મનોરંજન, લોકો, પહેરવેશ અને શણગાર પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું છે. અથવા ઉચ્ચ શિક્ષણ કે બીજી બાબતો દ્વારા આપણે કદાચ “મહત્તા” મેળવવા ચાહીએ છીએ. (યિર્મે. ૪૫:૪, ૫) એમ હોય તો, શું કરીશું? ભૂલીશું નહિ કે, નવી દુનિયા આંગણે આવીને ઊભી છે. તેથી, મુસાના એ જોરદાર શબ્દો યાદ રાખવા આપણા માટે કેટલા જરૂરી છે! ‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે,’ એવું આપણે સમજતા હોઈશું અને ખરેખર માનતા હોઈશું તો, આપણે ફક્ત તેમને જ વફાદાર રહીશું અને તે ચાહે છે એ રીતે તેમની ભક્તિ કરીશું.—હિબ્રૂ ૧૨:૨૮, ૨૯.

ભાઈ-બહેનો વચ્ચે એકતા જાળવી રાખીએ

૧૫. પાઊલે શા માટે ઈશ્વરભક્તોને યાદ અપાવ્યું કે તેઓના ઈશ્વર, ‘એકલા યહોવા’ છે?

૧૫ ‘એકલા યહોવા’ શબ્દોથી આપણને એ સમજવા મદદ મળે છે કે, ઈશ્વરભક્તો એકતામાં રહે અને તેઓના જીવનનો એકસરખો હેતુ હોય એવું યહોવા ઇચ્છે છે. પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળોમાં યહુદી, ગ્રીક, રોમન અને બીજી પ્રજાના લોકો પણ હતા. તેઓ અલગ અલગ સમાજમાંથી આવતા હતા. તેઓનો ઉછેર, પસંદગીઓ અને રીતરિવાજો અલગ હતાં. એના લીધે અમુક લોકોને જૂના રીતરિવાજો છોડીને ભક્તિની નવી રીત અપનાવવી અઘરી લાગતી હતી. તેથી, પાઊલને લોકોને એ યાદ અપાવવાની જરૂર લાગી કે તેઓના એક જ ઈશ્વર છે, એ છે યહોવા.—૧ કોરીંથી ૮:૫, ૬ વાંચો.

૧૬, ૧૭. (ક) આજે કઈ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે અને એનું કેવું પરિણામ આવ્યું છે? (ખ) કઈ બાબતો આપણી એકતાને જોખમમાં મૂકી શકે?

૧૬ આજના મંડળો વિશે શું? પ્રબોધક યશાયાએ ભાખ્યું હતું કે, “છેલ્લા કાળમાં” દરેક રાષ્ટ્રના લોકો ભેગા મળીને યહોવાની ભક્તિ કરશે. તેઓ કહેશે: ‘યહોવા આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું.’ (યશા. ૨:૨, ૩) એ ભવિષ્યવાણીને આજે પૂરી થતા જોઈને આપણે કેટલા ખુશ છીએ! આપણાં ભાઈ-બહેનો અલગ અલગ દેશ અને સમાજથી આવે છે તેમજ જુદી જુદી ભાષા બોલે છે. છતાં, આપણે બધા એક થઈને યહોવાની ભક્તિ કરીએ છીએ. જોકે, એકબીજાથી અલગ હોવાને લીધે કોઈક વાર મુશ્કેલીઓ ઊભી થઈ શકે.

મંડળમાં એકતા જાળવી રાખવા શું તમે સખત મહેનત કરી રહ્યા છો? (ફકરા ૧૬-૧૯ જુઓ)

૧૭ દાખલા તરીકે, બીજા સમાજમાંથી આવતાં ભાઈ-બહેનો વિશે તમને કેવું લાગે છે? બની શકે કે, તેઓની ભાષા, કપડાં, જીવનઢબ અને ખોરાક તમારા કરતાં અલગ હોય. એમ હોય તો, શું તમે તેઓથી દૂર ભાગો છો અને ફક્ત તમારા સમાજમાંથી આવતા ભાઈ-બહેનો સાથે જ સંગત રાખો છો? જો કોઈ વડીલ ઉંમરમાં તમારાથી નાના હોય કે બીજા સમાજના હોય, તો તેમના પ્રત્યેનું તમારું વલણ કેવું છે? જો આપણે કાળજી નહિ રાખીએ, તો એ વિવિધતા આપણી કમજોરી બની શકે અને આપણી એકતાને જોખમમાં મૂકી શકે.

૧૮, ૧૯. (ક) એફેસી ૪:૧-૩માં કઈ સલાહ આપવામાં આવી છે? (ખ) મંડળમાં એકતા જળવાઈ રહે એ માટે આપણે શું કરવું જોઈએ?

૧૮ એ મુશ્કેલીઓને આપણે કઈ રીતે ટાળી શકીએ? પાઊલે એફેસસમાં રહેતા લોકોને જે વ્યવહારુ સલાહ આપી હતી, એના પર ધ્યાન આપીએ. (એફેસી ૪:૧-૩ વાંચો.) એફેસસમાં રહેતા લોકો ધનવાન હતા અને અલગ અલગ સમાજમાંથી આવતા હતા. પાઊલે દીનતા, નમ્રતા, સહનશીલતા અને પ્રેમ જેવા ગુણો વિશે જણાવ્યું હતું. એ ગુણો મજબૂત સ્તંભ જેવા છે. જેમ મજબૂત સ્તંભ ઘરને અડીખમ રાખવા મદદ કરે છે, તેમ જ એ ગુણો મંડળની એકતાને મજબૂત રાખવા મદદ કરે છે. જોકે, ઘરને સારી સ્થિતિમાં રાખવા ઘણી મહેનત કરવી પડે છે. એવી જ રીતે, પાઊલ ચાહતા હતા કે એફેસસનાં ભાઈ-બહેનો ‘એકતા રાખવાને યત્ન કરે.’

૧૯ મંડળની એકતા જાળવી રાખવા આપણે બધાએ પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. એમ કઈ રીતે કરી શકીએ? પહેલું, પાઊલે જણાવેલા ગુણો કેળવવા અને બતાવવા જોઈએ. જેમ કે, દીનતા, નમ્રતા, સહનશીલતા અને પ્રેમ. બીજું, આપણે બધાએ “શાંતિના બંધન”ને મજબૂત કરવા મહેનત કરવી જોઈએ. જોકે, ગેરસમજો નાની તિરાડો જેવી છે અને એને પૂરવા આપણે ઘણી મહેનત કરવી જોઈએ. જો એમ નહિ કરીએ, તો આપણી શાંતિ અને એકતા તૂટી જઈ શકે.

૨૦. ‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે’ એ આપણે કઈ રીતે સાબિત કરી શકીએ?

૨૦ ‘યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે.’ એ શબ્દો કેટલા જોરદાર છે! એ શબ્દોએ ઈસ્રાએલીઓને વચનના દેશમાં પ્રવેશવા અને એને જીતવા મદદ કરી. તેમ જ, તેઓ દરેક મુશ્કેલીઓમાં ટકી શક્યા. એ શબ્દોથી આપણને પણ મહાન વિપત્તિમાં ટકી રહેવા અને નવી દુનિયામાં પ્રવેશવા મદદ મળશે. તેમ જ, નવી દુનિયામાં શાંતિ અને એકતા જાળવવા પણ મદદ મળશે. તેથી, ચાલો આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ. એ માટે, આપણે પૂરા દિલ, મન અને સામર્થ્યથી તેમને પ્રેમ કરવાની અને તેમની સેવા કરવાની જરૂર છે. ઉપરાંત, ભાઈ-બહેનો સાથે શાંતિ અને એકતા જાળવવા મહેનત કરવાની જરૂર છે. જો આપણે એમ કરીશું, તો ઈસુ આપણો ન્યાય ઘેટાં તરીકે કરશે અને આપણે તેમના આ શબ્દો સાચા પડતા જોઈ શકીશું: ‘મારા પિતાના આશીર્વાદિતો, આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો.’—માથ. ૨૫:૩૪.