સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજે દેવનો આત્મા કઈ રીતે કાર્ય કરે છે?

આજે દેવનો આત્મા કઈ રીતે કાર્ય કરે છે?

આજે દેવનો આત્મા કઈ રીતે કાર્ય કરે છે?

તે જન્મથી જ અપંગ હતો. દરરોજ, તે મંદિરના સુંદર નામના દરવાજા પાસે બેસતો હતો અને મંદિરમાં આવતા જતા લોકો પાસે ભીખ માગતો હતો. પરંતુ એક વખતે, આ અપંગ ભિખારીને એવું દાન મળ્યું જે સોનારૂપા કરતાં પણ વધારે કીમતી હતું. એટલે કે તેને સાજો કરવામાં આવ્યો!—પ્રેરિતોનાં કૃત્યો ૩:૨-૮.

પ્રેષિત પીતર અને યોહાને તેને “ઉઠાડ્યો” એટલે તરત જ “તેના પગમાં જોર આવ્યું.” પરંતુ, આ સાજાપણાં માટેનો યશ તેઓએ પોતે લીધો નહિ. કેમ નહિ? પીતરે એનો ઉત્તર આપ્યો: “ઈસ્રાએલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાઓ છો? અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીધારીને જોઈ રહ્યા છો?” જોકે, પીતર અને યોહાનને ખબર હતી કે, એ તેમના પોતાના સામર્થ્યથી નહિ પણ દેવના પવિત્ર આત્માની મદદથી સાજાપણું કરી શક્યા છે.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૭-૧૬; ૪:૨૯-૩૧.

એ સમયે, આવા “ચમત્કારો” સાબિતી આપતા હતા કે, ખ્રિસ્તી મંડળને યહોવાહ દેવનો સાથ છે. (હેબ્રી ૨:૪) પરંતુ, પ્રેષિત પાઊલે કહ્યું કે, આવા ચમત્કારો દ્વારા દેવનો હેતુ પૂરો થયા પછી તે શક્તિ “લોપ થશે.” * (૧ કોરીંથી ૧૩:૮) તેથી, આજે આપણને ખ્રિસ્તી મંડળોમાં સાજાપણું કરવાની, પ્રબોધ કરવાની કે ભૂતો કાઢવાની શક્તિ કોઈની પાસે હોય એવું જોવા મળતું નથી.

તો પછી શું એનો અર્થ એમ થાય કે, દેવનો પવિત્ર આત્મા હવે કાર્યરત નથી? બિલકુલ નહિ! ચાલો આપણે જોઈએ કે, કઈ રીતે પ્રથમ સદીમાં દેવનો આત્મા કામ કરતો હતો અને આજે પણ કરે છે.

“સત્યનો આત્મા”

દેવના આત્માનું મુખ્ય કામ છે, માહિતી આપવી, સત્ય જણાવવું, દેવના જ્ઞાનથી લોકોને પરિચિત કરવા. ઈસુએ પોતાના મરણના થોડા સમય પહેલાં જ શિષ્યોને કહ્યું: “મારે તમને ઘણી વાતો કહેવી છે, પણ હમણાં તમે સમજી શકો તેમ નથી. જ્યારે પવિત્ર આત્મા કે જે સત્ય છે તે આવશે, ત્યારે તે તમને સંપૂર્ણ સત્યમાં દોરી જશે.”—યોહાન ૧૬:૧૨, ૧૩. (ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઑફ ઇન્ડિયા.)

પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં ૧૨૦ શિષ્યો યરૂશાલેમમાં ઉપલા માળે ભેગા થયા હતા ત્યારે, તેઓ પર “સત્યનો આત્મા” રેડવામાં આવ્યો. ત્યાં તેઓ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪) એ વાર્ષિક ઉત્સવમાં ભેગા થયેલાઓમાં પ્રેષિત પીતર પણ હતા. પવિત્ર આત્માથી ભરપૂર હોવાથી પીતરે “ઊભા થઈને” ઈસુ વિષેના સત્યોની સમજણ આપી. દાખલા તરીકે તેમણે બતાવ્યું કે, કઈ રીતે ‘ઈસુ નાઝારીને દેવને જમણે હાથે ઉપર લઈ લેવામાં આવ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪, ૨૨, ૩૩) દેવના આત્માની પ્રેરણાથી પીતરે પોતાને સાંભળનારા યહુદીઓને હિંમતથી કહ્યું: “ઈસ્રાએલના તમામ લોકોએ નિશ્ચે જાણવું, કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો, તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૬) દેવના માર્ગદર્શન હેઠળ પીતરે જે સંદેશો આપ્યો એનાથી પ્રભાવિત થઈને લગભગ ત્રણ હજાર લોકોએ “તેની વાત સ્વીકારી” અને બાપ્તિસ્મા પામ્યાં. આ રીતે દેવના પવિત્ર આત્માએ તેમને સત્ય તરફ દોર્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૭-૪૧.

દેવના આત્માએ તેઓને બાબતો ફરીથી યાદ કરાવી અને શિક્ષણ પણ આપ્યું. ઈસુએ કહ્યું: “સંબોધક, એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શિખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.”—યોહાન ૧૪:૨૬.

પવિત્ર આત્માએ કઈ રીતે શિક્ષણ પૂરું પાડ્યું? ઈસુ પાસેથી તેઓ જે શીખ્યા એ તેઓ પૂરેપૂરી રીતે સમજ્યા ન હતા. એ સમજવા હવે દેવના આત્માએ શિષ્યોનાં મન ખોલ્યાં. દાખલા તરીકે, પ્રેષિતો જાણતા હતા કે ઈસુએ પોતાના પરીક્ષણો દરમિયાન યહુદાના રોમી સૂબા પોંતિયસ પીલાતને શું કહ્યું હતું: “મારું રાજ્ય આ જગતનું નથી.” પરંતુ, ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા એના ૪૦ દિવસ પછી પણ, પ્રેષિતોના મનમાં ખોટી સમજણ હતી. જાણે કે એ જ સમયે ઈસુ પોતાનું રાજ્ય પૃથ્વી પર જ સ્થાપન કરવાના હતા. (યોહાન ૧૮:૩૬; પ્રેરિતોનાં કૃત્યો ૧:૬) દેખીતી રીતે, પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં દેવનો પવિત્ર આત્મા પ્રેષિતો પર ન આવ્યો ત્યાં સુધી તેઓ ઈસુના શબ્દો પૂરેપૂરી રીતે સમજ્યા ન હતા.

ઈસુના અનેક શિક્ષણો તેઓને ફરીથી યાદ કરાવવા દેવના આત્માએ મદદ કરી. દાખલા તરીકે, પવિત્ર આત્માની મદદથી ઈસુના મરણ અને પુનરુત્થાન વિષેની ભવિષ્યવાણીઓને તેઓ વધુ સારી રીતે સમજી શક્યા. (માત્થી ૧૬:૨૧; યોહાન ૧૨:૧૬) પ્રેષિતોને ઈસુએ શિખવેલી બાબતો વિષે યાદ આવ્યું. તેથી તેઓ રાજાઓ, ન્યાયાધીશો અને ધર્મગુરુઓ સમક્ષ હિંમતથી પોતાનો બચાવ કરી શક્યા.—માર્ક ૧૩:૯-૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૪:૫-૨૦.

વધુમાં, દેવના પવિત્ર આત્માએ શરૂઆતના ખ્રિસ્તીઓને પ્રચારકાર્યમાં પણ મદદ કરી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૬-૧૦) દેવના આત્માએ શરૂઆતના ખ્રિસ્તીઓનો બાઇબલ લખવામાં પણ ઉપયોગ કર્યા, જેથી સર્વ મનુષ્યોને લાભ મળે. (૨ તીમોથી ૩:૧૬) આમ, આપણે જોઈ શક્યા કે, પહેલી સદીમાં પવિત્ર આત્મા કઈ રીતે કામ કરી રહ્યો હતો. એ ફક્ત ચમત્કારો કરવા માટે જ આપવામાં આવ્યો ન હતો.

પવિત્ર આત્મા આપણા દિવસોમાં

પવિત્ર આત્મા પહેલી સદીની જેમ જ આપણા દિવસોમાં પણ સાચા ખ્રિસ્તીઓને મદદ કરી રહ્યો છે. આપણને આનો પુરાવો ૧૯મી સદીના અંતના સમયમાં યુ.એસ.એ.માં આવેલ, એલેઘની, પેન્સિલ્વેનિયાના બાઇબલ વિદ્યાર્થીઓના નાનકડા જૂથમાં જોવા મળે છે. આ વિદ્યાર્થીઓ “સત્ય” જાણવા માટે સખત પ્રયત્નો કરતા હતા.—યોહાન ૮:૩૨; ૧૬:૧૩.

આ જૂથના એક સભ્ય, ચાર્લ્સ ટેઝ રસેલ પોતે બાઇબલ સત્યની શોધમાં હતા. તેમણે એ વિષે આમ કહ્યું: “મેં પ્રાર્થના કરી . . . મને મારા મન અને હૃદયમાં બિનપક્ષપાતી રહેવા મદદ કરો. જેથી, હું તમારા આત્માના માર્ગદર્શનથી સત્ય સમજી શકું.” દેવે તેમની નમ્ર પ્રાર્થના સાંભળી.

ભાઈ રસેલ અને તેમના સાથીઓએ મન લગાડીને બાઇબલનો ઊંડો અભ્યાસ કર્યો તેમ તેઓ અનેક બાબતો સમજી શક્યા. ભાઈ રસેલે જણાવ્યું, “આપણને જોવા મળે છે કે, સદીઓથી જુદા જુદા પંથો અને સમૂહોએ બાઇબલ શિક્ષણના ભાગલા પાડી નાખ્યા છે. તેઓએ પોતાની ધારણાઓ અને ભૂલભરેલા અનુમાનોથી મિશ્રણ કર્યું છે.” તેથી તેમણે કહ્યું કે, “સત્ય ખોવાઈ ગયું છે.” ખરેખર, બાઇબલનું સત્ય જૂઠા શિક્ષણોથી દટાઈ ગયું હતું. ખ્રિસ્તીરાષ્ટ્રમાં ધીમે ધીમે સદીઓથી જૂઠાણું પ્રસરી ગયું હતું. પરંતુ, ભાઈ રસેલ સત્ય જાણવા અને લોકોને જણાવવા આતુર હતા.

ઝાયન્સ વૉચટાવર ઍન્ડ હેરાલ્ડ ઑફ ક્રાઈસ્ટ્‌સ પ્રેઝન્સ્‌ નામના સામયિક દ્વારા, ભાઈ રસેલ અને તેમના સાથીઓએ હિંમતથી જૂઠા ધર્મોના શિક્ષણો ખુલ્લાં પાડ્યા જે દેવ વિષે જૂઠું શીખવતા હતા. તેઓ જોઈ શક્યા કે, લોકપ્રિય માન્યતાઓ ખોટી છે. જેમ કે, માણસની અંદર કંઈક અમર છે જે શરીર મરી ગયા પછી જીવવાનું ચાલુ રાખે છે. તેમ જ તેઓને એ પણ ખબર પડી કે યહોવાહ જ એક માત્ર સાચા દેવ છે અને તે ત્રૈક્યનો કોઈ ભાગ નથી.

તમે કલ્પના કરી શકો કે, જૂઠાં શિક્ષણોને આવી રીતે ખુલ્લાં પાડવાથી ખ્રિસ્તીરાષ્ટ્રના પાદરીઓનો રોષ કેવો ભભૂકી ઊઠ્યો હશે! પાદરીઓમાં ભય ઊભો થયો કે, જો આમ અમને ખુલ્લા પાડવામાં આવશે તો અમારી સત્તા પણ નહિ રહે. તેથી, કૅથલિક અને પ્રોટેસ્ટંટના ઘણા પાદરીઓએ ભાઈ રસેલને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, ભાઈ રસેલ અને તેમના સાથીઓએ પડતું મૂક્યું નહિ. પૂરા ભરોસાથી માર્ગદર્શન માટે તેઓએ દેવના આત્માની મદદ માગી. ભાઈ રસેલે કહ્યું: “આપણા પ્રભુએ કહ્યું હતું કે, બાપ તેમનો પવિત્ર આત્મા તરત જ મોકલશે કેમકે ઈસુ આપણા છોડાવનાર, મધ્યસ્થ અને શિર હોવાથી આપણને શિક્ષણ પૂરું પાડશે.” વળી, ખરેખર પવિત્ર આત્માએ તેઓને શીખવ્યું! તેથી, આ તરસ્યા બાઇબલ વિદ્યાર્થીઓ સત્યનું શુદ્ધ પાણી પીવા લાગ્યા અને આખી પૃથ્વી પરના લોકોને જણાવવા લાગ્યા.—પ્રકટીકરણ ૨૨:૧૭.

આજે યહોવાહના આધુનિક સંગઠનને એકસોથી વધુ વર્ષો થયાં છે. છતાં, એ દેવના પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ ચાલે છે. યહોવાહ દેવનો આત્મા તેઓને ધીમે ધીમે વધુ સમજણ પૂરી પાડે છે તેમ, તેઓ ખુશીથી પોતાની સમજણમાં જરૂરી ફેરગોઠવણો કરે છે.—નીતિવચન ૪:૧૮.

“તમે મારા સાક્ષી થશો”

ઈસુએ પોતાના શિષ્યોને દેવના પવિત્ર આત્માના બીજા પુરાવા વિષે આમ કહ્યું: “પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો . . . અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) ઈસુએ પોતાના શિષ્યોને વચન આપ્યું હતું કે, તમારા પર “પવિત્ર આત્મા” રેડવામાં આવશે ત્યારે તમે “સામર્થ્ય” પામશો. જેથી, દેવે સોંપેલું કાર્ય આજે પણ હજી ચાલુ છે એ પૂરું કરી શકે.

આજે યહોવાહના સાક્ષીઓ એક સમૂહ તરીકે તેમના પ્રચાર કાર્યથી સારી રીતે જાણીતા છે. (બૉક્સ જુઓ.) હકીકતમાં, યહોવાહના સાક્ષીઓ ૨૩૦થી વધુ દેશો અને ટાપુઓમાં સત્યનો સંદેશો જણાવી રહ્યા છે. યુદ્ધના કારણે પોતાના જીવનું જોખમ હોય છે છતાં, એવા દેશોમાં પણ તેઓ હિંમતથી દેવના રાજ્યનો પ્રચાર કરી રહ્યા છે. ઉત્સાહથી તેઓ પ્રચારકાર્ય કરી રહ્યા છે એ સાબિતી છે કે, આજે પણ યહોવાહ દેવ તેમના પવિત્ર આત્માનો ઉપયોગ કરી રહ્યા છે. વળી, દેખીતી રીતે જ યહોવાહ દેવ તેઓને આશીર્વાદ આપે છે.

દાખલા તરીકે, ગયા વર્ષે એક અબજ કલાકો દેવના રાજ્યના પ્રચારકાર્યમાં વાપરવામાં આવ્યા હતા. એનું પરિણામ શું આવ્યું? એનાથી લગભગ ૩,૨૩,૪૩૯ લોકોએ દેવને પોતાનું જીવન સમર્પણ કરીને પાણીનું બાપ્તિસ્મા લીધું. તે ઉપરાંત રસ ધરાવતા ૪૪,૩૩,૮૮૪ નવા લોકો સાથે સાપ્તાહિક બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યા હતા. સરવાળે, ૨,૪૬,૦૭,૭૪૧ પુસ્તકો, ૬૩,૧૧,૬૨,૩૦૯ સામયિકો અને ૬,૩૪,૯૫,૭૨૮ મોટી અને નાની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું. દેવનો આત્મા હજી પણ કાર્ય કરી રહ્યો છે એનો કેવો શક્તિશાળી પુરાવો!

દેવનો આત્મા અને તમે

જ્યારે કોઈ વ્યક્તિ સુસમાચારનો સ્વીકાર કરીને દેવના ધોરણો પ્રમાણે જીવવા લાગે, ખંડણીની જોગવાઈમાં ભરોસો મૂકે, ત્યારે દેવના મિત્ર બનવું તેમના માટે શક્ય બને છે. પ્રેષિત પાઊલે આવા વ્યક્તિઓ વિષે આમ કહ્યું: ‘દેવ . . . તેઓને પોતાનો પવિત્ર આત્મા આપે છે.’—૧ થેસ્સાલોનીકી ૪:૭, ૮; ૧ કોરીંથી ૬:૯-૧૧.

દેવનો આત્મા આપણી પાસે હોય તો એનાથી બીજા ઘણા આશીર્વાદો મળે છે. કયા પ્રકારના આશીર્વાદો? બાઇબલ કહે છે: “પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે.” (ગલાતી ૫:૨૨, ૨૩) એ પ્રમાણે, દેવનો પવિત્ર આત્મા સારા માટે છે. જેથી કોઈ પણ વ્યક્તિ એવા શુદ્ધ ગુણો વિકસાવી શકે.

તે ઉપરાંત, જો તમે બાઇબલ વાંચીને તમારા જીવનમાં લાગુ પાડશો તો દેવનો આત્મા તમને ડહાપણ, જ્ઞાન, સમજશક્તિ અને વિવેકબુદ્ધિ આપશે. રાજા સુલેમાને “ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકાંઠાની રેતીની માફક વિશાળ મન” પ્રાપ્ત કર્યાં કારણ કે તેમણે માણસ કરતાં દેવને પ્રસન્‍ન કરવાનો પ્રયાસ કર્યો. (૧ રાજા ૪:૨૯) યહોવાહ દેવે સુલેમાનને પવિત્ર આત્મા આપ્યો હતો એ સાબિત કરે છે કે, આજે કોઈ પણ તેમની મદદ માંગે તો જરૂર તે પોતાનો પવિત્ર આત્મા તેઓને આપશે.

દેવનો પવિત્ર આત્મા સાચા ખ્રિસ્તીઓને મદદ કરે છે. જેથી તેઓ શેતાન, અપદૂતો, આ દુષ્ટ વ્યવસ્થા અને અપૂર્ણ હોવાથી પોતાની ખોટી ઇચ્છાઓ વિરુદ્ધ લડી શકે. એ કઈ રીતે શક્ય છે? પ્રેષિત પાઊલ કહે છે: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૩) પવિત્ર આત્મા કસોટી કે પરીક્ષણોને દૂર તો નહિ કરે પરંતુ, એ સહન કરવા તમને જરૂર મદદ કરી શકે. દેવના આત્મા પર આધાર રાખવાથી આપણને “પરાક્રમની અધિકતા” મળશે જેથી આપણે કોઈ પણ મુશ્કેલી કે દુઃખ સહન કરી શકીશું.—૨ કોરીંથી ૪:૭; ૧ કોરીંથી ૧૦:૧૩.

આ બધા જ પુરાવાઓ જોયા પછી આપણે કહી શકીએ છીએ કે, આજે પણ દેવ તેમના પવિત્ર આત્માનો ઉપયોગ કરી રહ્યા છે. યહોવાહના આત્માની મદદથી તેમના સેવકો તેમના મહાન હેતુઓનો હિંમતથી પ્રચાર કરી રહ્યા છે. યહોવાહ દેવનો પવિત્ર આત્મા ધીમે ધીમે વધુ સમજણ પૂરી પાડતો રહે છે. જેથી આપણો વિશ્વાસ વધતો રહે અને આપણા ઉત્પન્‍નકર્તા પ્રત્યે વફાદાર રહીએ. તેથી, આપણે કેટલા આભારી છીએ કે, યહોવાહ દેવ તેમના વચનો પ્રમાણે આજે પણ પોતાના વિશ્વાસુ સેવકોને પવિત્ર આત્મા પૂરો પાડે છે!

[ફુટનોટ]

^ ઑગસ્ટ ૧૫, ૧૯૭૧ના ચોકીબુરજ (અંગ્રેજી)ના પાન ૫૦૧-૫ પર આપવામાં આવેલો “શા માટે આજે ચમત્કાર કરવાના દાનો લોપ થયા છે?” લેખ જુઓ.

[પાન ૧૦ પર બોક્સ]

યહોવાહના સાક્ષીઓ વિષે લોકો શું કહે છે?

“લોકોને લલચાવીને ચર્ચમાં લઈ આવવા માટે બીજા ચર્ચો અનુભવી વ્યક્તિઓને ભાડે રાખે છે. વળી, સજાતીય સંબંધ અને ગર્ભપાત જેવા વિષયો પર દલીલ કરવા પણ તેઓની મદદ લે છે. જ્યારે યહોવાહના સાક્ષીઓ ક્યારેય પોતાના સિદ્ધાંતોમાં બાંધછોડ કરતા નથી. પરંતુ, તેઓ આખી પૃથ્વી પર વ્યવસ્થિત રીતે પ્રચાર કરી રહ્યા છે.”—ઓરેન્જ કાઉન્ટી, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.નું ધ ઓરેન્જ કાઉન્ટી રજીસ્ટર વર્તમાનપત્ર.

“અમુક જ પંથો યહોવાહના સાક્ષીઓ જેવા ઉત્સાહી છે, જેઓ પોતાના ધર્મ વિષે પ્રચાર કરતા હોય.”—ધ રિપબ્લિક, કોલંબસ, ઇન્ડિયાના, યુ.એસ.એ.નું વર્તમાનપત્ર.

“ફક્ત આ લોકો જ ઘરે ઘરે જઈને ‘સુસમાચારનો’ પ્રચાર કરે છે અને બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડે છે.”—ઝાઈખે લિટરોટ્‌સક્યા, પોલૅન્ડનું વર્તમાનપત્ર.

“આવું પ્રચારકાર્ય હજી સુધી થયું નથી. યહોવાહના સાક્ષીઓ જ આખી પૃથ્વી પર આ રીતે સંદેશો પહોંચાડી રહ્યા છે.”—ન્યૂઝ-ઑબ્ઝર્વર, ટમૉક્વે, પેન્સિલ્વેનિયા, યુ.એસ.એ.નું વર્તમાનપત્ર.

[પાન ૯ પર ચિત્રો]

દેવનો પવિત્ર આત્મા આપણને જ્ઞાન પૂરું પાડે છે,

. . . ખ્રિસ્તી ગુણો કેળવવા મદદ કરે છે,

. . . અને આખી પૃથ્વી પર પ્રચારકાર્યમાં મદદ કરે છે.