સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ધીરજ રાખીને ફળ આપનારાઓને’ યહોવા પ્રેમ કરે છે

‘ધીરજ રાખીને ફળ આપનારાઓને’ યહોવા પ્રેમ કરે છે

‘જે બી સારી જમીન પર પડ્યાં એ એવા લોકો છે, જેઓ ધીરજ રાખીને ફળ આપે છે.’—લુક ૮:૧૫.

ગીતો: ૪૪, ૧૦

૧, ૨. (ક) લોકો સાંભળતા નથી એવા વિસ્તારોમાં સેવાકાર્ય કરનાર ભાઈ-બહેનો પાસેથી શા માટે ઉત્તેજન મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) “પોતાના વતનમાં” સેવાકાર્ય કરવા વિશે ઈસુએ શું કહ્યું હતું? (ફૂટનોટ જુઓ.)

સરજીઓ અને ઓલીન્ડા એક પાયોનિયર યુગલ છે. તેઓ યુનાઈટેડ સ્ટેટ્સમાં રહે છે અને તેઓની ઉંમર ૮૦ વર્ષ કરતાં વધારે છે. પગમાં દુઃખાવો હોવાથી તેઓને ચાલવામાં તકલીફ પડે છે. તોપણ ઘણાં વર્ષોથી તેઓ નિયમિત રીતે સવારના સાત વાગે ચાલીને લોકોની ભીડ હોય, એવી જગ્યાએ જાય છે. તેઓ બસ સ્ટોપ નજીક ઊભા રહે છે અને આવતા-જતા લોકોને સાહિત્ય આપે છે. મોટાભાગના લોકો તેઓ પર ધ્યાન આપતા નથી, તોપણ તેઓ એ જગ્યાએ ઊભા રહે છે. તેઓની સામે જોનાર લોકોને તેઓ સ્મિત આપે છે. બપોર થાય ત્યારે તેઓ ધીરે ધીરે ચાલીને ઘરે જાય છે. બીજા દિવસે ફરી પાછા તેઓ સાત વાગે એ જ જગ્યાએ આવીને ઊભા રહે છે. દર અઠવાડિયે છ દિવસ તેઓ આ રીતે ખુશખબર ફેલાવે છે.

સરજીઓ અને ઓલીન્ડા જેવાં ઘણાં વફાદાર ભાઈ-બહેનો છે. ભલે મોટાભાગના લોકો સાંભળતા ન હોય, તોપણ તેઓ પોતાના વિસ્તારમાં સેવાકાર્ય કરી રહ્યા છે. કદાચ તમારો પ્રચાર વિસ્તાર પણ એવો હશે. મુશ્કેલીઓ છતાં ધીરજ રાખીને તમે સેવાકાર્ય કરો છો એ માટે અમે તમારી પ્રશંસા કરીએ છીએ. * તમારા ઉદાહરણથી ઘણાં ભાઈ-બહેનોને ઉત્તેજન મળે છે. અરે, જેઓ ઘણાં વર્ષોથી સત્યમાં છે તેઓને પણ. એ વિશે અમુક સરકીટ નિરીક્ષકોએ જણાવ્યું હતું: ‘એવાં વફાદાર ભાઈ-બહેનો સાથે સેવાકાર્યમાં કામ કરીને મારામાં પણ નવો જોશ આવી જાય છે.’ ‘તેઓની વફાદારીથી મને સેવાકાર્યમાં લાગુ રહેવા અને હિંમત રાખવા ઉત્તેજન મળે છે.’ ‘તેઓનો દાખલો મારા દિલને સ્પર્શી જાય છે.’

૩. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું અને શા માટે?

આ લેખમાં આપણે ત્રણ સવાલોની ચર્ચા કરીશું: આપણે શા માટે અમુક વાર નિરાશા અનુભવીએ છીએ? ફળ આપવાનો શો અર્થ થાય? ધીરજથી ફળ આપતા રહેવામાં આપણને શું મદદ કરશે? આ સવાલોના જવાબ જાણવાથી ઈસુએ સોંપેલા ખુશખબર ફેલાવવાના કામમાં લાગુ રહેવા ઉત્તેજન મળશે.

આપણે શા માટે નિરાશા અનુભવીએ છીએ?

૪. (ક) મોટાભાગના યહુદીઓએ ખરાબ વર્તન કર્યું એનાથી પાઊલને કેવું લાગ્યું? (ખ) પાઊલનું દિલ કેમ દુભાયું?

તમારા વિસ્તારના લોકો રાજ્યનો સંદેશો ન સાંભળે ત્યારે, શું તમે નિરાશ થઈ જાઓ છો? જો એમ હોય, તો પ્રેરિત પાઊલની લાગણીઓ તમે સારી રીતે સમજી શકશો. તેમણે આશરે ૩૦ વર્ષ સેવાકાર્ય કર્યું અને ઘણા લોકોને ઈશ્વરભક્ત બનવા મદદ કરી. (પ્રે.કા. ૧૪:૨૧; ૨ કોરીં. ૩:૨, ૩) છતાં, તે ઘણા યહુદીઓને સાચી ભક્તિ તરફ વાળી શક્યા નહિ. એને બદલે, એમાંના મોટાભાગના લોકોએ તો પાઊલની વાત સામે આંખ આડા કાન કર્યા. અરે, અમુકે તો તેમની સતાવણી પણ કરી. (પ્રે.કા. ૧૪:૧૯; ૧૭:૧, ૪, ૫, ૧૩) એવા ખરાબ વર્તનથી પાઊલને કેવું લાગ્યું? તેમણે કહ્યું, “મારા દિલમાં અતિશય શોક અને સતત વેદના થાય છે.” (રોમ. ૯:૧-૩) તેમનું દિલ કેમ દુભાયું? કારણ કે તેમને સેવાકાર્ય ગમતું હતું અને તે લોકોને પ્રેમ કરતા હતા. પાઊલને યહુદીઓની ઘણી ચિંતા હતી અને તેઓએ ઈશ્વરની દયાનો નકાર કર્યો ત્યારે, પાઊલનું કાળજું કપાઈ ગયું.

૫. (ક) સેવાકાર્ય કરવા આપણને શાનાથી પ્રેરણા મળે છે? (ખ) નિરાશ થવું શા માટે સ્વાભાવિક છે?

પાઊલની જેમ આપણે લોકોને ખુશખબર જણાવીએ છીએ. કારણ કે, આપણને લોકોની ચિંતા છે અને આપણે તેઓને મદદ કરવા ચાહીએ છીએ. (માથ. ૨૨:૩૯; ૧ કોરીં. ૧૧:૧) પોતાના અનુભવ પરથી આપણે જોઈ શક્યા છીએ કે યહોવાની સેવા કરવાથી આશીર્વાદોનો વરસાદ વરસે છે. આપણે લોકોને એ જોવા મદદ કરવા ચાહીએ છીએ કે, તેઓનું જીવન પણ ખુશીઓથી ભરાઈ જઈ શકે છે. એટલે જ, આપણે ચાહીએ છીએ કે તેઓ યહોવા વિશે અને મનુષ્યો માટેના તેમના હેતુ વિશેનું સત્ય જાણવા પ્રેરાય. એ તો જાણે એવું છે કે, આપણે તેઓ માટે એક સુંદર ભેટ લાવ્યા છીએ અને તેઓને વિનંતી કરી રહ્યા છીએ કે, “પ્લીઝ, આ ભેટ સ્વીકારો.” પણ તેઓ જ્યારે એ ભેટનો નકાર કરે, ત્યારે પાઊલની જેમ ‘આપણા દિલમાં સતત વેદના’ થાય એ સ્વાભાવિક છે. આપણામાં શ્રદ્ધાની ખામી છે એટલે નહિ, પણ લોકોને સાચો પ્રેમ કરતા હોવાથી આપણને દુઃખ થાય છે. જોકે, અમુક વાર આપણે નિરાશ થઈ જઈએ તોપણ આપણે સેવાકાર્યમાં મંડ્યા રહીએ છીએ. ૨૫ કરતાં વધુ વર્ષોથી પાયોનિયર સેવા કરી રહેલાં બહેન એલેના સાથે આપણે પણ સહમત થઈશું. તે જણાવે છે: ‘ખુશખબર જણાવવી મને અઘરું લાગે છે. પણ સાચું કહું તો, એના સિવાય બીજું કોઈ કામ હું પસંદ ન કરત.’

ફળ આપવાનો શો અર્થ થાય?

૬. આપણે કયા સવાલની ચર્ચા કરીશું?

ભલે ગમે એ જગ્યાએ ખુશખબર ફેલાવતા હોઈએ, પણ શા માટે ખાતરી રાખી શકીએ કે આપણે સેવાકાર્યમાં સફળ થઈશું? ચાલો, આ સવાલનો જવાબ મેળવવા ઈસુએ આપેલા બે ઉદાહરણની આપણે ચર્ચા કરીએ. એમાં તેમણે જણાવ્યું હતું કે ‘ફળ આપવું’ શા માટે જરૂરી છે. (માથ. ૧૩:૨૩) પહેલું ઉદાહરણ દ્રાક્ષાવેલાનું છે.

૭. (ક) ઈસુના ઉદાહરણમાં “માળી,” “દ્રાક્ષાવેલો” અને “ડાળીઓ” કોણ છે? (ખ) આપણે કયા સવાલનો જવાબ જાણવો જોઈએ?

યોહાન ૧૫:૧-૫, વાંચો. આ ઉદાહરણમાં ઈસુએ સમજાવ્યું હતું કે યહોવા “માળી” છે, ઈસુ પોતે “દ્રાક્ષાવેલો” છે અને તેમના શિષ્યો “ડાળીઓ” છે. * એ પછી, ઈસુએ પ્રેરિતોને કહ્યું કે, “તમે ઘણાં ફળ આપતા રહો અને પોતાને મારા શિષ્યો સાબિત કરો, એમાં મારા પિતાને મહિમા મળે છે.” તો પછી, ફળ આપવાનો શો અર્થ થાય? આ ઉદાહરણમાં ફળ શું છે, એ વિશે ઈસુએ કંઈ ખાસ જણાવ્યું નથી. પણ તેમણે એક નિશાની આપી, જેનાથી આપણે એ સવાલનો જવાબ મેળવી શકીએ છીએ.

૮. (ક) ‘ફળ આપવા’ એ શા માટે નવા શિષ્યો બનાવવાને રજૂ કરતું નથી? (ખ) યહોવા આપણને કેવું કામ સોંપે છે?

ઈસુએ પિતા વિશે કહ્યું કે, “મારામાં રહેલી દરેક ડાળી, જેને ફળ આવતાં નથી, એને તે કાપી નાખે છે.” બીજા શબ્દોમાં, જો આપણે ફળ આપતા હોઈશું તો જ, યહોવા આપણને તેમના સેવકો ગણશે. (માથ. ૧૩:૨૩; ૨૧:૪૩) આ ઉદાહરણમાં ફળ આપવાનો અર્થ એવો નથી કે દરેક ઈશ્વરભક્તે નવા શિષ્યો બનાવવા જ જોઈએ. (માથ. ૨૮:૧૯) જો એમ હોત તો, જે વફાદાર ભક્તો શિષ્ય બનાવવામાં સફળ થયા નથી તેઓ વિશે શું? તેઓ ફળ ન આપનાર ડાળીઓ જેવા ગણાય! પણ, એ સાચું નથી. આપણે લોકોને બળજબરી કરી શકતા નથી કે તેઓ ઈસુના શિષ્યો બને. યહોવા પ્રેમના સાગર છે. એટલે તે આપણને ક્યારેય એવું કંઈ કરવા નહિ કહે, જે આપણે કરી ન શકીએ. તે આપણી ક્ષમતા પ્રમાણે કામ સોંપે છે.—પુન. ૩૦:૧૧-૧૪.

૯. (ક) આપણે કઈ રીતે ફળ આપીએ છીએ? (ખ) આપણે કયા ઉદાહરણ વિશે જોઈશું?

તો પછી, ફળ આપવાનો શો અર્થ થાય? એ ફળ એવું કોઈક કાર્ય હોવું જોઈએ, જે આપણે બધા કરી શકીએ. યહોવાએ પોતાના બધા સેવકોને કયું કાર્ય સોંપ્યું છે? ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાનું કાર્ય. * (માથ. ૨૪:૧૪) ઈસુએ આપેલા બી વાવનારના ઉદાહરણમાંથી એ વાત સાફ સાબિત થાય છે. ચાલો, એ ઉદાહરણ જોઈએ.

૧૦. (ક) ઈસુના ઉદાહરણમાં બી અને જમીન કોને રજૂ કરે છે? (ખ) ઘઉંના છોડમાંથી શું ઊગે છે?

૧૦ લુક ૮:૫-૮, ૧૧-૧૫ વાંચો. ઈસુએ બી વાવનારનું ઉદાહરણ આપ્યા પછી એની સમજણ આપી હતી. એ પ્રમાણે બી ‘ઈશ્વરના સંદેશાને’ અથવા ઈશ્વરના રાજ્યની ખુશખબરને રજૂ કરે છે; જમીન વ્યક્તિના હૃદયને રજૂ કરે છે. જે બી સારી જમીન પર પડે છે, એ ઊગે છે, એમાં અંકુર ફૂટે છે અને એક છોડ બને છે. પછી, એ છોડને ‘સો ગણાં વધારે ફળ આવે છે.’ જો એ છોડ ઘઉંનો હોત, તો એમાં કેવા પ્રકારનું ફળ આવ્યું હોત? શું એમાં ઘઉંનો બીજો છોડ ઊગ્યો હોત? ના, એમાં બી આવ્યા હોત, જે સમય જતાં ઘઉંના છોડ બન્યા હોત. આ ઉદાહરણમાં એક બીમાંથી બીજા ૧૦૦ બી ઊગે છે. એનાથી આપણને સેવાકાર્ય વિશે શું શીખવા મળે છે?

આપણે કઈ રીતે ‘ધીરજ રાખીને ફળ આપી’ શકીએ? (ફકરો ૧૧ જુઓ)

૧૧. (ક) બી વાવનારના ઉદાહરણમાંથી આપણને સેવાકાર્ય વિશે શું શીખવા મળે છે? (ખ) કઈ રીતે આપણે નવા બી ઉગાડીએ છીએ?

૧૧ માતા-પિતાએ અથવા બીજા સાક્ષીઓએ આપણને પહેલી વાર ઈશ્વરના રાજ્ય વિશે શીખવ્યું ત્યારે, તેઓએ જાણે સારી જમીનમાં બી રોપ્યું હતું. આપણે સંદેશો સ્વીકાર્યો ત્યારે, તેઓ ઘણા ખુશ થયા હતા. એ બી વધતું ને વધતું ગયું પછી એ ફળ આપવા તૈયાર હતું. અગાઉ જોઈ ગયા કે એક ઘઉંના છોડમાંથી નવા છોડ નહિ, પણ નવા બી ઊગે છે. એવી જ રીતે, આપણે નવા શિષ્યો બનાવતા નથી, પણ નવા બી ઉગાડીએ છીએ. * આપણે એમ કઈ રીતે કરીએ છીએ? આપણે જ્યારે જ્યારે બીજાઓને ઈશ્વરના રાજ્ય વિશે જણાવીએ છીએ, ત્યારે ત્યારે આપણા દિલમાં રોપાયેલા બીને આપણે બીજી જગ્યાએ ફેલાવીએ છીએ. (લુક ૬:૪૫; ૮:૧) એટલે, જ્યાં સુધી આપણે ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવતા રહીશું, ત્યાં સુધી આપણે ‘ધીરજ રાખીને ફળ આપતા’ રહીશું.

૧૨. (ક) દ્રાક્ષાવેલા અને બી વાવનારના ઉદાહરણોમાંથી આપણને શું શીખવા મળ્યું? (ખ) એ બોધપાઠથી તમને કેવું લાગે છે?

૧૨ દ્રાક્ષાવેલા અને બી વાવનારના ઉદાહરણોમાંથી આપણને શું શીખવા મળ્યું? એ જ કે, ભલે લોકો સાંભળે કે ન સાંભળે પણ જો આપણે સેવાકાર્યમાં લાગુ રહીશું, તો ‘ફળ આપતા’ રહી શકીશું. પાઊલે કંઈક એવું જ જણાવ્યું હતું: “દરેક વ્યક્તિને પોતાની મહેનતનું ફળ મળશે.” (૧ કોરીં. ૩:૮) યહોવા આપણી મહેનત માટે આપણને ઈનામ આપશે, એના પરિણામ માટે નહિ. મટીલ્ડા ૨૦ વર્ષથી પાયોનિયર તરીકે સેવા આપી રહ્યાં છે. તે કહે છે: ‘મને એ જાણીને ખુશી થાય છે કે યહોવા આપણી મહેનતનું ઈનામ આપે છે.’

ફળ આપવામાં કઈ રીતે ધીરજ બતાવી શકીએ?

૧૩, ૧૪. રોમનો ૧૦:૧, ૨ પ્રમાણે, પાઊલ શા માટે ખુશખબર ફેલાવવાના કામમાં મંડ્યા રહ્યા?

૧૩ ‘ધીરજ રાખીને ફળ આપવા’ આપણને શું મદદ કરશે? ચાલો પાઊલના દાખલા પર ઊંડો વિચાર કરીએ. આપણને ખબર છે કે, યહુદીઓએ રાજ્યના સંદેશાનો નકાર કર્યો હોવાથી પાઊલ નિરાશ થઈ ગયા હતા. તેમ છતાં, તેઓને ખુશખબર જણાવવાનું પાઊલે બંધ કર્યું નહિ. એ યહુદીઓ વિશે તેમણે પોતાની લાગણી આમ વ્યક્ત કરી: “મારા દિલની તમન્ના અને ઈશ્વરને અરજ એ જ છે કે ઇઝરાયેલીઓ ઉદ્ધાર પામે. હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે તેઓને ઈશ્વર માટે હોંશ તો છે, પણ એ ખરા જ્ઞાન પ્રમાણે નથી.” (રોમ. ૧૦:૧, ૨) તો પછી, પાઊલ શા માટે ખુશખબર ફેલાવવાના કામમાં મંડ્યા રહ્યા?

૧૪ પહેલું કારણ, પાઊલે કહ્યું હતું કે ‘તેમના દિલની તમન્નાને’ લીધે તે યહુદીઓને ખુશખબર જણાવતા હતા. પાઊલ ખરેખર ચાહતા હતા કે તેઓ બચી જાય. (રોમ. ૧૧:૧૩, ૧૪) બીજું, તેમણે ‘ઇઝરાયેલીઓ માટે ઈશ્વરને અરજ કરી.’ પાઊલે યહોવાને વિનંતી કરી કે એકેએક યહુદીને મદદ કરે, જેથી તેઓ રાજ્યનો સંદેશો સ્વીકારે. ત્રીજું, પાઊલે કહ્યું કે, ‘તેઓને ઈશ્વર માટે હોંશ છે.’ પાઊલે જોયું હતું કે લોકોમાં સારું શું છે અને તેઓ યહોવાની સેવામાં કેટલું કરી શકે છે. પાઊલ જાણતા હતા કે એ યહુદીઓ તેમની જેમ ખ્રિસ્તના જોશીલા શિષ્યો બની શકે છે.

૧૫. આપણે કઈ રીતે પાઊલને અનુસરી શકીએ? દાખલા આપો.

૧૫ આપણે કઈ રીતે પાઊલને અનુસરી શકીએ? પહેલું પગલું, આપણે એવા લોકોને શોધવા જોઈએ, ‘જેઓનું હૃદય હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા તરફ ઢળેલું છે.’ બીજું પગલું, આપણે યહોવાને વિનંતી કરીએ કે નેક દિલના લોકોને ખુશખબર સાંભળવા મદદ કરે. (પ્રે.કા. ૧૩:૪૮; ૧૬:૧૪) લગભગ ૩૦ વર્ષથી પાયોનિયર સેવા કરી રહેલાં બહેન સિલ્વાનાએ પણ એમ જ કર્યું હતું. તે જણાવે છે: ‘ખુશખબર જણાવવા નીકળું એ પહેલાં હું યહોવાને પ્રાર્થના કરું છું કે, લોકો પ્રત્યે સારું વલણ રાખવા મને મદદ કરે.’ દૂતોની મદદ મળે માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ, જેથી સંદેશો સાંભળવા આતુર લોકોને શોધી શકીએ. (માથ. ૧૦:૧૧-૧૩; પ્રકટી. ૧૪:૬) ૩૦ કરતાં વધુ વર્ષોથી પાયોનિયર સેવા કરી રહેલાં ભાઈ રોબર્ટ કહે છે: ‘દૂતો જાણે છે કે ઘરમાલિકના જીવનમાં શું બની રહ્યું છે. દૂતો સાથે કામ કરવું કેટલું રોમાંચક છે!’ ત્રીજું પગલું, આપણે લોકોના સારા ગુણો જોવા જોઈએ અને તેઓ યહોવાની સેવામાં કેટલું કરી શકશે, એ જાણવા પ્રયત્ન કરવો જોઈએ. એક વડીલ ભાઈ કાર્લને બાપ્તિસ્મા લીધાને ૫૦ કરતાં વધુ વર્ષ થઈ ગયાં છે. તે જણાવે છે: ‘નેક દિલની વ્યક્તિને પારખવા હું એક નાનકડી નિશાની શોધું છું. વ્યક્તિના ચહેરા પર સ્મિત, તેની પ્રેમાળ નજર કે પછી તેના સારા સવાલથી મને એ પારખવા મદદ મળે છે.’ જો આપણે એમ કરીશું, તો પાઊલની જેમ આપણે પણ ‘ધીરજ રાખીને ફળ આપી’ શકીશું.

“તારો હાથ પાછો ખેંચી ન રાખ”

૧૬, ૧૭. (ક) સભાશિક્ષક ૧૧:૬માંથી આપણે શું શીખી શકીએ? (ખ) જે લોકોની નજર આપણા પર હોય, તેઓ પર આપણા સેવાકાર્યની કેવી અસર પડી શકે?

૧૬ ભલે એમ લાગે કે કોઈ સાંભળતું નથી, તેમ છતાં કદી ન ભૂલીએ કે આપણા સેવાકાર્યની લોકો પર સારી અસર પડે છે. (સભાશિક્ષક ૧૧:૬ વાંચો.) લોકોની નજર આપણા પર હોય છે. આપણે વ્યવસ્થિત કપડાં પહેરીએ છીએ તથા નમ્ર અને મળતાવડા બનીએ છીએ, એ તેઓના ધ્યાન બહાર જતું નથી. આવી બાબતો તેઓને ગમી શકે છે. અરે, જેઓએ આપણા વિશે ખોટી ધારણા બાંધી હોય, તેઓના વિચારો પણ સમય જતાં બદલાઈ શકે. સરજીઓ અને ઓલીન્ડા સાથે પણ એવું જ થયું હતું.

૧૭ સરજીઓ જણાવે છે કે, ‘અમે બીમાર હોવાથી થોડો વખત પ્રચારમાં જઈ ન શક્યા. જ્યારે અમે એ જગ્યાએ પાછા જવા લાગ્યા, ત્યારે આવતા-જતા લોકો કહેતા કે, “શું થયું હતું, કેમ દેખાતા ન હતા? અમે તમને યાદ કરતા હતા.”’ ઓલીન્ડા સ્મિત સાથે જણાવે છે કે, ‘બસના ડ્રાઇવર અમને હાથ કરતા. અરે, અમુક ડ્રાઇવર તો બૂમ પાડીને કહેતા, “તમે સારું કામ કરો છો!” તેઓ તો આપણાં મૅગેઝિન પણ માંગતાં.’ એક માણસ ટ્રોલી પાસે આવ્યો અને ફૂલોનો સુંદર ગુલદસ્તો આપીને તેઓના કામ માટે તેણે આભાર વ્યક્ત કર્યો. એ સમયે, સરજીઓ અને ઓલીન્ડાની ખુશીનો પાર ન રહ્યો.

૧૮. ‘ધીરજ રાખીને ફળ આપવાનો’ તમે શા માટે મક્કમ નિર્ધાર કર્યો છે?

૧૮ ઈશ્વરના રાજ્યનો સંદેશો બીજાઓને ફેલાવવામાં ‘તમારો હાથ પાછો ખેંચી ન રાખો.’ તમે “બધી પ્રજાઓને સાક્ષી” આપવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છો. (માથ. ૨૪:૧૪) સૌથી મહત્ત્વનું તો, યહોવાની કૃપા તમારા પર છે, એ જાણીને તમને અનેરી ખુશી થશે. યાદ રાખો કે, “જેઓ ધીરજ રાખીને ફળ આપે છે,” તેઓને યહોવા પ્રેમ કરે છે!

^ ફકરો. 2 ઈસુએ પણ કહ્યું કે “પોતાના વતનમાં” સેવાકાર્ય કરવું અઘરું છે. એ વિશે ખુશખબરના ચાર પુસ્તકોમાં નોંધવામાં આવ્યું છે.—માથ. ૧૩:૫૭; માર્ક ૬:૪; લુક ૪:૨૪; યોહા. ૪:૪૪.

^ ફકરો. 7 ખરું કે, ઉદાહરણમાં દર્શાવેલી ડાળીઓ સ્વર્ગમાં જવાની આશા રાખનાર ઈશ્વરભક્તોને દર્શાવે છે. પણ, એ ઉદાહરણમાંથી બધા ઈશ્વરભક્તો શીખી શકે છે.

^ ફકરો. 9 ‘ફળ આપવાનો’ અર્થ ‘પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો’ કેળવવા પણ થઈ શકે છે. જોકે, આ અને આવતા લેખમાં આપણે “હોઠોનું ફળ” અથવા ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવા વિશે જોઈશું.—ગલા. ૫:૨૨, ૨૩, ફૂટનોટ; હિબ્રૂ. ૧૩:૧૫, ફૂટનોટ.

^ ફકરો. 11 શિષ્યો બનાવવાના કામ વિશે સમજાવવા કેટલીક વાર ઈસુએ વાવણી અને કાપણીનાં ઉદાહરણો આપ્યાં હતાં.—માથ. ૯:૩૭; યોહા. ૪:૩૫-૩૮.