સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઈશ્વરની વાણી શક્તિશાળી છે’

‘ઈશ્વરની વાણી શક્તિશાળી છે’

‘ઈશ્વરની વાણી જીવંત, શક્તિશાળી છે.’—હિબ્રૂ. ૪:૧૨.

ગીતો: ૩૭, ૧૩

૧. ઈશ્વરનો શબ્દ શક્તિશાળી છે, એવી તમને કેમ પૂરી ખાતરી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

યહોવાના લોકોને પૂરી ખાતરી છે કે, માણસોને આપેલો ઈશ્વરનો સંદેશો ‘જીવંત અને શક્તિશાળી’ છે. (હિબ્રૂ. ૪:૧૨) બાઇબલ ઘણું શક્તિશાળી છે, આપણે જોયું છે કે એ આપણા જીવનને અને બીજાઓના જીવનને અસર કરે છે. કેટલાક લોકો અગાઉ ચોર કે નશીલા પદાર્થોના વ્યસની હતા, તો અમુક લોકો જાતીય અનૈતિકતામાં ડૂબેલા હતા. બીજા અમુકે, દુનિયામાં ખૂબ નામ અને દામ કમાયાં હતાં, છતાં તેઓને જીવનમાં કંઈક ખૂટતું હોય એમ લાગતું હતું. પણ, હવે તેઓ યહોવાના સાક્ષી છે. (સભા. ૨:૩-૧૧) ખુશીની વાત છે કે, આશા વગરના ઘણા લોકોને આજે જીવનમાં દિશા મળી છે, આશા મળી છે. વર્ષોથી, એવા લોકોના અનુભવો ચોકીબુરજમાં “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” શૃંખલામાં આવે છે. એ વાંચીને આપણને કેટલો આનંદ થાય છે! ઈશ્વરના ભક્ત બન્યા પછી પણ, લોકોએ બાઇબલની મદદથી યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવાની જરૂર છે.

૨. પહેલી સદીનાં ભાઈ-બહેનો ઈશ્વરના શબ્દની મદદથી કેવા ફેરફારો કરી શક્યા?

સત્ય શીખ્યા પછી, ઘણા લોકો પોતાના જીવનમાં ફેરફાર કરે છે, એ જાણીને આપણને આશ્ચર્ય થતું નથી. કારણ કે, પહેલી સદીનાં અભિષિક્ત ભાઈ-બહેનોએ પણ એવા ફેરફારો કર્યાં હતાં. (૧ કોરીંથીઓ ૬:૯-૧૧ વાંચો.) ઈશ્વરના રાજ્યનો વારસો કોને નહિ મળે, એનો ઉલ્લેખ કરતી વખતે પાઊલે જણાવ્યું હતું: “તમારામાંના અમુક એવા જ હતા.” તેઓને ફેરફાર કરવા ક્યાંથી મદદ મળી? શાસ્ત્ર અને પવિત્ર શક્તિથી તેઓ એમ કરી શક્યા. દાખલા તરીકે, બાઇબલમાં ઉલ્લેખ છે કે એક અભિષિક્ત ભાઈને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા. સમય જતાં, ખ્રિસ્તી મંડળનો ફરીથી ભાગ બનવા તેમણે ફેરફારો કર્યા. (૧ કોરીં. ૫:૧-૫; ૨ કોરીં. ૨:૫-૮) ખુશીની વાત છે કે ઘણાં ભાઈ-બહેનોએ બાઇબલની મદદથી ફેરફારો કર્યાં છે. એ બતાવે છે કે ઈશ્વરનો શબ્દ કેટલો શક્તિશાળી છે!

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ઈશ્વરનો શબ્દ, બાઇબલ ઘણો શક્તિશાળી છે. સર્જનહાર યહોવાએ પોતે આપણને એ આપ્યું છે. એટલે, આપણે એનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. (૨ તિમો. ૨:૧૫) આ લેખમાં આપણે જોઈશું કે બાઇબલનો ઉપયોગ આ પાસાઓમાં કઈ રીતે કરી શકીએ: (૧) આપણું જીવન, (૨) આપણું સેવાકાર્ય અને (૩) સભાઓમાં શીખવતી વખતે. સ્વર્ગમાંના પિતા આપણને લાભ થાય એવી બાબતો શીખવે છે. આપણે જે શીખીશું એનાથી તેમના માટે પ્રેમ અને કદર બતાવવા મદદ મળશે.—યશા. ૪૮:૧૭.

આપણું જીવન

૪. (ક) ઈશ્વરનો શબ્દ આપણા જીવનને અસર કરે એ માટે શું કરવું જોઈએ? (ખ) તમે બાઇબલ વાંચવા કેવી રીતે સમય કાઢો છો?

આપણે ચાહીએ છીએ કે ઈશ્વરનો શબ્દ આપણા જીવનને અસર કરે. તેથી, આપણે દરરોજ એ વાંચવું જોઈએ. (યહો. ૧:૮) આપણામાંથી મોટાભાગના લોકોનું જીવન ઘણું વ્યસ્ત છે. પણ, આપણી જવાબદારી કે બીજું કંઈ પણ બાઇબલ વાંચનની આડે ન આવવું જોઈએ. (એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો.) કદાચ આપણે વહેલી સવારે કે દિવસ દરમિયાન કે રાતે એ વાંચી શકીએ. આપણે એક ગીતના લેખક સાથે ચોક્કસ સહમત થઈશું, જેમણે લખ્યું હતું: “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ એનું જ મનન કરું છું.”—ગીત. ૧૧૯:૯૭.

૫, ૬. (ક) શા માટે મનન કરવું જોઈએ? (ખ) મનન કઈ રીતે કરવું જોઈએ? (ગ) બાઇબલ વાંચવાથી અને મનન કરવાથી તમને કેવી મદદ મળી છે?

જોકે, બાઇબલ વાંચવું જ પૂરતું નથી. આપણે એના પર મનન પણ કરવું જોઈએ. એટલે કે, આપણે જે વાંચ્યું એના પર ઊંડો વિચાર કરવો જોઈએ. (ગીત. ૧:૧-૩) એવું કરીશું તો જ બાઇબલની સલાહને પોતાના જીવનમાં લાગુ કરી શકીશું. કદાચ આપણે છાપેલી પ્રતમાંથી કે ટેબ્લેટમાંથી બાઇબલ વાંચતા હોઈશું. ભલે ગમે એ રીતે વાંચીએ, પણ આપણે ચાહીએ છીએ કે એ આપણા દિલમાં ઊતરી જાય.

મનન કઈ રીતે કરવું જોઈએ? બાઇબલ વાંચીએ ત્યારે પોતાને પૂછીએ: આ માહિતી મને યહોવા વિશે શું શીખવે છે? જે વાંચું છું, શું હું એને લાગુ પાડું છું? હજી મારે કયા ફેરફારો કરવાની જરૂર છે? પ્રાર્થનાપૂર્વક મનન કરવાથી જે વાંચ્યું છે, એ પ્રમાણે કરવાની પ્રેરણા મળે છે. એમ કરીશું ત્યારે, આપણા જીવનમાં બાઇબલની અસર અનુભવી શકીશું.—૨ કોરીં. ૧૦:૪, ૫.

આપણું સેવાકાર્ય

૭. આપણા સેવાકાર્યમાં બાઇબલનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ?

પ્રચારમાં અને બીજાઓને શીખવીએ ત્યારે, બાઇબલનો અવારનવાર ઉપયોગ કરીએ એ ખૂબ જરૂરી છે. એક ભાઈએ જણાવ્યું: ‘જો તમે ઘરઘરનું સાક્ષીકાર્ય યહોવા સાથે કરતા હો, તો શું તમે પોતે જ બોલબોલ કરશો કે યહોવાને પણ વાત કરવા દેશો?’ પ્રચારમાં બાઇબલમાંથી વાંચીએ છીએ ત્યારે આપણે યહોવાને વાત કરવા દઈએ છીએ. સમજી-વિચારીને પસંદ કરેલી કલમ આપણા શબ્દો કરતાં અનેક ગણી વધારે અસરકારક હોય છે. (૧ થેસ્સા. ૨:૧૩) શું તમે સેવાકાર્યમાં શક્ય હોય ત્યારે બાઇબલ વાપરો છો?

૮. શા માટે પ્રચારમાં ફક્ત કલમો વાંચવી જ પૂરતું નથી?

પ્રચારમાં લોકો આગળ ફક્ત કલમો વાંચવી જ પૂરતું નથી. કેમ કે, મોટાભાગના લોકોને એ કલમો તરત સમજાતી નથી. પ્રથમ સદીમાં પણ લોકો એને સમજી શકતા ન હતા અને આજે પણ એવું જ છે. (રોમ. ૧૦:૨) આપણે એવું ધારી ન લઈએ કે ઘરમાલિકને કલમ સમજાઈ ગઈ હશે. આપણે કલમમાંથી મુખ્ય મુદ્દાઓ કે વિચારો ફરી વાંચવા જોઈએ અને એનો અર્થ સમજાવવો જોઈએ. એમ કરવાથી, ઈશ્વરનો શબ્દ લોકોનાં મન અને દિલ સુધી પહોંચી શકશે.—લુક ૨૪:૩૨ વાંચો.

૯. કલમને કઈ રીતે રજૂ કરવી, જેથી લોકોને બાઇબલની કદર કરવા મદદ મળે?

કલમ વાંચતા પહેલાં એને એ રીતે રજૂ કરીએ કે બાઇબલ પ્રત્યે ઘરમાલિકની કદર વધે. દાખલા તરીકે, આપણે કદાચ કહી શકીએ, “ચાલો જોઈએ કે આ વિષય પર આપણા સર્જનહાર શું કહે છે.” અથવા જેઓ બાઇબલ વિશે જાણતા નથી, તેઓ સાથે વાત કરીએ ત્યારે કહી શકીએ, “ચાલો જોઈએ કે પવિત્ર શાસ્ત્ર એ વિશે શું કહે છે.” જો આપણે એવી વ્યક્તિને મળીએ, જેને ધર્મમાં જરાય રસ ન હોય, તો પૂછી શકીએ: “શું તમે પ્રાચીન સમયના આ શબ્દો સાંભળ્યા છે?” દરેક વ્યક્તિનાં સમાજ અને માન્યતા અલગ અલગ હોય છે. એ ધ્યાનમાં રાખીશું તો, પોતાની રજૂઆત અસરકારક બનાવવા બનતું બધું કરીશું.—૧ કોરીં. ૯:૨૨, ૨૩.

૧૦. (ક) એક ભાઈને કેવો અનુભવ થયો? (ખ) પ્રચારમાં બાઇબલ લોકોને અસર કરે છે, એ વિશે તમારો અનુભવ જણાવો.

૧૦ ઘણાં ભાઈ-બહેનોને જોવા મળ્યું છે કે પ્રચારમાં બાઇબલ વાપરવાથી લોકો પર એની ઊંડી અસર પડે છે. દાખલા તરીકે, મોટી ઉંમરની એક વ્યક્તિ વર્ષોથી આપણાં મૅગેઝિન વાંચતી હતી. તેમની મુલાકાત લેનાર ભાઈએ એક વાર નક્કી કર્યું કે, ચોકીબુરજનો નવો અંક આપશે ત્યારે એક કલમ પણ વાંચી સંભળાવશે. તેમણે બીજો કોરીંથીઓ ૧:૩, ૪ વાંચી: ‘દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.’ એ શબ્દોથી વ્યક્તિના મન પર એટલી ઊંડી અસર થઈ કે તેમણે ભાઈને કલમ ફરી વાંચવા કહ્યું. પછી, વ્યક્તિએ જણાવ્યું કે તેમને અને તેમની પત્નીને દિલાસાની જરૂર છે. એ કલમને લીધે તેમને બાઇબલમાં રસ જાગ્યો. ખરેખર, પ્રચારમાં ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરવાથી એની ઊંડી અસર પડે છે!—પ્રે.કા. ૧૯:૨૦.

સભામાં શીખવતી વખતે

૧૧. શીખવનાર ભાઈઓ પર કઈ જવાબદારી છે?

૧૧ આપણે બધા સભાઓ અને સંમેલનોનો આનંદ માણીએ છીએ. એ આપણી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. ઉપરાંત, ત્યાં આપણને ઈશ્વર તરફથી માર્ગદર્શન પણ મળે છે. ભાઈઓ પાસે શીખવવાનો સુંદર લહાવો છે. પણ, તેઓએ યાદ રાખવું જોઈએ કે એ ભારે જવાબદારી છે. (યાકૂ. ૩:૧) તેઓએ હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ જે કંઈ શીખવે, એ બાઇબલ આધારિત હોય. જો તમારે સભામાં શીખવવાનું હોય, તો તમે સાંભળનારાઓના દિલ સુધી પહોંચવા કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરી શકો?

૧૨. શીખવનાર ભાઈ કઈ રીતે પોતાનું પ્રવચન બાઇબલ આધારિત રાખી શકે?

૧૨ પ્રવચનનો સૌથી મહત્ત્વનો ભાગ શાસ્ત્રવચનો છે. (યોહા. ૭:૧૬) એટલે અનુભવો, દૃષ્ટાંતો કે તમારી વાત કરવાની રીતને બદલે બાઇબલ તરફ લોકોનું ધ્યાન દોરો. ઉપરાંત, યાદ રાખો કે બાઇબલ વાંચવામાં તથા બાઇબલમાંથી શીખવવામાં ઘણો મોટો તફાવત છે. જો તમે ઘણી બધી કલમો વાંચશો, તો મોટાભાગના લોકો એ યાદ નહિ રાખી શકે. એટલે, તૈયારી કરો ત્યારે ધ્યાનથી કલમો પસંદ કરો. પછી, પ્રવચન વખતે કલમ વાંચવા, એને સમજાવવા, એના વિશે વધુ માહિતી આપવા અને એમાંથી મુખ્ય મુદ્દા લાગુ પાડવા સમય આપો. (નહે. ૮:૮) પ્રવચનની આઉટલાઈનમાં આપેલાં મુદ્દાઓ અને કલમોનો અભ્યાસ કરો. મુદ્દાઓ અને કલમો કેવી રીતે સંકળાયેલાં છે, એ તપાસો. પછી, એમાંની કેટલીક કલમોનો ઉપયોગ કરીને એ મુદ્દાઓને ચમકાવો. (મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પ્રકરણ ૨૧-૨૩માં સરસ સૂચનો આપવામાં આવ્યાં છે.) બાઇબલમાં યહોવાના વિચારો છે. એટલે, માહિતી શીખવવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ એ ખૂબ જરૂરી છે.—એઝરા ૭:૧૦; નીતિવચનો ૩:૧૩, ૧૪ વાંચો.

૧૩. (ક) સભામાં સાંભળેલી કલમ કઈ રીતે એક બહેનના દિલને સ્પર્શી ગઈ? (ખ) સભામાં વપરાયેલી કઈ કલમ તમારા દિલને સ્પર્શી ગઈ છે?

૧૩ ઑસ્ટ્રેલિયાના એક બહેન જ્યારે નાનાં હતાં, ત્યારે તેમની સાથે ઘણી ખરાબ ઘટનાઓ બની હતી. પછીથી, તેમને યહોવા વિશે શીખવાનો મોકો મળ્યો. છતાં તેમને શંકા થતી કે યહોવા તેમને પ્રેમ કરે છે કે નહિ. પણ, એક વાર સભામાં તેમણે કલમ સાંભળી, જે તેમનાં દિલને સ્પર્શી ગઈ. તેમણે એના પર મનન કર્યું અને અભ્યાસ કર્યો, એનાથી બાઇબલની બીજી કલમો વિશે પણ તે જાણી શક્યાં. આમ, તેમને પૂરી ખાતરી થઈ ગઈ કે યહોવા તેમને પ્રેમ કરે છે. * શું તમે ક્યારેય સભા કે સંમેલનમાં એવી કલમ સાંભળી છે, જે તમારા દિલને સ્પર્શી ગઈ હોય?—નહે. ૮:૧૨.

૧૪. યહોવાના શબ્દ માટે આપણે કઈ રીતે પ્રેમ અને કદર બતાવી શકીએ?

૧૪ ઈશ્વરે બાઇબલ આપ્યું, એ માટે શું આપણે તેમના આભારી નથી? તેમણે વચન આપ્યું હતું કે, તે બાઇબલને ટકાવી રાખશે અને તેમણે પોતાનું વચન નિભાવ્યું છે. (૧ પીત. ૧:૨૪, ૨૫) તેથી, આપણે દરરોજ બાઇબલ વાંચીએ, પોતાના જીવનમાં લાગુ પાડીએ અને બીજાઓને મદદ કરવા એનો ઉપયોગ કરીએ. જો આપણે એમ કરીશું, તો દેખાય આવશે કે આપણને ફક્ત બાઇબલ માટે જ નહિ, પણ એના લેખક યહોવા માટે પણ પ્રેમ અને કદર છે.