સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણા સમયમાં લહિયાનો ખડિયો લટકાવેલો માણસ ઈસુને રજૂ કરે છે, જે બચાવ માટે પસંદ કરેલા લોકો પર ચિહ્ન કરશે

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

હઝકીએલે સંદર્શનમાં જોયેલા લહિયાના ખડિયાવાળો માણસ અને સંહારક શસ્ત્ર લઈને ઊભેલા છ માણસો કોને રજૂ કરે છે?

તેઓ એ સ્વર્ગદૂતોને રજૂ કરે છે, જેઓએ યરૂશાલેમના વિનાશમાં ભાગ લીધો હતો. એ જ સ્વર્ગદૂતો આર્માગેદન વખતે શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરવામાં ભાગ ભજવશે. આ સંદર્શનની આપણી અગાઉની સમજણમાં હવે ફેરફાર થયો છે. એ ફેરફારની શા માટે જરૂર ઊભી થઈ?

ઈસવીસન પૂર્વે ૬૦૭ પહેલાં યહોવાએ હઝકીએલને એક સંદર્શન આપ્યું હતું. એમાં યહોવાએ તેમને બતાવ્યું હતું કે, યરૂશાલેમના વિનાશ પહેલાં શું બનશે. સંદર્શનમાં હઝકીએલે યરૂશાલેમમાં થતાં ખરાબ કામો જોયાં. પછી, તેમણે છ માણસોને જોયા, જેઓના હાથમાં ‘સંહારક શસ્ત્રો’ હતાં. તેમણે ‘શણનાં વસ્ત્ર પહેરેલો’ બીજો એક માણસ પણ જોયો, જેની કમરે ‘લહિયાનો ખડિયો લટકાવેલો’ હતો. (હઝકી. ૮:૬-૧૨; ૯:૨, ૩) એ માણસને કહેવામાં આવ્યું કે તે નગરમાં જાય, ‘સર્વત્ર ફરે અને ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય તેઓનાં કપાળ પર ચિહ્ન કરે.’ (હઝકી. ૯:૪-૭) પછી, શસ્ત્રવાળા માણસોને કહેવામાં આવ્યું કે જેઓનાં કપાળ પર ચિહ્ન ન હોય, તેઓનો નાશ કરે. આ સંદર્શનમાંથી આપણે શું શીખી શકીએ અને લહિયાનો ખડિયો લટકાવેલો માણસ કોણ છે?

હઝકીએલને એ સંદર્શન ઈસવીસન પૂર્વે ૬૧૨માં થયું હતું. પાંચ વર્ષ પછી, જ્યારે યહોવાએ બાબેલોનીઓ દ્વારા યરૂશાલેમનો નાશ કર્યો, ત્યારે એ ભવિષ્યવાણીની પ્રથમ પરિપૂર્ણતા થઈ. આ રીતે, યહોવાએ આજ્ઞા ન પાળનારા પોતાના લોકને સજા ફટકારી. (યિર્મે. ૨૫:૯, ૧૫-૧૮) પરંતુ, યહોવાની આજ્ઞા પાળનારા યહુદીઓ વિશે શું, જેઓ ત્યાં થતાં દુષ્ટ કામોમાં સહભાગી થયા ન હતા? યહોવાએ ખાતરી કરી હતી કે તેઓ બચી જાય.

સંદર્શનમાં હઝકીએલે કંઈ ખરેખર કોઈ વ્યક્તિ પર ચિહ્ન કર્યું ન હતું અથવા શહેરના વિનાશમાં ભાગ લીધો ન હતો. હકીકતમાં તો સ્વર્ગદૂતોની નિગરાની હેઠળ યરૂશાલેમનો વિનાશ થયો હતો. આ ભવિષ્યવાણીની મદદથી સ્વર્ગમાં જે થાય છે એમાં ડોકિયું કરવાની આપણને તક મળે છે. આ સંદર્શન પરથી જાણી શકીએ છીએ કે, યહોવાએ દૂતોને જણાવ્યું હતું કે દુષ્ટોનો વિનાશ કરવા આયોજન કરે અને દરેક ન્યાયી વ્યક્તિ બચી જાય એની ખાતરી કરે. *

આ ભવિષ્યવાણી ભાવિમાં પણ પૂરી થશે. અગાઉ આપણે એવું કહેતા હતા કે, લહિયાનો ખડિયો લટકાવેલો માણસ અભિષિક્તોને રજૂ કરે છે, જેઓ હજુ પૃથ્વી પર જીવે છે. આપણે એમ પણ કહેતા હતા કે, કોઈ વ્યક્તિ આપણો સંદેશો સાંભળતી અને સ્વીકારતી ત્યારે, તેના કપાળ પર જાણે ચિહ્ન કરવામાં આવતું, જેથી તેનો બચાવ થાય. જોકે, તાજેતરમાં એ સ્પષ્ટ બન્યું કે આ ભવિષ્યવાણીની સમજણમાં ફેરફારની જરૂર છે. માથ્થી ૨૫:૩૧-૩૩ના અહેવાલમાંથી આપણે શીખ્યા છીએ કે, લોકોનો ન્યાય કરવાનું કામ ઈસુ કરશે. તે ભાવિમાં મહાન વિપત્તિ દરમિયાન એવું કરશે. એ સમયે જેઓનો ન્યાય ઘેટાં તરીકે થશે, તેઓનો બચાવ કરવામાં આવશે. પરંતુ, જેઓનો ન્યાય બકરાં તરીકે થશે, તેઓનો વિનાશ કરવામાં આવશે.

આમ, હઝકીએલના સંદર્શન પરથી આપણે આ પાંચ બાબતો શીખી શકીએ છીએ:

  1. યરૂશાલેમના વિનાશ પહેલાં હઝકીએલ, યિર્મેયા અને યશાયાએ લોકોને ચેતવ્યા હતા કે એ શહેરનું શું થશે. એ પ્રબોધકોએ ચોકીદાર જેવું કામ કર્યું હતું. આજે, યહોવા પોતાના ભક્તોને શીખવવા અને મહાન વિપત્તિ પહેલાં લોકોને ચેતવવા અભિષિક્તોના એક નાના સમૂહનો ઉપયોગ કરે છે. એ કામમાં, એક રીતે દરેક અભિષિક્ત અને યહોવાના બીજા બધા ભક્તો પણ ભાગ લે છે.—માથ. ૨૪:૪૫-૪૭.

  2. બચી જનારા લોકો પર હઝકીએલે ખરેખર ચિહ્ન કર્યું ન હતું. એવી જ રીતે, આજે યહોવાના ભક્તો પણ જેઓ બચી જશે તેઓ પર ચિહ્ન કરતા નથી. તેઓ તો પ્રચાર કરે છે અને લોકોને ચેતવે છે કે ભાવિમાં શું થવાનું છે. આખી દુનિયામાં ચાલી રહેલું આ કામ દૂતોની મદદથી થઈ રહ્યું છે.—પ્રકટી. ૧૪:૬.

  3. હઝકીએલના સમયમાં બચાવવામાં આવેલા લોકોના કપાળ પર ખરેખર ચિહ્ન કરવામાં આવ્યું ન હતું. એવી જ રીતે, ભાવિમાં જેઓને બચાવવામાં આવશે તેઓના કપાળ ઉપર પણ ખરેખર ચિહ્ન કરવામાં નહિ આવે. તો પછી, મહાન વિપત્તિમાંથી બચવા લોકોએ શું કરવું પડશે? ચેતવણી સાંભળે ત્યારે તેઓએ ઈસુને પગલે ચાલવું પડશે, યહોવાને જીવન સમર્પણ કરવું પડશે અને પ્રચારકામમાં અભિષિક્તોને ટેકો આપવો પડશે. (માથ. ૨૫:૩૫-૪૦) પછી, મહાન વિપત્તિ દરમિયાન એ લોકોને જાણે એક ચિહ્ન કરવામાં આવશે, જે બતાવશે કે બચાવ માટે તેઓ પસંદ થયા છે.

  4. આપણા સમયમાં લહિયાનો ખડિયો લટકાવેલો માણસ ઈસુને રજૂ કરે છે. મહાન વિપત્તિ દરમિયાન, ઈસુ જેઓનો ન્યાય ઘેટાં તરીકે કરશે તેઓ પર ચિહ્ન કરશે. પછી, એ મોટી સભાને કાયમ માટે જીવવાની તક મળશે.—માથ. ૨૫:૩૪, ૪૬. *

  5. આપણા સમયમાં સંહારક શસ્ત્રો ધારણ કરેલા છ માણસો એ સ્વર્ગદૂતોને રજૂ કરે છે, જેઓ ઈસુની આગેવાની હેઠળ જલદી જ દરેક રાષ્ટ્ર અને બધી દુષ્ટતાનો વિનાશ કરશે.—હઝકી. ૯:૨, ૬, ૭; પ્રકટી. ૧૯:૧૧-૨૧.

આ સંદર્શનની સમજણ આપણને ખાતરી અપાવે છે કે યહોવા ક્યારેય દુષ્ટોની સાથે ન્યાયી લોકોનો વિનાશ કરશે નહિ. (૨ પીત. ૨:૯; ૩:૯) ઉપરાંત, એ પણ યાદ અપાવે છે કે આપણા સમયમાં ચાલી રહેલું પ્રચારકામ ખૂબ મહત્ત્વનું છે. અંત આવે એ પહેલાં દરેકને ચેતવણી સાંભળવાની તક મળે એ જરૂરી છે.—માથ. ૨૪:૧૪.

^ ફકરો. 6 બચી ગયેલા અમુક લોકોના કપાળ પર ખરેખર ચિહ્ન કરવામાં આવ્યું ન હતું. જેમ કે, બારૂખ (યિર્મેયાના મદદનીશ), હબશી એબેદ-મેલેખ અને રેખાબીઓ. (યિર્મે. ૩૫:૧-૧૯; ૩૯:૧૫-૧૮; ૪૫:૧-૫) ચિહ્ન સાંકેતિક હતું, જે બતાવતું કે તેઓ બચી જશે.

^ ફકરો. 12 વફાદાર અભિષિક્તોને પોતાના બચાવ માટે એ ચિહ્નની જરૂર નથી. એના બદલે, તેઓને પોતાના મરણ પહેલાં અથવા “મોટી વિપત્તિ” શરૂ થયાના થોડા સમય પહેલાં આખરી મુદ્રા આપવામાં આવે છે.—પ્રકટી. ૭:૧,.