સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લોહીની આપ-લે વર્ષોથી ચર્ચાનો વિષય

લોહીની આપ-લે વર્ષોથી ચર્ચાનો વિષય

લોહીની આપ-લે વર્ષોથી ચર્ચાનો વિષય

“આજે લાલ રકતકણોની દવા તરીકે શોધ થઈ હોત તો, એનું લાઇસન્સ મેળવતા નાકે દમ આવી ગયો હોત.” —ડૉ. જેફરી મૅકલોફ.

વર્ષ ૧૬૬૭ના શિયાળામાં એક ખતરનાક ગાંડા માણસ ઍન્ટૉની મોરોવને, ફ્રાંસના રાજા લુઈસ ચૌદમાંના પ્રખ્યાત ડૉક્ટર જોન-બાપ્ટીસ્ટ દેનીસ પાસે લાવવામાં આવ્યો. ડૉક્ટર દેનીસ પાસે મોરોવના ધૂની મગજ માટે સારો “ઇલાજ” હતો. વાછરડાંનું લોહી ચઢાવવાથી તેના મનને ટાઢક વળશે, એવું તેનું માનવું હતું. પરંતુ, મોરોવને એનાથી સારું ન થયું. ખરું કે બીજી વખત તેને લોહી ચઢાવવાથી સુધારો તો થયો. પરંતુ, ફરીથી એ ગાંડો થઈ ગયો, અને થોડા જ સમયમાં તે મરણ પામ્યો.

ભલેને મોડેથી ખબર પડી કે મોરવાનું મૃત્યુ વાસ્તવમાં આર્સેનિક ઝેરથી થયું હતું. છતાં, એક દરદીને પશુનું લોહી ચઢાવવાને કારણે આખા ફ્રાંસમાં હાહાકાર મચી ગયો હતો. લોકોએ આ રીતે લોહી ચઢાવવાના ઉપચારની વિરુદ્ધ થયા અને ૧૬૭૦માં લોહી ચઢાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ પછી બ્રિટનની સરકાર અને પોપે પણ આવા જ પગલાં ભર્યા. આમ ૧૫૦ વર્ષ સુધી લોહી ચઢાવવાનું નામ લેતા ભૂલી ગયા.

શરૂઆતની મુસીબતો

જેમ્સ બ્લન્ડલ નામના અંગ્રેજ ડૉક્ટરે ૧૯મી સદીમાં લોહીની આપ-લે કરવાની શોધ ફરીથી શરૂ કરી. બ્લન્ડલે આધુનિક સાધનો તેમ જ નવી રીતોનો ઉપયોગ કર્યો. તેમણે ભાર મૂક્યો કે, ફક્ત માનવ લોહી જ ચઢાવવું જોઈએ. વળી, આ રીતે બ્લન્ડલે લોહીની આપ-લે લોકપ્રિય બનાવી.

પરંતુ, ૧૮૭૩માં પોલૅન્ડના ડૉક્ટર એફ. ગેજેલિયસે ભય પમાડે, એવી શોધ કરી: જેટલાને લોહી ચઢાવવામાં આવ્યું હતું, તેઓમાંના અડધાથી વધારે મરણ પામ્યા હતા. ફરીથી જાણીતા ડૉક્ટરોએ એનો વિરોધ કર્યો અને પછી મોટા ભાગના ડૉક્ટરોએ એ રીતની સારવાર માંડી વાળી.

પછી, ૧૮૭૮માં ફ્રેંચ ડૉક્ટર જ્યોર્જ હાયેમે સલાઈન સોલ્યૂશનની શોધ કરી, જે લોહીની જગ્યાએ વાપરી શકાય એવું તેમનું કહેવું હતુ. એના ઘણા ફાયદા હતા, જેમ કે એનાથી કોઈ આડ અસર ન થતી, અને સહેલાઈથી એકથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતું હતું. એનું કારણ એ હતું કે, એ લોહીની જેમ થીજતું નથી. આ રીતે હાયેમનું સલાઈન સોલ્યૂશન લોકપ્રિય બન્યું. છતાં, લોકોનો મત ઝડપથી બદલાયો. તેથી, તેઓ ફરીથી લોહીનો ઉપયોગ સારવારમાં કરવા લાગ્યા. પરંતુ શા માટે?

ઑસ્ટ્રિયાના એક પૅથોલૉજીસ્ટ કાર્લ લેન્ડસ્ટીનરે, ૧૯૦૦માં લોહીના ભિન્‍ન ભિન્‍ન ગૃપ શોધી કાઢ્યા. એણે બતાવી આપ્યું કે, જુદા જુદા માણસોનું લોહી એકબીજાના લોહી સાથે મેળ ખાતું નથી. એમાં કંઈ નવાઈ નથી, કારણ કે અગાઉ જેઓને લોહી ચઢાવવામાં આવ્યું હતું તેમાંથી મોટા ભાગનાઓનું મરણ થયું હતું! પરંતુ, હવે આ નવી માહિતીથી એવી ભૂલ થવાની શક્યતા ઘટી ગઈ. હવે ફક્ત એ જ જોવાનું હતુ કે, લોહી આપનારનું અને લેનારનું ગૃપ એક જ છે કે નહિ. પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે, એવા સમયે આ માહિતી મળી હતી. તેથી, ડૉક્ટરો ફરીથી લોહીની આપ-લે કરવાનું શરૂ કર્યું.

યુદ્ધમાં લોહીની આપ-લે

પહેલા વિશ્વયુદ્ધમાં ઘાયલ થએલા સૈનિકોને છૂટથી લોહી ચઢાવવામાં આવતું. લોહી જલદીથી જામી જતું હોવાથી એ યુદ્ધભૂમિમાં પહોંચાડવું સહેલું ન હતું. પરંતુ ૨૦મી સદીની શરૂઆતમાં જ ન્યૂયૉર્ક શહેરમાં માઉન્ટ સાઈનાઈ હૉસ્પિટલના ડૉ. રીચર્ડ લુએસેને સોડિયમ સાઇટ્રેટ નામનો એક પદાર્થ શોધી કાઢ્યો, જેને લોહીની સાથે મિશ્ર કરવાથી તેમાં ગઠ્ઠા ન થતા. તેથી અમુક ડૉક્ટરો માનવા લાગ્યા કે, આ તો એક ચમત્કાર કહેવાય. એ સમયના પ્રખ્યાત ડૉક્ટર બર્ટરમ એમ. બર્નહાઈમે લખ્યું કે, “આ બનાવથી એવું લાગ્યું કે સૂર્યાસ્ત કદી થશે નહિ.”

વળી, બીજા વિશ્વયુદ્ધમાં લોહીની માંગ વધતી જ ગઈ. બધે જ ઠેકાણે દીવાલો પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા જેમાં લખેલું હતું કે, “લોહી આપો,” “તમારું લોહી તેને જીવન આપી શકે” અને “તેમણે રક્તદાન કર્યું છે. શું તમે નહિ કરો?” એવી રીતે ઘણાએ લોહી આપ્યું. તેથી, બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના લોકોએ લગભગ ૬૫,૦૦,૦૦૦ લીટર રક્તદાન કર્યું. તેમ જ એક અંદાજ મુજબ લંડનમાં પણ ૨,૬૦,૦૦૦ લીટર રક્તદાન કરવામાં આવ્યું હતું. પરંતુ, ધીરે ધીરે ખબર પડી કે, લોહીની આપ-લે કરવાથી ઘણી બીમારીઓ ફેલાય છે.

લોહીથી ફેલાતા રોગ

જો કે બીજા વિશ્વયુદ્ધ પછી દવાની શોધમાં પુષ્કળ પ્રગતિ થઈ છે. તેથી, આજે એવા ઑપરેશન થઈ રહ્યા છે, જે વિષે અગાઉ વિચારવું પણ શક્ય ન હતું. આમ, રાતોરાત આખી દુનિયામાં લોહી ખરીદવા-વેચવાનો અબજો ડૉલરનો ધંધો શરૂ થઈ ગયો, કારણ કે બધા જ ડૉક્ટરો આ રીત અપનાવવા લાગ્યા.

આમ, લોહીની આપ-લેથી વધતી જતી બીમારીઓ વિષે ચિંતા થવા લાગી. દાખલા તરીકે, કોરિયામાં ૧૯૫૦થી ૧૯૫૩ના યુદ્ધમાં લગભગ ૨૨ ટકાના લોકોને પ્લાઝમાનું ટ્રાન્સફયુઝન આપવામાં આવ્યું હતું. તેનાથી તેઓને હેપટાઈટિસ બીનો ચેપ લાગ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં ચેપ લાગ્યો હતો, એના કરતાં ત્રણ ગણો વધારે આ યુદ્ધમાં થયો. આમ, ૧૯૭૦ની સાલ સુધીમાં યુ.એસ. સેંટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલના અંદાજ પ્રમાણે લોહીની આપ-લેથી લગભગ દર વર્ષે ૩,૫૦૦ લોકો મરણ પામ્યા હતા. બીજા લોકો એ સંખ્યા ૧૦ ટકા વધારે હોવાનું જણાવે છે.

જો કે આજે લોહી આપનારનું લોહી તપાસવાની સારી સગવડ હોવાથી હેપટાઈટિસ-બીના કેસ ઓછા જોવા મળે છે. તોપણ, નવી પ્રકારની અને એથી વધારે ખતરનાક બીમારી થવા લાગી છે, જેમ કે હેપટાઈટિસ-સી. અંદાજ પ્રમાણે અમેરિકામાં લગભગ ૪૦ લાખ લોકોને આ ચેપ લાગ્યો છે. એમાંથી મોટા ભાગના દરદીઓને બીજાનું લોહી લેવાથી ચેપ લાગ્યો છે. એ ખરું છે કે, વારંવાર લોહી તપાસવાથી હેપટાઈટિસ-સી વધવાની શક્યતા ઓછી છે. છતાં આજે લોકોના મનમાં બીક પેસી ગઈ છે કે, કોણ જાણે હવે કઈ બીમારી નીકળશે, અને એની તપાસ થશે ત્યાં તો જીવતા રહીશું કે કેમ.

નવી ઉપાધિ: નવા ચેપવાળું લોહી

વળી, ૮૦ના દાયકામાં જાણવામાં મળ્યું કે, લોહીમાં એચ.આઇ.વી. વાયરસ પણ હોય છે, જેનાથી એઈડ્‌સ થાય છે. પ્રથમ તો બ્લડ બૅન્કોના માલિકો માનવા જ તૈયાર ન હતા કે, તેઓ જે લોહી પૂરું પાડે છે એ અશુદ્ધ હોય. શરૂઆતમાં તો તેઓ એચ.આઇ.વી. ખરેખર જોખમી છે, એના વિષે પણ શંકા રાખતા હતા. ડૉ. બ્રુસ ઈવેટના કહે છે: “તેઓએ એ વાતનો જરા પણ વિશ્વાસ કર્યો નહિ. . . . તેઓએ એ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખ્યું.”

છતાં પણ, આજે એક પછી બીજા દેશોમાં અશુદ્ધ લોહીના કારણે એચ.આઇ.વી. ફાટી નીકળ્યો છે. એક અંદાજ પ્રમાણે ફ્રાંસમાં ૧૯૮૨-૧૯૮૫માં લગભગ ૬,૦૦૦થી ૮,૦૦૦ લોકોને લોહીની આપ-લેથી એચ.આઇ.વી.નો ચેપ લાગ્યો છે. આફ્રિકામાં એચ.આઇ.વી.નો ચેપ ધરાવનાર લોકોમાંથી ૧૦ ટકા અને પાકિસ્તાનમાં એઈડ્‌સ ધરાવનાર લોકોમાંથી ૪૦ ટકાના લોકો લોહીની આપ-લેના કારણે પીડાય છે. આજે વિકસિત દેશોમાં લોહીની તપાસ સારી રીતે થતી હોવાથી એચ.આઈ.વી. વિષે ઓછું સાંભળવા મળે છે. છતાં, અવિકસિત દેશોમાં લોહી તપાસ કરવાની પૂરતી સગવડ ન હોવાના કારણે એ વધી રહ્યું છે.

તેથી, તાજેતરમાં લોહી વિના સર્જરી અને દવાઓની માંગ વધી રહી છે. પરંતુ શું એ સલામત છે?

[પાન ૬ પર બોક્સ]

લોહીની આપ-લે—કોઈ નિયમ નહિ

દર વર્ષે ફક્ત અમેરિકામાં જ કંઈક ૩૦,૦૦,૦૦૦ દરદીઓને લગભગ ૫૫,૦૦,૦૦૦ લીટર લોહી ચઢાવવામાં આવે છે. એ જોતા એમ લાગે લોહી ચઢાવવા વિષે એકદમ કડક નિયમો હશે, જે પ્રમાણે ડૉક્ટરો લોહીની આપ-લે કરતા હશે. પરંતુ એવું જરાય નથી. ધ ન્યૂ ઇંગ્લૅંન્ડ જરનલ ઑફ મેડિસિન કહે છે: “લોહી ચઢાવવું કે ન ચઢાવવું, એ નિર્ણય લેવા માટે ડૉક્ટરો પાસે” બહુ થોડી માહિતી હોય છે. વાસ્તવમાં, ફક્ત શું આપવું, ક્યારે અને કેટલું આપવું એ જ નહિ, પણ આપવું જોઈએ કે નહિ એ વિષે પણ ડૉક્ટર પોતપોતાની રીત પ્રમાણે નિર્ણય લે છે. “લોહી ચઢાવવું કે નહિ એનો આધાર દરદી પર નહિ, પણ ડૉક્ટરો પર છે.” એવું આક્ટા આનંસ્ટાજીયોલૉજીકા બેલ્જીકા મેડિકલ મેગેઝીનનું કહેવું છે. આ ઉપરની માહિતી પરથી ન્યૂ ઇંગ્લૅંન્ડ જરનલ ઑફ મેડિસિન આમ કહે છે: “અંદાજ પ્રમાણે ૬૬ ટકા દરદીઓને કોઈ કારણ વગર લોહી આપવામાં આવે છે.” શું એમાં કંઈ નવાઈ છે?

[પાન ૫ પર ચિત્રો]

બીજા વિશ્વયુદ્ધમાં લોહીની માંગ ઘણી વધી ગઈ હતી

[ક્રેડીટ લાઈન્સ]

Imperial War Museum, London

U.S. National Archives photos