સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂઠું બોલવું —શું એમાં કંઈ ખોટું છે?

જૂઠું બોલવું —શું એમાં કંઈ ખોટું છે?

બાઇબલ શું કહે છે

જૂઠું બોલવુંશું એમાં કંઈ ખોટું છે?

“થોડુંક જૂઠું બોલવાથી સો સવાલના જવાબ આપવા ન પડે.”

એ પરથી જોવા મળે છે કે, જૂઠું બોલવા વિષે લોકો શું વિચારે છે. એવું લાગે છે કે, જૂઠું બોલવાથી કોઈનું નુકશાન ન થાય ત્યાં સુધી એમાં કંઈ ખોટું નથી. આવા વિચારને ભણેલા-ગણેલા લોકો સંજોગ પર આધારિત કહે છે. જેને તેઓ પ્રેમનો નિયમ કહે છે. બીજા શબ્દોમાં ડાયેન કોમ્પ સમજાવે છે: “જ્યાં સુધી તમારો ઇરાદો સાચો હોય અને તમારું મન ચોખ્ખું હોય, ત્યાં સુધી . . . જૂઠું બોલવામાં કંઈ ખોટું નથી.”

આજે આખી દુનિયામાં આવા વિચારો જોવા મળે છે. પ્રખ્યાત નેતાઓ અને આગેવાનોના જૂઠાણાના કારણે સમાજમાં ઊથલપાથલ મચી ગઈ છે. આજે જ્યાં જુઓ ત્યાં જૂઠાણું એકદમ સામાન્ય થઈ ગયું છે. આજે કેટલાક દેશોમાં લોકો જૂઠું બોલીને જીવે છે. એક સેલ્સમેન કહે છે કે, “મને જૂઠું બોલવાના પૈસા મળે છે. દર વર્ષે હું સેલ્સ હરીફાઈમાં જીતું છું અને આ રીતે મારા વિષે ખૂબ જ લખવામાં આવે છે, ફક્ત એટલા માટે કે હું જૂઠું બોલું છું. . . . એક સફળ સેલ્સમેન બનવા માટે જૂઠું બોલવું મહત્ત્વનું છે.” ઘણા લોકો માને છે કે, થોડું-ઘણું જૂઠું બોલવાથી કંઈ ખાટુંમોળું થઈ જવાનું નથી. શું એ સાચું છે? શું એવા કોઈ સંજોગો છે જ્યારે યહોવાહના સેવકો જૂઠું બોલી શકે?

બાઇબલનાં ઊંચા ધોરણો

બાઇબલ સર્વ પ્રકારનાં જૂઠાણાને ધિક્કારે છે. ગીતકર્તા કહે છે કે, “[પરમેશ્વર] જૂઠું બોલનારાઓનો નાશ . . . કરશે.” (ગીતશાસ્ત્ર ૫:૬; વળી પ્રકટીકરણ ૨૨:૧૫ જુઓ.) નીતિવચન ૬:૧૬-૧૯માં, સાત બાબતો વિષે જણાવવામાં આવ્યું છે, જેને યહોવાહ ધિક્કારે છે. જેમાં “જૂઠાબોલી જીભ” અને ‘અસત્ય ઉચ્ચારનાર જૂઠા સાક્ષીનો’ પણ સમાવેશ થાય છે. શા માટે? એનું કારણ એ કે પરમેશ્વર યહોવાહ જાણે છે કે, જૂઠું બોલવાથી કેટલું નુકસાન થાય છે. તેથી, તે જૂઠાણું ધિક્કારે છે. એ કારણથી ઈસુએ શેતાનને જૂઠો અને ખૂની કહ્યો. તેના જૂઠાણાથી જગતમાં દુઃખ અને મરણ આવ્યું.—ઉત્પત્તિ ૩:૪, ૫; યોહાન ૮:૪૪; રૂમી ૫:૧૨.

અનાન્યા અને તેની પત્ની સાફીરાના કિસ્સામાંથી આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વર યહોવાહ જૂઠાણાને કઈ રીતે જુએ છે. આ બંને જણ જાણીજોઈને પ્રેષિતો સાથે જૂઠું બોલીને દાનવીર હોવાનો દેખાડો કરતા હતા. તેઓએ સમજી વિચારીને એમ કર્યું હતું. એથી પ્રેષિત પીતરે કહે છે: “તેં માણસોને નહિ પણ દેવને જૂઠું કહ્યું છે.” એમ કરવાથી તેઓ બંને પરમેશ્વરના હાથે મરણ પામ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૧-૧૦.

વર્ષો પછી પ્રેષિત પાઊલે ખ્રિસ્તી ભાઈઓને સલાહ આપી: “એકબીજાની સાથે જૂઠું ન બોલો.” (કોલોસી ૩:૯) આ સલાહ ખાસ કરીને ખ્રિસ્તી મંડળમાં ખૂબ જ મહત્ત્વની છે. ઈસુએ કહ્યું કે, એકબીજા પરનો બિનસ્વાર્થી પ્રેમ સાચા ખ્રિસ્તીઓનું ઓળખ ચિહ્‍ન છે. (યોહાન ૧૩:૩૪, ૩૫) આપણે એકબીજા સાથે સાચું બોલીશું અને ભરોસાપાત્ર બનીશું તો જ મંડળમાં સાચો પ્રેમ વધશે. વળી, ખોટાબોલાનો ભરોસો કરવો અને તેને પ્રેમ બતાવવો જરાય સહેલું નથી.

સર્વ પ્રકારનું જૂઠાણું ખોટું છે, પણ અમુક જૂઠાણું તો એકદમ ગંભીર કહેવાય. દાખલા તરીકે, કદાચ એક વ્યક્તિ બીક કે શરમને કારણે જૂઠું બોલી નાખશે. પરંતુ, ઘણા દુષ્ટ લોકો તો જાણીજોઈને બીજાઓને નુકસાન કરવા જૂઠું બોલે છે. પોતાની દુષ્ટતાના કારણે કોઈ હંમેશાં જૂઠું બોલતું રહે અને સલાહ મળ્યા પછી પણ પસ્તાવો ન કરે તો, બીજાના રક્ષણ માટે તેને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. દરેક પ્રકારનું જૂઠાણું દુષ્ટતાના કારણે નથી. તેથી, કોઈને તરત ગુનેગાર ગણવાને બદલે આપણે એ જાણવાની જરૂર છે કે, તે શા માટે જૂઠું બોલ્યા છે. ઘણી વાર એની પાછળ કોઈક કારણ હોય શકે. તેથી એ જાણવું જરૂરી છે કે, શા માટે અને કયા સંજોગમાં તે જૂઠું બોલ્યા.—યાકૂબ ૨:૧૩.

“સાપના જેવા હોશિયાર”

જો કે સાચું બોલવાનો અર્થ એમ નથી કે, કોઈ આપણને કંઈ પૂછે એટલે આપણે તેઓને બધું જ કહી દઈએ. માત્થી ૭:૬માં ઈસુ આપણને ચેતવણી આપે છે: “જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; રખેને તેઓ . . . તમને ફાડી નાખે.” દાખલા તરીકે, દુષ્ટ લોકોને આપણા વિષે બધું જ જણાવવાની જરૂર નથી. દરેક સાચા ખ્રિસ્તીઓ જાણે છે કે, આપણે દુષ્ટ જગતમાં જીવી રહ્યા છીએ. એથી, ઈસુએ પોતાના શિષ્યોને સલાહ આપી કે તમે “સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.” (માત્થી ૧૦:૧૬; યોહાન ૧૫:૧૯) ઈસુએ પણ પોતાના વિરોધીઓને બધુ જ કહ્યું ન હતું. જો તેમણે એમ કર્યું હોત તો, પોતે અને તેમના શિષ્યો મુશ્કેલીમાં મૂકાય જાત. છતાં, એ સંજોગમાં પણ ઈસુ જૂઠું બોલ્યા નહિ. એને બદલે, ઈસુ ચૂપ રહ્યા અથવા વાત ફેરવી નાખી.—માત્થી ૧૫:૧-૬; ૨૧:૨૩-૨૭; યોહાન ૭:૩-૧૦.

બાઇબલમાં ભરોસાપાત્ર સ્ત્રી-પુરુષો વિષે જણાવવામાં આવ્યું છે. જેમ કે ઈબ્રાહીમ, ઈસ્હાક, રાહાબ તથા દાઊદ જેઓએ ચાલાકી અને ચતુરાઈથી પોતાના શત્રુઓનો સામનો કર્યો હતો. (ઉત્પત્તિ ૨૦:૧૧-૧૩; ૨૬:૯; યહોશુઆ ૨:૧-૬; ૧ શમૂએલ ૨૧:૧૦-૧૪) બાઇબલમાં આવા સ્ત્રી-પુરુષોને પરમેશ્વર યહોવાહના ભક્તો તરીકે ઓળખાવવામાં આવે છે, જેઓએ પોતાનું આખું જીવન તેમની સેવામાં પસાર કરી દીધું હતુ. એ કારણથી આપણે પણ તેઓનું અનુકરણ કરવું જોઈએ.—રૂમી ૧૫:૪; હેબ્રી ૧૧:૮-૧૦, ૨૦, ૩૧-૩૯.

ઘણી વાર થોડું જૂઠું બોલવાથી આપણે મુશ્કેલીમાંથી ઉગરી જઈ શકીએ. પરંતુ, આજે સાચા ખ્રિસ્તીઓ તરીકે પોતાના અંતઃકરણને બાઇબલના જ્ઞાનથી કેળવવું જોઈએ. જેથી, આપણે અઘરા સંજોગોમાં પણ ઈસુનું અનુકરણ કરી શકીએ.—હેબ્રી ૫:૧૪.

બાઇબલ આપણને સાચું બોલવા અને પ્રમાણિક બનવા ઉત્તેજન આપે છે. જૂઠું બોલવું ખોટું છે અને આપણે બાઇબલની સલાહ પ્રમાણે જીવવું જોઈએ: “દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો.” (એફેસી ૪:૨૫) આમ કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ રહેશે, મંડળમાં પ્રેમ અને શાંતિ વધશે અને આપણે ‘સત્યના દેવને’ આદર આપતા રહીશું.—ગીતશાસ્ત્ર ૩૧:૫; હેબ્રી ૧૩:૧૮.

[પાન ૨૦ પર ચિત્ર]

અનાન્યા અને સાફીરાએ જૂઠું બોલવાને કારણે જીવન ગુમાવ્યું