સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના વિચારો જાણો, દારૂ વિશે યોગ્ય નિર્ણય લો

ઈશ્વરના વિચારો જાણો, દારૂ વિશે યોગ્ય નિર્ણય લો

યહોવાએ આપણને ઘણી ભેટો આપી છે, જેનાથી આપણે ખુશ છીએ. પણ એ ભેટો કઈ રીતે વાપરવી એ યહોવાએ આપણા પર છોડ્યું છે. એ માટે યહોવાનો આભાર! તમને જાણીને નવાઈ લાગશે કે બાઇબલમાં દ્રાક્ષદારૂને ઈશ્વર તરફથી ભેટ કહ્યો છે. એમાં એ પણ લખ્યું છે: “ખોરાક મુખ પર હાસ્ય લાવે છે અને દ્રાક્ષદારૂ જીવનને ખુશીઓથી ભરી દે છે.” (સભા. ૧૦:૧૯, ફૂટનોટ; ગીત. ૧૦૪:૧૫) પણ તમે જોયું હશે કે દારૂને a લીધે અમુક લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એ ઉપરાંત, દારૂ વિશે આખી દુનિયામાં લોકોના અલગ અલગ વિચારો છે. તો પછી દારૂ વિશે યોગ્ય નિર્ણય લેવા ઈશ્વરભક્તોને શાનાથી મદદ મળી શકે?

કોઈ નિર્ણય લેતી વખતે ઈશ્વરના વિચારો ધ્યાનમાં લેવા જોઈએ, આસપાસ રહેતા લોકોના કે સમાજના લોકોના નહિ. એમ કરવાથી આપણે ખુશ રહી શકીશું.

તમે કદાચ જોયું હશે કે દુનિયામાં ઘણા લોકો વધુ પડતો અને વારંવાર દારૂ પીએ છે. અમુક લોકો થાક દૂર કરવા દારૂ પીએ છે. તો બીજાઓ પોતાની ચિંતાઓ ભૂલી જવા પીએ છે. અમુક જગ્યાએ લોકોને લાગે છે કે વધુ પડતો દારૂ એ જ માણસ પી શકે, જે સાચો મર્દ છે.

પણ આપણા પ્રેમાળ સર્જનહારે સરસ માર્ગદર્શન આપ્યું છે. દાખલા તરીકે, તેમણે જણાવ્યું છે કે વધુ પડતો દારૂ પીવાના કેવાં ખોટાં પરિણામો આવી શકે છે. દારૂ પીધે રાખનાર વ્યક્તિ શું કરે છે અને એનાથી કેવી મુશ્કેલીઓ આવે છે એ વિશે નીતિવચનો ૨૩:૨૯-૩૫માં જણાવ્યું છે. b ડેનિયલભાઈનો દાખલો લો. તે યુરોપમાં વડીલ તરીકે સેવા આપે છે. યહોવા વિશે શીખ્યા એ પહેલાં તેમનું જીવન કેવું હતું, એ યાદ કરતા તે કહે છે: “હું ખૂબ દારૂ પીતો. એના લીધે મેં ઘણા ખોટા નિર્ણયો લીધા. મારે ઘણું ભોગવવું પડ્યું. આજેય એ દિવસો યાદ કરું છું ત્યારે મારા જખમો તાજા થઈ જાય છે.”

દારૂ વિશે યોગ્ય નિર્ણય કઈ રીતે લઈ શકીએ? વધુ પડતો દારૂ પીવાથી જે ખરાબ પરિણામ આવે છે એનાથી કઈ રીતે બચી શકીએ? દારૂ વિશે ઈશ્વરના વિચારો જાણીએ અને એ પ્રમાણે નિર્ણય લઈએ.

ચાલો જોઈએ કે દારૂ વિશે બાઇબલમાં શું લખ્યું છે અને અમુક લોકો કેમ દારૂ પીએ છે.

દારૂ વિશે બાઇબલમાં શું લખ્યું છે?

હદમાં રહીને દારૂ પીવો એ બાઇબલ પ્રમાણે ખોટું નથી. હકીકતમાં, બાઇબલમાં લખ્યું છે કે દ્રાક્ષદારૂ પીવાથી ખુશી મળે છે. એમાં લખ્યું છે: “આનંદ કરતાં કરતાં તારું ભોજન ખા અને ખુશી ખુશી દ્રાક્ષદારૂ પી.” (સભા. ૯:૭) અમુક પ્રસંગોએ ઈસુએ દ્રાક્ષદારૂ પીધો હતો. યહોવાના બીજા વફાદાર સેવકોએ પણ દ્રાક્ષદારૂ પીધો હતો.—માથ. ૨૬:૨૭-૨૯; લૂક ૭:૩૪; ૧ તિમો. ૫:૨૩.

પણ બાઇબલમાં સાફ જણાવ્યું છે કે થોડો દારૂ પીવો અને દારૂ પીને ચકચૂર થવું, એમાં મોટો ફરક છે. એમાં સ્પષ્ટ જણાવ્યું છે: “વધુ પડતો દારૂ ન પીઓ.” (એફે. ૫:૧૮) એમાં એ પણ લખ્યું છે કે ‘દારૂડિયાઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ (૧ કોરીં. ૬:૧૦) હા, વધુ પડતો દારૂ પીવો અને દારૂડિયાપણું એ બંને યહોવાની નજરે ખોટું છે. એટલે દારૂ પીવા વિશે આપણે આસપાસના લોકોનું આંધળું અનુકરણ કરતા નથી. પણ વિચારીએ છીએ કે યહોવા શાનાથી ખુશ થશે અને પછી એ પ્રમાણે નિર્ણય લઈએ છીએ.

અમુકને લાગે છે કે તેઓ વધુ પડતો દારૂ પીશે, તોપણ એનો નશો નહિ ચઢે. પણ એવું વિચારવું ખતરનાક છે. બાઇબલમાં સાફ જણાવ્યું છે કે ‘અતિશય દ્રાક્ષદારૂ પીનાર’ માણસથી (અથવા સ્ત્રીથી) મોટી ભૂલો થઈ શકે છે અને યહોવા સાથેનો તેનો સંબંધ જોખમમાં મુકાઈ શકે છે. (તિત. ૨:૩; નીતિ. ૨૦:૧) ઈસુએ પણ ચેતવણી આપી હતી કે ‘વધારે પડતું પીનાર’ વ્યક્તિ માટે નવી દુનિયાના દરવાજા બંધ થઈ શકે છે. (લૂક ૨૧:૩૪-૩૬) તો પછી દારૂ પીવાથી જે મુશ્કેલીઓ ઊભી થાય છે એને ટાળવા એક ઈશ્વરભક્ત શું કરી શકે?

વિચારો કે તમે કેમ, ક્યારે અને કેટલું પીઓ છો

દારૂ વિશે નિર્ણય લેતી વખતે તમે શાના પર ધ્યાન આપો છો? શું સમાજના લોકો જે કરે છે એના પર? એમ કરવું જોખમી છે. ખાવા-પીવાની વાત આવે ત્યારે ઈશ્વરભક્તો ધ્યાન આપે છે કે યહોવા શાનાથી ખુશ થાય છે. બાઇબલ યાદ અપાવે છે: “તમે ખાઓ કે પીઓ કે બીજું જે કંઈ કરો, બધું ઈશ્વરના મહિમા માટે કરો.” (૧ કોરીં. ૧૦:૩૧) ચાલો અમુક સવાલો પર અને એ વિશે બાઇબલમાં આપેલા સિદ્ધાંતો પર ધ્યાન આપીએ.

શું હું એટલા માટે દારૂ પીઉં છું, જેથી બીજાઓ કરતાં અલગ તરી ન આવું? નિર્ગમન ૨૩:૨માં લખ્યું છે: ‘બહુમતીથી દોરવાશો નહિ.’ યહોવા અહીં ઇઝરાયેલીઓને ચેતવી રહ્યા હતા કે તેઓ એવા લોકોને પગલે ન ચાલે, જેઓ ખોટાં કામ કરતા હતા. એ સલાહ આજે યહોવાના ભક્તોને પણ લાગુ પડે છે. એટલે દારૂ વિશે નિર્ણય લેતી વખતે બીજાઓના વાદે ચઢી ન જઈએ અને તેઓના જેવું ન વિચારીએ. કેમ કે એ ધીરે ધીરે આપણને યહોવાથી અને તેમનાં ધોરણોથી દૂર લઈ જશે.—રોમ. ૧૨:૨.

શું હું એ બતાવવા દારૂ પીઉં છું કે મારામાં કેટલી તાકાત છે? અમુક સમાજમાં વધુ પડતો અને વારંવાર દારૂ પીવો સામાન્ય છે. તેઓના મતે એમાં કંઈ ખોટું નથી. (૧ પિત. ૪:૩) પણ ધ્યાન આપો કે બાઇબલમાં કઈ સલાહ આપી છે: “જાગતા રહો, શ્રદ્ધામાં મક્કમ રહો, મર્દાનગી બતાવો અને બળવાન થાઓ.” (૧ કોરીં. ૧૬:૧૩, ફૂટનોટ) શું દારૂ પીવાથી વ્યક્તિ સાચે જ બળવાન બને છે? ના. દારૂને લીધે વ્યક્તિની બુદ્ધિ બહેર મારી જાય છે. તે સારી રીતે વિચારી શકતી નથી અને યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. આમ વધુ પડતો દારૂ પીવાથી વ્યક્તિ બળવાન નહિ, મૂર્ખ સાબિત થાય છે. યશાયા ૨૮:૭માં જણાવ્યું છે કે જેઓ શરાબ પીને આડે રસ્તે ચઢી જાય છે, તેઓ લથડિયાં અને ગોથાં ખાય છે.

સાચી તાકાત યહોવા પાસેથી મળે છે. પણ એ માટે જરૂરી છે કે આપણે જાગતા રહીએ અને શ્રદ્ધામાં મક્કમ રહીએ. (ગીત. ૧૮:૩૨) એવું કઈ રીતે કરીએ છીએ? આપણે જાણીજોઈને આફત નોતરતા નથી. યહોવા સાથેના સંબંધને આંચ ન આવે એવા નિર્ણયો લઈએ છીએ. પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ બતાવી આપ્યું કે તેમને યહોવા પાસેથી તાકાત મળી હતી. તેમનો યહોવા સાથેનો સંબંધ એકદમ પાકો હતો. તે ખૂબ હિંમતવાળા હતા અને હંમેશાં જે ખરું હોય એ જ કરતા હતા. એ વાતને લીધે ઘણા લોકો તેમને માન આપતા હતા.

શું હું ચિંતાઓ ભૂલવા દારૂ પીઉં છું? ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો, ત્યારે [હે યહોવા] તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.” (ગીત. ૯૪:૧૯) જો ચિંતાઓ તમને કોરી ખાતી હોય, તો દારૂને શરણે જવાને બદલે યહોવાનો સહારો લો. યહોવા પાસે મદદ માંગવા વારંવાર પ્રાર્થના કરો. અમુકને લાગે છે કે મંડળના કોઈ અનુભવી કે સમજદાર મિત્રની સલાહ લેવાથી પણ ફાયદો થઈ શકે. દારૂ પીવાથી ચિંતા કે તકલીફો ઓછી થતી નથી, પણ ખરું કરવાનો ઇરાદો નબળો પડી જાય છે. (હોશિ. ૪:૧૧) અગાઉ આપણે ડેનિયલભાઈ વિશે જોઈ ગયા. તેમણે કહ્યું: “મને ખૂબ ચિંતા થતી હતી. હું પોતાને દોષ આપતો. ચિંતાઓથી દૂર ભાગવા હું દારૂ પીતો. પણ મુસીબતો વધતી ગઈ. દોસ્તો મારાથી દૂર થઈ ગયા અને હું પોતાની જ નજરમાંથી ઊતરી ગયો.” ડેનિયલભાઈને શાનાથી મદદ મળી? જેમ જેમ તે યહોવા વિશે શીખતા ગયા, તેમ તેમ તેમને ખ્યાલ આવ્યો કે તેમણે યહોવા પર આધાર રાખવાનો હતો, દારૂ પર નહિ. યહોવાની મદદથી તે મુશ્કેલીઓ સામે લડી શક્યા અને એમાંથી બહાર આવી શક્યા. કદાચ કોઈક વાર મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો રસ્તો ન સૂઝે. પણ યાદ રાખી શકીએ કે યહોવા હંમેશાં મદદ કરવા તૈયાર છે.—ફિલિ. ૪:૬, ૭; ૧ પિત. ૫:૭.

જો તમે કોઈક વાર પીતા હો, તોપણ અમુક સવાલોનો વિચાર કરી શકો. એનાથી તમને જાણવા મળશે કે તમે કેટલી વાર અને કેટલો દારૂ પીઓ છો, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહિ. જેમ કે, ‘શું કોઈ કુટુંબીજને અથવા મિત્રએ દારૂ પીવાની મારી આદત વિશે ટકોર કરી છે?’ જો એમ હોય તો એનો અર્થ થઈ શકે કે તમને દારૂની લત લાગી છે પણ તમે એ જોઈ શકતા નથી. ‘શું હું પહેલાં કરતાં વધારે પીઉં છું?’ એ સવાલ પર વિચાર કરવો સારું છે. કેમ કે ભલે તમને હમણાં દારૂની લત ન હોય, પણ જો એમ જ ચાલતું રહ્યું, તો લત લાગી શકે છે. ‘જો અમુક દિવસો વીતી જાય અને મને દારૂ ન મળે, તો શું દારૂ વગર રહેવું મને અઘરું લાગે છે?’ જો એમ હોય તો કદાચ તમને દારૂની લત લાગી ગઈ છે. એ કિસ્સામાં એ લતથી છૂટવા તમારે કદાચ ડૉક્ટરની મદદ લેવી પડે.

દારૂથી ઊભી થતી મુશ્કેલીઓને લીધે અમુકે જરાય દારૂ ન પીવાનો નિર્ણય લીધો છે. બીજા અમુકને દારૂનો સ્વાદ ગમતો નથી, એટલે તેઓ પીતા નથી. જો તમારો કોઈ દોસ્ત દારૂ પીતો ન હોય, તો તેને મહેણાં-ટોણાં મારશો નહિ. તેના નિર્ણયને માન આપો અને તેને પ્રેમ બતાવો.

તમે કદાચ કેટલો દારૂ પીશો એની હદ ઠરાવી હશે. કદાચ કેટલી વાર પીશો એ પણ નક્કી કર્યું હશે. જેમ કે અઠવાડિયામાં એક વખત અથવા જમતી વખતે થોડો. બીજાઓ કદાચ નિર્ણય લે કે તેઓ અમુક પ્રકારનો જ દારૂ પીશે. જેમ કે, તેઓ નિર્ણય લે કે થોડો વાઈન કે થોડી બીયર પીશે. પણ આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય એવો દારૂ નહિ પીએ, જ્યૂસ અથવા કોલ્ડ-ડ્રિન્ક્સમાં મેળવીને પણ નહિ પીએ. જ્યારે કોઈ વ્યક્તિ આવી હદ ઠરાવે છે, ત્યારે એ પ્રમાણે ચાલવું તેના માટે સહેલું બની જાય છે. જો તમે પોતે ઠરાવેલી હદ પ્રમાણે ચાલતા હો, તો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કે બીજાઓ શું કહેશે.

દારૂ વિશે નિર્ણય લેતી વખતે આપણે બીજાઓનો પણ વિચાર કરવો જોઈએ. રોમનો ૧૪:૨૧માં લખ્યું છે: “માંસ ખાવાથી કે દ્રાક્ષદારૂ પીવાથી કે બીજું કંઈ કરવાથી જો તારો ભાઈ ઠોકર ખાતો હોય, તો સારું કહેવાશે કે તું એમ ન કરે.” તમે કઈ રીતે એ સલાહ પાળી શકો? ભાઈ-બહેનો માટે પ્રેમ બતાવીને. જો તમને લાગતું હોય કે તમારા દારૂ પીવાથી કોઈને ઠોકર લાગી શકે છે, તો પ્રેમના લીધે તમે કદાચ એ પ્રસંગે દારૂ પીવાનું ટાળો. આમ તમે બતાવી આપો છો કે તમને બીજાઓની ચિંતા છે અને તેઓની લાગણીઓને માન આપો છો. તેમ જ, તમે ફક્ત પોતાનો જ નહિ, બીજાઓનો પણ વિચાર કરો છો.—૧ કોરીં. ૧૦:૨૪.

એ ઉપરાંત, કદાચ સરકારે દારૂ વિશે અમુક કાયદા-કાનૂન બનાવ્યા હોય. ઈશ્વરભક્તોએ એ કાયદા-કાનૂન પાળવા જોઈએ. દાખલા તરીકે, સરકારનો નિયમ હોય કે અમુક ઉંમર પછી જ વ્યક્તિ દારૂ પી શકે. અથવા એવો પણ નિયમ હોય કે દારૂ પીધા પછી ગાડી કે કોઈ મશીન ન ચલાવી શકાય.—રોમ. ૧૩:૧-૫.

યહોવાએ આપણને ઘણી ભેટો આપી છે. એ ભેટોનો કેવી રીતે ઉપયોગ કરવો એ પસંદ કરવાની આઝાદી પણ આપી છે. એ આઝાદી પણ એક ભેટ છે. એનો અર્થ થાય કે શું ખાવું અને શું પીવું એ પોતે પસંદ કરી શકીએ છીએ. તો ચાલો એવા નિર્ણયો લઈએ, જેથી સ્વર્ગમાંના આપણા પિતાને ખુશી મળે. તેમ જ, બતાવી આપીએ કે આઝાદીની એ ભેટની આપણે કેટલી કદર કરીએ છીએ.

a આ લેખમાં “દારૂ” અને “શરાબ” આલ્કોહોલવાળા કોઈ પણ પીણાંને રજૂ કરે છે, જેમ કે બીયર, વાઈન અને વ્હીસ્કી. ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. એવા કિસ્સામાં ઈશ્વરભક્તો એ નિયમને માન આપશે અને પાળશે.

b આરોગ્ય સંસ્થાઓના કહેવા પ્રમાણે જો કોઈ વ્યક્તિ એક જ વાર વધુ પડતો દારૂ પીએ, તોપણ ઘણું નુકસાન થઈ શકે છે. જેમ કે, તે બીજાઓનું ખૂન કરે, આત્મહત્યા કરે, કોઈનું જાતીય શોષણ કરે, પોતાના સાથીને મારે-ઝૂડે અથવા સ્ત્રીને ગર્ભપાત થઈ જાય. એવું પણ બને કે વ્યક્તિ દારૂના નશામાં કોઈની સાથે જાતીય સંબંધ બાંધે, જેના લીધે તેને જાતીય રોગ થાય અથવા સ્ત્રી ચાહતી ન હોય તોપણ ગર્ભવતી થઈ જાય.