સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાને મહિમા આપવા ‘તમારું અજવાળું પ્રકાશવા દો’

યહોવાને મહિમા આપવા ‘તમારું અજવાળું પ્રકાશવા દો’

“તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો, જેથી તેઓ . . . સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.”—માથ. ૫:૧૬.

ગીતો: ૧૪૩,

૧. આપણી પાસે ખુશ થવાનું કયું ખાસ કારણ છે?

આપણે ઘણા ખુશ છીએ કે, ઈશ્વરભક્તો તેઓનું અજવાળું દુનિયા ફરતે ફેલાવી રહ્યા છે! ગયા વર્ષે, યહોવાના લોકોએ એક કરોડ કરતાં વધારે બાઇબલ અભ્યાસ ચલાવ્યા હતા. તેમ જ, રસ ધરાવનારા લાખો લોકોએ સ્મરણપ્રસંગમાં હાજરી આપી હતી. તેઓને ત્યાં શીખવા મળ્યું હતું કે, યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપીને મનુષ્યોને પ્રેમાળ ભેટ આપી છે.—૧ યોહા. ૪:૯.

૨, ૩. (ક) આપણને “દુનિયામાં જ્યોતિઓની જેમ” પ્રકાશતા કઈ બાબતો રોકી શકતી નથી? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ અલગ અલગ ભાષા બોલે છે. તેમ છતાં, આપણને એક કુટુંબ તરીકે યહોવાનો મહિમા કરતા એ બાબત રોકી શકતી નથી. (પ્રકટી. ૭:૯) ભલે આપણે કોઈ પણ ભાષા બોલતા હોઈએ કે પછી દુનિયાના ગમે તે છેડે રહેતા હોઈએ, આપણે “દુનિયામાં જ્યોતિઓની જેમ” પ્રકાશી શકીએ છીએ.—ફિલિ. ૨:૧૫.

સેવાકાર્ય, એકતા અને સાવધ રહેવાના વલણથી આપણે યહોવાને મહિમા આપીએ છીએ. એ ત્રણ પાસાંમાં કઈ રીતે આપણું અજવાળું પ્રકાશવા દઈ શકીએ?—માથ્થી ૫:૧૪-૧૬ વાંચો.

યહોવાની ભક્તિ કરવા બીજાઓને મદદ કરો

૪, ૫. (ક) સેવાકાર્ય ઉપરાંત બીજી કઈ બાબત દ્વારા આપણું અજવાળું પ્રકાશવા દઈ શકીએ? (ખ) મળતાવડા અને પ્રેમાળ બનવાથી કેવાં સારાં પરિણામો આવે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આપણું અજવાળું પ્રકાશવાની સૌથી મહત્ત્વની રીત છે, ખુશખબર ફેલાવવી અને શિષ્યો બનાવવા. (માથ. ૨૮:૧૯, ૨૦) જૂન ૧, ૧૯૨૫ના ધ વૉચ ટાવરના અંકમાં “લાઇટ ઈન ડાર્કનેસ” લેખમાં જણાવ્યું હતું કે, વ્યક્તિ ‘અજવાળું પ્રકાશવાની તક’ છોડી દેશે, તો છેલ્લા દિવસોમાં પ્રભુને વફાદાર રહી શકશે નહિ. એ લેખમાં આગળ લખ્યું હતું: ‘એ માટે વ્યક્તિએ દુનિયા ફરતે લોકોને ખુશખબર જણાવવી જોઈએ અને પોતે અજવાળાના રસ્તે ચાલવું જ જોઈએ.’ ખુશખબર ફેલાવવાની સાથે સાથે આપણાં વાણી-વર્તનથી પણ યહોવાને મહિમા આપી શકીએ છીએ. સંદેશો ફેલાવીએ છીએ ત્યારે, ઘણા લોકો આપણને જોતા હોય છે. આપણે સ્મિત આપીને તેઓને “કેમ છો” કહીએ છીએ. શું એનાથી કોઈ ફાયદો થાય છે? હા, તેઓને આપણા વિશે અને આપણા ઈશ્વર વિશે વિચારવા મદદ મળે છે.

ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે, “તમે ઘરમાં જાઓ ત્યારે ઘરના લોકોને સલામ પાઠવીને કહો કે, ‘તમને શાંતિ થાઓ.’” (માથ. ૧૦:૧૨) ઈસુ જ્યાં ખુશખબર ફેલાવતા હતા, ત્યાં અજાણ્યાઓને પોતાના ઘરે આવકારવાનો રિવાજ હતો. પરંતુ હવે, ઘણી જગ્યાઓએ એવો રિવાજ રહ્યો નથી. કોઈ અજાણી વ્યક્તિ દરવાજે ઊભી હોય તો, લોકો ગભરાઈ જાય છે અથવા ગુસ્સે થઈ જાય છે. પરંતુ, જો આપણે મળતાવડા અને પ્રેમાળ હોઈશું, તો સેવાકાર્યમાં લોકો સહેલાઈથી આપણી સાથે વાત કરી શકશે. ટ્રોલી દ્વારા પ્રચાર કરતી વખતે તમે ધ્યાન આપ્યું હશે કે જ્યારે તમે લોકોને સ્મિત આપો છો અને અભિવાદન કરો છો, ત્યારે તેઓ સહેલાઈથી તમારી પાસે આવે છે અને સાહિત્ય લે છે. અરે, તેઓ કદાચ વધારે વાત કરવા પણ તૈયાર થાય.

૬. એક યુગલે વધારે લોકો સુધી પહોંચવા સેવાકાર્યની કઈ રીત અપનાવી?

ઇંગ્લૅન્ડના એક યુગલની તબિયત સારી રહેતી ન હોવાથી, તેઓ પહેલાંની જેમ ઘરઘરનું સાક્ષીકાર્ય કરી શકતા નથી. એટલે, એ વૃદ્ધ યુગલ પોતાના ઘરની બહાર ટેબલ પર સાહિત્ય મૂકે છે. તેઓનું ઘર એક સ્કૂલની પાસે છે. તેથી, બાળકોને લેવા-મૂકવા આવતા માબાપોને રસ પડે એવાં સાહિત્ય તેઓ મૂકે છે. દાખલા તરીકે, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છેજવાબો જે સફળ થાય છે (અંગ્રેજી), ગ્રંથ ૧ અને ૨. અમુક માબાપ એવાં સાહિત્ય લે છે. એક પાયોનિયર બહેન ઘણી વાર તેઓ સાથે જોડાય છે. ત્યાંથી પસાર થતા અમુક માબાપના ધ્યાનમાં આવ્યું છે કે તે બહેન ઘણી મળતાવડી છે. તેમ જ, એ યુગલ પણ બીજાઓને મદદ કરવા તૈયાર હોય છે. એક પિતાએ તો બાઇબલનો અભ્યાસ પણ શરૂ કર્યો છે.

૭. તમારા વિસ્તારમાં શરણાર્થીઓને તમે કઈ રીતે મદદ કરી શકો?

ઘણા લોકોએ પોતાનું વતન છોડીને બીજા દેશમાં શરણાર્થીઓ તરીકે જીવવું પડે છે. એવા લોકોને યહોવા વિશે શીખવવા તમે શું કરી શકો? પહેલું, તેઓની ભાષામાં અભિવાદન કરવાનું શીખી શકો. ઉપરાંત, JW લેંગ્વેજ ઍપનો ઉપયોગ કરીને તમે તેઓની ભાષાનાં થોડાં વાક્ય શીખી શકો. એમ કરશો તો, તેઓ કદાચ તમારી સાથે વાત કરવા તૈયાર થશે. પછી, તમે તેઓને jw.org વેબસાઇટ પરથી તેઓની ભાષામાં વીડિયો કે સાહિત્ય બતાવી શકો.—પુન. ૧૦:૧૯.

૮, ૯. (ક) જીવન અને સેવાકાર્ય સભામાંથી કઈ રીતે મદદ મળે છે? (ખ) બાળકો જવાબ આપવામાં સુધારો કરે માટે માબાપ શું કરી શકે?

યહોવા આપણને સેવાકાર્યમાં અસરકારક બનવા જરૂરી બધું પૂરું પાડે છે. દાખલા તરીકે, આપણે જીવન અને સેવાકાર્ય સભામાંથી ઘણું શીખીએ છીએ. એનાથી, આપણને પૂરા ભરોસા સાથે ફરી મુલાકાત કરવા અને બાઇબલ અભ્યાસ ચલાવવા મદદ મળે છે.

આપણી સભામાં મહેમાનો આવે છે ત્યારે, તેઓ બાળકોના જવાબથી ઘણી વાર પ્રભાવિત થાય છે. તમે બાળકોને પોતાના શબ્દોમાં જવાબ આપવાનું શીખવી શકો. બાળકો દિલથી અને સરળ શબ્દોમાં જવાબો આપે છે ત્યારે, અમુક લોકો સત્ય શીખવા પ્રેરાય છે.—૧ કોરીં. ૧૪:૨૫.

એકતા મજબૂત કરીએ

૧૦. કુટુંબ તરીકેની ભક્તિ દ્વારા કુટુંબને એકતામાં રહેવા કઈ રીતે મદદ મળી શકે?

૧૦ અજવાળું પ્રકાશવા દેવાની બીજી એક રીત છે કે, કુટુંબમાં અને મંડળમાં એકતા વધારવા મહેનત કરીએ. દાખલા તરીકે, જો તમે માબાપ હો તો કુટુંબ તરીકેની ભક્તિની નિયમિત રીતે ગોઠવણ કરો. ઘણાં કુટુંબો JW બ્રૉડકાસ્ટિંગ જુએ છે. પછીથી, તેઓ ચર્ચા કરે છે કે જે શીખ્યા એને કઈ રીતે લાગુ પાડવું જોઈએ. કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન યાદ રાખીએ કે, નાનાં બાળકો અને તરુણોની જરૂરિયાતોમાં ઘણો ફરક છે. માબાપો, કુટુંબ તરીકેની ભક્તિમાંથી દરેક સભ્યને મદદ મળે માટે તમારાથી બનતું બધું કરો.—ગીત. ૧૪૮:૧૨, ૧૩.

વૃદ્ધો સાથે સમય પસાર કરવાથી આપણને ખુશી મળે છે (ફકરો ૧૧ જુઓ)

૧૧-૧૩. મંડળમાં સંપ જાળવી રાખવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

૧૧ કઈ રીતે યુવાનો મંડળની એકતા જાળવવા અને બીજાઓને અજવાળું પ્રકાશવા મદદ કરી શકે? યુવાનો, તમે વૃદ્ધો સાથે મિત્રતા બાંધવાનો ધ્યેય બનાવી શકો. તેઓને પૂછી શકો કે, વર્ષોથી યહોવાની સેવામાં લાગુ રહેવા તેઓને કઈ બાબતે મદદ કરી. તેઓ પાસેથી તમે કીમતી બોધપાઠ શીખી શકો છો. એનાથી, તેઓની સાથે સાથે તમને પણ ઉત્તેજન મળશે! આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, પ્રાર્થનાઘરમાં આવનાર દરેક મહેમાનનો આવકાર કરી શકીએ છીએ. આપણે તેઓને સ્મિત આપીને “કેમ છો” કહી શકીએ. આપણે તેઓને જગ્યા શોધવા મદદ કરી શકીએ અને બીજાઓ સાથે તેઓની ઓળખાણ કરાવી શકીએ. તેઓને અજાણ્યું ન લાગે એવો આપણે પ્રયત્ન કરી શકીએ.

૧૨ જો તમને પ્રચારની સભા ચલાવવાની જવાબદારી મળી હોય, તો તમે વૃદ્ધોને ઉત્તેજન આપી શકો. તમે તેઓને પોતાનું અજવાળું પ્રકાશવા મદદ કરી શકો. પ્રચારની ગોઠવણ કરો ત્યારે તેઓને એવો વિસ્તાર આપો, જેમાં તેઓ સહેલાઈથી જઈ શકે. તેઓ સાથે કામ કરવા કોઈ યુવાનની ગોઠવણ કરી શકો. કેટલાંક ભાઈ-બહેનો વધતી ઉંમર કે બીમારીને લીધે પહેલાં જેટલું સેવાકાર્ય કરી શકતા ન હોવાથી ઘણી વાર નિરાશ થઈ જાય છે. પરંતુ, જ્યારે તેઓ જોશે કે તમે તેઓની કાળજી લો છો અને તેઓના સંજોગો સમજો છો, ત્યારે તેઓ રાહત અનુભવશે. તમારા પ્રેમાળ સ્વભાવથી યુવાનો કે વૃદ્ધો, અનુભવી કે ઓછા અનુભવી, દરેકને ઉત્સાહથી ખુશખબર ફેલાવવા મદદ મળશે.—લેવી. ૧૯:૩૨.

૧૩ ઇઝરાયેલીઓને સાથે મળીને યહોવાની ભક્તિ કરવામાં ઘણો આનંદ થતો હતો. એક લેખકે આમ લખ્યું હતું: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!” (ગીતશાસ્ત્ર ૧૩૩:૧, ૨ વાંચો.) તેમણે અભિષિક્ત કરવા માટે વપરાતા તેલ સાથે એકતાની સરખામણી કરી હતી. એ તેલથી ત્વચાને તાજગી મળતી અને સુવાસ પ્રસરતી. એવી જ રીતે, પ્રેમાળ સ્વભાવ રાખવાથી આપણે ભાઈ-બહેનોને તાજગી આપી શકીએ છીએ. એનાથી મંડળની એકતા મજબૂત થશે. શું તમે ભાઈ-બહેનો માટે ‘દિલના દરવાજા ખોલી નાખી શકો,’ એટલે કે તેઓને મદદ કરવા વધુ પ્રયત્ન કરી શકો?—૨ કોરીં. ૬:૧૧-૧૩.

૧૪. તમે રહો છો એ વિસ્તારમાં કઈ રીતે તમારું અજવાળું પ્રકાશવા દઈ શકો?

૧૪ તમે ભલે ગમે એ જગ્યાએ રહેતા હો, તમારું અજવાળું પ્રકાશવા દઈ શકો છો. તમારો પ્રેમાળ સ્વભાવ જોઈને તમારા પડોશીઓ યહોવા વિશે શીખવા તૈયાર થઈ શકે છે. આ સવાલો પર વિચાર કરો: “મારા પડોશીઓ મારા વિશે કેવું વિચારે છે? શું મારું ઘર સાફ-સુધરું છે? શું એનાથી મારા ઘરની આસપાસ સ્વચ્છતા જળવાય છે? શું હું પડોશીઓને મદદરૂપ થાઉં છું?” બીજા સાક્ષીઓને પૂછો કે, તેઓના પ્રેમાળ સ્વભાવ અને સારા દાખલાની સગાંઓ, પડોશીઓ, સાથે કામ કરનારા અને ભણનારા લોકો પર કેવી અસર પડી છે.—એફે. ૫:૯.

જાગતા રહો

૧૫. શા માટે આપણે જાગતા રહેવાની જરૂર છે?

૧૫ જો આપણે ચાહતા હોઈએ કે આપણું અજવાળું ઝળહળતું રહે, તો શું ધ્યાન રાખવું જોઈએ? આપણે જે સમયમાં જીવીએ છીએ એને યાદ રાખીએ. ઈસુએ શિષ્યોને ઘણી વાર કહ્યું કે, “જાગતા રહો.” (માથ. ૨૪:૪૨; ૨૫:૧૩; ૨૬:૪૧) જો આપણે એવું માનીશું કે ‘મહાન વિપત્તિને’ હજુ વાર છે, તો યહોવા વિશે બીજાઓને શીખવવામાં ઢીલા પડી જઈશું. (માથ. ૨૪:૨૧) આપણું અજવાળું ઝળહળતું નહિ રહે, પણ ધીરે ધીરે ઝાંખું પડતું જશે. અરે, કદાચ ગાયબ પણ થઈ જઈ શકે.

૧૬, ૧૭. જાગતા રહેવા આપણે શું કરી શકીએ?

૧૬ દુનિયાની પરિસ્થિતિ બગડી રહી છે એટલે આપણે જાગતા રહેવાની જરૂર છે. આજે એમ કરવાની વધારે જરૂર છે. પરંતુ, આપણે જાણીએ છીએ કે યહોવાના નક્કી કરેલા સમયે અંત ચોક્કસ આવશે. (માથ. ૨૪:૪૨-૪૪) એ દરમિયાન, આપણે ધીરજ રાખવી જોઈએ અને ભાવિ પર પોતાનું મન લગાડવું જોઈએ. દરરોજ બાઇબલ વાંચીએ અને યહોવાને પ્રાર્થના કરવાનું ચૂકીએ નહિ. (૧ પીત. ૪:૭) વર્ષોથી યહોવાની સેવા કરી રહેલાં ભાઈ-બહેનો પાસેથી શીખીએ. દાખલા તરીકે, તેઓના અનુભવો વાંચીએ. આપણે એપ્રિલ ૧૫, ૨૦૧૨ ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૧૮-૨૧ પર આપેલો આ લેખ જોઈ શકીએ: “સેવન્ટી યર્સ ઓફ હોલ્ડીંગ ઓન ટુ ધ સ્કર્ટ ઓફ એ જ્યૂ.”

૧૭ યહોવાની સેવામાં વ્યસ્ત રહીએ. બીજાઓ માટે દયા બતાવીએ અને ભાઈ-બહેનો સાથે સમય વિતાવીએ. એમ કરીશું તો, આપણે આનંદિત રહીશું અને સમય ક્યાં વીતી જશે એની ખબર જ નહિ પડે. (એફે. ૫:૧૬) છેલ્લા સોએક વર્ષમાં, યહોવાના ભક્તોએ ઘણું કામ પાર પાડ્યું છે. આજે આપણે પહેલાં કરતાં પણ વધારે યહોવાની સેવામાં વ્યસ્ત છીએ. આપણે કલ્પના પણ કરી નહિ હોય એટલા પ્રમાણમાં યહોવાનું કામ વધી રહ્યું છે. આપણું અજવાળું ઝળહળતું પ્રકાશી રહ્યું છે!

વડીલોની ઉત્તેજનભરી મુલાકાતથી ઈશ્વરના ડહાપણનો ફાયદો મેળવી શકીએ છીએ (ફકરા ૧૮, ૧૯ જુઓ)

૧૮, ૧૯. આપણે યહોવાની સેવા ઉત્સાહથી કરી શકીએ માટે વડીલો કઈ રીતે મદદ કરી શકે? દાખલો આપો.

૧૮ ભલે આપણે ઘણી ભૂલો કરતા હોઈએ, તોપણ યહોવા આપણને તેમની સેવા કરતા રોકતા નથી. આપણને મદદ મળે માટે તેમણે “માણસો ભેટ તરીકે આપ્યા” છે, એટલે કે મંડળના વડીલો. (એફેસીઓ ૪:૮, ૧૧, ૧૨ વાંચો.) જ્યારે વડીલો આપણી મુલાકાત લે, ત્યારે તેઓનાં ડહાપણ અને સલાહમાંથી ફાયદો મેળવવો જોઈએ.

૧૯ ઇંગ્લૅન્ડના એક યુગલનો વિચાર કરો. તેઓના લગ્નજીવનમાં મુશ્કેલી ઊભી થઈ ત્યારે, તેઓએ બે વડીલોની મદદ લીધી. પત્નીને લાગતું કે, તેના પતિ યહોવાની ભક્તિમાં પહેલ કરતા નથી. જ્યારે કે, પતિને લાગતું કે તે પોતે સારા શિક્ષક નથી. અને તેમણે સ્વીકાર્યું કે કુટુંબ તરીકેની ભક્તિ નિયમિત રીતે કરવામાં પોતે ઢીલા પડે છે. વડીલોએ એ યુગલને ઈસુના દાખલા પર વિચાર કરવા જણાવ્યું. ઈસુ પોતાના શિષ્યોની સંભાળ રાખતા હતા. વડીલોએ પતિને ઈસુના દાખલાને અનુસરવા ઉત્તેજન આપ્યું. તેઓએ પત્નીને પણ પોતાના પતિ સાથે ધીરજથી વર્તવા ઉત્તેજન આપ્યું. તેઓએ યુગલને અમુક સૂચનો આપ્યાં, જેથી યુગલ પોતાનાં બે બાળકો સાથે સારી રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરી શકે. (એફે. ૫:૨૧-૨૯) એક સારા શિર બનવા પતિએ ઘણી મહેનત કરી. વડીલોએ તેમને હિંમત ન હારવા અને યહોવાની શક્તિ પર આધાર રાખવા ઉત્તેજન આપ્યું. વડીલોએ બતાવેલાં પ્રેમ અને દયાથી એ કુટુંબને ખરેખર મદદ મળી!

૨૦. તમારું અજવાળું પ્રકાશવા દેશો તો, કેવું પરિણામ આવશે?

૨૦ “જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે.” (ગીત. ૧૨૮:૧) તમારું અજવાળું પ્રકાશવા દેશો તો, તમે ખુશી અનુભવશો. તેથી, બીજાઓને ઈશ્વર વિશે શીખવો. જાગતા રહો! કુટુંબમાં અને મંડળમાં એકતા જાળવવા તમારાથી બનતું બધું કરો. તમારું સારું ઉદાહરણ જોઈને બીજાઓ પણ આપણા પિતા, યહોવાનો મહિમા કરવા પ્રેરાશે.—માથ. ૫:૧૬.