સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઈશ્વરની વાણી જીવંત છે’

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

હિબ્રૂઓ ૪:૧૨ જેને ‘જીવંત અને શક્તિશાળી’ કહે છે, એ “ઈશ્વરની વાણી” શું છે?

આ કલમનો સંદર્ભ જણાવે છે કે, પ્રેરિત પાઊલ તો ઈશ્વરના જણાવેલા હેતુ કે સંદેશા વિશે વાત કરી રહ્યા હતા, જે બાઇબલમાં જોવા મળે છે.

આપણાં સાહિત્યમાં હિબ્રૂઓ ૪:૧૨ દ્વારા ઘણી વાર બતાવવામાં આવ્યું છે કે, બાઇબલમાં જીવન બદલવાની તાકાત છે. અને આમ કહેવું યોગ્ય પણ છે. જોકે, હિબ્રૂઓ ૪:૧૨ને ઊંડાણપૂર્વક તપાસવાથી વધારે ફાયદો થશે. પાઊલ હિબ્રૂ ખ્રિસ્તીઓને ઈશ્વરના હેતુને સહકાર આપવાનું ઉત્તેજન આપી રહ્યા હતા. પવિત્ર લખાણોમાં ઘણા હેતુ વિશે જણાવવામાં આવ્યું છે. પાઊલે એ ઇઝરાયેલીઓના દાખલાનો ઉપયોગ કર્યો, જેઓ ઇજિપ્તમાંથી બચી નીકળ્યા હતા. તેઓ પાસે વચન આપેલા ‘દૂધમધની રેલછેલવાળા દેશ’માં જવાની આશા હતી, જ્યાં તેઓ ખરા વિસામાનો આનંદ માણી શકવાના હતા.—નિર્ગ. ૩:૮; પુન. ૧૨:૯, ૧૦.

એ ઈશ્વરનો જણાવેલો હેતુ હતો. જોકે, ત્યાર બાદ ઇઝરાયેલીઓએ પોતાના હૃદયને કઠણ કરી દીધા અને વિશ્વાસ ન રાખ્યો. તેથી, તેઓમાંના ઘણા વિસામામાં પ્રવેશી શક્યા નહિ. (ગણ. ૧૪:૩૦; યહો. ૧૪:૬-૧૦) જોકે, પાઊલે જણાવ્યું કે, “ઈશ્વરના વચન પ્રમાણે તેમના વિસામામાં પ્રવેશવું” હજુ પણ શક્ય છે. (હિબ્રૂ. ૩:૧૬-૧૯; ૪:૧) સ્પષ્ટ છે કે, એ “વચન” ઈશ્વરના જણાવેલા હેતુનો ભાગ છે. હિબ્રૂ ખ્રિસ્તીઓની જેમ આપણે પણ એ હેતુ વિશે શીખવાની અને એને ટેકો આપવાની જરૂર છે. એ વચનનો આધાર શાસ્ત્ર છે, એના પર ભાર મૂકતા પાઊલે ઉત્પત્તિ ૨:૨ અને ગીતશાસ્ત્ર ૯૫:૧૧ના શબ્દો ટાંક્યા હતા.

“ઈશ્વરના વચન પ્રમાણે તેમના વિસામામાં પ્રવેશવું હજુ પણ શક્ય” છે, એ જાણીને ચોક્કસ આપણા દિલ પર ઊંડી અસર થાય છે. આપણને પૂરો ભરોસો છે કે, બાઇબલ પ્રમાણે ઈશ્વરના વિસામામાં પ્રવેશવું શક્ય છે અને એમ કરવા આપણે પગલાં પણ ભર્યાં છે. જોકે, એ પગલાં મુસાના નિયમને કાળજીપૂર્વક પાળવા કે બીજાં કામોથી યહોવાની મંજૂરી મેળવવા નથી ભર્યાં. એને બદલે, શ્રદ્ધાથી આપણે ઈશ્વરના જણાવેલા હેતુને સહકાર આપ્યો છે અને એમ કરતા પણ રહીશું. વધુમાં, દુનિયા ફરતે હજારો લોકોએ બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો છે અને ઈશ્વરના હેતુ વિશે શીખવાનું શરૂ કર્યું છે. એમાંના ઘણા લોકોએ પોતાના જીવનમાં જરૂરી ફેરફારો કર્યા છે, શ્રદ્ધા બતાવી છે અને બાપ્તિસ્મા લઈને યહોવાના સેવકો બન્યા છે. તેઓનું હાલનું જીવન બતાવે છે કે, ‘ઈશ્વરની વાણી જીવંત અને શક્તિશાળી’ છે. બાઇબલમાં જણાવેલા ઈશ્વરના હેતુએ આપણા જીવન પર અસર કરી છે અને હજી પણ અસર કરતો રહેશે.