પ્રેમ વિનાના લગ્નમાં ફસાયા
પ્રેમ વિનાના લગ્નમાં ફસાયા
“મોટા પ્રમાણમાં છૂટાછેડા થતા હોય એવા સમાજમાં લગ્નો નિષ્ફળ જતા હોય છે એટલું જ નહિ, પરંતુ બીજા લગ્નોમાં પણ સુખ-શાંતિ ન હોય એવા યુગલોની સંખ્યા વધતી જાય છે.”—કાઉન્સિલ ઓન ફૅમિલીસ ઇન અમેરિકા.
ક હેવામાં આવે છે કે જીવનમાં મોટા ભાગનું સુખ અને મોટા ભાગનું દુઃખ એક જ જગ્યાએથી આવે છે—એ છે લગ્ન. ખરેખર, જીવનમાં એવી બહુ જ ઓછી બાબત છે કે જે અતિશય આનંદ કે અતિશય દુઃખ આપી શકે. અહીં આપેલું બૉક્સ બતાવે છે તેમ, ઘણા યુગલો ઘણું દુઃખ સહન કરી રહ્યાં છે.
પરંતુ છૂટાછેડાના આંકડાઓ સમસ્યાઓના માત્ર એક ભાગને જ બતાવે છે. કેમ કે કેટલાક લગ્નો સાવ નિષ્ફળ જઈને છૂટાછેડામાં પરિણમે છે જ્યારે અમુક લગ્નો સમસ્યાઓ હોવાના કારણે માંડ માંડ ટકી રહે છે. એ વિષે કોણ જાણે છે? લગભગ ૩૦ વર્ષથી પરિણીત એક સ્ત્રીએ દિલ ખોલીને જણાવ્યું, “અમારું કુટુંબ સુખી હતું, પરંતુ છેલ્લા ૧૨ વર્ષથી પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે. મારા પતિને મારી લાગણીઓની કંઈ જ પડી નથી. એ મારી લાગણીઓનો કટ્ટર દુશ્મન છે.” એવી જ રીતે, ૨૫ વર્ષના લગ્નજીવન પછી, એક પતિ શોક કરતા કહે છે: “મારી પત્નીએ મને કહ્યું કે તે હવે મને પ્રેમ કરતી નથી. તે કહે છે કે આપણે ફક્ત સાથે જ રહીશું, પરંતુ એકબીજાની બાબતોમાં માથું નહિ મારીએ.”
અલબત્ત, કેટલાક તંગ પરિસ્થિતિમાં છૂટાછેડા લે છે. તેમ છતાં, ઘણા છૂટાછેડા લેવાનો વિચાર સુદ્ધાં કરતાં નથી. શા માટે? ડૉ. કારસેન કાઈસર અનુસાર સમાજનો, મિત્રોનો, સગાંઓનો, ધાર્મિક માન્યતાઓ ડર તથા બાળકોના ભવિષ્યની અને આર્થિક ચિંતાના કારણે પતિ-પત્ની વચ્ચે પ્રેમ ન હોય તોપણ તેઓ ભેગાં રહે છે. તે કહે છે, “કાયદાકીય રીતે છૂટાછેડા લેવા અશક્ય હોવાથી, આવા યુગલો માનસિક રીતે છૂટાછેડા આપેલા પોતાના સાથી સાથે રહેવાનું પસંદ કરે છે.”
એકમેક માટેનો પ્રેમ ઠંડો પડી ગયો હોય એવા યુગલો શું જીવનમાં સંતોષ મેળવી શકે? શું લગ્નમાં પ્રેમ ન હોય તો છૂટાછેડા લેવા જોઈએ? અનુભવો પુરવાર કરે છે કે આવા તેમ જ પ્રેમ વગરના લગ્નો પણ બચાવી શકાય છે. (g01 1/8)
[પાન ૩ પર બોક્સ]
જગતવ્યાપી છૂટાછેડાનું પ્રમાણ
• ઑસ્ટ્રેલિયા: છૂટાછેડાનું પ્રમાણ ૧૯૬૦ના દાયકાની શરૂઆતથી લગભગ ચારગણું વધી ગયું છે.
• બ્રિટન: એક ધારણા મુજબ, ૧૦માંથી ચાર લગ્નોનો છૂટાછેડાથી અંત આવશે.
• કૅનેડા અને જાપાન: છૂટાછેડા લગભગ દર ત્રીજા લગ્નને અસર કરે છે.
• યુનાઈટેડ સ્ટેટ્સ: ૧૯૭૦થી, લગ્ન કરતા યુગલોમાં અડધા કરતાં વધારે લોકોમાં છૂટાછેડાની શક્યતા રહેલી છે.
• ઝીંબાબ્વે: દરેક પાંચ લગ્નોમાંથી બેના છૂટાછેડા થાય છે.