સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

નિર્ણયો લેવા શું પ્રાર્થના મદદ કરી શકે?

આપણા નિર્ણયોની આપણા જીવન પર કાયમી અસર થઈ શકે છે. ઈસુએ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માંગી હતી. જો આપણે જ્ઞાન અને ડહાપણ મેળવવા પ્રાર્થના કરીશું, તો સારા નિર્ણયો લેવા ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ આપશે. (યાકૂ. ૧:૫)—wp૧૬.૧, પાન ૮.

તરુણો યહોવાની ભક્તિ કરે એ માટે માતાપિતા કઈ મહત્ત્વની બાબત કરી શકે?

માતાપિતા તરુણ બાળકને પ્રેમ બતાવે એ ખૂબ જરૂરી છે. ઉપરાંત, તેમણે નમ્રતાનો સારો દાખલો બેસાડવો જોઈએ. એટલું જ નહિ, માતાપિતા સમજદારી બતાવે અને તરુણોને સમજે એ પણ ખૂબ મહત્ત્વનું છે.—w૧૫ ૧૧/૧૫, પાન ૯-૧૨.

શું ઈશ્વર ખરેખર મનુષ્યોની કાળજી રાખે છે?

એક નાની ચકલી પણ મરી જાય તો, એ ઈશ્વરના ધ્યાન બહાર જતી નથી. શું એવું બની શકે કે, ઈશ્વરના મનમાં એટલું બધું ચાલતું હોય કે તે આપણા પર ધ્યાન ન આપે અને આપણી પ્રાર્થનાઓ ન સાંભળે? ના, એવું ક્યારેય ન બની શકે. (માથ. ૧૦:૨૯, ૩૧)—wp૧૬.૧, પાન ૧૩.

કંઈ પણ બોલતા પહેલાં આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?

આપણા શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપવા આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ: (૧) ક્યારે બોલવું (સભા. ૩:૭), (૨) શું બોલવું (નીતિ. ૧૨:૧૮) અને (૩) કઈ રીતે બોલવું (નીતિ. ૨૫:૧૫).—w૧૫ ૧૨/૧૫, પાન ૧૯-૨૨.

લગ્નબંધનમાં પ્રેમ કેટલો જરૂરી છે?

ઈસુએ કહ્યું હતું કે બીજી સૌથી મોટી આજ્ઞા છે કે, ‘જેવો પોતાના પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ રાખ.’ (માથ. ૨૨:૩૭-૩૯) જો તમે પરિણીત હો, તો તમારા સૌથી નજીકના પડોશી તમારા લગ્નસાથી છે. એટલે, લગ્નજીવનમાં પ્રેમ હોવો ખૂબ જરૂરી છે અને પાઊલે કહ્યું હતું તેમ, “પ્રીતિ કદી ખૂટતી નથી.” (૧ કોરીં. ૧૩:૪-૮)—w૧૫ ૧૧/૧૫, પાન ૨૨-૨૩.

ઝખાર્યા ૮:૨૩માં જણાવેલ ૧૦ માણસો અને એક યહુદી કોને રજૂ કરે છે?

દસ માણસો તો ધરતી પર હંમેશાં રહેવાની આશા ધરાવતા લોકોને રજૂ કરે છે, જેઓ “યહુદી માણસની ચાળ [ઝભ્ભાની કોર] પકડીને” ચાલે છે. તેઓ જાણે છે કે યહોવાએ અભિષિક્તોના સમૂહને એટલે કે “ઈશ્વરના ઈસ્રાએલ”ને આશીર્વાદ આપ્યો છે. તેમ જ, તેઓને અહેસાસ છે કે એ સમૂહ સાથે ભેગા મળીને યહોવાની ભક્તિ કરવી એ એક સન્માનની વાત છે. (ગલા. ૬:૧૬)—w૧૬.૦૧, પાન ૨૨.

અભિષિક્ત વ્યક્તિ સાથે તમારે કઈ રીતે વર્તવું જોઈએ?

સાચા ખ્રિસ્તીઓ અભિષિક્ત વ્યક્તિની વધારે પડતી વાહવાહ નથી કરતા. અભિષિક્ત વ્યક્તિ ક્યારેય પણ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતી ગણતી નથી. તેમ જ, યહોવા સાથેના પોતાના સંબંધનો બીજાઓ આગળ ઢંઢેરો પીટતી નથી. (માથ. ૨૩:૮-૧૨)—w૧૬.૦૧, પાન ૨૩-૨૪.

ઈબ્રાહીમ જે રીતે યહોવાના મિત્ર બન્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

ઈબ્રાહીમે યહોવાનું જ્ઞાન લીધું. બની શકે કે, એ તેમણે ઈશ્વરભક્ત શેમ પાસેથી મેળવ્યું હોય. ઉપરાંત, યહોવા જે રીતે ઈબ્રાહીમ અને તેમના કુટુંબ સાથે વર્ત્યા એ પરથી તેમને યહોવાનો અનુભવ થયો. આપણે પણ ઈબ્રાહીમને અનુસરી શકીએ.—w૧૬.૦૨, પાન ૯-૧૦.

આપણે કેવી વ્યક્તિ બનીશું એ વાત શું આપણા કુટુંબના દાખલા પરથી નક્કી થાય છે?

હિઝકિયાના પિતા આહાઝ યહુદાના ખરાબમાં ખરાબ રાજા હતા. તોપણ, હિઝકિયા સારામાં સારા રાજા બન્યા. પોતાના બચાવ માટે તેમણે યહોવા પર ભરોસો રાખ્યો અને પોતાના શબ્દોથી તેમજ સારા દાખલાથી બીજા લોકોની હિંમત વધારી. તેમણે પોતાના ભૂતકાળની અસર પોતાના પર થવા દીધી નહિ અને પોતાનું જીવન તબાહ થવા દીધું નહિ.—w૧૬.૦૨, પાન ૧૫-૧૬.

ઈસુનું પરીક્ષણ કરતી વખતે શેતાન શું ખરેખર તેમને મંદિર ઉપર લઈ ગયો હતો?

આપણે પૂરી ખાતરીથી કહી શકતા નથી. માથ્થી ૪:૫ અને લુક ૪:૯ના શબ્દોનો એવો પણ અર્થ થઈ શકે કે, ઈસુને સંદર્શનમાં મંદિર દેખાડ્યું હોય શકે અથવા મંદિરના આખા વિસ્તારના કોઈ એક ઊંચી જગ્યાએ ઈસુ ઊભા હોય શકે.—w૧૬.૦૩, પાન ૩૧-૩૨.

કઈ રીતે આપણું પ્રચારકાર્ય ઝાકળ જેવું છે?

હવામાં રહેલું પાણી ટીપે ટીપે ભેગું થઈને ઝાકળ બને છે. ઝાકળ તાજગી આપનારું અને જીવન ટકાવી રાખનારું છે. અરે, ઝાકળ તો યહોવાનો આશીર્વાદ છે. (પુન. ૩૩:૧૩) યહોવાના બધા સેવકો ભેગા મળીને પ્રચારકાર્યમાં જે પ્રયત્નો કરે છે, એ ઝાકળ જેવા છે.—w૧૬.૦૪, પાન ૪.