સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મનુષ્યના જનીનમાં ફેરફાર કરવાથી આયુષ્ય વધ્યું છે?

જીવન લંબાવવાની શોધ

જીવન લંબાવવાની શોધ

“ઈશ્વરે મનુષ્ય જાતને વિવિધ પ્રકારના જે કામ સોંપ્યાં છે તે વિષે મેં વિચાર્યું છે. ઈશ્વરે દરેક બાબતને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે. જો કે ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.”​સભાશિક્ષક ૩:૧૦, ૧૧, IBSI.

ઉપરના શબ્દો સદીઓ પહેલાં રાજા સુલેમાને લખ્યા હતા. એ બતાવે છે કે જીવન વિશે મનુષ્યો કેવું મહેસૂસ કરે છે. જીવન તો પલ-બે-પલનું છે. મોતના ફાંદામાંથી કોઈ બચી શકતું નથી. એટલે જીવન લંબાવવા મનુષ્યોએ રાત-દિવસ એક કર્યા છે. એના વિશે અનેક વાર્તાઓ ને દંતકથાઓ પણ છે.

ગિલ્ગામેશનો દાખલો લો. તે સુમેરિયાનો રાજા હતો. તેના જીવન વિશે અનેક રોમાંચક દંતકથાઓ છે. એમાંની એક છે, એપિક ઓફ ગિલ્ગામેશ. એમાં જણાવ્યું છે કે મૃત્યુમાંથી બચવાનો ઇલાજ શોધવા તેણે ખતરનાક મુસાફરી કરી. પણ, બધી મહેનત નિષ્ફળ ગઈ અને છેવટે તેનું પણ મૃત્યુ થયું.

લૅબોરેટરીમાં મધ્ય યુગનો રસાયણ વૈજ્ઞાનિક

હવે ઈસવીસન પૂર્વે ચોથી સદીની વાત. ચીનના રસાયણ વૈજ્ઞાનિકો જીવન લંબાવવા માટે પારો અને સોમલ જેવા ઝેરી રસાયણના મિશ્રણથી ‘અમૃત’ બનાવવા કોશિશ કરતા હતા. એવું લાગે છે કે આ મિશ્રણથી ચીનના અમુક સમ્રાટો મોતને ભેટ્યા હતા. ઈસવીસન ૫૦૦-૧૫૦૦ દરમિયાન યુરોપમાં અમુક રસાયણ વૈજ્ઞાનિકો સોનાને એવું બનાવવા માગતા હતા, જેને આપણું શરીર પચાવી શકે. તેઓ માનતા કે સોનામાં કાટ ન લાગે એવું તત્ત્વ હોવાથી વ્યક્તિ લાંબું જીવી શકે છે.

હવે આજના સમયની વાત કરીએ. જીવવૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયત્ન કરે છે કે માણસ ઘરડો કેમ થાય છે. તેઓ પણ ‘અમૃત’ની શોધ કરનારા જેવા છે. તેઓના સંશોધન પરથી જોવા મળે છે કે લોકો ઘડપણ અને મૃત્યુનો ઇલાજ શોધવા આજે પણ તલપી રહ્યા છે. શું તેઓની મહેનત રંગ લાવી છે?

“ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.”​—સભાશિક્ષક ૩:૧૧, IBSI

ઘડપણ કેમ આવે છે, એ જાણવાની શોધ

વૈજ્ઞાનિકો મનુષ્યના કોષનો અભ્યાસ કરે છે. માણસ કેમ ઘરડો થઈને મરે છે, એના તેઓએ ૩૦૦થી વધારે કારણો આપ્યા છે. અમુક વર્ષોથી, જીવવૈજ્ઞાનિકો લૅબોરેટરીમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓએ પ્રાણીઓ અને મનુષ્યોના જનીનમાં મળી આવતા પ્રોટીનમાં અમુક ફેરફાર કર્યા. એનાથી ઘડપણની ક્રિયા ધીમી પડી છે. આવી સફળતા જોઈને અમુક અમીર લોકોએ “મૃત્યુનો ઇલાજ” શોધવા પૈસા આપ્યા છે. એના કેવા પરિણામો આવ્યા છે?

કાયમ યુવાન રહેવાનો પ્રયાસ. અમુક જીવવૈજ્ઞાનિકોનું માનવું છે કે રંગસૂત્રના છેલ્લા ભાગમાં ટેલોમેર્સ આવેલા છે. એ જ ઘડપણનું કારણ છે. આપણા કોષો નવા બનતા જાય તેમ, એમાં જનીનને લગતી માહિતીનું ટેલોમેર્સ રક્ષણ કરે છે. પણ જેમ જેમ કોષોનું વિભાજન થતું જાય તેમ તેમ ટેલોમેર્સ ટૂંકા બનતા જાય છે. આખરે કોષોનું વિભાજન થવાનું બંધ થાય છે. એટલે જ ઘડપણ આવે છે.

નોબલ પ્રાઈઝ વિજેતા એલીઝાબેથ બ્લેકબર્ન અને તેમની ટીમે ૨૦૦૯માં એક પ્રકારનું એન્ઝાઇમ શોધી કાઢ્યું. એ ઘડપણને લગતા ટેલોમેર્સની ટૂંકા થવાની ગતિને ધીમી પાડે છે. આમ, ઘડપણની ક્રિયા ધીમી પડે છે. જોકે, તેઓએ રિપોર્ટમાં એવું પણ સ્વીકાર્યું કે ટેલોમેર્સમાં ‘કોઈ જાદુ નથી કે જીવન લાંબું થઈ શકે. આપણે જાણીએ છીએ કે સામાન્ય આવરદાથી વધારે જીવવા એ મદદ કરી શકતું નથી.’

કોષોમાં સુધારો કરવો. એ ઘડપણને રોકવાની બીજી રીત છે. આપણા કોષો ઘરડા થઈ જાય ત્યારે નવા કોષનું સર્જન કરી શકતા નથી. તેઓ ચેપ સામે લડતા નજીકના કોષોને ખોટી માહિતી મોકલે છે. એનાથી સોજા આવે, સખત દુખાવો અથવા કોઈ રોગ થાય. તાજેતરમાં, ફ્રાંસમાં વૈજ્ઞાનિકોની ટીમે મોટી ઉંમરના અમુક લોકોના કોષોમાં સુધારો કર્યો. એ લોકોમાં અમુક સો વર્ષથી મોટી વયના પણ હતા. એ ટીમના આગેવાન પ્રોફેસર ઝોં-માર્ક લિમેત્રીએ જણાવ્યું કે કોષોમાં સુધારો કરવાથી ‘ઘડપણ વળાંક’ લઈ શકે છે.

શું વિજ્ઞાન ઘડપણને રોકી શકે?

ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે ભલે ઘડપણ અટકાવતી સારવાર લેવામાં આવે, પણ મનુષ્યની આવરદામાં વધારો થતો નથી. ખરું કે, ૧૯મી સદીથી મનુષ્યની આવરદા ધીમે ધીમે વધી છે. એની પાછળ આ મુખ્ય કારણો છે: ચોખ્ખાઈ, ચેપી રોગો સામે સફળતા, રસી (વેક્સિન) અને એન્ટીબાયોટિક્સ. જીવવૈજ્ઞાનિકોનું માનવું છે કે કુદરતી રીતે મનુષ્યની જેટલી આવરદા હોય છે, એટલી મોટાભાગે આવી ગઈ છે.

આજથી આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં, બાઇબલમાં ઈશ્વરભક્ત મુસાએ લખ્યું હતું: “અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલાં છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તોપણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા ગર્વ, શ્રમ, તથા દુઃખ માત્ર છે; કારણ કે તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમારો અંત આવી જાય છે.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૦, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ભલેને આયુષ્ય વધારવા મનુષ્ય લાખ પ્રયત્ન કરે, તોપણ અહીં શાસ્ત્રમાં જણાવ્યું છે તેમ માણસનું જીવન ટૂંકું જ રહે છે.

એની સરખામણીમાં અમુક દરિયાઈ જીવો ૨૦૦ વર્ષથી વધારે જીવે છે. જેમ કે, રેડ અર્ચિન પ્રાણી અને ક્હૉગ ક્લામ છીપ. કેલિફોર્નિયાનું સિકૉયા નામનું મોટું ઝાડ હજારો વર્ષ સુધી જીવે છે. આવા બીજા જીવ કે વૃક્ષ સાથે આપણું આયુષ્ય સરખાવીએ ત્યારે, મનમાં થાય કે આપણું જીવન ‘કેમ ફક્ત ૭૦ કે ૮૦ વર્ષનું?’