સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મારું રાજ્ય આ દુનિયાનું નથી”

“મારું રાજ્ય આ દુનિયાનું નથી”

‘સત્યની સાક્ષી આપવા જ હું દુનિયામાં આવ્યો છું.’—યોહા. ૧૮:૩૭.

ગીતો: ૫, ૨૮

૧, ૨. (ક) શા માટે દુનિયામાં ભાગલા જોવા મળે છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

દક્ષિણ યુરોપનાં એક બહેન અગાઉના દિવસો યાદ કરતા કહે છે, ‘નાની ઉંમરથી મને ફક્ત અન્યાય જોવા મળ્યો હતો. એટલે મારા દેશની રાજકીય વ્યવસ્થાને હું ધિક્કારતી હતી. દુનિયાની નજરે જે ઉગ્ર વિચારો હતા, એને હું ટેકો આપતી હતી. અરે, ઘણાં વર્ષો સુધી હું એક આતંકવાદીની પ્રેમિકા હતી.’ દક્ષિણ આફ્રિકાના એક ભાઈ અગાઉ હિંસક હતા. એ વિશે તે કહે છે, ‘મને લાગતું કે મારી જાતિ સૌથી ચઢિયાતી છે. હું રાજકીય પક્ષમાં જોડાયો. અમને શીખવવામાં આવતું કે, વિરોધીઓને ભાલાથી મારી નાખવા. અરે, એમાં બીજા રાજકીય પક્ષોને ટેકો આપતા મારી જાતિના લોકોનો પણ સમાવેશ થતો હતો!’ મધ્ય યુરોપમાં રહેતાં એક બહેન કહે છે: ‘હું હંમેશાં બીજી જાતિના લોકો માટે પૂર્વગ્રહ રાખતી. બીજા દેશ કે ધર્મની વ્યક્તિને હું ધિક્કારતી હતી.’

આજે ઘણા લોકોનું વર્તન ઉપર જણાવેલી ત્રણ વ્યક્તિઓ જેવું જ છે. ઘણા રાજકીય પક્ષો આઝાદી માટે હિંસાનો સહારો લે છે. રાજકારણને લીધે લોકોમાં ઝઘડા વધી રહ્યા છે. ઘણા પરદેશીઓને લાગે છે કે સ્થાનિક લોકો તેઓને ધિક્કારે છે. બાઇબલની ભવિષ્યવાણી કહે છે, છેલ્લા દિવસોમાં લોકો “જિદ્દી” હશે. (૨ તિમો. ૩:૧,) દુનિયામાં ભાગલાનું વલણ જોવા મળે છે, એવા સમયે ઈશ્વરભક્તો કઈ રીતે એકતા જાળવી શકે? આપણે ઈસુના ઉદાહરણમાંથી ઘણું શીખી શકીએ છીએ. તેમના સમયમાં રાજકીય ઉથલપાથલના લીધે લોકોમાં ભાગલા પડી ગયા હતા. આ લેખમાં આપણે આ ત્રણ સવાલોના જવાબ મેળવીશું: શા માટે ઈસુએ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાવાની ના પાડી? ઈસુએ કઈ રીતે બતાવ્યું કે ઈશ્વરના લોકોએ રાજકીય બાબતોમાં તટસ્થ રહેવું જોઈએ? ઈસુએ કઈ રીતે શીખવ્યું કે આપણે હિંસાનો સહારો ન લેવો જોઈએ?

આઝાદી મેળવવા ચાહતા લોકોને શું ઈસુએ ટેકો આપ્યો?

૩, ૪. (ક) ઈસુના સમયમાં ઘણા યહુદીઓ શું ચાહતા હતા? (ખ) એની ઈસુના શિષ્યો પર કેવી અસર પડી?

ઈસુએ જે યહુદીઓને ખુશખબર જણાવી હતી, તેઓ રોમનોથી આઝાદ થવા માંગતા હતા. યહુદી “ઝેલોત્સ” નામનો એક ઝનૂની રાજકીય સમૂહ હતો. લોકોને આઝાદી માટે ઉશ્કેરવા એ સમૂહે પોતાનાથી બનતું બધું કર્યું. એ સમૂહના ઘણા સભ્યો ગાલીલના યહુદાને અનુસરતા હતા. કદાચ, તે ઈસુના સમયગાળામાં થઈ ગયો. યહુદા પોતાને મસીહ તરીકે ઓળખાવતો હતો, જે ઘણા લોકોને ખોટા માર્ગે દોરતો હતો. એક યહુદી ઇતિહાસકાર જોસેફસે જણાવ્યું કે, યહુદીઓને રોમનો સામે લડવા યહુદા ઉશ્કેરતો. રોમનોને કર આપવા સહમત થનાર લોકોને તે “ડરપોક” કહેતો. સમય જતાં, રોમનોએ યહુદાને મોતને ઘાટ ઉતારી દીધો. (પ્રે.કા. ૫:૩૭) ઝેલોત્સ સમૂહના અમુક સભ્યોએ પોતાનું ધાર્યું કરવા હિંસાનો પણ સહારો લીધો હતો.

ઘણા યહુદીઓ મસીહના આવવાની કાગડોળે રાહ જોતા હતા. તેઓને લાગતું કે મસીહ તેઓને રોમનોથી આઝાદી અપાવશે અને ઇઝરાયેલને ફરીથી એક મોટું રાષ્ટ્ર બનાવશે. (લુક ૨:૩૮; ૩:૧૫) ઘણા એવું માનતા, મસીહ પૃથ્વી પર એટલે કે ઇઝરાયેલમાં રાજ્ય સ્થાપન કરશે. એવું થશે ત્યારે, અલગ અલગ જગ્યાએ રહેતા યહુદીઓ ઇઝરાયેલ પાછા ફરશે. અરે, યોહાન બાપ્તિસ્મા આપનારે પણ એક વખત ઈસુને પૂછ્યું હતું કે, “જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” (માથ. ૧૧:૨, ૩) કદાચ યોહાને વિચાર્યું હશે કે યહુદીઓને આઝાદી અપાવવા બીજું કોઈ આવશે કે કેમ. ઈસુ સજીવન થયા પછી, એમ્મૌસ તરફ જતા રસ્તે બે શિષ્યો તેમને મળ્યા હતા. તેઓએ કહ્યું કે ઈસુ ઇઝરાયેલને આઝાદી અપાવશે, એવી તેઓને આશા હતી. (લુક ૨૪:૨૧ વાંચો.) એના થોડા સમય પછી પ્રેરિતોએ ઈસુને પૂછ્યું કે, “પ્રભુ, શું આ સમયે તમે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપી રહ્યા છો?”—પ્રે.કા. ૧:૬.

૫. (ક) ગાલીલના લોકો શા માટે ઈસુને પોતાના રાજા બનાવવા માંગતા હતા? (ખ) ઈસુએ કઈ રીતે તેઓના વિચારો સુધાર્યા?

યહુદીઓને આશા હતી કે મસીહ તેઓની મુશ્કેલીઓનો હલ લાવશે. એટલે જ, ગાલીલના લોકો ઈસુને પોતાના રાજા બનાવવા માંગતા હતા. તેઓએ વિચાર્યું હશે કે ઈસુ તેઓના ઉત્તમ આગેવાન બનશે. ઈસુ એક સારા વક્તા હતા, બીમાર લોકોને સાજા કરી શકતા હતા અને ભૂખ્યા લોકોને ખોરાક પૂરો પાડી શકતા હતા. ઈસુએ આશરે ૫,૦૦૦ પુરુષોને જમાડ્યા ત્યારે લોકોને ઘણી નવાઈ લાગી. ઈસુ પારખી ગયા કે તેઓ શું ચાહતા હતા. બાઇબલ જણાવે છે: “ઈસુ સમજી ગયા કે લોકો આવીને તેમને બળજબરીથી રાજા બનાવવાના છે; એટલે, તે ફરીથી પહાડ પર એકલા ચાલ્યા ગયા.” (યોહા. ૬:૧૦-૧૫) બની શકે કે, બીજા દિવસે લોકોનો જુસ્સો ઠંડો પડ્યો હશે. એટલે, ઈસુએ તેઓને સમજાવ્યું કે તે તેઓને ખોરાક પૂરો પાડવા નહિ, પણ ઈશ્વરના રાજ્ય વિશે શીખવવા આવ્યા હતા. તેમણે લોકોને કહ્યું: “જે ખોરાક નાશ પામે છે એના માટે નહિ, પણ જે ખોરાક નાશ પામતો નથી અને હંમેશ માટેનું જીવન આપે છે, એના માટે કામ કરો.”—યોહા. ૬:૨૫-૨૭.

૬. કઈ રીતે ઈસુએ સ્પષ્ટ કર્યું કે તેમને પૃથ્વી પર રાજકીય સત્તા જોઈતી ન હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

મરણના થોડા સમય પહેલાં, ઈસુને ખબર પડી કે અમુક અનુયાયીઓને આશા હતી કે ઈસુ યરૂશાલેમમાં હમણાં જ રાજા બનશે. ઈસુએ મહોરનું ઉદાહરણ આપીને તેઓના વિચારો સુધાર્યા. એ ઉદાહરણ ‘રાજવી ખાનદાનના એક માણસનું’ હતું જે ઈસુને રજૂ કરતું હતું. તેમણે લાંબા સમય માટે દૂર જવાનું હતું. (લુક ૧૯:૧૧-૧૩, ૧૫) ઈસુએ રોમન અધિકારી પોંતિયસ પીલાતને સ્પષ્ટ જણાવ્યું હતું કે દુનિયાના રાજકારણમાં તે કોઈનો પક્ષ નહિ લે. પીલાતે ઈસુને પૂછ્યું: “શું તું યહુદીઓનો રાજા છે?” (યોહા. ૧૮:૩૩) પીલાતને કદાચ ડર લાગ્યો હશે કે ઈસુ લોકોને રોમનો સામે બંડ પોકારવા ઉશ્કેરશે. પણ ઈસુએ તેને જવાબ આપ્યો: “મારું રાજ્ય આ દુનિયાનું નથી.” (યોહા. ૧૮:૩૬) ઈસુએ રાજકારણમાં જોડાવાનો નકાર કર્યો, કારણ કે તેમનું રાજ્ય સ્વર્ગમાં સ્થપાવાનું હતું. તેમણે કહ્યું હતું કે પૃથ્વી પર “સત્યની સાક્ષી આપવા” તે આવ્યા છે.—યોહાન ૧૮:૩૭ વાંચો.

શું તમારું ધ્યાન દુનિયાની મુશ્કેલીઓ પર છે કે ઈશ્વરના રાજ્ય પર? (ફકરો ૭ જુઓ)

૭. રાજકીય પક્ષોને ટેકો આપવાથી દૂર રહેવું અને એનો વિચાર મનમાં પણ ન લાવવો શા માટે અઘરું છે?

ઈસુને પોતાની સોંપણી ખબર હતી. આપણી સોંપણી વિશે આપણને ખબર હશે તો, આપણે પણ રાજકીય પક્ષોને ટેકો આપવાથી દૂર રહીશું. અરે, એવા વિચારો મનમાં પણ નહિ આવવા દઈએ. જોકે, એમ કરવું હંમેશાં સહેલું નથી. એક પ્રવાસી નિરીક્ષક જણાવે છે કે તેમના વિસ્તારમાં લોકો ઘણા ઝનૂની બની રહ્યા છે. તેઓને પોતાના દેશ પર ઘણો ગર્વ છે. તેઓ માને છે કે, તેઓમાંથી કોઈ રાજ કરે તો જીવનધોરણ સુધરશે. ભાઈ આગળ જણાવે છે: ‘ખુશીની વાત છે કે, રાજ્યની ખુશખબર ફેલાવવાના કામમાં મંડ્યા રહીને ભાઈ-બહેનોએ એકતા જાળવી રાખી છે. અન્યાય અને બીજી મુશ્કેલીઓમાંથી છૂટવા તેઓ ઈશ્વર તરફ મીટ માંડે છે.’

કઈ રીતે રાજકીય બાબતોમાં ઈસુ તટસ્થ રહ્યા?

૮. ઈસુના સમયમાં ઘણા યહુદીઓએ કેવો અન્યાય સહેવો પડ્યો?

આસપાસ થઈ રહેલા અન્યાયને જોઈને ઘણી વખત લોકો રાજકારણમાં વધુ ભાગ લે છે. ઈસુના સમયમાં, કર ભરવો કે નહિ એ ચર્ચાનો મોટો વિષય બની ગયો હતો. એ કારણે લોકો રાજકીય બાબતોમાં રસ લેતા હતા. લોકો કર ભરે એની ખાતરી કરવા રોમનો નોંધણી કરતા હતા. એટલે ગાલીલના યહુદાએ રોમનો વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. મિલકત, જમીન અને ઘર જેવી બીજી ઘણી વસ્તુઓ માટે લોકોએ કર ભરવો પડતો. એટલું જ નહિ, કર ઉઘરાવનારાઓ પણ ઘણા ભ્રષ્ટ હતા. તેઓ સત્તા મેળવવા અમુક વાર સરકારી અધિકારીઓને લાંચ આપતા. પછી એ સત્તાના જોરે અઢળક પૈસા કમાતા. યરીખોમાં જાખ્ખી મુખ્ય કર ઉઘરાવનાર હતો. લોકો પાસેથી વધારે કર ઉઘરાવીને તે ઘણો ધનવાન બની ગયો હતો.—લુક ૧૯:૨,.

૯, ૧૦. (ક) ઈસુના દુશ્મનોએ કઈ રીતે તેમને રાજકીય બાબતમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો? (ખ) ઈસુના જવાબથી આપણને શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

કર ચૂકવવાના વાદવિવાદમાં ઈસુને ફસાવવા દુશ્મનોએ ઘણા પ્રયત્નો કર્યા. દરેક યહુદીએ એક દીનાર “કર” તરીકે ચૂકવવો પડતો હતો. એટલે, એ વિશે તેઓ ઈસુને સવાલ પૂછ્યો. (માથ્થી ૨૨:૧૬-૧૮ વાંચો.) યહુદીઓને આ કર જરાય પસંદ ન હતો. શા માટે? એ તેઓને યાદ અપાવતું હતું કે, તેઓ રોમન સરકારના તાબા હેઠળ છે. હેરોદના રાજકીય વિચારોને ટેકો આપનારાઓ “હેરોદીઓ” તરીકે ઓળખાતા હતા. તેઓ લાગ જોઈને બેઠા હતા કે જો ઈસુ કર ભરવાની ના પાડે, તો ઈસુ પર રોમન સામ્રાજ્યના દુશ્મન હોવાનો આરોપ મૂકી શકાય. બીજી તર્ફે, જો ઈસુ કર ભરવા જણાવે, તો લોકો તેમને અનુસરવાનું છોડી દે. તો પછી ઈસુએ શું કર્યું?

૧૦ ઈસુએ તટસ્થ રહેવાનું પસંદ કર્યું. તેમણે કહ્યું: “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.” (માથ. ૨૨:૨૧) ઈસુ જાણતા હતા કે ઘણા કર ઉઘરાવનારાઓ ભ્રષ્ટ હતા, પણ તેમણે એના પર ધ્યાન આપ્યું નહિ. એને બદલે, તેમણે ઈશ્વરના રાજ્ય પર મન લગાડ્યું, જે મનુષ્યોની બધી તકલીફોનો હલ લાવશે. ઈસુએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. આપણે રાજકીય બાબતમાં કોઈને ટેકો ન આપવો જોઈએ, પછી ભલે એક પક્ષ આપણને યોગ્ય લાગતો હોય અને બીજો અયોગ્ય. ઈશ્વરભક્તો પોતાનું મન ઈશ્વરના રાજ્ય પર અને ઈશ્વરની નજરે જે ખરું છે, એના પર લગાડે છે. એ કારણને લીધે તેઓ અન્યાયી કાર્યો વિશે મંતવ્યો બાંધતા નથી અથવા એની વિરુદ્ધ બોલતા નથી.—માથ. ૬:૩૩.

૧૧. અન્યાય સામે લડવાની સૌથી સારી રીત કઈ છે?

૧૧ ઘણા યહોવાના સાક્ષીઓ અગાઉ રાજકીય બાબતોમાં ચુસ્ત વિચારો ધરાવતા હતા. તેઓએ હવે પોતાના વિચારોમાં સુધારો કર્યો છે. ચાલો ગ્રેટ બ્રિટનમાં રહેતાં એક બહેનનો દાખલો જોઈએ. તે સત્ય શીખ્યા એ પહેલાં, યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો વિષય ભણાવતાં હતાં. તે રાજકીય બાબતો વિશે ચુસ્ત વિચારો ધરાવતાં હતાં. બહેન જણાવે છે: ‘મારે ઘણો અન્યાય સહેવો પડતો હતો એટલે હું કાળા લોકોના હક માટે લડવા માંગતી હતી. જોકે, એ દલીલોમાં હું જીતી જતી તોપણ અંતે હું નિરાશાની લાગણીઓથી ઘેરાઈ જતી. હું સમજી જ ન શકી કે ખરેખર તો લોકોના દિલમાંથી રંગભેદનું મૂળ કાઢી નાખવાની જરૂર છે. મેં બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે, સૌથી પહેલા તો મારે પોતાના દિલમાંથી એનું મૂળ કાઢી નાખવાની જરૂર છે.’ અને એ માટે તેમને એક ગોરા બહેને મદદ કરી હતી. તે આગળ જણાવે છે: ‘હવે હું સાઇન લેંગ્વેજ મંડળમાં નિયમિત પાયોનિયર તરીકે સેવા આપું છું અને દરેક જાતિના લોકોને હળવા-મળવાનું શીખી રહી છું.’

“તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે”

૧૨. કયા ‘ખમીરથી’ ઈસુએ પોતાના શિષ્યોને દૂર રહેવા કહ્યું?

૧૨ ઈસુના સમયમાં ધાર્મિક આગેવાનો ઘણી વાર રાજકીય પક્ષોને ટેકો આપતા હતા. દાખલા તરીકે, ડેઇલી લાઈફ ઇન પેલેસ્તાઈન એટ ધ ટાઈમ ઓફ ક્રાઇસ્ટ પુસ્તક જણાવે છે કે યહુદીઓ જુદા જુદા ધાર્મિક જૂથોમાં વહેંચાયેલા હતા, જે રાજકીય પક્ષો જેવા જ હતા. એટલે ઈસુએ પોતાના શિષ્યોને ચેતવ્યા હતા: “તમારી આંખો ખુલ્લી રાખો; ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવચેત રહો.” (માર્ક ૮:૧૫) ઈસુએ હેરોદ શબ્દનો ઉપયોગ કર્યો, ત્યારે તે કદાચ હેરોદીઓ વિશે વાત કરતા હોય શકે. ફરોશીઓનું જૂથ ચાહતું હતું કે યહુદીઓ રોમન સામ્રાજ્યથી આઝાદ થાય. માથ્થીના અહેવાલ પ્રમાણે, ઈસુએ શિષ્યોને સાદુકીઓ વિશે પણ ચેતવ્યા હતા. રોમન સરકાર હેઠળ સાદુકીઓ પાસે ઉચ્ચ પદવી હતી. તેઓ ચાહતા હતા કે રોમન સરકાર રાજ કરતી રહે, જેથી તેઓ પોતે સત્તામાં રહી શકે. ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રણ જૂથોના “ખમીર” એટલે કે તેઓના શિક્ષણથી દૂર રહેવાનું કહ્યું હતું. (માથ. ૧૬:૬, ૧૨) ધ્યાન આપો કે લોકો ઈસુને રાજા બનાવવા માંગતા હતા ત્યારે, ઈસુએ આ ચેતવણી આપી હતી.

૧૩, ૧૪. (ક) રાજકીય અને ધાર્મિક બાબતો કઈ રીતે હિંસા અને અન્યાય તરફ દોરી જાય છે? (ખ) ભલે આપણે અન્યાયનો ભોગ બન્યા હોઈએ, તોપણ હિંસા કરવી કેમ યોગ્ય નથી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૩ જ્યારે ધર્મો રાજકીય બાબતોમાં માથું મારે છે, ત્યારે ઘણી વાર એનાથી હિંસા ફાટી નીકળે છે. ઈસુએ પોતાના શિષ્યોને દરેક સંજોગોમાં તટસ્થ રહેવાનું શીખવ્યું હતું. મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને મારી નાખવા માંગતા હતા, એનું એક કારણ એ પણ હતું. તેઓને ડર હતો કે લોકો ઈસુની વાત માનીને તેઓને અનુસરવાનું બંધ કરી દેશે. જો એવું થયું હોત, તો ધાર્મિક અને રાજકીય બાબતોમાં લોકો પરની તેઓની પકડ ઢીલી પડી ગઈ હોત. તેઓએ કહ્યું કે, “જો આપણે તેને આમ ને આમ કરવા દઈશું, તો બધા લોકો તેનામાં શ્રદ્ધા મૂકશે અને રોમનો આવીને આપણી જગ્યા તથા આપણી પ્રજા બંને છીનવી લેશે.” (યોહા. ૧૧:૪૮) એટલે, પ્રમુખ યાજક કાયાફાસે ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડ્યું.—યોહા. ૧૧:૪૯-૫૩; ૧૮:૧૪.

૧૪ કાયાફાસે રાત પડે એની રાહ જોઈ, પછી તેણે ઈસુની ધરપકડ કરવા સૈનિકોને મોકલ્યા. પણ ઈસુને એ વિશે ખબર હતી. એટલે, ઈસુએ છેલ્લા ભોજન વખતે પ્રેરિતોને તલવારો સાથે રાખવાનું કહ્યું હતું. શિષ્યો પાસે બે તલવારો હતી. ઈસુ એનાથી તેઓને મહત્ત્વનો બોધપાઠ શીખવવાના હતા. (લુક ૨૨:૩૬-૩૮) મોડી રાતે, એક ટોળું ઈસુને પકડવા આવ્યું. એ વખતે પીતરને લાગ્યું કે અન્યાય થઈ રહ્યો છે. એટલે તેમણે ગુસ્સામાં એક માણસ પર તલવારથી હુમલો કર્યો. (યોહા. ૧૮:૧૦) પણ ઈસુએ પીતરને કહ્યું: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે, કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે.” (માથ. ૨૬:૫૨, ૫૩) અહીં ઈસુએ પોતાના શિષ્યોને કયો મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો? એ જ કે, તેઓએ આ દુનિયાનો ભાગ બનવું ન જોઈએ. એ વિશે ઈસુએ રાતે પ્રાર્થના પણ કરી હતી. (યોહાન ૧૭:૧૬ વાંચો.) અન્યાય સામે લડવાનું કામ આપણું નહિ, પણ ઈશ્વરનું છે.

૧૫, ૧૬. (ક) ઈશ્વરભક્તોને વાદવિવાદથી દૂર રહેવા કઈ રીતે બાઇબલમાંથી મદદ મળી છે? (ખ) આજની દુનિયામાં યહોવાને કેવો તફાવત જોવા મળે છે?

૧૫ અગાઉ આપણે દક્ષિણ યુરોપનાં એક બહેન વિશે જોઈ ગયા. તે પણ એ જ બોધપાઠ શીખ્યાં હતાં. તે કહે છે: ‘મેં જોયું છે કે હિંસાથી ન્યાય મળતો નથી. મેં એ પણ જોયું કે હિંસાનો સહારો લેનારાઓમાંથી મોટાભાગના મોતને ભેટે છે. બીજા કેટલાક દિલમાં કડવાશ ભરી રાખે છે. આ ધરતી પર સાચો ન્યાય ફક્ત ઈશ્વર જ લાવી શકે છે, એ વાત બાઇબલમાંથી શીખવાને લીધે મને ઘણી ખુશી મળી. એ જ ખુશખબર હું છેલ્લાં ૨૫ વર્ષોથી લોકોને જણાવી રહી છું.’ દક્ષિણ આફ્રિકાના ભાઈએ હવે ભાલો મૂકીને “પવિત્ર શક્તિની તલવાર” ઉપાડી છે. એટલે કે, તે બાઇબલનો ઉપયોગ કરે છે. (એફે. ૬:૧૭) હવે એ ભાઈ બધા લોકોને શાંતિનો સંદેશો ફેલાવે છે, ભલે પછી લોકો ગમે એ જાતિના હોય. મધ્ય યુરોપનાં બહેન યહોવાના સાક્ષી બન્યાં પછી તેમણે લગ્ન કર્યાં. તેમનાં પતિ એ જાતિના હતા, જેને અગાઉ બહેન ખૂબ ધિક્કારતાં હતાં. આ ત્રણ ભાઈ-બહેનોએ આવા ફેરફારો કર્યાં, કારણ કે તેઓ ખ્રિસ્તને પગલે ચાલવા માંગતાં હતાં.

૧૬ આપણા માટે પણ આવા ફેરફારો કરવા ખૂબ મહત્ત્વના છે. બાઇબલ કહે છે કે મનુષ્યો સમુદ્ર જેવા છે, જેના પાણી ઊછળ્યા કરે છે અને સમુદ્ર ક્યારેય શાંત પડતો નથી. (યશા. ૧૭:૧૨; ૫૭:૨૦, ૨૧; પ્રકટી. ૧૩:૧) રાજકીય બાબતો લોકોને ઉશ્કેરે છે, તેઓમાં ભાગલા પાડે છે અને તેઓને હિંસા તરફ દોરી જાય છે. પણ આપણે શાંતિ અને એકતાના મજબૂત બંધનમાં બંધાયેલા છીએ. આ દુનિયામાં ભાગલા પડી ગયા છે, પણ યહોવાના ભક્તો એકતામાં રહે છે. એ જોઈને ચોક્કસ યહોવાનું દિલ ખુશીથી છલકાઈ જતું હશે!—સફાન્યા ૩:૧૭ વાંચો.

૧૭. (ક) કઈ ત્રણ રીતોથી આપણે એકતા જાળવી રાખી શકીએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ આ લેખમાંથી આપણે એકતા જાળવવાની ત્રણ રીતો શીખ્યા: (૧) આપણને ભરોસો છે કે બધા પ્રકારનો અન્યાય ફક્ત ઈશ્વરનું રાજ્ય દૂર કરશે, (૨) રાજકીય બાબતોમાં આપણે હંમેશાં તટસ્થ રહેવું જોઈએ અને (૩) આપણે હિંસાનો સહારો લેવો ન જોઈએ. આપણી એકતા જોખમમાં આવી શકે એવી બીજી પણ એક બાબત છે, પૂર્વગ્રહ. આવતા લેખમાં આપણે શીખીશું કે પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ આપણે કઈ રીતે પૂર્વગ્રહ રાખવાથી દૂર રહી શકીએ.