સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે

વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે

દુનિયા ફરતે વડીલો પોતાને મળેલા લહાવાને ઘણો કીમતી ગણે છે. આપણા માટે તેઓ આશીર્વાદ સમાન છે! જોકે, થોડા સમય પહેલાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. વૃદ્ધ વડીલોને કહેવામાં આવ્યું હતું કે પોતાની ભારે જવાબદારીઓ તેઓ યુવાન વડીલોને સોંપે. એનો શો અર્થ થતો હતો?

એ નવી ગોઠવણ પ્રમાણે, સરકીટ નિરીક્ષક અને ફિલ્ડ ઇન્સ્ટ્રક્ટર ૭૦ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે, તેઓને એ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. ઉપરાંત, ૮૦ વર્ષના વડીલોએ યુવાનોને અમુક જવાબદારીઓ આપવી જોઈએ. જેમ કે, શાખા સમિતિના સેવક કે મંડળમાં વડીલોના જૂથના સેવક તરીકેની જવાબદારી. એ પ્રેમાળ વડીલોએ આ ફેરફાર પ્રત્યે કેવું વલણ બતાવ્યું છે? તેઓએ યહોવા અને તેમના સંગઠન પ્રત્યે વફાદારી બતાવી છે.

કેન નામના ભાઈ લગભગ ૪૯ વર્ષોથી શાખા સમિતિના સેવક તરીકેની જવાબદારી નિભાવતા હતા. તે જણાવે છે કે, ‘એ નિર્ણય સાથે હું સહમત છું. સવારે મેં યહોવાને પ્રાર્થના કરી હતી કે, સેવક તરીકેની જવાબદારી ઉપાડવા એક યુવાન ભાઈની જરૂર છે. એ જ દિવસે મને આ નવા ફેરફાર વિશે જાણવા મળ્યું હતું.’ દુનિયાભરના વફાદાર વૃદ્ધ ભાઈઓને પણ કેન જેવું જ લાગ્યું હતું. તેઓ ભાઈ-બહેનોની પ્રેમથી સેવા કરી રહ્યા હતા, એટલે શરૂઆતમાં અમુક નિરાશ થઈ ગયા હતા.

ભાઈ એસ્પેરાનડીયો વડીલોના જૂથના સેવક હતા. તે જણાવે છે, ‘હું દુઃખી થઈ ગયો હતો. પરંતુ, પછી મને સમજાયું કે મારી બગડતી જતી તબિયતની કાળજી લેવા મારે વધારે સમયની જરૂર છે.’ આજે ભાઈ શું કરી રહ્યા છે? ભાઈ એસ્પેરાનડીયો વફાદારીથી યહોવાની સેવા કરી રહ્યા છે. તેમ જ, તેમના મંડળ માટે તે આશીર્વાદ સમાન છે.

લાંબા સમયથી પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કરી રહેલા ભાઈઓને આ ફેરફાર વિશે કેવું લાગ્યું? ભાઈ એલને ૩૮ વર્ષ પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપી હતી. તે કબૂલે છે: ‘એ ફેરફાર વિશે મને ખબર પડી ત્યારે મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ.’ જોકે પછીથી, તેમને સમજાયું કે યુવાનોને કામ માટે તાલીમ આપવાથી કેટલો ફાયદો થાય છે. તે વફાદારીથી સેવા કરી રહ્યા છે.

ભાઈ રસેલે ૪૦ વર્ષ સુધી સરકીટ નિરીક્ષક અને ફિલ્ડ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી. તે જણાવે છે કે શરૂઆતમાં એ વિશે સાંભળીને તે અને તેમના પત્ની દુઃખી થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે, ‘અમને મળેલા લહાવાને અમે અનમોલ ગણતા હતા. અમને લાગતું કે એ જવાબદારી ઉઠાવી શકાય એટલી તાકાત અમારામાં છે.’ ભાઈ રસેલ અને તેમના પત્ની પોતાના અનુભવ અને તાલીમને સ્થાનિક મંડળના પ્રકાશકોને મદદ કરવામાં વાપરે છે. એ પ્રકાશકો પણ ખુશી ખુશી એનો લાભ ઉઠાવે છે.

ભલે તમને એવા અનુભવો ન થયા હોય, તોપણ તેઓની લાગણીઓને સમજવા બીજા શમૂએલનો અહેવાલ તમને મદદ કરશે.

નમ્ર અને વાજબી માણસ

ચાલો જોઈએ કે, રાજા દાઊદના દીકરા આબ્શાલોમે બળવો કર્યો ત્યારે શું થયું હતું. દાઊદ યરૂશાલેમથી નાસીને યરદન નદીના પૂર્વમાં આવેલા માહનાઇમમાં જતા રહ્યા. દાઊદ અને તેમના સાથીદારોને અમુક જરૂરી ચીજવસ્તુઓ જોઈતી હતી. તમને ખબર છે ત્યારે શું થયું હતું?

એ વિસ્તારના ત્રણ માણસો ખાટલા, ખોરાક અને જરૂરી વાસણો લાવ્યા હતા. એ માણસોમાંથી એક, બાર્ઝિલ્લાય હતા. (૨ શમૂ. ૧૭:૨૭-૨૯) આબ્શાલોમનો બળવો સમી ગયા પછી દાઊદ યરૂશાલેમ પાછા જવાના હતા. એ સમયે બાર્ઝિલ્લાય તેમને યરદન સુધી મૂકવા માટે આવ્યા હતા. દાઊદે તેમને પોતાની સાથે યરૂશાલેમ આવવાની અરજ કરી. બાર્ઝિલ્લાય ‘ખૂબ ધનવાન હતા’ અને તેમની પાસે પૂરતો ખોરાક હતો. તોપણ શા માટે રાજાએ તેમને ખોરાક પૂરો પાડવાની રજૂઆત કરી? (૨ શમૂ. ૧૯:૩૧-૩૩) કારણ કે દાઊદ બાર્ઝિલ્લાયના ગુણોની કદર કરવા માંગતા હતા. દાઊદ ચાહતા હતા કે બાર્ઝિલ્લાય પોતાની સાથે આવે, જેથી તેમનાં વર્ષોનાં અનુભવમાંથી દાઊદને ફાયદો થાય. રાજાના દરબારમાં કામ કરવાનો અને ત્યાં રહેવાનો કેટલો સરસ લહાવો બાર્ઝિલ્લાયને મળવાનો હતો!

પરંતુ, બાર્ઝિલ્લાય નમ્ર હતા અને પોતાના સંજોગો સારી રીતે જાણતા હતા. તે દાઊદને જણાવે છે કે પોતે ૮૦ વર્ષના છે. પછી તે કહે છે: “શું હું સારા-નરસાનો ભેદ સમજી શકું છું?” એ શબ્દો દ્વારા તે શું કહેવા માંગતા હતા? બાર્ઝિલ્લાયે લાંબા જીવનકાળ દરમિયાન ઘણું ડહાપણ મેળવ્યું હશે. જેમ રાજા રહાબામને “વડીલો” સલાહ આપતા હતા, તેમ બાર્ઝિલ્લાય દાઊદને સારી સલાહ આપવા માટે સક્ષમ હતા. (૧ રાજા. ૧૨:૬, ૭; ગીત. ૯૨:૧૨-૧૪; નીતિ. ૧૬:૩૧) જ્યારે તેમણે સારાં-નરસાંનો ભેદ પારખવા વિશે કહ્યું, ત્યારે તેમનો કહેવાનો શો અર્થ હતો? એ જ કે, વૃદ્ધ હોવાને લીધે તેમનામાં નબળાઈ આવી ગઈ હતી. તે જણાવે છે કે વૃદ્ધાવસ્થાને લીધે તે સ્વાદ પારખી શકતા ન હતા અને તેમને ઓછું સંભળાતું હતું. (સભા. ૧૨:૪, ૫) તેથી, બાર્ઝિલ્લાય પોતાને બદલે કિમ્હામને યરૂશાલેમ લઈ જવાની દાઊદને વિનંતી કરે છે. કિમ્હામ કદાચ તેમનો દીકરો હતો.—૨ શમૂ. ૧૯:૩૫-૪૦.

ભવિષ્યની તૈયારી કરવી

બાર્ઝિલ્લાયે બતાવેલો દૃષ્ટિકોણ લેખની શરૂઆતમાં જણાવેલા ફેરફાર સાથે સંકળાયેલો છે. બાર્ઝિલ્લાયના કિસ્સામાં એક જ વ્યક્તિના સંજોગો વિશે આપણે જોયું. પરંતુ, આજે આપણે ફક્ત એક વ્યક્તિના સંજોગો કે આવડતો વિશે વિચાર કરવાનો નથી. એને બદલે, આખી પૃથ્વી પરના વફાદાર વડીલોના હિતમાં જે સૌથી સારું છે, એનો આપણે વિચાર કરવાનો છે.

વૃદ્ધ ભાઈઓએ વર્ષો સુધી ઘણી જવાબદારીઓ નિભાવી છે. વૃદ્ધ ભાઈઓ સાફ જોઈ શકે છે કે, એ જવાબદારીઓ હવે યુવાન ભાઈઓને સોંપવાથી યહોવાનું સંગઠન વધારે પ્રગતિ કરી શકશે. બાર્ઝિલ્લાયે પોતાના દીકરાને અને પ્રેરિત પાઊલે તિમોથીને તાલીમ આપી હતી. એવી જ રીતે, વૃદ્ધ ભાઈઓ યુવાનોને જવાબદારી ઉપાડવા તાલીમ આપે છે. (૧ કોરીં. ૪:૧૭; ફિલિ. ૨:૨૦-૨૨) એ યુવાન ભાઈઓ માણસોમાં “ભેટ તરીકે” સાબિત થયા છે. તેમ જ, તેઓ ‘ખ્રિસ્તનું શરીર દૃઢ’ કરવામાં ટેકો આપી શક્યા છે.—એફે. ૪:૮-૧૨; ગણ. ૧૧:૧૬, ૧૭, ૨૯ સરખાવો.

બીજી ઘણી તકનો આનંદ ઉઠાવી શકાય છે

દુનિયા ફરતેના મંડળોમાં ઘણા વૃદ્ધ ભાઈઓએ આવી રીતે જવાબદારી બીજાઓને સોંપી છે. પછી, એ વૃદ્ધ ભાઈઓએ યહોવાના કામમાં નવી તકો ઝડપી લીધી છે.

માર્કો નામના ભાઈ ૧૯ વર્ષથી પ્રવાસી નિરીક્ષક હતા. તે જણાવે છે કે, ‘મારા સંજોગો બદલાયા છે. એટલે સ્થાનિક મંડળની જે બહેનોના પતિ સત્યમાં નથી, તેઓની હું મુલાકાત લઈ શકું છું.’

ભાઈ ઝિરાલ્ડુ ૨૮ વર્ષથી પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા. તે કહે છે: ‘ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોને મદદ કરવાનો અને વધુ બાઇબલ અભ્યાસ ચલાવવાનો હવે અમે ધ્યેય રાખ્યો છે.’ ભાઈ જણાવે છે કે તે અને તેમના પત્ની ૧૫ બાઇબલ અભ્યાસ ચલાવી રહ્યા છે. ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ઘણાં ભાઈ-બહેનો હવે સભામાં આવી રહ્યાં છે.

ભાઈ એલન, જેમના વિશે અગાઉ જોઈ ગયા તે જણાવે છે: ‘ખુશખબર ફેલાવવાની બીજી ઘણી રીતો અજમાવવાનો અમને મોકો મળ્યો છે. જાહેરના સાક્ષીકાર્યમાં, વેપાર વિસ્તારમાં અને પડોશીઓને સાક્ષી આપવામાં અમને અનેરો આનંદ થાય છે. બે વ્યક્તિ તો પ્રાર્થનાઘરમાં પણ આવી છે.’

તમે વર્ષોથી યહોવાની સેવા વફાદારીથી કરી રહ્યા છો અને હવે તમારી સોંપણી બદલાઈ છે, તો તમે શું કરી શકો? તમારી પાસે હજુ એક ખાસ તક રહેલી છે. તમે પોતાના કીમતી અનુભવ દ્વારા મંડળના યુવાનોને તાલીમ આપી શકો છો. આમ, તમે યહોવાના કામને ટેકો આપો છો. અગાઉ જેમના વિશે જોઈ ગયા એ ભાઈ રસેલ કહે છે: ‘હુન્નર ધરાવનાર યુવાનોને યહોવા તાલીમ આપી રહ્યા છે. યુવાનો ઉત્સાહથી શીખવે છે અને ઉત્તેજન આપનારી મુલાકાત લે છે, જેનો ફાયદો બધાં ભાઈ-બહેનોને મળે છે.’—“ યુવાનોને પોતાની ક્ષમતા વિકસાવવા મદદ કરીએ” બૉક્સ જુઓ.

યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે

જો હાલમાં જ તમારી સોંપણીમાં અમુક ફેરફાર થયા હોય, તો ખુશી ખુશી એને સ્વીકારો. તમે તમારી મહેનતથી અસંખ્ય લોકોના જીવન પર છાપ છોડી છે. તેથી એમ કરતા રહો. તમે બધાને ખૂબ પ્રિય છો અને હંમેશાં રહેશો.

સૌથી મહત્ત્વનું તો, તમે યહોવાના દિલ પર ઊંડી છાપ છોડી છે. ‘તે તમારાં કામોને અને પ્રેમને કદી ભૂલશે નહિ. એ પ્રેમ જે તમે તેમના નામ માટે બતાવ્યો છે અને એના લીધે તમે પવિત્ર જનોની સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો.’ (હિબ્રૂ. ૬:૧૦) ભલે આપણે વૃદ્ધાવસ્થાના કારણે વધુ કરી શકતા નથી પણ યહોવાનું વચન આપણને ખાતરી આપે છે કે તે આપણને કદીયે ભૂલશે નહિ. યહોવાની નજરે તમે ખૂબ કીમતી છો. યહોવાને ખુશ કરવા તમે અગાઉ જે મહેનત કરી હતી અને અત્યારે જે મહેનત કરી રહ્યા છો એને તે કદીયે ભૂલશે નહિ.

આગળ જોઈ ગયા તેમ, તમારી સોંપણીમાં કોઈ પણ ફેરફાર ન કરવામાં આવ્યા હોય તો શું? તોપણ તમને આ લાગુ પડે છે. કઈ રીતે?

જેમની સોંપણી હમણાં જ બદલાઈ હોય, એવા વૃદ્ધ ભાઈના અનુભવ પરથી તમે ઘણું શીખી શકો છો. તમે તેમની પાસેથી સલાહ-સૂચનો માંગી શકો. તમે જોઈ શકો કે તેમને મળેલી નવી સોંપણીમાં તે કઈ રીતે વફાદારીપૂર્વક પોતાનું મન પરોવે છે.

નવી સોંપણી મેળવનાર વૃદ્ધ ભાઈ હોય કે પછી કોઈ યુવાન ભાઈ કે બહેન હોય, દરેકે આ વાત ખાસ યાદ રાખવાની છે: વર્ષોથી સેવા કરનારા અને હજુ કરી રહેલા વફાદાર ભક્તોને યહોવા અનમોલ ગણે છે.