સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી

બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી

‘બાપ્તિસ્મા તમને હમણાં બચાવી રહ્યું છે.’—૧ પીત. ૩:૨૧.

ગીતો: ૭,

૧, ૨. (ક) બાળકો બાપ્તિસ્મા લેવાની ઇચ્છા બતાવે ત્યારે, કેટલાંક માતા-પિતાને કેવું લાગે છે? (ખ) બાપ્તિસ્મા લેનારાઓને શા માટે પૂછવામાં આવે છે કે તેઓએ યહોવાને સમર્પણ કર્યું છે કે નહિ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

બાપ્તિસ્મા લેવા માંગતા બીજા લોકો સાથે મારિયા પણ ઊભી હતી. નાનકડી મારિયાને તેનાં મમ્મી-પપ્પા જોઈ રહ્યાં હતાં. પ્રવચન આપનાર ભાઈએ બે સવાલો પૂછ્યા. મારિયાએ મોટા અને સ્પષ્ટ અવાજે એના જવાબ આપ્યા. એ પછી, મારિયાએ બાપ્તિસ્મા લીધું.

મારિયાએ પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું. એટલે મમ્મી-પપ્પાને તેના પર ઘણો ગર્વ હતો. પણ એ પહેલાં, મારિયાનાં મમ્મી થોડી ચિંતામાં હતાં. તે વિચારતાં હતાં, ‘શું બાપ્તિસ્મા લેવા માટે મારિયા હજુ નાની છે? શું તે સમજે છે કે યહોવાને પોતાનું સમર્પણ કરવું, એ ગંભીર વાત છે? શું તેણે બાપ્તિસ્મા લેવા માટે હજુ રાહ જોવી જોઈએ?’ બાળકો બાપ્તિસ્મા લેવાની ઇચ્છા બતાવે ત્યારે, ઘણાં પ્રેમાળ માતા-પિતાને આવા સવાલો થાય છે. (સભા. ૫:૫) સાચે જ, યહોવાને પોતાનું જીવન સમર્પણ કરવું અને બાપ્તિસ્મા લેવું, એ એક મહત્ત્વનો નિર્ણય છે.—“ શું તમે યહોવાને સમર્પણ કર્યું છે?” બૉક્સ જુઓ.

૩, ૪. (ક) પ્રેરિત પીતરે કઈ રીતે આપણને શીખવ્યું કે બાપ્તિસ્મા ઘણું મહત્ત્વનું પગલું છે? (ખ) શા માટે પીતરે બાપ્તિસ્માને વહાણ બાંધવા સાથે સરખાવ્યું?

પ્રેરિત પીતરે બાપ્તિસ્માને શાની સાથે સરખાવ્યું હતું? નુહ વહાણ બાંધી રહ્યા હતા એ કામ સાથે. પીતરે કહ્યું: ‘એ બાપ્તિસ્માને દર્શાવે છે,’ એટલે કે એ વહાણ “તમને હમણાં બચાવી રહ્યું છે.” (૧ પીતર ૩:૨૦, ૨૧ વાંચો.) એ વહાણથી બીજાઓને સાબિતી મળી કે નુહ પૂરા દિલથી યહોવાની ઇચ્છા પૂરી કરવા માંગતા હતા. યહોવાએ નુહને જે કામ સોંપ્યું એ તેમણે વફાદારીથી પૂરું કર્યું. નુહની શ્રદ્ધાને લીધે, યહોવાએ તેમને અને તેમના કુટુંબને જળપ્રલયમાંથી બચાવ્યા હતા. એ પરથી પીતર આપણને શું શીખવવા માંગતા હતા?

વહાણ જોઈને લોકોને જાણ થઈ કે નુહને ઈશ્વરમાં શ્રદ્ધા છે. એક વ્યક્તિ ખ્રિસ્તમાં શ્રદ્ધા હોવાને લીધે પોતાનું જીવન યહોવાને સમર્પણ કરે છે. એટલે, તેના બાપ્તિસ્માથી લોકોને એનો પુરાવો મળે છે. જેઓએ બાપ્તિસ્મા લીધું છે, તેઓ પણ નુહની જેમ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈશ્વરે સોંપેલું કામ કરે છે. યહોવાએ નુહને જળપ્રલયમાંથી બચાવ્યા હતા, એ જ રીતે તે પોતાના વફાદાર ભક્તોને આ દુષ્ટ દુનિયાના અંતમાંથી બચાવશે. (માર્ક ૧૩:૧૦; પ્રકટી. ૭:૯, ૧૦) એનાથી સ્પષ્ટ થાય છે કે, યહોવાને પોતાનું જીવન સમર્પણ કરવું અને બાપ્તિસ્મા લેવું ખૂબ જ મહત્ત્વનું છે. જો કોઈ વ્યક્તિ બાપ્તિસ્મા લેવામાં ઢીલ કર્યા કરે, તો તે કદાચ હંમેશ માટેના જીવનની તક ગુમાવી દઈ શકે.

૫. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

હવે આપણે જાણીએ છીએ કે બાપ્તિસ્મા કેટલું ગંભીર પગલું છે, તો આપણે આ ત્રણ સવાલોના જવાબ શોધવા જોઈએ: બાપ્તિસ્મા વિશે બાઇબલ શું કહે છે? એક વ્યક્તિએ બાપ્તિસ્મા લેતા પહેલાં શું કરવું જોઈએ? બાળકોને કે બાઇબલ વિદ્યાર્થીને શીખવતી વખતે આપણે શા માટે યાદ રાખવું જોઈએ કે બાપ્તિસ્મા ખૂબ મહત્ત્વનું છે?

બાપ્તિસ્મા વિશે બાઇબલ શું શીખવે છે?

૬, ૭. (ક) યોહાન દ્વારા અપાતા બાપ્તિસ્માનો શો અર્થ થતો હતો? (ખ) કોનું બાપ્તિસ્મા બીજાઓ કરતાં અલગ હતું અને શા માટે?

બાઇબલમાં નોંધેલું પહેલવહેલું બાપ્તિસ્મા કોણે આપ્યું હતું? એ યોહાન હતા, જે બાપ્તિસ્મા આપનાર તરીકે ઓળખાતા હતા. (માથ. ૩:૧-૬) લોકો તેમની પાસે બાપ્તિસ્મા લેવા શા માટે આવતા હતા? મુસાના નિયમશાસ્ત્ર વિરુદ્ધ પોતે કરેલા પાપનો પસ્તાવો જાહેર કરવા. પણ યોહાને એક સૌથી મહત્ત્વનું બાપ્તિસ્મા આપ્યું હતું, જે પસ્તાવો જાહેર કરવા માટે ન હતું. ઈશ્વરના સંપૂર્ણ દીકરા, ઈસુને બાપ્તિસ્મા આપવાનો યોહાનને અજોડ લહાવો મળ્યો હતો. (માથ. ૩:૧૩-૧૭) ઈસુએ કદી પાપ કર્યું ન હતું એટલે, તેમણે પસ્તાવો કરવાની જરૂર ન હતી. (૧ પીત. ૨:૨૨) તો પછી ઈસુએ શા માટે બાપ્તિસ્મા લીધું હતું? એ બતાવવા કે તે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા તૈયાર છે.—હિબ્રૂ. ૧૦:૭.

ઈસુના પૃથ્વી પરના સેવાકાર્ય દરમિયાન તેમના શિષ્યો લોકોને બાપ્તિસ્મા આપતા હતા. (યોહા. ૩:૨૨; ૪:૧, ૨) એ લોકોએ મુસાના નિયમશાસ્ત્ર વિરુદ્ધ કરેલા પાપનો પસ્તાવો કર્યો હોવાથી બાપ્તિસ્મા લીધું હતું. પરંતુ, ઈસુ મરણ પામ્યા અને સજીવન થયા પછી, બાપ્તિસ્માના અર્થમાં બીજી બાબતોનો પણ સમાવેશ થયો.

૮. (ક) સજીવન થયા પછી, ઈસુએ કઈ આજ્ઞા આપી? (ખ) શા માટે ઈશ્વરભક્તોએ બાપ્તિસ્મા લેવાની જરૂર છે?

ઈસવીસન ૩૩માં, સજીવન થયા પછી ઈસુએ ૫૦૦ કરતાં વધારે લોકો સાથે વાત કરી. એમાં પુરુષો, સ્ત્રીઓ અને કદાચ બાળકો પણ હતાં. તેમણે એ પ્રસંગે આ શબ્દો કહ્યા હોઈ શકે: “એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો; તેઓને પિતા અને પુત્ર અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો; મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.” (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ કોરીં. ૧૫:૬) ઈસુએ પોતાના અનુયાયીઓને આજ્ઞા આપી હતી કે તેઓ શિષ્યો બનાવે. તેમણે એ પણ જણાવ્યું કે જેઓએ તેમના શિષ્ય બનવું હોય અથવા તેમની “ઝૂંસરી” પોતાના પર લેવી હોય, તેઓએ બાપ્તિસ્મા લેવું જોઈએ. (માથ. ૧૧:૨૯, ૩૦) ઈશ્વરને પસંદ છે એ રીતે તેમની ભક્તિ કરવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? તેણે સ્વીકારવું જોઈએ કે ઈશ્વર પોતાની ઇચ્છા પૂરી કરવા માટે ઈસુનો ઉપયોગ કરે છે. એ પછી, તે પાણીનું બાપ્તિસ્મા લઈ શકે છે. ફક્ત એવા બાપ્તિસ્માને જ ઈશ્વર સ્વીકારે છે. બાઇબલમાં એવા ઘણા પુરાવાઓ છે, જે બતાવે છે કે શરૂઆતના શિષ્યો બાપ્તિસ્માનું મહત્ત્વ સમજતા હતા. તેથી, તેઓએ ક્યારેય બિનજરૂરી કારણોને લીધે બાપ્તિસ્મા લેવાનું ટાળ્યું નહિ.—પ્રે.કા. ૨:૪૧; ૯:૧૮; ૧૬:૧૪, ૧૫, ૩૨, ૩૩.

બાપ્તિસ્મા લેવામાં મોડું ન કરો

૯, ૧૦. ઇથિયોપિયાના અધિકારી અને શાઊલ પાસેથી આપણે બાપ્તિસ્મા વિશે શું શીખી શકીએ?

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૫, ૩૬ વાંચો. ઇથિયોપિયાનો એક અધિકારી યહુદી બન્યો હતો. તે યરૂશાલેમના મંદિરે ભક્તિ કરીને પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. યહોવાના દૂતે ફિલિપને તેની પાસે મોકલ્યા. ફિલિપે તેને “ઈસુ વિશેની ખુશખબર” શીખવી. એ સાંભળીને અધિકારીએ શું કર્યું? તેને સમજાયું કે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારવા કેટલું મહત્ત્વનું છે. યહોવા પોતાના ભક્તો પાસેથી જે ચાહે છે, એ કરવાની તેની ઇચ્છા હતી. એટલે તેણે બાપ્તિસ્મા લેવામાં મોડું ન કર્યું.

૧૦ બીજું એક ઉદાહરણ શાઊલ નામના યહુદી માણસનું છે. યહુદી પ્રજા યહોવાને સમર્પિત હતી, પણ યહોવાએ તેઓનો નકાર કર્યો કારણ કે તેઓ તેમને આધીન ન રહ્યા. પણ શાઊલને લાગતું હતું કે યહુદીઓ હજુ પણ ઈશ્વરની ભક્તિ યોગ્ય રીતે કરી રહ્યા હતા. એ કારણને લીધે તે શરૂઆતના ખ્રિસ્તીઓની સતાવણી કરતા હતા. શાઊલ જાણતા હતા કે ઈસુ મરણ પામ્યા છે, પણ એક દિવસ સજીવન થયેલા ઈસુએ તેમની સાથે વાત કરી. ત્યારે શાઊલે શું કર્યું? તેમણે દિલથી ઈશ્વરભક્ત અનાન્યાની મદદ સ્વીકારી. બાઇબલ જણાવે છે: ‘તે ઊઠ્યા અને બાપ્તિસ્મા પામ્યા.’ (પ્રે.કા. ૯:૧૭, ૧૮; ગલા. ૧:૧૪) પછીથી, તે પ્રેરિત પાઊલ તરીકે ઓળખાયા. ધ્યાન આપો કે, જ્યારે તેમને ખબર પડી કે ઈસુ દ્વારા યહોવા પોતાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે, ત્યારે તેમણે મોડું કર્યા વગર બાપ્તિસ્મા લીધું.—પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૨-૧૬ વાંચો.

૧૧. (ક) આજે બાઇબલ વિદ્યાર્થીઓને બાપ્તિસ્માનો નિર્ણય લેવા ક્યાંથી પ્રેરણા મળે છે? (ખ) કોઈ બાપ્તિસ્મા લે ત્યારે આપણને કેવું લાગે છે?

૧૧ આજે ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ સાથે એવું જ બને છે, જેમાં યુવાનો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તેઓ બાઇબલનું સત્ય શીખ્યા એ માટે ઘણા આભારી હોવાથી અને શ્રદ્ધા હોવાથી પોતાનું જીવન યહોવાને સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા પ્રેરાય છે. ખરેખર, બાપ્તિસ્માનું પ્રવચન સંમેલનનો મહત્ત્વનો ભાગ છે. બાઇબલ વિદ્યાર્થીઓ સત્ય સ્વીકારે અને બાપ્તિસ્મા લેવાનો નિર્ણય કરે ત્યારે, યહોવાના સાક્ષીઓ ઘણા ખુશ થાય છે. બાળકો પણ એવો નિર્ણય લે ત્યારે, માબાપનું દિલ ખુશીથી ભરાઈ જાય છે. ૨૦૧૭ના સેવા વર્ષ દરમિયાન, ૨,૮૪,૦૦૦થી વધુ લોકોએ બાપ્તિસ્મા લઈને જાહેર કર્યું કે તેઓએ યહોવાને પોતાનું જીવન સમર્પણ કર્યું છે. (પ્રે.કા. ૧૩:૪૮) એ તો સ્પષ્ટ છે કે, ઈશ્વરભક્તોએ બાપ્તિસ્મા લેવું ખૂબ જરૂરી છે, એ વાત તેઓ સમજ્યા છે. પણ, બાપ્તિસ્મા લેતા પહેલાં તેઓએ શું કર્યું હતું?

૧૨. બાપ્તિસ્મા લેતા પહેલાં બાઇબલ વિદ્યાર્થીએ કયાં પગલાં ભરવા જોઈએ?

૧૨ બાપ્તિસ્મા લેતા પહેલાં બાઇબલ વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? તેણે ઈશ્વર વિશેનું સત્ય, મનુષ્યો અને પૃથ્વી માટેનો તેમનો હેતુ અને માણસોના ઉદ્ધાર માટે તેમણે જે કર્યું છે, એ બધું શીખવું જોઈએ. (૧ તિમો. ૨:૩-૬) પછી, તેણે શ્રદ્ધા કેળવવાની જરૂર છે. એ શ્રદ્ધા તેને ઈશ્વરની આજ્ઞાઓ પાળવા અને ઈશ્વર ધિક્કારે છે એવી બાબતોથી દૂર રહેવા મદદ કરશે. (પ્રે.કા. ૩:૧૯) એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે યહોવા ધિક્કારે છે એવી બાબતો વ્યક્તિ કર્યા કરે તો, તેનું સમર્પણ સ્વીકારવામાં નહિ આવે. (૧ કોરીં. ૬:૯, ૧૦) યહોવાને પોતાનું જીવન સમર્પણ કરવા ચાહતી વ્યક્તિએ બીજું શું કરવું જોઈએ? તેણે મંડળની સભાઓમાં હાજર રહેવું જોઈએ, નિયમિત રીતે ખુશખબર જણાવવી જોઈએ અને બીજાઓને શીખવવું જોઈએ. ખ્રિસ્તને અનુસરવા ચાહતી દરેક વ્યક્તિ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે. (પ્રે.કા. ૧:૮) આ પગલાં ભર્યાં પછી જ એક વિદ્યાર્થી પ્રાર્થનામાં યહોવાને જીવન સમર્પણ કરી શકે અને બાપ્તિસ્મા લઈ શકે.

વિદ્યાર્થીને બાપ્તિસ્માનો ધ્યેય રાખવા મદદ કરો

શીખવતી વખતે શું આપણે એ સમજાવવાની તક શોધીએ છીએ કે બાપ્તિસ્મા ખૂબ મહત્ત્વનું છે? (ફકરો ૧૩ જુઓ)

૧૩. બીજાઓને શીખવીએ ત્યારે, શા માટે યાદ રાખવું જોઈએ કે સાચા શિષ્યો બનવા બાપ્તિસ્મા લેવું જરૂરી છે?

૧૩ બાળકો અને બાઇબલ વિદ્યાર્થીઓને પગલાં ભરવાં મદદ કરીએ ત્યારે, કઈ મહત્ત્વની બાબતો યાદ રાખવી જોઈએ? એ જ કે, ઈસુના સાચા શિષ્યો બનવા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે. આપણે એ વાત યાદ રાખીશું તો, યોગ્ય સમયે વિદ્યાર્થીને સમર્પણ અને બાપ્તિસ્માનું મહત્ત્વ સમજાવતા અચકાઈશું નહિ. આપણે ચાહીએ છીએ કે બાળકો અને બાઇબલ વિદ્યાર્થીઓ પ્રગતિ કરતા રહે અને બાપ્તિસ્મા લે.

૧૪. શા માટે આપણે કોઈને બાપ્તિસ્મા લેવા દબાણ ન કરવું જોઈએ?

૧૪ જોકે, બાળકો અને બાઇબલ વિદ્યાર્થીઓને બાપ્તિસ્મા લેવા કોઈએ દબાણ ન કરવું જોઈએ. યહોવા આપણામાંથી કોઈને પણ તેમની ભક્તિ કરવા દબાણ કરતા નથી. (૧ યોહા. ૪:૮) બીજાઓને શીખવીએ ત્યારે, આપણે તેઓને એ સમજવા મદદ કરીએ કે યહોવા સાથેનો સંબંધ કેળવવો કેટલો જરૂરી છે. જો બાઇબલ વિદ્યાર્થીને ઈશ્વર વિશેના સત્ય માટે કદર હશે અને તે સાચા શિષ્યોની જેમ કાર્યો કરવાં ચાહતો હશે, તો તે બાપ્તિસ્મા લેવા પ્રેરાશે.—૨ કોરીં. ૫:૧૪, ૧૫.

૧૫, ૧૬. (ક) બાપ્તિસ્મા લેવા માટે શું કોઈ યોગ્ય ઉંમર છે? સમજાવો. (ખ) બાઇબલ વિદ્યાર્થીએ બીજા ધર્મોમાં બાપ્તિસ્મા લીધું હોય તોપણ, તેમણે યહોવાના સાક્ષી તરીકે કેમ બાપ્તિસ્મા લેવું જોઈએ?

૧૫ બાપ્તિસ્મા લેવા માટે કોઈ ચોક્કસ ઉંમરના હોવું જરૂરી નથી. દરેક વ્યક્તિ સરખી હોતી નથી, અમુક જલદી પ્રગતિ કરે છે તો અમુકને વાર લાગે છે. નાની ઉંમરે બાપ્તિસ્મા લેનારા ઘણા આજે વફાદારીથી યહોવાની સેવા કરી રહ્યા છે. તો, બીજા અમુકને મોટી ઉંમરે સત્ય મળ્યું અને તેઓએ બાપ્તિસ્મા લીધું. અરે, એમાંના અમુકની ઉંમર ૧૦૦ કરતાં પણ વધુ હતી!

૧૬ એક વૃદ્ધ સ્ત્રીએ અમુક ધર્મોમાં બાપ્તિસ્મા લીધું હતું. પછીથી, તેમણે બાઇબલનો અભ્યાસ કર્યો ત્યારે શીખવનારને પૂછ્યું કે, શું ફરીથી બાપ્તિસ્મા લેવું જરૂરી છે? તેમના શિક્ષકે અમુક બાઇબલ કલમો બતાવી જેનાથી તેમને એનો જવાબ મળ્યો. બાઇબલ શું કહે છે એ જાણ્યા પછી, તરત એ સ્ત્રીએ બાપ્તિસ્મા લીધું, એ સમયે તે આશરે ૮૦ વર્ષનાં હતાં. આપણે આ ઉદાહરણમાંથી શું શીખી શકીએ? જો આપણે યહોવાની ઇચ્છા વિશેનું સત્ય જાણીશું, તો જ તે આપણા બાપ્તિસ્માનો સ્વીકાર કરશે. એટલે જો આપણે બીજા ધર્મોમાં બાપ્તિસ્મા લીધું હોય, તોપણ આપણે યહોવાના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લેવું જોઈએ.—પ્રેરિતોનાં કાર્યો ૧૯:૩-૫ વાંચો.

૧૭. બાપ્તિસ્માના દિવસે વ્યક્તિએ શું વિચારવું જોઈએ?

૧૭ બાપ્તિસ્માનો દિવસ વ્યક્તિ માટે ખુશીનો દિવસ હોય છે. એ દિવસે વ્યક્તિએ વિચારવું જોઈએ કે, બાપ્તિસ્મા અને સમર્પણમાં શું સમાયેલું છે. સાચા ઈશ્વરભક્ત બનવા માટે જે જરૂરી છે, એ કરવા તેણે ખંતથી મહેનત કરવી જોઈએ. ઈસુના શિષ્યો “હવેથી પોતાના માટે ન જીવે, પણ જે તેઓ માટે મરણ પામ્યા અને સજીવન થયા તેમના માટે જીવે.”—૨ કોરીં. ૫:૧૫; માથ. ૧૬:૨૪.

૧૮. આવતા લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

૧૮ આ લેખમાં શીખી ગયા કે સાચા ઈશ્વરભક્ત બનવાનો નિર્ણય લેવો, એ ઘણી ગંભીર બાબત છે. એટલે જ, મારિયાના મમ્મી લેખની શરૂઆતમાં આપેલા સવાલો પર વિચાર કરતા હતા. જો તમે પણ માબાપ હો, તો આ સવાલો પર વિચાર કરી શકો: “શું મારું બાળક ખરેખર બાપ્તિસ્મા માટે તૈયાર છે? શું મારું બાળક યહોવા વિશે પૂરતું જાણે છે, જેથી તે સમર્પણ કરી શકે? શું મારા બાળક પાસે બાપ્તિસ્મા પહેલાં, સારું શિક્ષણ અને સારી નોકરી હોવી જોઈએ? બાપ્તિસ્મા લીધા પછી, મારું બાળક ગંભીર ભૂલ કરે ત્યારે શું?” આપણે આ સવાલો વિશે આવતા લેખમાં ચર્ચા કરીશું. આપણે એ પણ જોઈશું કે ઈશ્વરભક્ત માબાપ કઈ રીતે બાપ્તિસ્મા વિશે યોગ્ય દૃષ્ટિ રાખી શકે.