સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભૂકંપ પછીનું જીવન

ભૂકંપ પછીનું જીવન

ભૂકંપ પછીનું જીવન

“અમે સવારથી ચાલીએ છીએ. અમે જીવ હાથમાં લઈને નાસી છૂટ્યા છીએ. ખાવા-પીવા કંઈ જ નથી. બધાં જ ઘરો પડી ગયાં છે.”—ભારતમાં ૭.૯ તીવ્રતાના ધરતીકંપથી બચી ગયેલો, હરજીવન.

ધ રતીકંપનો અનુભવ કરવો એ ભયાનક છે. વર્ષ ૧૯૯૯માં તાઇવાનમાં ધરતીકંપ થયો, એમાંથી બચી ગએલી સ્ત્રીએ યાદ કરતા આમ કહ્યું: “મારી પથારીની બાજુમાં આઠ ફૂટ ઊંચો લાકડાનો કબાટ હતો. એમાં પુસ્તકો હતાં, જે પડવા લાગ્યાં.” ‘વળી, મેં સ્કૂટર ચલાવતી વખતે પહેરવા માટે, નવી હેલ્મેટ લીધી હતી. એ કબાટ પરથી નીચે પડી, જેનાથી મારું માથું જરાક જ બચી ગયું.’ તેણે કહ્યું, ‘એનાથી સલામત રહેવાને બદલે, હું તો મરી ગઈ હોત.’

ભૂકંપ પછીનું જીવન

ધરતીકંપનો અનુભવ ભયાનક છે. પરંતુ, જો એમાંથી બચી ગયા તો, એ ફક્ત અઘરા જીવનની શરૂઆત જ છે. ધરતીકંપ થયા પછી દટાઈ ગયેલાઓને હિંમતથી શોધવાનો લોકો પ્રયત્ન કરતા હોય છે. એ પણ ઘણી વખતે જોખમ રહેલું હોય છે કે બીજા નાના નાના આંચકા ગમે ત્યારે આવી શકે છે, તોપણ લોકો સારવાર આપતા રહે છે. તાજેતરમાં એલ સાલ્વાડોરમાં ધરતીકંપ થયો હતો. એમાં બચી ગયેલો એક માણસ, ધૂળના ઢગલામાં દટાઈ ગયેલા પોતાના પાડોશીઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરતો હતો. તેણે કહ્યું કે “આપણે બહું જ સાવચેત રહેવું પડશે. જો ફરીથી આંચકો આવશે તો આ ટેકરી બચી ગઈ છે, એ પણ ધસી પડશે.”

આવી ભયાનક આફત છતાં પણ, અમુક લોકો માનવતા બતાવવા મદદ કરવા તૈયાર થઈ જાય છે. દાખલા તરીકે, ૨૦૦૧માં ગુજરાતમાં જ્યારે ભયંકર ધરતીકંપ થયો ત્યારે, ૭૮ વર્ષના મનુભાઈ યુ.એસ.થી ગુજરાત પહોંચી ગયા. તેમણે કહ્યું: “મારે ત્યાં જવું જ જોઈએ. ફક્ત મારા કુટુંબને જ મદદ આપવા નહિ. પરંતુ જેઓ દુઃખી છે, તેઓને પણ માણસાઈ બતાવવા.” મનુભાઈ જે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ગયા એ જોઈને છક થઈ ગયા. એક રીપોર્ટરે લખ્યું: “અહીં એવા કોઈ નથી જેણે પોતાનો એક દિવસનો, અઠવાડિયાંનો, મહિનાનો પગાર કે પછી પોતાની બચતમાંથી લોકોને મદદ કરવા કંઈ જ આપ્યું ન હોય.”

ખરું કે ધરતીકંપમાં દટાયેલાને બહાર કાઢીને સારવાર આપવી એ એક વાત છે. પરંતુ, એના ભોગ બનેલાના વેરાન જીવનને દિલાસો આપવો એ બીજી વાત છે. દાખલા તરીકે, એલ સાલ્વાડોરમાં ધરતીકંપ થયો ત્યારે ડીલોરીશનું ઘર પડી ગયું. એનો વિચાર કરો. તેણે કહ્યું કે “આ તો દેશમાં યુદ્ધ ચાલતું હોય એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે. યુદ્ધ ચાલતું હતું ત્યારે, કમસે કમ અમારી પાસે ઘર તો હતું.”

પ્રથમ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ, આવી ઘટના બને છે ત્યારે, સહાયરૂપે ચીજ-વસ્તુઓની જરૂરિયાત તો હોય છે. પરંતુ, એથી પણ વધારે પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. દાખલા તરીકે, ૧૯૯૯ની શરૂઆતમાં પશ્ચિમ કોલંબિયાના, આર્મેનિયા શહેરમાં ભારે ધરતીકંપ થયો ત્યારે, એક હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. તેમ જ ઘણા લોકો તો માનસિક આઘાત અને શોકથી ભાંગી પડ્યા હતા, એવું ડૉ. રૉબર્ટો ઇસ્તફોને કહ્યું. એ ધરતીકંપમાં તેના એપાર્ટમેન્ટનો પણ ભૂકો થઈ ગયો હતો, તેમ તે આગળ જણાવે છે: “તમે જ્યાં જાવ ત્યાં લોકો મદદ માગતા હોય છે. હું બજારમાં નાસ્તો લેવા જાઉં છું ત્યારે, મોટા ભાગના લોકો નમસ્તે કરીને, પોતાનાં દુઃખો વિષે કહેવા લાગે છે.”

ડૉ. ઇસ્તફોન જાણે છે કે, ધરતીકંપથી લાગતો માનસિક આઘાત ખતરનાક હોય છે. એક સ્ત્રીએ રાહત છાવણી ઊભી કરવામાં મદદ કરી. તેણે નોંધ્યું કે, અમુક લોકો પાસે નોકરી હતી. તેમ છતાં, તેઓ કામે જવા ઇચ્છતા ન હતા, કારણ કે મોત સામે જ ઉભું છે એવું તેઓનું માનવું હતું.

દુઃખમાં આશાનું કિરણ

આવી ઘટનાઓ બને છે ત્યારે પણ, યહોવાહના સાક્ષીઓ બચી જનારાઓને સારવાર આપવા પ્રયત્નો કરે છે. એટલું જ નહિ, પરંતુ પ્રેમ અને દિલાસા સાથે આત્મિક તથા લાગણીમય મદદ પૂરી પાડે છે. દાખલા તરીકે, આગળ જણાવ્યું તેમ કોલંબિયામાં ધરતીકંપ થયો હતો ત્યારે, ત્યાંના યહોવાહના સાક્ષીઓની શાખાએ મદદ આપવા માટે કમિટી ઊભી કરી હતી. એ દેશમાં હજારો યહોવાહના સાક્ષીઓએ પૈસા અને ખોરાક આપ્યો, અને તાત્કાલિક ત્યાં ૭૦ ટન ખોરાક મોકલાવ્યો.

એ ઉપરાંત આત્મિક મદદ ખૂબ જ મહત્ત્વની હોય છે. કોલંબિયાના, આર્મેનિયા શહેરના ધરતીકંપ પછી, એક સવારે એક યહોવાહના સાક્ષીએ એકદમ ઉદાસ સ્ત્રીને રસ્તા પર ચાલતી જોઈ. તેણે એ સ્ત્રીને એક પત્રિકા આપી. જેનો વિષય હતો, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા? *

એ સ્ત્રીએ ઘરે જઈને પત્રિકા વાંચી. અમુક સમય પછી યહોવાહના સાક્ષીઓ પ્રચાર કરતા, તેના ઘરે ગયા ત્યારે તેણે પોતાનો અનુભવ એ બહેનોને જણાવ્યો. એ શહેરમાં એ સ્ત્રીના અમુક ઘરો હતાં, જેમાંથી તેની સારી આવક આવતી હતી. પરંતુ, ધરતીકંપ આવવાથી એના ઘરોનો નાશ થયો હતો. એટલું જ નહિ, પરંતુ જે ઘરમાં તે પોતાના ૨૫ વર્ષના દીકરા સાથે રહેતી હતી, એ ઘર પણ ધરતીકંપમાં પડી ગયું. એમાં તેનો દીકરો મરણ પામ્યો હતો. તે બરબાદ થઈ ગઈ હતી. એ સ્ત્રીએ બહેનોને જણાવ્યું કે તેને પહેલા ધર્મોમાં જરાય રસ ન હતો. પરંતુ, હવે તેની પાસે ઘણા પ્રશ્નો છે. એ પત્રિકાથી તેને ખરેખર દિલાસો મળ્યો છે. પછી તે યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગી.

યહોવાહના સાક્ષીઓને પૂરો ભરોસો છે કે એવો સમય આવશે, જ્યારે કોઈ જાતની આફતો કે પછી ધરતીકંપો પણ તેઓનું સુખ છીનવી નહિ શકે. એ કેવી રીતે બનશે? હવે પછીનો લેખ એ સમજાવશે.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૬ પર બોક્સ]

તૈયાર રહો!

◼ ગરમ પાણી કરવાનું ઈલેક્ટ્રીક હીટર દિવાલ સાથે સારી રીતે ફીટ કરાવો. તેમ જ ભારે વસ્તુઓ નીચે રાખો.

◼ પોતાના કુટુંબને આફત સમયે ગેસ, વીજળી અને પાણીનાં જોડાણ બંધ કરી દેવાનું શીખવો.

◼ ઘરમાં આગ હોલવવાનું સાધન અને પાટાપીંડી કરવા દવા રાખો.

◼ ઘરમાં રેડિયો અને નવી બેટરીઓ રાખો.

◼ કુટુંબને, (૧) શાંત મગજ રાખતા, (૨) હીટર અને સ્ટવ બંધ કરતા, (૩) ટેબલ નીચે અથવા ઉંબરામાં ઊભા રહીને આશ્રય લેતા, અને (૪) અરીસા, બારી અને ચીમનીથી દૂર રહેતા શીખવો.

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

ઈસ્રાએલમાં થતા ધરતીકંપો

પ્રોફેસર આમોસ નૂર લખે છે કે ઈસ્રાએલમાં “સદીઓથી ધરતીકંપો થતા જ રહે છે.” એનું કારણ કે ઈસ્રાએલ ગ્રેટ રીફ્ટ વેલી ઉપર ઉત્તર-દક્ષિણે આવેલું છે, અને તેની નીચે પેટાળમાં મોટા ખડકો ખસતા હોય છે. તેથી ત્યાં વધારે ધરતીકંપો થાય છે.

એ કારણથી પુરાતત્ત્વ શાસ્ત્રીઓ માને છે કે પ્રાચીન સમયના ઇજનેરોએ ખાસ રીત વાપરતા, જેથી ધરતીકંપથી ઘરોને વધારે નુકસાન ન થાય. સુલેમાને જે રીતે બાંધકામ કર્યું હતું, એ વિષે બાઇબલમાં માહિતી મળી આવે છે. જેની સાથે વૈજ્ઞાનિકો સહમત થાય છે: “યહોવાહના મંદિરના ભીતરના આંગણા તથા મંદિરના પરસાળની પેઠે મોટા આંગણાની ચારેગમ ઘડેલા પથ્થરની ત્રણ હાર, તથા એરેજકાષ્ટના ભારોટિયાની એક હાર હતી.” (૧ રાજાઓ ૬:૩૬; ૭:૧૨) એવા અનેક પુરાવાઓ જોવા મળે છે કે ઘરો બાંધતી વખતે લોકો પથ્થરની સાથે લાકડાં પણ વપરાતા હતા. મગિદ્દોમાં સુલેમાનના સમયની ચીજો પણ આ બતાવે છે. તેમ જ પંડિત અથવા વિદ્વાન ડેવિડ એમ. રૉલનું માનવું છે કે આ રીતે વચ્ચે લાકડાં મૂકવાનું કારણ એ હોય શકે કે “ધરતીકંપથી ઘરોને નુકસાન ન થાય.”

[ચિત્ર]

ઈસ્રાએલના બેથ શેઆનમાં ધરતીકંપની અસર

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

બે ઘડીમાં સત્યાનાશ—નજરે જોયેલો અહેવાલ

અમદાવાદમાં અમારું કુટુંબ કાકાની છોકરીના લગ્‍નની તૈયારી કરી રહ્યું હતું. જાન્યુઆરી ૨૬, ૨૦૦૧ના રોજ હું ચમકીને જાગી ગયો. એ પણ ઘડિયાળના અલાર્મથી નહિ, પણ બધું ખખડવાના અવાજથી. કપડાં રાખવાનો કબાટ આમથી તેમ ડોલા ખાતો હતો. મને થયું કે નક્કી કંઈક ગરબડ છે. મારા કાકા બૂમો પાડતા હતા કે, “ઘરમાંથી બહાર નીકળો!” અમે બહાર દોડી ગયા ત્યારે, અમે ઘર આમ-તેમ હલતું જોયું. જાણે કલાકો સુધી એમ થતું હોય એવું લાગ્યું. હકીકતમાં, એ આંચકો ફક્ત બે ઘડીનો જ હતો.

આ અનુભવ ખૂબ જ બિહામણો હતો. અમે પ્રથમ જોયું કે અમારા કુટુંબને કંઈ થયું તો નથી ને. લાઇટ ચાલી ગઈ હતી, અને ફોન પણ કામ કરતો ન હતો. તેથી, આજુબાજુના શહેરોમાં અમારાં સગાવહાલા વિષે, અમે તરત જ માહિતી મેળવી ન શક્યા. જો કે લાંબા કલાક પછી ખબર પડી કે તેઓ બધા સલામત છે. ત્યાં સુધી અમારો જીવ અદ્ધર જ હતો. પરંતુ, બધાની કંઈ આ હાલત ન હતી. દાખલા તરીકે, અમદાવાદમાં એકસોથી વધારે બિલ્ડીંગો પડી ગઈ હતી, અને પાંચસોથી વધારે લોકોને ધરતીકંપ ભરખી ગયો હતો.

અમુક અઠવાડિયાં સુધી લોકોનો જીવ અદ્ધર જ હતો. તેમ જ અમુક દિવસો સુધી આંચકાઓ ચાલુ રહેશે એવી આગાહી હોવાથી, લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આવી આફત પછી જીવન વેરાન બની જાય છે. ઘણા લોકો ઘરબાર વગરના થઈ ગયા હતા. આ બધું ફક્ત બે ઘડીના ધરતીકંપથી બન્યું. પરંતુ એ ભયાનક હકીકત જિંદગીભર યાદ રહેશે.—સમીર સરૈયાના કહેવા પ્રમાણે.

[પાન ૬, ૭ પર ચિત્ર]

જાન્યુઆરી, ૨૦૦૧માં ગુજરાતમાં થયેલા ધરતીકંપમાં બચી ગયેલો દીકરો, પોતાની માતાનો ફોટો બતાવે છે, જેને મોત ભરખી ગયું છે

[ક્રેડીટ લાઈન]

© Randolph Langenbach/UNESCO (www.conservationtech.com)