સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર ચાહે છે કે તમે ધનવાન બનો?

શું ઈશ્વર ચાહે છે કે તમે ધનવાન બનો?

બાઇબલ શું કહે છે

શું ઈશ્વર ચાહે છે કે તમે ધનવાન બનો?

“ઈશ્વરે જિંદગીમાં બીજો એક દિવસ આપ્યો છે. કરોડપતિ બનવાનું સપનું હવે જલદી જ પૂરું થશે!”

“મારું સપનું છે કે હું અમીર બનું, કેમ કે મને ઈશ્વર અને તેના દૂતોનો સાથ છે!”

“ઉપરવાળો બધાને અમીર બનવા શક્તિ આપે છે!”

‘બાઇબલને લીધે મારે તો લીલાલહેર છે!’

કરોડો ધાર્મિક લોકોનું માનવું છે કે ધનદોલત, સુખસાહેબી તો ઉપરવાળાની કૃપા છે! તેઓનું કહેવું છે કે ભગવાનનું માનો તો, હમણાં તે માલામાલ કરશે જ, મરણ પછી પણ સારો બદલો આપશે. આવી “સુખસાહેબીની ફિલસૂફી” કોને ન ગમે! એ વિષયનાં પુસ્તકો ફટાફટ વેચાઈ જાય છે. પણ ધનવાન બનવા વિષે બાઇબલ શું કહે છે?

બેશક, ઈશ્વર ચાહે છે કે આપણે સુખી થઈએ. જિંદગીની મજા લઈએ. (ગીતશાસ્ત્ર ૧:૧-૩) તેમના માર્ગે ચાલનારાને તે આશીર્વાદ આપે છે. (નીતિવચનો ૧૦:૨૨) પણ તે શું ધનદોલતથી આશીર્વાદ આપે છે? જવાબ મેળવવા ચાલો પહેલા જોઈએ કે ઈશ્વરની નજરે આજે આપણે કેવા સમયમાં જીવીએ છીએ અને તેમની ઇચ્છા શું છે.

શું અત્યારે ધનવાન થવાનો સમય છે?

પોતાના ભક્તો માટે ઈશ્વરનો એક મકસદ હોય છે, એ પ્રમાણે તે તેઓ સાથે વર્તે છે. (સભાશિક્ષક ૩:૧) પહેલાંના જમાનામાં અયૂબ અને રાજા સુલેમાન જેવા અમુક ભક્તો ધનવાન હતા. એ યહોવાહનો આશીર્વાદ હતો. (૧ રાજાઓ ૧૦:૨૩; અયૂબ ૪૨:૧૨) જ્યારે કે યોહાન બાપ્તિસ્મા આપનાર અને ઈસુ જેવા ઘણા ભક્તો ધનવાન ન હતા. તોયે તેઓ પર યહોવાહના આશીર્વાદ હતા એમાં કોઈ જ શંકા નથી. (માર્ક ૧:૬; લુક ૯:૫૮) આજના વિષે શું?

બાઇબલ જણાવે છે કે આપણે ‘જગતના અંતના છેલ્લા સમયમાં’ જીવીએ છીએ. એમાં યુદ્ધો, બીમારીઓ, દુકાળો અને ધરતીકંપો થશે. સમાજમાં ભાગલા પડી જશે. ૧૯૧૪ની સાલથી દુનિયા પર એવી અનેક આફતો આવી પડી છે. દુનિયાની આટલી ખરાબ હાલત પહેલાં કદીયે થઈ ન હતી. (માત્થી ૨૪:૩; ૨ તીમોથી ૩:૧-૫; લુક ૨૧:૧૦, ૧૧; પ્રકટીકરણ ૬:૩-૮) સાચે જ, દુનિયા એક ડૂબતા વહાણ જેવી છે, જેનો કોઈ ભરોસો નહિ. આવા સમયે પોતાના ભક્તો માટે ઈશ્વરનો મકસદ શું છે? ધનવાન બનાવવાનો કે બીજું કોઈ મહત્ત્વનું કામ કરાવવાનો?

ઈસુએ આપણા સમયને નુહના સમય સાથે સરખાવ્યો. તેમણે કહ્યું કે ‘જળપ્રલયની અગાઉ નુહ વહાણમાં ચઢી ગયા ત્યાં સુધી લોકો ખાતાપીતા, ને પરણતા-પરણાવતા હતા. જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓએ ન માન્યું. તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.’ (માત્થી ૨૪:૩૭-૩૯) ઈસુએ આપણા દિવસો લોતના સમયના સદોમ અને ગમોરાહ શહેર સાથે પણ સરખાવ્યા. ત્યાંના લોકો ‘ખાતા, પીતા, વેચાતું લેતા આપતા, રોપતા, બાંધતા હતા; પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, અને તેથી બધાનો નાશ થયો; જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.’—લુક ૧૭:૨૮-૩૦.

એનો અર્થ એવો નથી કે ખાવાપીવા, પરણવા અને વેચાતું લેવા-આપવામાં કંઈ ખોટું છે. પણ એમાં જ ડૂબી જવાથી, આપણે કેવા સમયમાં રહીએ છીએ એના પરથી ધ્યાન ફંટાઈ જશે. એ આપણા માટે જોખમી છે. એટલે વિચારો, ‘જો ઈશ્વર આપણને એવી ચીજો આપ્યા કરે જેનાથી તેમની ભક્તિમાંથી ધ્યાન ફંટાઈ જાય તો, શું એ ઈશ્વરનો આશીર્વાદ કહેવાય?’ * ના, એનાથી તો આપણને નુકસાન થશે. પ્રેમથી ભરપૂર ઈશ્વર એવું કદી ન કરે.—૧ તીમોથી ૬:૧૭; ૧ યોહાન ૪:૮.

અત્યારે જીવન બચાવવાનો સમય છે!

અત્યારે દરેકનો જીવ જોખમમાં છે! એવા સમયે ઈશ્વરે પોતાના ભક્તોને મહત્ત્વનું કામ સોંપ્યું છે. ઈસુએ કહ્યું, “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) યહોવાહના ભક્તો એ શબ્દો દિલમાં ઉતારે છે. તેઓ બધાને ઉત્તેજન આપે છે કે યહોવાહના રાજ્ય વિષે શીખે. અમર જીવન પામવા તેમનું શિક્ષણ લે.—યોહાન ૧૭:૩.

ખરું કે ઈશ્વર એવું નથી કહેતા કે આપણે સાધુ બની જઈએ. પણ તે ચાહે છે કે આપણી પાસે જે કંઈ હોય એમાં સંતોષ માનીએ. એમ કરીને આપણે તેમની ભક્તિમાં મન લગાડીએ. (માત્થી ૬:૩૩) તે પોતે આપણી સંભાળ રાખશે. હેબ્રી ૧૩:૫ કહે છે કે ‘લોભી ન બનો; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમ કે ઈશ્વરે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહિ અને તને તજીશ પણ નહિ.’

ઈશ્વર કદીયે વચન આપીને ફરી જતા નથી. એની એક મોટી સાબિતી જલદી જ જોવા મળશે. ઈશ્વર દુનિયાની દુષ્ટતાનો અંત લાવશે ત્યારે, પોતાના ભક્તોની ‘મોટી સભાને’ બચાવશે. પછી તેઓ હંમેશાં સુખ-શાંતિમાં જીવશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) ઈસુએ કહ્યું હતું કે “તેઓને [શિષ્યોને] જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.” (યોહાન ૧૦:૧૦) ‘પુષ્કળ જીવનનો’ અર્થ શું થાય? ધનદોલતથી ભરપૂર જીવન નહિ, પણ ઈશ્વરના રાજ્યમાં સુંદર પૃથ્વી પરનું અમર જીવન!—લુક ૨૩:૪૩.

હકીકતમાં સુખસાહેબીની ફિલસૂફી ફક્ત એક ભ્રમ છે. જોજો, એમાં ફસાતા નહિ! ઈસુની આ ચેતવણી ધ્યાનમાં રાખો: “તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે.”—લુક ૨૧:૩૪, ૩૫. (g09 05)

[ફુટનોટ્‌સ]

^ પહેલી સદીની જેમ જ આજે પણ યહોવાહના અમુક ભક્તો પૈસાવાળા છે. ઈશ્વર તેઓને ચેતવણી આપે છે કે ધનદોલતમાં ભરોસો ન મૂકે. ભક્તિમાંથી ધ્યાન ફંટાવા ન દે. (નીતિવચનો ૧૧:૨૮; માર્ક ૧૦:૨૫; પ્રકટીકરણ ૩:૧૭) આપણે અમીર હોઈએ કે ગરીબ, ઈશ્વરની ભક્તિમાં ધ્યાન લગાડીએ.—લુક ૧૨:૩૧.

શું તમે કદી વિચાર્યું છે?

◼ અત્યારે કયું કામ સૌથી મહત્ત્વનું છે?—માત્થી ૨૪:૧૪.

◼ ઈસુએ આપણા સમયને કયા ઈશ્વરભક્તોના સમય સાથે સરખાવ્યો?—માત્થી ૨૪:૩૭-૩૯; લુક ૧૭:૨૮-૩૦.

◼ અમર જીવનની આશા ગુમાવવી ન હોય તો શું કરવું જોઈએ?—લુક ૨૧:૩૪.

[પાન ૨૫ પર બ્લર્બ]

સુખસાહેબીની ફિલસૂફી ફક્ત એક ભ્રમ છે!