સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું કુદરતી આફતો વધી રહી છે?

શું કુદરતી આફતો વધી રહી છે?

શું કુદરતી આફતો વધી રહી છે?

‘આજકાલ હવામાન બહુ બદલાઈ રહ્યું છે, એટલે આવતા દિવસોમાં વધારે કુદરતી આફતો આવી શકે. જો એમ થાય, તો મકાનોને ભારે નુકસાન થશે. ઘણા લોકો માર્યા જશે. એમાંથી બચવા આપણે અગાઉથી કંઈક કરવું જોઈએ.’—‘ટૉપિક્સ જીઓ મેગેઝિન—કુદરતી આફતો પર વાર્ષિક રિપોર્ટ, ૨૦૦૩’ (અંગ્રેજી).

યુરોપમાં ૨૦૦૩ના ઉનાળામાં બહુ જ ગરમી પડી. ઇટલી, નેધરલૅન્ડ્‌ઝ, પોર્ટુગલ, ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ અને સ્પેઇનમાંથી ત્રીસેક હજાર લોકો મરણ પામ્યા. ચોમાસા પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારતમાં સખત ગરમી પડી. એમાં પણ પંદરસો જેટલા લોકો મરણ પામ્યા. ઑસ્ટ્રેલિયામાં વરસાદ પડ્યો નહિ, સખત ગરમી પડી. ત્યાંના ઝાડી-ઝાંખરામાં આગ લાગી. ૭૦ લાખ એકર જમીન બળીને ભસ્મ થઈ ગઈ.

ધ વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશને આમ કહ્યું: “૧૯૪૪-૧૯૯૬ સુધી ઍટલૅંટિક મહાસાગરમાં દસેક ભારે વંટોળ આવ્યા. દર વર્ષે એમાં વધારો થતો જાય છે. ૨૦૦૩માં જ સોળેક ભારે વાવાઝોડાં થયાં હતાં.” કૅરિબિયન સાગરમાં આવેલા ટાપુઓ અને મેક્સિકોના અખાત પાસેનાં રાજ્યોમાં, ૨૦૦૪માં ખતરનાક તોફાનો થયાં હતાં. એનાથી ભારે નુકસાન થયું અને લગભગ ૨,૦૦૦ લોકો માર્યા ગયા.

શ્રીલંકામાં ૨૦૦૩માં વંટોળિયો આવ્યો. પૂર આવ્યું. ઓછામાં ઓછા અઢીસો લોકો માર્યા ગયા. ૨૦૦૪માં પશ્ચિમ પૅસિફિકમાં ઓછામાં ઓછા ૨૩ ભયંકર તોફાન આવ્યાં. એમાંનાં દસ તો જાપાનમાં જ આવ્યાં હતાં. એનાથી ભારે નુકસાન થયું. એમાં ૧૭૦થી વધારે લોકો માર્યા ગયા. દક્ષિણ એશિયામાં, ખાસ કરીને બાંગ્લાદેશમાં સખત વરસાદને કારણે પૂર આવ્યું. ત્રણેક કરોડ લોકોને ભારે અસર થઈ. લાખો લોકો જીવ બચાવવા ઘર છોડીને નાસી છૂટ્યા. એમાં તેરસોથી વધારે લોકોના મોત થયા.

૨૦૦૩માં ઘણા મોટા મોટા ધરતીકંપો થયા છે. મે ૨૧ના અલ્જિરિયા નામે દેશમાં અલ્જિયર્સ શહેરમાં ભૂકંપ થયો. એમાં ૧૦,૦૦૦ ઘાયલ થયા. બે લાખ લોકો ઘરબાર વગરના થઈ ગયા. ૨૬મી ડિસેમ્બર, સવારે પ:૨૬નો સમય. ઈરાનનું બામ શહેર. એની દક્ષિણે આઠ કિલોમીટર દૂર ભૂકંપ થયો. એની તીવ્રતા ૬.૫ની હતી. ૭૦ ટકા શહેર નાશ પામ્યું. ૪૦,૦૦૦ લોકો મોતને શરણે થયા. એક લાખ કરતાં વધારે બેઘર થઈ ગયા. ૨૦૦૩નો એ સૌથી ખતરનાક ધરતીકંપ હતો. બામ શહેરમાં ૨,૦૦૦ વર્ષ જૂનો આર્ગાબામ નામનો મહેલ હતો. એ જોવા ઘણા આવતા. પણ ભૂકંપમાં એ મહેલનો ભૂક્કો બોલી ગયો અને ટૂરિસ્ટ ગાઇડનો ધંધો ભાંગી પડ્યો.

એના બરાબર એક વર્ષ પછી શું બન્યું? ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુની ઉત્તરે, દરિયાના પેટાળમાં ૯ની તીવ્રતાનો જબરદસ્ત ભૂકંપ થયો! એનાથી સુનામી રાક્ષસી મોજાં ઊછળ્યાં. ઇતિહાસમાં આવું કદી બન્યું ન હતું. એ આશરે બે લાખ લોકોને ભરખી ગયાં. કંઈ કેટલાયે ઘાયલ થયા. કેટલાયે બેઘર થઈ ગયા. સુનામી મોજાં ત્યાંથી ૪,૫૦૦ કિલોમીટર દૂર, ઉત્તર આફ્રિકાના દરિયાકાંઠે પણ ત્રાટક્યાં. લોકોએ ભારે નુકસાન સહેવું પડ્યું.

શું આફતોનાં વાદળ ઘેરાયાં છે?

શું આવા બનાવો એવી ચેતવણી આપે છે કે કુદરતી આફતો દિવસે દિવસે વધતી જશે? ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ઇન્સાન પૃથ્વીનો નાશ કરી રહ્યા છે. એટલે દુનિયાનું હવામાન બદલાતું જાય છે. જો એ સાચું હોય તો આપણું ભાવિ જરાય ઊજળું નથી. દુઃખની વાત છે કે જ્યાં વધારે આફતો આવે છે, એવી જ જગ્યાએ ઘણા લોકો રહે છે. તેઓને ગમે છે એટલે નહિ, પણ મજબૂરીને કારણે તેઓએ ત્યાં રહેવું પડે છે.

એક રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં આવેલી આફતોમાં મરનારા, ૯૫ ટકા લોકો ગરીબ દેશોમાં હોય છે. જ્યારે કે અમીર દેશોમાં ઓછા લોકો મરણ પામે છે. તોપણ અમીર દેશોમાં વેપાર-ધંધામાં ૭૫ ટકા ખોટ ગઈ હતી. અમુક ઇન્સ્યોરન્સ કંપનીઓને થાય છે કે આવી આફતો આવ્યા કરશે તો, તેઓ ક્યાં સુધી પૈસા આપ્યા કરશે?

હવે પછીના લેખમાં આપણે જોઈશું કે અમુક આફતો શાના કારણે આવે છે? કઈ રીતે માણસો આફતોની આગમાં ઘી ઉમેરે છે? શું માણસ ચાહે છે કે આવતી પેઢી આફતો વિનાની દુનિયામાં જીવી શકે? શું એ વિષે કંઈક કરવાની શક્તિ માણસો પાસે છે? (g05 7/22)

[પાન ૩ પર ચિત્ર]

ફ્રાન્સ ૨૦૦૩ યુરોપમાં ઉનાળામાં ખૂબ ગરમી પડી, ૩૦,૦૦૦નાં મોત; સ્પેનમાં ૪૪.૮ ડિગ્રી સેલ્સિયસ ગરમી

[ક્રેડીટ લાઈન]

Alfred/EPA/Sipa Press

[પાન ૪ પર ચિત્ર]

ઈરાન ૨૦૦૩ બામના ભૂકંપમાં ૪૦,૦૦૦નાં મોત; અનેક સગાંના મોત પર રડતી-કકળતી સ્ત્રીઓ

[ક્રેડીટ લાઈન]

Background and women: © Tim Dirven/Panos Pictures