સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ દુનિયા ક્યાં જઈ રહી છે?

આ દુનિયા ક્યાં જઈ રહી છે?

આ દુનિયા ક્યાં જઈ રહી છે?

આજથી દસ, વીસ કે ત્રીસ વર્ષ પછી આ દુનિયા કેવી હશે? આજે બધે જ આતંકવાદ ફેલાયેલો છે. એ કારણથી આવતા દિવસોનો વિચાર કરતાં જ કંપારી છૂટી જાય છે. બીજી બાજુ ટેક્નૉલૉજી ગગન ચૂમી રહી છે. એના પર દેશ-વિદેશની કંપનીઓ વધારે નભી રહી છે. એટલે સવાલ થાય છે કે શું દુનિયાના નેતાઓમાં સંપ આવશે? શું તેઓ પૃથ્વી પર સુખનો સૂરજ લાવી શકશે? અમુક લોકોનું માનવું છે કે તેઓ જરૂર એમ કરશે. તેઓને આશા છે કે દુનિયાના નેતાઓ ૨૦૧૫ સુધીમાં ગરીબીનો અંત લાવશે. ત્યારે કોઈ ભૂખે નહિ ટળવળે. એઇડ્‌સને નાથવામાં આવશે. આજે જે દેશોમાં ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી અને જ્યાં મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા નથી એમાં પચાસ ટકાનો સુધારો થશે.—“આશા અને હકીકત” બોક્સ જુઓ.

આજ સુધી મનુષ્યએ ભવિષ્ય વિષે જે કોઈ આશાઓ આપી છે એ ખોટી ઠરી છે. દાખલો લઈએ: વર્ષો પહેલાં એક નિષ્ણાતે કહ્યું હતું કે ૧૯૮૪ સુધીમાં પાણીની અંદર ચાલે એવા ટ્રેક્ટરથી ખેડૂતો દરિયાના તળિયે ખેતી કરશે. બીજાએ કહ્યું કે ૧૯૯૫ સુધીમાં કાર એવા કૉમ્પ્યુટરથી ચાલશે કે કદી ઍક્સિડન્ટ ન થાય. એ જ રીતે બીજા એક નિષ્ણાતે કહ્યું હતું કે ૨૦૦૦ સુધીમાં ૫૦,૦૦૦ લોકો અવકાશમાં વસશે અને ત્યાં જ નોકરી કરશે. જેઓએ આમ કહ્યું હતું તેઓને હવે થતું હશે કે એમ બોલ્યા ન હોત તો કેવું સારું. એક પત્રકારે લખ્યું: “સમય પસાર થતાં જોવા મળે છે કે દુનિયાના સૌથી હોશિયાર માણસો સાવ મૂર્ખ હતા.”

આપણી મંજિલ બતાવતો “નકશો”

ભવિષ્યને લઈને માણસ આવી તો ઘણી અટકળો કરે છે. મોટે ભાગે એ હકીકત નહિ પણ રંગીન સપના જુએ છે. તો સવાલ થાય છે કે આપણું ભવિષ્ય કેવું હશે? એના વિષે આપણે સત્ય ક્યાંથી જાણી શકીએ?

એક ઉદાહરણ પર વિચાર કરો. માની લો કે તમે બસમાં બેસીને અજાણ્યા દેશમાં જવા માટે મુસાફરી કરી રહ્યા છો. એ દેશથી અજાણ્યા હોવાથી તમને થોડી ચિંતા થવા લાગે છે. તમને થાય છે: ‘હાય રે, હું ક્યાં આવી પહોંચ્યો? આ બસ સાચ્ચે જ ખરા માર્ગે જઈ રહી છે ને? હું હજી મારી મંજિલથી કેટલો દૂર છું’ પરંતુ જો તમારી પાસે એ વિસ્તારનો નકશો હોય તો, એ જોઈને બારીમાંથી રસ્તા પર દેખાતા બોર્ડ જોઈને પારખી શક્શો કે તમે ક્યાં છો અને હવે કેટલે દૂર છો.

આજે ઘણા લોકો ભવિષ્યની ચિંતામાં ડૂબી જાય છે. તેઓને આવા સવાલો પજવે છે: ‘આપણા જીવનની મંજિલ ક્યાં છે? શું કદી એવો દિવસ આવશે જ્યારે આખી દુનિયામાં બધે શાંતિ જ શાંતિ હોય? જો એવો સમય આવવાનો હોય તો, એ ક્યારે આવશે?’ આવા સવાલોના જવાબ સૌથી જૂના ધર્મશાસ્ત્રમાં છે. એ બાઇબલ છે. બાઇબલ એક નકશા જેવું છે. એ આપણને જીવનની રાહમાં માર્ગદર્શન આપે છે. આપણા સવાલોના જવાબ આપે છે. જો આપણે એ ધ્યાનથી વાંચીને જાણે ‘બસની બારીમાંથી રસ્તા પર બોર્ડ જોતા હોઈએ’ એમ દુનિયાની હાલત પર નજર કરીશું તો, આપણને ખબર પડશે કે જીવનની સફરમાં આપણે ક્યાં છીએ. અને ભાવિમાં શું બનશે. એ પહેલાં આપણે જાણવાની જરૂર છે કે દુઃખનો જનમ ક્યારે થયો?

દુઃખનો જનમ

બાઇબલ જણાવે છે કે ઈશ્વરે ધરતી પર આદમ અને તેની પત્ની હવાને બનાવ્યા. ઈશ્વરે તેઓને સ્વર્ગ જેવા પ્રદેશમાં રાખ્યા. તેઓના તન-મનમાં કોઈ ખામી ન હતી. તેઓ ન ઘરડા થાત, ન મરત. આમ, ઈશ્વરે તેઓને કંઈ ૭૦ કે ૮૦ વર્ષ જીવવા બનાવ્યા ન હતા. પણ અમર જીવનનું તેઓને વરદાન આપ્યું હતું. ઈશ્વરે તેઓને કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો.” પરમેશ્વરની તમન્‍ના હતી કે આદમ, હવા અને તેમના સંતાનો ધીમે ધીમે આખી પૃથ્વીને સ્વર્ગ જેવી મજાની બનાવી દે.—ઉત્પત્તિ ૧:૨૮; ૨:૮, ૧૫, ૨૨.

પરંતુ અફસોસની વાત છે કે આદમ અને હવાએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું. તેઓએ જાણીજોઈને ઈશ્વર સાથેનો નાતો કાપી નાખ્યો. પરિણામ? તેઓએ યહોવાહના નિયમ પ્રમાણે જીવવાની ક્ષમતા ગુમાવી. સ્વર્ગ જેવો પ્રદેશ ગુમાવ્યો. તેઓ દિવસે દિવસે નબળા પડતા ગયા. તેઓમાં બીમારી ફેલાઈ. ઘડપણ દરવાજો ખખડાવવા લાગ્યું. આખરે, તેઓ મરણ પામ્યા. શા માટે? બાઇબલ કહે છે કે ‘પાપનું વેતન મરણ છે.’—રૂમી ૬:૨૩.

આદમ અને હવાને સ્વર્ગ જેવા પ્રદેશમાંથી ઈશ્વરે બહાર કાઢી મૂક્યા. એના પછી તેઓને બાળકો થયાં. સવાલ થાય કે ‘ઈશ્વરે તેઓનાં મા-બાપને પાપ કર્યા પહેલાં જે આજ્ઞા આપી હતી એ પ્રમાણે શું તેઓ હવે જીવશે?’ ના. કેમ કે તેઓના માતા-પિતાએ પાપ કર્યું હતું. તેઓએ એવાં બાળકોને જન્મ આપવાની ક્ષમતા ગુમાવી, જેઓ કાયમ યહોવાહના નિયમ પ્રમાણે જ જીવે અને પાપ ન કરે. સર્વ મનુષ્ય તેઓનાં બાળકો છે. બાઇબલ કહે છે: ‘એક માણસથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.’—રૂમી ૩:૨૩; ૫:૧૨.

આપણે જીવનની સફરમાં ક્યાં છીએ?

આદમ અને હવાએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું હોવાથી સર્વ મનુષ્ય પર પાર વગરના દુઃખ તકલીફો લાવ્યા. એ આજેય આપણે ભોગવી રહ્યા છીએ. એના વિષે બાઇબલના એક લેખકે કહ્યું કે મનુષ્યો પાપ અને મરણના શિકાર બન્યા છે. (રૂમી ૮:૨૦) એ કેટલું સાચું છે! અરે, આદમના સંતાનમાંથી ઘણા હોશિયાર સ્ત્રી-પુરુષો નીકળ્યા છે. તેઓએ ઘણું સિદ્ધ કર્યું છે. જેમ કે, ઘણા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા છે. મેડિકલ ફિલ્ડ અને ટેક્નૉલૉજીમાં નવી નવી શોધખોળ થઈ છે. તોપણ આપણે ઘરડા અને બીમાર થઈને મરણ પામીએ છીએ. તેઓમાંથી કોઈ પણ આખી દુનિયામાં શાંતિ લાવી શક્યું નથી. તેઓ માણસજાત માટેની ઈશ્વરની તમન્‍ના પણ પૂરી કરી શક્યા નથી.

આદમ અને હવાએ જાણીજોઈને યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું હતું. તેઓને મળેલી પાપની સજા આપણે બધા ભોગવી રહ્યા છીએ. જરા વિચારો, શું આજે એવું કોઈ છે જેણે જીવનમાં કદી ઠોકર ખાધી ન હોય? જેણે અન્યાય કે જુલમ અનુભવ્યો ન હોય? જે ગંભીર બીમારીનો ભોગ બન્યો ન હોય? સગાં-વહાલાંના મરણને કારણે ભાંગી પડ્યા ન હોય? જીવનમાં જો કોઈ વાર આનંદની પળો આવે તો એ પલ-બે-પલમાં દુઃખદર્દને કારણે અલોપ થઈ જાય છે. ઈશ્વરભક્ત અયૂબે આ કડવું સત્ય જણાવ્યું કે ‘માણસનું જીવન ટૂંકું છે, અને મુસીબતોથી ભરેલું છે.’—યોબ ૧૪:૧, IBSI.

આપણે આગળ જોયું કે મનુષ્યની અને સર્વ દુઃખ-તકલીફોની શરૂઆત કેવી રીતે થઈ. એ જાણ્યા પછી આપણને એવું લાગી શકે કે આપણા ભવિષ્ય પર સુખનો સૂરજ કદી ઊગશે નહિ. પરંતુ બાઇબલ આપણને ખાતરી આપે છે કે પરમેશ્વર આવી હાલતને હંમેશ માટે રહેવા દેશે નહિ. ઈશ્વરની શરૂઆતથી તમન્‍ના હતી કે ઇન્સાન કદી મરે જ નહિ. એ ચોક્કસ પૂરી થશે! (યશાયાહ ૫૫:૧૦, ૧૧) એવું જલદી જ થશે. એનો શું પુરાવો છે? ચાલો જોઈએ.

બાઇબલ કહે છે કે આજે આપણે દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. એટલે જ બધે દુઃખ-તકલીફો વધી રહી છે. (૨ તીમોથી ૩:૧) એનો અર્થ એ નથી કે પૃથ્વીનો પ્રલય થશે અને બળીને ભસ્મ થઈ જશે. પણ એ તો આ દુષ્ટ જગત અને તેની સર્વ સરકારોનો અંત આવશે એમ બતાવે છે. (માત્થી ૨૪:૩) બાઇબલ જણાવે છે કે છેલ્લા દિવસોમાં શું બનશે અને લોકોના વાણી-વર્તન કેવા હશે. એના વિષે આઠમાં પાન પરનું બૉક્સ જુઓ. એ વાંચ્યા પછી જાણે ‘બસની બારીમાંથી રસ્તા પર બોર્ડ જોતા હો’ એમ દુનિયાની હાલત પર નજર કરો. બાઇબલ આપણો નકશો છે. એ આપણને સાચું માર્ગદર્શન આપે છે. એ સ્પષ્ટ જણાવે છે કે હવે આ દુષ્ટ જગતનો અંત જલદી જ આવશે. પછી શું થશે?

આગળ શું થશે?

આદમ અને હવાએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું પછી યહોવાહે શું કર્યું? તેમણે તરત જણાવ્યું કે પોતે એક સરકાર ઊભી કરશે, ‘જેનો નાશ કદી થશે નહિ, પણ સર્વકાળ ટકશે.’ (દાનીયેલ ૨:૪૪) એ જ સરકાર કે રાજ્ય માટે ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું. એને પ્રભુની પ્રાર્થના પણ કહેવામાં આવે છે. આ સરકાર મનુષ્ય પર અપાર આશીર્વાદો લાવશે.—માત્થી ૬:૯, ૧૦.

આજે ઘણા લોકો માને છે કે ઈશ્વરનું રાજ્ય આપણા દિલમાં વસે છે. પણ એ સાચું નથી. યહોવાહ પોતે એ સરકારના રાજા છે. તે સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. મનુષ્ય પર અપાર આશીર્વાદો વરસાવશે. બાઇબલ કહે છે કે ઈશ્વર સૌથી પહેલાં ‘જેઓ પૃથ્વીનો નાશ કરે છે, તેઓનો નાશ કરશે.’ (પ્રકટીકરણ ૧૧:૧૮) જેઓ ઈશ્વરના માર્ગમાં ચાલે છે તેઓ માટે તે શું કરશે? બાઇબલ કહે છે કે ‘તે સર્વની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી. તેમ જ શોક કે રૂદન કે દુઃખ પણ થનાર નથી.’ (પ્રકટીકરણ ૨૧:૪) શું કોઈ મનુષ્ય આવું કરી શકે? ના. ફક્ત યહોવાહ જ એમ કરી શકે. તેમની શરૂઆતથી તમન્‍ના હતી કે મનુષ્ય કાયમ જીવે અને પૃથ્વીને સ્વર્ગ જેવી બનાવે.

હવે સવાલ થાય છે કે ઈશ્વરની સરકાર પૃથ્વી પર જે આશીર્વાદો વરસાવશે એ તમે કઈ રીતે પામી શકો? યોહાન ૧૭:૩ કહે છે: ‘અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યા છે તેમને ઓળખે.’ તમે કઈ રીતે યહોવાહ અને ઈસુને નજીકથી ઓળખી શકો? એ માટે યહોવાહના સાક્ષીઓ તમને મદદ કરશે. તેઓ કંઈક ૨૩૦ દેશોમાં લોકોને સાચા ઈશ્વર યહોવાહ અને તેમના દીકરા ઈસુ વિષે શીખવે છે. જેથી લોકો તેઓને ઓળખી શકે. તેઓ ૪૦૦થી પણ વધારે ભાષાઓમાં સાહિત્ય બહાર પાડે છે, જેથી સર્વ લોકો પોતાની ભાષામાં યહોવાહની સરકાર વિષે શીખી શકે. તમે પણ યહોવાહના સાક્ષીઓને મળો. અથવા આ મૅગેઝિનના પાંચમા પાન પર આપેલાં સરનામા પર લખો. (g 1/06)

[પાન ૬ પર બ્લર્બ]

‘તમારામાંના કેટલાએક કહે છે કે, “આજે અથવા કાલે આપણે કોઈ એક શહેર તરફ જઈશું. આપણે ત્યાં એક વર્ષ રહીશું, વેપાર કરીશું અને પૈસા બનાવીશું,” સાંભળો! આ વિષે વિચારો: કાલે શું થવાનું છે તેની તમને ખબર નથી!’—યાકૂબ ૪:૧૩, ૧૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન

[પાન ૬ પર બ્લર્બ]

બાઇબલ છેક આપણા પહેલા માબાપ આદમ અને હવા સુધીનો ઇતિહાસ જણાવે છે. બાઇબલ એક નકશા જેવું છે. એમાં એ પણ જણાવ્યું છે કે આપણે જીવનની સફરમાં ક્યાં જઈ રહ્યા છીએ. એ વિષે વધારે જાણવા આપણે જોવું જોઈએ કે બાઇબલ શું શીખવે છે

[પાન ૭ પર બ્લર્બ]

બાઇબલમાં પાપનો શું અર્થ થાય? આપણને આદમ પાસેથી વારસામાં પાપ મળ્યું છે. તેથી આપણું મન આપણને ખોટા વિચારો અને પાપ કરાવા દોરી જાય છે. ‘જે સારૂં જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ પૃથ્વી પર એકેય નથી.’—સભાશિક્ષક ૭:૨૦

[પાન ૮ પર બ્લર્બ]

તમે કશાની ઝેરોક્ષ કે ફોટોકૉપી કરાવો જેમાં મોટો ડાઘ હોય તો, બધી જ કૉપીમાં ડાઘ દેખાશે. આદમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું. તેનામાં પાપનો ડાઘ લાગ્યો. આપણે તેનાં બાળકો હોવાથી, આપણામાં પણ એ પાપનો ડાઘ છે

[પાન ૮ પર બ્લર્બ]

બાઇબલ કહે છે: ‘માનવીમાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી.’ (યર્મિયા ૧૦:૨૩, કોમન લેંગ્વેજ) આ બતાવે છે કે દુનિયામાં શાંતિ લાવવામાં મનુષ્ય કેમ સફળ થયો નથી. ઈશ્વર વગર મનુષ્ય પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી

[પાન ૯ પર બ્લર્બ]

એક ઈશ્વરભક્તે લખ્યું: “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) દીવાની જેમ બાઇબલ ખરા નિર્ણયો લેવા મદદ કરે છે. વળી, એ જીવનની સફરમાં અજવાળું પાથરે છે, જેથી આવતા દિવસોમાં શું બનશે એ આપણે જોઈ શકીએ

[પાન ૭ પર બોક્સ]

આશા અને હકીકત

સપ્ટેમ્બર ૨૦૦૦માં યુનાઈટેડ નેશન્સના સભ્યોની એક સભા થઈ હતી. એમાં બધાએ સંપીને અનેક ધ્યેયો રાખ્યા જેને તેઓ ૨૦૧૫ સુધી પૂરા કરવા માગે છે. એમાંના અમુક આ છે:

▪ ઘણા ગરીબો દિવસના માંડ-માંડ ચાલીસેક રૂપિયા (એક ડૉલરથી પણ ઓછું) કમાઈને ગુજારો ચલાવે છે. બીજાઓ ભૂખે ટળવળે છે. તેઓમાંના પચાસેક ટકાની હાલતમાં સુધારો લાવીએ.

▪ બધા જ બાળકોને સાતમાં ધોરણ સુધી શિક્ષણ અપાવીએ.

▪ બધા જ છોકરાં-છોકરીઓને જેટલું ભણવું હોય એટલું ભણાવીએ.

▪ પાંચ વર્ષની અંદર મરણ પામતા બાળકોના મૃત્યુદરમાં ૬૬ ટકા ઘટાડો લાવીએ.

▪ બાળકને જન્મ આપતી વખતે સ્ત્રીઓ મૃત્યુ પામે છે એમાં ૭૫ ટકા ઘટાડો લાવીએ.

▪ એચ.આઈ.વી. કે એઇડ્‌સનો ફેલાવો અટકાવીએ અને એના દર્દીઓને સાજા કરતા રહીએ. સાથે સાથે મૅલેરિયા જેવી મોટી બીમારીઓને પણ નાથતા રહીએ.

▪ જેઓને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી તેઓમાંના કમ-સે-કમ ૫૦ ટકાને પીવાલાયક પાણી પહોંચાડીએ.

શું આ બધા ધ્યેયો પૂરા કરી શકાશે? ૨૦૦૪માં દુનિયાના આરોગ્ય અધિકારીઓ ભેગા મળીને તપાસવા લાગ્યા કે યુનાઈટેડ નેશન્સના સભ્યોના ધ્યેય પ્રમાણે કેવી પ્રગતિ થઈ છે. તેઓ એ નિર્ણય પર પહોંચ્યા કે અમુક સુધારો તો થયો છે પણ જેટલું ધારતા હતા એટલો થયો નથી. દુનિયાની હાલત ૨૦૦૫ નામનું એક અંગ્રેજી પુસ્તક પ્રસ્તાવનામાં જણાવે છે: “ગરીબીને કારણે આજે ઘણા દેશોમાં સુધારો કરવો એટલું સહેલું નથી. એચ.આઈ.વી. કે એઇડ્‌સ જેવી બીમારીઓ દિવસે દિવસે આગની જેમ ફેલાઈ રહી છે. એના લીધે ઘણા દેશોના લોકોનું જીવન ખતરામાં છે. છેલ્લા પાંચ વર્ષમાં પાણીથી ફેલાતી બીમારીને કારણે બે કરોડ બાળકો મરણ પામ્યા છે. આ બીમારીઓ સહેલાઈથી નાથી શકાય એમ હતી. આજે જ્યાં પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા નથી ત્યાં કરોડો લોકો ગંદકીમાં અને કંગાળ હાલતમાં જીવી રહ્યા છે.”

[પાન ૮ પર બોક્સ/ચિત્રો]

છેલ્લા દિવસોના કેટલાંક બનાવો

મોટાં મોટાં યુદ્ધો.માત્થી ૨૪:૭; પ્રકટીકરણ ૬:૪.

દુકાળ.માત્થી ૨૪:૭; પ્રકટીકરણ ૬:૫, ૬,.

જીવલેણ બીમારીઓ.લુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૬:૮.

અન્યાય વધશે.માત્થી ૨૪:૧૨.

માણસ સુંદર પૃથ્વીને બગાડશે.પ્રકટીકરણ ૧૧:૧૮.

મોટા મોટા ધરતીકંપો.લુક ૨૧:૧૧.

મુશ્કેલીઓ વધતી જશે.૨ તીમોથી ૩:૧.

ધનદોલતનો પ્રેમ.૨ તીમોથી ૩:૨.

માબાપનું નહિ માનનારા.૨ તીમોથી ૩:૨.

એકબીજા પર પ્રેમ નહિ હોય.૨ તીમોથી ૩:૩.

ઈશ્વરને ભૂલીને મોજમજામાં તલ્લીન થશે.૨ તીમોથી ૩:૪.

પોતાના પર કાબૂ નહિ હોય.—૨ તીમોથી ૩:૩.

ભલાઈનો જમાનો નહિ હોય.૨ તીમોથી ૩:૩.

આવી રહેલા વિનાશ વિષે બેફિકર.માત્થી ૨૪:૩૯.

છેલ્લા દિવસોના પુરાવાને લોકો હસી-મજાકમાં કાઢી નાખશે.૨ પીતર ૩:૩, ૪.

ઈશ્વરના રાજ્યનો આખી દુનિયામાં પ્રચાર.માત્થી ૨૪:૧૪.

[ક્રેડીટ લાઈન્સ]

© G.M.B. Akash/Panos Pictures

© Paul Lowe/Panos Pictures

[પાન ૯ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ, પરમેશ્વરના રાજ્યની ખુશખબર બધે જ ફેલાવવા માટે જાણીતા છે